આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


પરેશ ર. વૈદ્ય

યુદ્ધ કથા: રમ્યા:

આ એક સંસ્કૃત કહવત છે, જેનો અર્થ થાય છે કે યુદ્ધની વાતો મનોરજક હોય છે. આવં કેમ કહ્યું હશે તેનું આશ્ચર્ય થાય. કદાચ એટલે હોય કે એ જમાનામા યુદ્ધ વસ્તીથી દૂર, મદાનોમા લડાતાં અને સૂર્યાસ્તની વળાએ બધ પણ કરાતાં. શક્ય છે કે સજયનું મહાભારતનું વર્ણન  શહરીજનોને મનોરંજક લાગે, પરત ધૃતરાષ્ટ્રને તો ન જ લાગે. જેના માથા ઉપર યુદ્ધ ચાલતું હોય એવા નાગરિકોને માટે તો એ તકલીફ જ. ભલેને એનો દેશ જીતતો હોય.

સમય જતાં યુદ્ધનું સ્વરૂપ બદલાતું જાય છે. બહુ પ્રાચીન સમયને છોડો, તો ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતે લડેલાં ત્રણ યુદ્ધો પણ સરહદ ઉપર જ લડાયાં હતાં. પરંતુ આજના યુદ્ધની અસર દેશની સીમાની અંદર દૂર સુધી પડે છે. દુશ્મનની જમીન કબજે કરવાનો ઇરાદો ન હોય તો પાયદળના સૈનિકોએ સરહદ પાર પણ નથી કરવી પડતી. મિસાઇલ, ડ્રૉન અને સાહસ હોય તો બૉમ્બર વિમાનો ઘરબેઠે છોડી શકાય છે. બે વર્ષથી ચાલી રહેલાં રશિયા–યુક્રેન અને ઇઝરાયલ–ગાઝાનાં યુદ્ધો આનાં વરવાં ઉદાહરણ છે. અક્ષાંશ-રેખાંશ ખબર હોય તો GPSની મદદથી જે મકાનને તોડવું હોય તે જ તોડી શકાય, એમાં અંધારપટ (બ્લૅકઆઉટ) પણ નડતો નથી. સૈદ્ધાંતિક રીતે આવા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ થવી ન જોઈએ, પરંતુ વ્યવહારમાં તેનાથી ઊંધું જ બનતું આપણે જોઈએ છીએ.

આપણું પોતાનું છ માસ પહેલાંનું પાકિસ્તાન સાથેનું યુદ્ધ પણ આવું જ, ટેક્નોલૉજી આધારિત હતું. ભારતે મિસાઇલ તથા ડ્રૉનથી ત્રાસવાદીઓનાં રહેઠાણો ઉપરાંત વિમાની સેવાનાં યંત્રો નકામાં કરી દીધાં. આટલું થયા પછી જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે કેટલાય લોકો નારાજ થયા. એમની ઇચ્છા દુશ્મનને વધુ સજા કરવાની હતી; તેનું કારણ એ કે લડાઈ એક તરફી હતી. અમૃતસર, ભુજ કે જયપુર ઉપર દુશ્મનનાં વિમાનો ફર્યાં હોત કે પછી બ્લૅકઆઉટ ચાર શહેરમાં ચાર દિવસને બદલે ઘણાં શહેરોમાં ૧૪ દિવસ ચાલ્યો હોત તો કદાચ આવી યુદ્ધલોલુપતા ન દેખાઈ હોત. ૧૯૬૫ અને ૧૯૭૧માં પશ્ચિમ સરહદનાં ઘણાં શહેરોમાં અંધારપટ કરાતો હતો. સરહદ ઉપર યુદ્ધ હોવા છતાં શહેરના નાગરિકોને અસર તો પડતી જ. બંને લડાઈઓમાં ભારતનો હાથ ઉપર હતો તે છતાં યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યારે સર્વત્ર હાશકારાની જ લાગણી હતી. યુદ્ધની કથા રમ્ય હશે, પણ યુદ્ધ રમ્ય નથી હોતાં.

ભવિષ્યનાં યુદ્ધો કેવાં હોઈ શકે તેની કલ્પના કરી શકાય છે. યુદ્ધ માત્ર નબળા શત્રુ (પાકિસ્તાન) સાથે જ થાય એવુંય નથી; ચીન સાથે પણ થઈ શકે. આ સંદર્ભમાં ભૂતકાળમાં આપણે જોયેલાં યુદ્ધોનો ટૂંકો પરિચય કરવો અસ્થાને નથી. આ ત્રણેય લડાઈઓ પ્રણાલિકાગત (Conventional), સરહદ પરની લડાઈઓ હતી.

ચીન યુદ્ધ (૧૯૬૨) : દેશ માટે આ સૌથી પહેલું મોટું યુદ્ધ હતું. આથી અગાઉ આઝાદી પછી તરતના ગાળામાં પાકિસ્તાને કાશ્મીર ઉપર હલ્લો કર્યો હતો. ત્યારે માત્ર પાયદળ લડતાં તેથી એની અસર માત્ર સ્થાનિક પ્રજા ઉપર પડી, પણ દેશના બીજા ભાગોમાં એ માત્ર સમાચાર બનીને રહી ગઈ. ચીને તિબેટ હડપી લીધું તેથી દલાઈ લામાએ ભાગીને ભારતમાં શરણ લીધું. તેનાથી ચીન નારાજ હતું. ૨૦ ઑક્ટોબરે તેણે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ (ત્યારે NEFA કહેવાતું) એમ બે દૂરદૂરના ખૂણે ઘૂસણખોરી કરી. તેનું બહાનું છે કે બ્રિટિશ રાજ્ય અને તિબેટ વચ્ચે જે સીમા નક્કી થઈ હતી તે એને મંજૂર નથી. એ સીમારેખાને મેકમોહન રેખા કહે છે.

તિબેટનો પઠાર આપણા કરતાં વધારે ઊંચાઈએ છે તેથી ચીનને એ સરહદે પહોંચવું સહેલું હતું, પરંતુ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ લશ્કર પહોંચાડવું આપણે માટે અતિશય દુષ્કર હતું. શિયાળાની ઠંડીમાં એ સ્થળે લડાઈ કરવી લશ્કરને માટે પણ મુશ્કેલ. દેશના દૂરના ખૂણે લોકોને લડાઈના છાંટા ઊડ્યા નહોતા, કારણ કે બંને પક્ષોએ ઍરફોર્સનો ઉપયોગ નહોતો કર્યો . તે છતાં દેશના સામૂહિક માનસ ઉપર ઊંડી અસર થઈ, કારણ કે ચીનને આપણે મિત્ર માન્યું હતું તે છતાં હુમલો થયો. ચીનને આપણે પાછું ધકેલી ન શક્યા તેની નિરાશા અને ગુસ્સો પણ હતાં. આને કારણે દેશભક્તિનો જુદા પ્રકારનો જુવાળ જોવા મળ્યો. લોકો સરકારની સાથે ઊભા રહ્યા . સૈનિકોને લોહી અને સંરક્ષણ ફંડમાં ફાળો આપવા માટે લાઇનો લાગતી. ઉત્તર ભારતમાં લોકો સેનામાં ભરતી થવા લાગ્યા. વિદ્યાર્થીઓ એન.સી.સી. અને હોમગાર્ડમાં જોડાયા.

યુદ્ધના વર્ણનની આપણી પહેલી ફિલ્મ ‘હક઼ીક઼ત’માં સૈનિકોનાં કુટુંબોની લાગણી વ્યક્ત થઈ. જાણીતું ગીત ‘અય મેરે વતન કે લોગોં…’ એ વખતે લખાયું અને શાળા-કૉલેજોમાં ખૂબ ગવાયું, ત્યારે તો શ્રોતાઓને એ ગીત સાંભળતાં આંસુ આવતાં. રેડિયો ઉપર જયમાલા અને જયભારતી જેવા કાર્યક્રમો લશ્કરના જવાનો માટે પ્રસારિત થવાનું શરૂ થયું. એ વાતાવરણ ૧૯૬૫ સુધી ચાલ્યું અને ત્યારે તેની ફરીથી જરૂર પડી.

યુદ્ધ અને અંધારપટ: ૧૯૬૫ના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના યુદ્ધ શરૂ કર્યું. એના ટ્રેલર રૂપે માર્ચ મહિને કચ્છ સરહદે તેણે છમકલાં કર્યાં જ હતાં. તે વેળા જ ત્યાંના લોકોને લશ્કરી વાહનોની હેરફેરનો અનુભવ થઈ ગયો હતો. શહીદોના મૃતદેહો પોલીસ લાઇન્સમાં આવીને પછી એમના ગામે મોકલાતા હતા. આ રીતે ગમગીની અને લડાઈનું વાતાવરણ પહેલાં જ હતું. પરંતુ ઑગસ્ટ પછી તેમાં નવું પાસું ઉમેરાયું, તે હવાઈ હુમલાના ડરનું. પહેલી વાર બંને દેશોએ હવાઈ દળને યુદ્ધમાં ઉતાર્યું હતું. કચ્છ, રાજસ્થાન અને પંજાબ એમ આખી સરહદે મોરચા ખૂલ્યા હોવાથી પશ્ચિમ સરહદનાં બધાં શહેરોમાં રાત્રીનો અંધારપટ જાહેર થયો.

ફ્લાઈટ લેફ્ટનન્ટ ટ્રેવર કીલરે ૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ છાંબ વિસ્તારમાં  ૧૯૬૫ના યુદ્ધનું IAF વતી ખાતું ખોલ્યું | By special arrangement

યુદ્ધ દોઢ મહિનો ચાલ્યું, તેથી અંધારપટ માટે વીજળી બોર્ડ સપ્લાય જ બંધ કરી દે તેવું વ્યાવહારિક નહોતું. નાગરિકો ઉપર જવાબદારી હતી કે તેઓ તકેદારી રાખે કે પોતાના ઘરમાંથી પ્રકાશ બહાર ન જાય; ન શેરીમાં પડે ન આકાશમાંથી દેખાય. એ જમાનામાં બારીઓ લાકડાની જ બનતી તેથી બારી બંધ કરવાથી કામ ચાલી જતું. તેમાં જો મોટી તિરાડો હોય તો તેના ઉપર કાગળ ચોંટાડી દેતા. બારણાં ઉપર વેન્ટિલેટર કાચનાં હોય તો તેને પણ કાગળ લગાડવાનો. રાત્રે નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના યુવાન સ્વયંસેવકો, હોમગાર્ડ વગેરે ગલીઓમાં ફરતા અને બ્લૅકઆઉટનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોતા. કદાચેય હવાઈ હુમલામાં બૉમ્બ પડે તો શું કરવું તેની એ લોકોને તાલીમ અપાઈ હતી. રડાર ઉપર દુશ્મનનું વિમાન કે કોઈ શંકાસ્પદ ચલન દેખાય કે તરત શહેરમાં ઠેક ઠેકાણે મૂકેલાં સાયરન ગરજી ઊઠતાં. અવાજની તીવ્રતા ઉપર-નીચે થાય તેવું આ સાયરન જ ભય પેદા કરતું. તે વખતે ધરતીકંપમાં લઈએ તેવી કાળજી લઈ સલામત સ્થળે સંકોચાઈને બેસી રહેતા. ભય ટળી જાય ત્યારે ‘ઑલ ક્લિયર’નું સીધું વાગતું સાયરન બોલે. લોકોને એ અવાજ મિત્રનો અવાજ લાગતો!

આવી એક અંધારી સાંજે વડા પ્રધાન શાસ્ત્રીજી આકાશવાણી પર આવ્યા. તેમણે કહ્યું કે સેનાના વડા મારી પાસે આવ્યા હતા. મેં એમને કહ્યું છે કે ‘બહાદુરો, આગે બઢો, દેશ આપકે સાથ હૈ.’ એ પછી થોડા દિવસે ભારતની સેના લાહોરના પાદરે પહોંચી ગઈ. રાવી નદીની આ પાર આપણી સેના અને સામે લાહોર. માર્ગ માં ખેમકરણ પાસે આપણે અમેરિકાની બનાવેલી ‘પેટન’ ટૅન્કો નો ખુરદો બોલાવ્યો. આ કામમાં જીવ ગુમાવનાર હવાલદાર અબ્દુલ હમીદને મરણોત્તર પરમવીર ચક્ર મળ્યું . પરંતુ ગુજરાતે પોતાના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાને ગુમાવ્યા. પરાજયનો સામનો કરી રહેલાં પાકિસ્તાને કચ્છના આકાશમાં સિવિલિયન પ્લેનને તોડી પાડ્યું, જેમાં એમનાં પત્ની પણ સાથે હતાં.

ખેમકરણમાં પેટન ટેન્કનું કબ્રસ્તાન                                                      પરમ વીર ચક્ર અબ્દુલ હમીદ

રશિયાની દરમિયાનગીરીથી યુદ્ધ ત્રેવીસમી સપ્ટેમ્બરે રોકાયું. ચીન સામે હાર પછી આ જીતથી દેશમાં નવો આત્મવિશ્વાસ આવ્યો. જોકે એ વર્ષે દુકાળ પડ્યો હતો અને અમેરિકાએ P.L. 480 હેઠળ મોકલાતી અન્નની મદદ બંધ કરી, તેથી અનાજની તંગી વરતાઈ. શાસ્ત્રીજીએ લોકોને સોમવારે એકટાણું કરવાની અપીલ કરી. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. આખા દેશમાં ‘શાસ્ત્રીજીના સોમવાર’ના નામે એ ઉપવાસ પ્રચલિત બન્યા. તેમણે ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર પણ આપ્યું. એ બહાને હરિત ક્રાંતિનાં બીજ રોપાણાં.

બાંગ્લા દેશ માટે લડાઈ : ૧૯૭૧થી પહેલાં પાકિસ્તાન દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો : પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પૂર્વ ભાગની બંગાળી પ્રજાએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપાડી તેથી સૈન્યે ત્યાં ભીષણ અત્યાચાર ચલાવ્યો. તેના કારણે ૯૦ લાખ લોકો ભાગીને ભારત આવ્યા અને શરણાર્થી તરીકે રહ્યા. આ દબાણ હેઠળ ભારતની ગુપ્તચર સંસ્થા (RAW) તથા આપણી સેનાએ બંગાળી યુવાનોને ગેરીલા યુદ્ધની તાલીમ આપવી શરૂ કરી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પશ્ચિમ મોરચે લડાઈ શરૂ કરે તે શક્ય હતું. આથી ભારત પણ તૈયારી કરતંુ હતંુ તે વાત જાણીતી છે. તેથી આગોતરા બચાવ તરીકે (preemptive strikeમાં) પાકિસ્તાને ત્રીજી ડિસેમ્બરના રોજ આપણાં ઘણાં બધાં હવાઈ મથકો ઉપર બૉમ્બમારો કર્યો. જેની રાહ વાતી જ હતી તે ખૂનખાર યુદ્ધ આમ શરૂ થયું.

ગઈ લડાઈ કરતાં વધારે સંખ્યામાં હવાઈ હુમલાઓની સાથોસાથ આ વખતે બંને દેશનાં નૌકાદળ પણ યુદ્ધમાં ઊતર્યાં. બીજા જ દિવસે પાકિસ્તા ની સબમરીને આપણી યુદ્ધ નૌકા ‘ખુકરી’ને દીવ નજીક ડુબાડી દીધી. તેના જવાબમાં પૂર્વ કાંઠે વિશાખાપટ્ટનમ્ પાસે આપણે તેની એક સબમરીનને તોડી પાડી. પૂર્વ પાંખને એ લોકો મદદ ન પહોંચાડી શક્યા તેથી છેવટે ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનું જે સૈન્ય ત્યાં હતું તેણે ઢાકામાં ભારત સામે સમર્પણ કર્યું. આપણે બંને મોરચે યુદ્ધવિરામ જાહેર કર્યો. નવા દેશ ‘બંગલા દેશ’નો આમ જન્મ થયો.

ઓછા દિવસોનું હોવા છતાં આ યુદ્ધ ૧૯૬૫ કરતા વધારે તીવ્ર હતું. દેશનો આખો સમુદ્રકિનારો યુદ્ધના વાતાવરણમાં હતો. પાકિસ્તાની વિમાનોની ઉડાન આ વખતે દૂર સુધી ફેલાઈ હતી. એ વખતે ટેલિવિઝન ચૅનલો ન હતી. દૂરદર્શનનું એકમાત્ર કેન્દ્ર દિલ્હીમાં હતું, જે આકાશવાણી (રેડિયો) હેઠળ હતું, મુખ્યત્વે રેડિયો સમાચાર આપતો. એ જમાનામાં વર્તમાનપત્રો રણમોરચે ન જતાં, પરંતુ સ્રોતો પાસેથી મેળવેલી માહિતી આપવા વિશે કોઈ નિયંત્રણ ન હતાં. તેમ છતાં છાપાં સત્ય શોધક હોવાની સાથોસાથ જવાબદાર પણ હતાં. લોકોનો જુસ્સો ટકી રહે અને છતાં સમાચાર મળતા રહે તેવા સંયમથી કામ કરતાં. બીજી તરફ યુદ્ધ કરતા દેશોએ એકબીજાના નાગરિકોને યુદ્ધમાં ન સંડોવવાનો સંયમ રાખ્યો તે પણ નોંધપાત્ર છે.

રાજકીય સમીકરણો અને ટેક્નોલૉજીના કારણે ભવિષ્યનાં યુદ્ધો માત્ર સરહદ પૂરતાં સીમિત રહે એવું માની ન શકાય. ૮૦ વર્ષ પહેલાં વપરાયેલું અને છતાં આધુનિક ગણાય તેવું શસ્ત્ર, તે પરમાણુ બૉમ્બ. એનો ઉપયોગ પણ કેમ, ક્યારે અને ક્યાં થાય તે ભાખવું સરળ નથી. આ વિવિધ સંભાવનાઓ માટે નાગરિકોની તૈયારી પણ જુદા પ્રકારની જોઈશે. આ બધાં છતાં ત્યાર જેવું કે અત્યારના પ્રકારનંુ યુદ્ધ જોવું ન પડે તેવી આશા રાખીએ.


બધી સાંદર્ભિક તસવીરો – નેટ પરથી


સૌજન્યઃ નવનીત સમર્પણ, નવેમ્બર, ૨૦૨૫


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.