સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ગયા અઠવાડિયે, મારે એક અગ્રણી બી-સ્કૂલમાં વ્યક્તવ્ય આપવાનું થયું. તે પછી એમબીએના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરરવાની તક મળી. એ લોકો હવે પોતાનીની પહેલી નોકરી માટે તૈયાર હતા. તેમના ચહેરા પર આશા અને આકાંક્ષા છલકાઈ રહી હતી. એ લોકો મને પતંગિયામાં ફેરવાતા કોશેટા જેવા લાગ્યાં. ભ્ણતરની દુનિયાનું કોચલું ભેદીને હવે તેઓ વ્યવસાયની વાસ્તવિક દુનિયામાં દાખલ થવા થનગની રહ્યા હતાં.
મારી વાત સ્વ-જાગૃતિ (જેને આંતર-વૈયક્તિક પ્રજ્ઞા – ‘ intra-personal intelligence[1] ‘ – પણ કહેવાય છે) ના વિષયથી શરૂ થઈ. મેં ભાર મૂક્યો હતો કે આજે વ્યાવસાયિક જગતને એવા લોકોની વધારે જરૂર છે જેઓ પોતાની સહજ તેમજ હસ્તગત શક્તિઓ વિશે જાગૃત હોય, પોતે જે કરી રહ્યા હોય તેના પ્રત્યે ઉત્સાહી હોય. આ સંદર્ભમાં, મેં તેમને મારા મિત્ર નિશની એક વાત કહી.
શાળા પછી, જ્યારે નિશ કારકિર્દી પસંદગીના ચાર રસ્તે હતો, ત્યારે તેણે તેના પિતાને કહ્યું, “મને ઇલેક્ટ્રોનિક્સમાં એક ઇંચ જેટલી જગ્યા આપો અને હું તેમાંથી આખી દુનિયા બનાવીશ“. આ શબ્દો એવી વ્યક્તિના હતા જે તે સમયે સરેરાશ વિદ્યાર્થી લાગતો હતો, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યે તેનો ઉત્સાહ અદમ્ય હતો.
મને યાદ છે કે તેના ઓરડામાં પુસ્તકો વેરાયેલાં હોય અને દિવાલો પત વપરાયેલા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને કેટલીક સોલ્ડરિંગ ગન લટકતાં જ હોય.સાથે હતો. શાળાના દિવસોમાં, જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના અસાઈન્ટમેન્ટ્સ અને પરીક્ષાઓમાં ખૂબ વ્યસ્ત (અને ઘણીવાર ચિંતિત) રહેતા, ત્યારે તે ટ્રાન્ઝિસ્ટર ભેગા કરતો અને ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતો. તેના પિતાએ તેને મંજૂરી આપી. એસ એસ સીના માર્ક્સને કારણે તેણે પહેલા ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કોર્સ કર્યો. ડિપ્લોમામાં તેના ગ્રેડને કારણે તેને બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સમાં સીધો પ્રવેશ મળી ગયો. તે પછી તેણે સેટેલાઇટ ઇલેક્ટ્રોનિક્સમાં એમ.એસ. અને યુકેમાંથી કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પીએચ.ડી. કર્યું. તેની આ લાંબી શૈક્ષણિક સફરને ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યેનો તેનો અપ્રતિમ લગાવ સતત પ્રવેગ દેતો રહ્યો.
નિશ એક સફળ ઉદ્યોગસાહસિક અને એક વ્યવહારુ ટેક્નોલોજિસ્ટ હોવાની સાથે સાથે નવું નવું કરતો જ રહે છે અને બીજાંને શીખવતો પણ રહે છે. તેણે શરૂઆતમાં જ તેની શક્તિઓને ઓળખી કાઢી અને તેના પર પોતાના જીવનનો પાયો નાખ્યો.
કારકિર્દી બનાવવાની સફર એ આપણી શક્તિઓને પારખવાની અને પછી તે શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સકારાત્મક ફરક લાવવાની શોધ સિવાય બીજું કંઈ નથી. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને શોધકર્તાઓ તરીકે આપણું લક્ષ્ય આપણી પસંદનાં ક્ષેત્રમાં પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાનું હોય, તો પછી બધાં સન્માનો અને બાહ્ય પુરસ્કારો માત્ર આડપેદાશ બની રહે છે.
મારી વાત વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાના માર્ગ પર આગળ વધવા માટે તેમાંથી પ્રેરણા લે એવી શુભેચ્છાઓ.
[1] Intrapersonal Intelligence: A Comprehensive Guide – Kendra Cherry
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
