સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.

વૈદિક પરંપરા

આજથી સીત્તેર હજાર વર્ષ પૂર્વે વૈદિક ઋષિઓએ પરમ ચેતના – બ્રહ્મ – અંગે તેમના આંતરિક મન વડે દર્શન કર્યું અને પછી તેને સામાન્ય જનસમાજ સમક્ષ રજૂ કરવા સંસ્કૃત ભાષાના ૬૪ અક્ષરો અને ગાયત્રી, અનુષ્ટુપ, જગતી જેવા ૭ છંદોમાં ગઠન કરીને અદ્‍ભૂત ઋચાઓમાં આ દર્શનને વણી લીધું. આપણી વૈદિક પરંપરાઓનો પ્રારંભ થયો.

એક વિદેશી વિદ્વાને સાચું લખ્યું છે કે ઈજિપ્ત અને માયા સંસ્કૃતિના પથ્થરોમાં સચવાયેલા ધાર્મિક અને સામાજિક જ્ઞાનનો કાળક્રમે નાશ થશે પણ અક્ષરદેહમાં સચવાયેલી વૈદિક પરંપરા શાશ્વત છે. તેનો કદી પણ નાશ નહીં કરી શકાય.

વેદની રચના થયા પછી વેદના ઋષિઓએ ઉપરોક્ત જ્ઞાનને અધ્યાત્મનું રૂપ આપવા આરણ્યકો અને ઉપનિષદોની રચના કરી. આ બધું સાહિત્ય શ્રુતિ સાહિત્ય તરીકે ઓળખાય છે. આ જ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપવા યજ્ઞ પ્રથાનું આયોજન વૈદિક ઋષિઓએ કર્યું. આ માટે શતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ જેવા અદ્‍ભૂત ગ્રંથો રચાયા. તેમ છતાં હજુ કંઈ ખુટતું જણાતું હતું. તેથી છ વેદાંગ પરિપાટીનું પ્રચલન થયું. વેદાંગોમાં કપિલ મુનિનું સાંખ્યશાસ્ત્ર, મીમાંસાઓ, યોગ અને વ્યાકરણશાસ્ત્રની રચના દ્વારા આ ખોટ પુરી કરવામાં આવી.

પરંતુ, સામાન્ય પ્રજાને આટલું ઉચ્ચ સાહિત્ય સમજી શકવામાં તકલીફ પડતી હતી. તે વખતે ઘણા તત્વજ્ઞાનીઓ આ જ્ઞાનને સમજાવવા આગળ આવ્યા. શ્રીવેદવ્યાસે બ્રહ્મસૂત્ર તથા શંકરાચાર્યે તેના પરની ટીકાઓ રજૂ કરતાં પ્રસ્થાનત્રયીની રચના કરી. તેઓનો અદ્વૈતવાદ અને રામાનુજ, માધવાચાર્ય વગેરેના દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્ય ભેદવાદની પ્રકાંડ તત્ત્વજ્ઞાનની વિચારસરણી રજૂ કરી. પરંતુ, સાચા અર્થમાં, વૈદિક પરંપરા અભિજાત્ય વર્ગ – ઉચ્ચવર્ગ (Elite Class) માટે જ બની રહી, તે લોકભોગ્ય ન બની શકી.

વૈદિક પરંપરાનું પતન

વૈદિક પરંપરા માટે પતન શબ્દ બંધબેસતો નથી. તેમ છતાં નોંધવું પ્ડે છે કે ભારતના આ પછીના પુરોહિતોએ ઋષિઓનું સ્થાન ખુંચવી લીધું. અતિખર્ચાળ અને પશુબલિને ટેકો આપતા અનેક યજ્ઞોનું પ્રાયોજન કરીને તેઓએ વૈદિક પ્રથાને નિર્બળ બનાવી દીધી. સામાન્ય પ્રજા પોતાના દુઃખોને દૂર કરવા ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ ઈત્યાદિ જેવા જે વૈદિક દેવતાઓ અને સિનીવાલી અને કુહુ જેવાં દેવીઓની સ્તુતિ કરતાં તે દેવદેવીઓ આ દુઃખો દૂર કરવામાં નિષ્ફળ ગયાં. સંસાર વ્યાપન કરતા સામાન્ય માણસને વર્ણવ્યવસ્થા પ્રમાણે તેને કરવાના કાર્યો માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા. મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર, પરાશર સ્મૃતિ જેવાં અનેક ધર્મસૂત્રો અને ધર્મશાસ્ત્રો દ્વારા આ નિયમોનાં બંધનો પ્રજા પર લાદવામાં આવ્યાં. કોઈ કાર્યમાં કોઈ દુષણ આવી જાય તો તેના શુદ્ધિકરણ માટે પણ અનેક નિયમો આ શાસ્ત્રોએ સુચવ્યા. પરિણામે, ચાર વર્ણને બદલે અઢાર વર્ણમાં સમાજ વહેંચાઈ ગયો અને નિર્બળ બન્યો.

શ્રમણ પરંપરા

વૈદિક પરંપરાનાં જ્યારે વળતાં પાણી થયાં યારે દીર્ઘકાળથી પ્રચલિત શ્રમણ પરંપરાના બે મહામાનવો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,નું પ્રાગટ્ય થયું. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે કેવળ જ્ઞાન પામીને ગૌતમ બુદ્ધ બન્યા અને વર્ધમાન પરમ જ્ઞાન પામીને મહાવીર સ્વામી બન્યા ત્યારે તેઓએ વ્યક્તિની આંતરિક સુધારણા પર ભાર મૂક્યો.  બાહ્ય યજ્ઞો અને ખર્ચાળ કર્મકાંડોને સ્થાને તેઓએ માનવમાત્રને સારાં કામો દ્વારા નિર્વાણ અને મોક્ષ પામવા માટેના સરળ સિદ્ધાંતો આપ્યા. આ માટે તેઓએ સંસ્કૃતની જગ્યાએ પ્રાકૃત અને અર્ધમાગધી જેવી બોલચાલની ભાષાઓમાં ઉપદેશો આપ્યા,

જૈન પરંપરા પ્રમાણમાં પાળવી કઠણ હતી, એટલે તેનો વિસ્તાર માત્ર ભારતમાં જ થયો. પરંતુ, બૌદ્ધ ધર્મ પ્રારંભથી જ સરળ હતો. તે અન્ય વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં માનતો. વળી બૌદ્ધ ધર્મની શાખા મહાયાનમાં પ્રજાનાં દુઃખ દૂર કરે તેવા બોધિસત્વના અવતારો, તેમની પુજા – અર્ચના અને વજ્રયાનની તાંત્રિક પરંપરાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું. ભારતવર્ષની લગભગ ૮૫ પ્રતિશત પ્રજાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.  બૌદ્ધ ધર્મની શાખા હિનયાન શ્રીલંકામાં ફેલાઈ. અહીં જ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથ  ત્રિપિટકોની રચના કરવામાં આવી. મહાયાન પરંપરાએ ભારત ઉપરાંત મધ્ય એશિયા, ચીન, કોરિયા અને જાપાનમાં પણ બૌદ્ધ ધર્મને ફેલાવ્યો.

ભારતવર્ષના મૌર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરીને આખા દેશને ચોર્યાસી હજાર જેટલો સ્તૂપો, ચૈત્યો, વિહારો, અને અનેક ગુફાઓમાં ધ્યાન કેન્દ્રો સ્થાપ્યાં. અજંન્તા અને ઈલોરાનાં ગુફાસ્થાપત્યો વિશ્વની વિરાસત બન્યાં છે. મધ્ય એશિયાના સમ્રાટ કનિષ્કે પણ બૌદ્ધ ધર્મ સ્વીકારીને તેનો પ્રચાર સમગ્ર યુરોશિયામાં કર્યો. પરિણામે વેદની સાઠ પર્તિશત ઋચાઓ આ પાષાણ સ્મારકોમાં ટકરાઈને આપણાથી દૂર થઈ ગઈ.ઓશો રજનીશ કહે છે કે અધ્યાત્મ અને ધર્મના જે શબ્દ બોલાય છે તે ક્યારેય નાશ પામતા નથી, પણ આકાશીય સંદેશ તરીકે સચવાય છે.

વાળ, દાંત જેવા બુદ્ધના દેહાવશેષો પર ચૈત્યો અને સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું. પૂર્વ એશિયાના દેશો ઉપરાંત દક્ષિણ – પૂર્વ એશિયાના વિયેતનામ, કમ્બોડિયા, થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમારમાં પણ બૌદ્ધ  ધર્મ રાજધર્મ બન્યો. પ્યુ (PEW) રિસર્ચના અંદાજ મુજબ ઇ. સ. ૨૦૨૦માં બૌદ્ધ ધર્મ પાળનાર લોકોની સંખ્યા વિશ્વની વસ્તીના ચાર પ્રતિશત, એટલે કે લગભગ ૫૦ કરોડ જેટલી, માનવામાં આવે છે. કમનસીબે, એશિયાના દેશોમાં પણ બૌદ્ધ ધર્મ પાળનારાઓની સંખ્યા ઘટવા લાગી છે.

સામાન્ય રીતે આપણને ઇતિહાસમાં એમ શીખવવામાં આવે છે કે બુદ્ધ અને મહાવીર સમકાલિન હતા. તેઓનો સમયકાળ આજથી ૨,૬૦૦ વર્ષ પહેલાંનો મુકવામાં આવે છે. પરંતુ, ભારતના શોધકર્તાઓએ હવે એવું પ્રતિપાદિત કર્યું ચ એકે ભગવાન બુદ્ધ આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા. તેમના સમકાલિન મહાવીર સ્વામી નહીં પણ પાર્શ્વનાથ ભગવાન હતા. આ શોધકર્તાઓ મહાવીર સ્વામીનો સમયકાળ આજથી ૩,૨૦૦ વર્ષ પૂર્વેનો મુકે છે.

કાળક્રમે જૈન ધર્મ શ્વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો અને વિકસ્યો. એકતાળીસ આગમો અને સૂત્રો જેવા જૈન ધર્મગ્રંથોની રચના પ્રમાણમાં અર્વાચીન છે. પરંતુ તેઓના .

સ્મારકો મથુરા, સમેતશિખર (ઝારખંડ), ગિરનાર પર્વત, પાલીતાણા અને આબુ પર્વત પર આવેલાં છે. આ ધાર્મિક સ્થલો પર હિંદુઓ પણ પોતાનો દાવો રજૂ કરે છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થાનકો મુળભૂત રીતે જૈન ધર્મનાં છે.

ભગવાન બુદ્ધ પોતે ભગવાન બન્યા પણ પોતે ઈશ્વરતત્વ વિશે આજીવન મૌન રહયા. તેઓએ આત્માનો પણ સ્વીકાર ન કર્યો. આમ વૈદિક ધર્મનાં વેદાંતનો બુદ્ધે સંપૂર્ણ જાકારો આપ્યો. મહાવીર સ્વામીએ પણ વેદાંતનાં તત્વજ્ઞાનને બદલે અનેકાન્તવાદ[1] અને સ્યાદ્‍વાદ જેવા દરેકને સ્વીકૃત એવા મહાન તત્વજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ અનિશ્વરવાદી હતા. તેઓએ આત્માનો સ્વીકાર કર્યો હતો, પણ એક પદાર્થ (મુદ્‍ગલ) તરીકે તેઓ આત્માને ક્ષણભંગુર માને છે. આમ આ બન્ને મહાનુભવોએ વેદ પરંપરાના પૂર્ણત્વને સ્થાને શૂન્યવાદ[2] અને નકારાત્મક તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો.

નાગાર્જુનના શુન્યવાદના સિદ્ધાંત તથા દિંગનાથ, વસુબન્ધુ અને ધર્મકીર્તિ નામના તત્વજ્ઞાનીઓએ શ્રમણ પરંપરાના પ્રકાંડ તત્વજ્ઞાનના પાયા નાખ્યા. તેથી વેદોએ પ્રચલિત પૂર્ણત્વ પ્રાપ્ત કરવાના તત્વજ્ઞન સામે આ શુન્યવાદની વિચારધારા સમગ્ર ભારતામાં સ્વીકૃત બની. આમ જ્યારે દરેક ક્ષેત્રમાં શ્રમણ પરંપરાની બોલબાલા હતી ત્યારે તેમાં વિકૃતિઓ પણ દાખલ થવા લાગી. આપણા દેશની રક્ષાનો ભાર સંભાળતા મોટા ભાગના ક્ષત્રિપ કુળોએ જીવનની નકારતાને સ્વીકારનારી જીવન પદ્ધતિ અપનાવી, જેના પરિણામે દેશમાંથી ક્ષાત્રત્વ હણાઈ ગયું. ઇરાનીયનો, શક, હુણ જેવી હિંસક પ્રજાઓના પશ્ચિમમાંથી આવવા લાગેલાં આક્રમણો સામે ભારત વર્ષનાં રાજ્યો પાસે પુરતી સંરક્ષણાત્મક ક્ષમતા ન રહી. આપણી રાજ્ય સરકારોનું મૌલિક કેન્દ્ર છિન્નભિન્ન થઈ ગયું.

બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં સ્ત્રીઓને પણ પ્રવેશ મળ્યો. તેનાં પરિણામ સ્વરૂપ, વિજાતીય આકર્ષણની એક આડ અસર રૂપે શ્રમણ સંઘોમાં અનેક પ્રકારનાં દુષણો પ્રવેશ પામ્યાં.


[1] અનેકાન્તવાદ

[2] શૂન્યવાદ


હવે પછીના મણકામાં લેખમાળામાં ઐતિહાસિક મૂલ્યાંકન વિશે હજુ વધારે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.