આલેખનઃ અશોક વૈષ્ણવ

૧૮૮૭માં, બહુ લાંબા અને અનેક વળાંકોમાં પસાર થયેલ ‘ભીખાજી વિ. રૂખ્માબાઇ, ૧૮૮૫’ના મુકદ્દમામાં અંગ્રેજ ન્યાયાધિશની  એક કોર્ટે રૂખ્માબાઈ નામની એક યુવતીને બે વિકલ્પો આપ્યા.

પતિ સાથે જાઓ. અથવા જેલમાં જાઓ.

ત્રેવીસ વર્ષની એ ભારતીય યુવતીએ જેલ પસંદ કરી.

યુવતીના એ જવાબે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું. આ મુકદ્દમાની ચર્ચા ભારતથી માંડીને ઈંગ્લેન્ડ સુધી ચર્ચા શરૂ ગઇ. આ ચર્ચાના મહામંથનને પરિણામે ભાવિ પેઢીની લાખો છોકરીઓ માટે કાયદો બદલવામાં મદદ મળઈ.

કેવી રીતે એક મહિલાના ઇનકારથી રૂઢિચુસ્ત સમાજ અને ‘જ્યાં સુરજ ક્યારેય ડુબતો નથી’ એવું એક સામ્રાજ્ય ઘૂંટણિયે પડી ગયું તેની આ એક એવી વીસરાઈ ગયેલી કહાણી છે.

+                       +                      +

 રૂખ્માબાઈનો જન્મ ૨૨મી નવેમ્બરે ૧૮૬૪માં બોમ્બેમાં થયો હતો. તેમના મા, જયંતિબાઈ, પણ બાળ લગ્નની ક્રૂરતામાં તવાઈ ચુકેલાં હતાં. ચૌદ વર્ષની ઉંમરે જયંતિબાઈનાં લગ્ન  થયા, પંદર વર્ષની ઉંમરે મા બન્યાં અને સત્તર વર્ષે તો વિધવા થયાં.

જ્યારે રુખ્માબાઈ આઠ વર્ષની હતી, ત્યારે તેમના માએ ડૉ. સખારામ અર્જુન નામના પુરુષ સાથે ફરીથી લગ્ન કર્યાં  સખારામ અર્જુન એક પ્રખ્યાત ચિકિત્સક અને સમાજ સુધારક હતા. એમના સમયના અન્ય પુરુષોથી તેઓ અલગ હતા. તેઓ માનતા હતા કે છોકરીઓને શિક્ષિત કરવી જોઈએ. તેમનું પોતાનું ઘર પુસ્તકોથી ભરેલું હતું. રુખ્માબાઈને પણ તેમણે ભણવા  માટે પીઠબળ પુરૂં પાડ્યું.

પરંતુ ૧૮૭૦ના દાયકાના ભારતમાં આવું અલગ તરાહ પર વિચારનારાઓ પાંખી લઘુમતિમાં હતા અને સમાજની રૂઢીઓની મર્યાદાને હજુ આધીન હતા. .

અગિયારમા વર્ષે રુખ્માબાઈના લગ્ન ઓગણીસ વર્ષના દાદાજી ભીખાજી સાથે થયા. સદીઓથી ભારતીય સમાજ પર નાગચુડ બનીને ફેલાયેલા રિવાજોને રૂખ્માબાઈના નાનાજીનું અનુસરણ કંઈ નવું નહોતું.

રૂખ્માબાઈ તો બાળકી હતી. તેને તો શું એના માને પણ આ વિશે કંઈ પુછવાનું ન હોય. અને પુછાય તો તેમણે કંઈ કહેવાપણું પણ ન હોય.

તે સમયના રિવાજો મુજબ, રુખ્માબાઈએ લગ્ન પછી તરત જ તેના પતિને ઘેરે રહેવા જવાનું નહોતું. તે તેની માતા અને સાવકા પિતા સાથે રહીને ખાનગીમાં પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું.

તેનો કિશોર પતિ એ સમયના સમાજના પ્રવાહો મુજબ મરદ બની રહ્યો હતો..

જ્યારે રૂખ્માબાઈ એક બુદ્ધિશાળી, સંસ્કારી યુવતી બની રહી હતી – અકરાંતિયાંની જેમ વાંચતી, વ્યાખ્યાનોમાં હાજરી આપતી અને સુધારકો સાથે પત્રવ્યવહાર કરતી, ત્યારે તેને ‘પતિ’ દાદાજી આળસ અને દેવામાં ડૂબી રહ્યો હતો. એણે ભણવાનું છોડી દીધું અને તેના કાવતરાબાજ કાકાના પ્રભાવમાં આવીને પોતાની બાળ કન્યાને પત્ની બનીને પોતાને ઘરે આવે એમાં પોતાની નાણાકીય સમસ્યાઓના અંતની રાહ જોઈ રહ્યો હતો.

૧૮૮૪માં, જ્યારે રુખ્માબાઈ વીસ વર્ષનાં થયાં ત્યારે દાદાજીએ માગની કરી કે હએ પોતાની પત્ની તેની સાથે રહે.

રૂખ્માબાઈએ ના પાડી.

દાદાજી તેની પત્નીને કોર્ટમાં ઘસડી ગયો.

દાદાજી ભીખાજી વિરુદ્ધ રૂખ્માબાઈનો કેસ ઓગણીસમી સદીના ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ કાનૂની લડાઈ બની ગયો. દાદાજીનો દાવો “લગ્ન અધિકારોની પુનઃસ્થાપના (Restitution of conjugal rights)” માટે હતો. “લગ્ન અધિકારોની પુનઃસ્થાપના” કાનૂની શબ્દપ્રયોગનો અર્થ, મૂળભૂત રીતે, કોઈ પણ જાતનાં પુરતાં કારણ વિના પતિકે પત્ની એકબીજાને વૈવાહિક અધિકારો ભોગવવા ન દઈ શકે એવો હતો. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં તો આ દાવાઓમાં પતિની દલીલ રહેતી કે પત્ની તેની મિલકત છે અને કોર્ટે પત્નીને પતિની સાથે રહેવા માટે અને વૈવાહિક અધિકારો ભોગવવા દેવા માટે દબાણ કરવું જોઈએ.

રૂખ્માબાઈનો બચાવ અભૂતપૂર્વ હતો.

તેમણે દલીલ કરી હતી કે તેમના લગ્ન એક નાસમજ બાળક તરીકે થયા હતા, તે ઉંમરે તો તેઓ લગ્નનો અર્થ પણ સમજી શકે તેમ ન હતાં તેમણે એમ પણ દલીલ કરી હતી કે તેમણે ક્યારેય સંમતિ આપી ન હતી. તેમણે તો આગળ વધીને એમ પણ  દલીલ કે સ્ત્રીને દાવો કરી શકાય એવી મિલકત ગણવી જોઈએ નહીં.

ભારતીય કોર્ટમાં આ પહેલાં આવી દલીલો કોઈએ કરી ન હતી.

૧૮૮૫માં, ન્યાયાધીશ રોબર્ટ પિન્હેએ તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે જાહેર કર્યું કે અંગ્રેજી કાયદો સંમતિ આપનારા પુખ્ત વયના લોકોને લાગુ પડે છે, હિંદુ કાયદામાં તો વળી આવા કિસ્સાઓનો કોઈ પૂર્વાધાર જ નથી.  – રુખ્માબાઈનાં લગ્ન તો તેમની ‘અસહાય શિશુવય’માં કરવામાં આવ્યાં હતાં, આવી સ્ત્રીને તેઓ (કાયદા હેઠળ) ફરજ નથી પાડવા માગતા.

રૂઢિચુસ્ત ભારતમાં તો વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો.

પરંપરાવાદીઓએ કોર્ટ પર હિન્દુ રિવાજોની પવિત્રતાને સમજ્યા વિના જ તેના પર હુમલો કરવાનો આરોપ મૂક્યો. રાષ્ટ્રવાદી નેતા બાલગંગાધર તિલકનાં અખબાર ‘કેસરી’ જેવા સમાજ સુધારકો પણ એ લખ્યું હતું કે રૂખ્માબાઈનો વિરોધ ખૂબ વધારે અંગ્રેજી શિક્ષણનું પરિણામ હતું. ધાર્મિક નેતાઓએ ચેતવણી આપી હતી કે હિન્દુ ધર્મ પોતે જ ખતરામાં છે.

આ કેસની ફરી સુનાવણીની અરજી કરવામાં આવી..

એ સમયના કાયદાની અદાલતમાં કે સામાજિક વાતાવરણમાં ‘એ ઉમરની બાળકી પોતાના વિચારો રજૂ કરી શકવા સમર્થ હોય’ કે ‘શરીરથી પક્વ ન બને ત્યં સુધી કાચી ઉમરની સ્ત્રી માટે વૈવાહિક સંબંધ યાતના નીવડી શકે’ જેવી દલીલો રૂખ્માબાઈનો બચાવ કરવામાં વામણી નીવડી.

અને ૧૮૮૬માં, એક ઉચ્ચ અદાલતે નિર્ણય ઉલટાવી દીધો.

માર્ચ ૧૮૮૭માં, ન્યાયાધીશ ફરાનએ પોતાનો ચુકાદો આપ્યો: રૂખ્માબાઈ ક્યાં તો તેના પતિ સાથે રહે, અને નહીં, તો, છ મહિનાની જેલની સજા ભોગવે..

રૂખ્માબાઈ એ પોતાનો ફેંસલો સંભળાવ્યોઃ ‘જે લગ્ન સાથે હું સંમત નથી તેને આધીન થવાને બદલે હું જેલમાં જવાનું પસંદ કરીશ.

આ વિધાનનાં અદોલન સમુદ્રોને પાર કરી ગયાં બ્રિટિશ અખબારોએ આ કેસને વ્યાપકપણે આવરી લીધો. ઇંગ્લેન્ડના મહિલા સામયિકોએ તેમના પક્ષમાં રેલી કાઢી. પ્રખ્યાત વિદ્વાન મેક્સ મુલરે લખ્યું કે રૂખ્માબાઈના શિક્ષણે તેમને પોતાની પસંદગી પોતે કરવા યોગ્ય બનાવ્યાં

રૂખ્માબાઈના ૧૫૩મા જન્મદિવસે પ્રકાશિત થયેલ ગુગલ ડુગલ

દરમિયાન, રૂખ્માબાઈએ પોતાની કલમ ઉપાડી.

રૂખ્માબાઈએ હવે પોતાની લડત કાયદાના દાયરામાંથી હટાવીને એક સ્ત્રી તરીકે પોતાની ઓળખ માટેની લડતમાં ફેરવી નાખી.

‘એક હિન્દુ મહિલા’ તરીકે, તેમણે ધ ટાઇમ્સ ઑવ ઈન્ડીઆમાં લખ્યું કે, “બાળ-લગ્નના ક્રૂર રિવાજે મારા જીવનના બધાં જ સુખ છીનવી લીધાં હતાં. મારી જિંદગીમાં મારાં શિક્ષણ અને મારી ઈચ્છા મુજબ મારાં મનનું ઘડતર અને સંવર્ધન જેવી મારી પાયાની બે બાબતોમાં તે અવરોધ બનીગયું હતું. મારા કોઈ વાંક ગુના વગર એકલી પાડી કાઢવામાં આવી છે.  (મારી લાખો) અજ્ઞાની બહેનોથી ઉપર ઉઠવાની મારી મહત્વાકાંક્ષાને શંકાની નજરે જોવામાં આવે છે અને તેના વિશે અભદ્ર ટીકા કરવામાં આવી રહી છે.”

રૂખ્માબાઈના આ વલણે હવે આખી ચર્ચાને બાળ લગ્નના શારિરીક અપરિપક્વતા અને અને માનસિક ત્રાસના મુદ્દાને બદલે એક સ્ત્રીનાં સમગ્ર જીવન પર એવાં લગ્નના વ્યાપક પરિણામો તરફ વા ળી દીધી.

તેમનો વિરોધ ફક્ત વ્યાવહારિક રિવાજોને લગતી દલીલોથી આગળ વધીને, મહિલાઓની સ્વતંત્રતા અને ગૌરવને જાળવી રાખવાના દૃષ્ટિકોણ પર ભાર મુકી રહ્યો હતો.

પુરુષ સમાજ સુધારકોની વિચારસરણીથી વિપરીત, રૂખ્માબાઈના વિરોધમાં વ્યક્તિગત અસ્તિત્વ અને સ્વાયત્તતા માટે જીવનભરના સંઘર્ષને પ્રતિબિંબિત કરતું ઊંડાણ હતું. તેમણે  ‘સ્ત્રીઓનાં આગવાં સ્થાન’ ની વિભાવનાનાં બીજ ભારતના તે સમયનાં સામાજિક પરિપ્રેક્ષ્યમાં વાવ્યાં. એક પારંપારિક રૂઢિચુસ્ત પિતૃસત્તાક સમાજમાં તેમણે મહિલાઓના અધિકારો અને ઓળખની હિમાયત કરી.

રૂખ્માબાઈએ ન્યાય માટે અપીલ માટે એ સમયનાં સુઅથી શક્તિશાળી સ્ત્રી, બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાને પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે હિન્દુ કાયદામાં એક સાવ સીધો સાદો ફેરફાર કરવાની માંગ કરી: છોકરાઓ માટે વીસ વર્ષની ઉંમર અને છોકરીઓ માટે પંદર વર્ષની ઉંમર પહેલાં કરવામાં આવતા લગ્ન કાયદેસર રીતે બંધનકર્તા ન હોવાં જોઈએ.”

૧૮૯૧માં બ્રિટિશ હિંદમાં સંમતી માટેની વય, ૧૮૯૧ (Age of Consent, 1891) શીર્ષક હેઠળ છોકરીની લગ્ન માટેની લઘુતમ ઉમર ૧૦ને બદલે ૧૨ વર્ષ થઈ.

જુલાઈ ૧૮૮૮માં, આખરે સમાધાન થયું. દાદાજીએ, ૨૦૦૦ રૂપિયાના વળતરના બદલામાં લગ્નની સાંકળ તોડી પાડવા અને રૂખ્માબાઈ પ્રત્યેના બધા દાવા છોડી દેવા માટે પોતાની સંમતિ આપી.

રૂખ્માબાઈ હવે મુક્ત હતાં.

પણ તમની લડાઈ હજુ પુરી નહોતી થઈ.

એક અગ્રણી બ્રિટિશ ચિકિત્સક ડૉ. એડિથ પેચેની મદદથી, રૂખ્માબાઈ તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. ૧૮૯૪માં, તેઓ લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વુમનમાંથી સ્નાતક થયા.

તે દેશના ઇતિહાસમાં પ્રેક્ટિસ કરતાં બીજાં મહિલા ડૉકટર[1] તરીકે આગામી પાંત્રીસ વર્ષ સુધી, રૂખ્માબાઈએ સુરત અને રાજકોટની મહિલા હોસ્પિટલોમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે સેવા આપી. તેમણે દરેક વર્ગ અને જાતિના દર્દીઓની સારવાર કરી.

જ્યારે અન્ય લોકો ભાગી ગયા ત્યારે તેમણે મહામારીઓમાં પણ કામ કર્યું.

તેમણે ક્યારેય લડવાનું બંધ કર્યું નહીં.

નિવૃત્તિ પછી પણ, તેમણે પડદાની પ્રથા પર પ્રહારો કરતી પત્રિકાઓ પ્રકાશિત કરી. તેમના વસિયતનામામાં, તેમણે છોકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે પોતાનું ઘર લખી આપ્યું.

તેમણે લડેલી કાનૂની લડાઈના પરિણામોના પડઘા આવનારી  પેઢીઓ સુધી લડતા રહ્યા છે.

૨૫ સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ રૂખમાબાઈનું અવસાન થયું. તેઓ નેવું વર્ષના હતા.

તેઓ તેમના પર દાવો કરવાનો પ્રયાસ કરનારા પતિ કરતાં વધુ જીવ્યાં હતાં. તેઓ તેમના દેશ પર શાસન કરતા સામ્રાજ્ય કરતાં પણ વધુ જીવ્યાં હતાં. તેઓ હોઠ અને વિચારોને સીવી લે એવા રિવાજો કરતાં પણ વધુ જીવ્યાં હતાં .

તેમનાં જીવન પર બહુ જ સંશોધનના પરિપાક રૂપે Rukhmabai: The Life And Times Of A Child Bride Turned Rebel-Doctor (લેખકઃ સુધીર ચંદ્ર  – પ્રકાશકઃ Pan Macmillan India) પુસ્તક પ્રકાશિત થયું છે. તેમના જીવન પર અનન્ત મહાદેવન દિગ્દર્શિત મરાઠી ફિલ્મ ડૉક્ટર રૂખ્માબાઈ ફિલ્મ પણ બની છે.


[1] (ભારતનાં સૌ પ્રથમ પ્રેક્ટીસીંગ મહિલા ડૉકટર કાદમ્બિની ગાંગૂલી હતાં, જેમણે ૧૮૮૬માં પ્રેક્ટીસ શરૂ કરી હતી.)