રામચંદ્ર ગુહા

                અનુ. ડંકેશ ઓઝા

ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા ન મળે તેવી સમીક્ષાત્મક તપાસ અને સમાજસુધારાની એક ભવ્ય પરંપરા પૂણે સાથે જોડાયેલી છે. ભલે દાયકાઓ બાદ હું ફરી પૂણેની મુલાકાતે આવ્યો હોઉં પણ વચગાળાના સમયમાં પણ પૂણેની પરંપરાની બાબતોથી અવગત રહેતો આવ્યો છું. માધવ ગાડગીલ જાણીતા નિસર્ગપ્રેમી છે, વિદ્વાન છે અને નાગરિકતા એમનામાં રુંએરુંએ ભરેલી છે. તેમની સાથેની મારી સઘન બૌદ્ધિક મૈત્રી છેલ્લાં દસ વર્ષથી રહી છે. માધવ ભારતીય પુનર્જાગરણકાળના મહત્ત્વનાં વ્યક્તિત્વોમાંના એક એવા ડી.આર. ગાડગીલના સુપુત્ર છે. જેમણે ૧૯૮૨માં પરિસર વ્યાખ્યાન-માળાનું પ્રારંભિક વ્યાખ્યાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી પૂણેમાં જ રહેતા આવ્યા છે.

ડી.આર.ગાડગીલની પેઢીના બીજા બે વિદ્વાનોની યાદ આવે છે. જેમને પૂણેના બૌદ્ધિકો ગણાવી શકાય. એ હતા ડી.ડી. કોશાંબી અને ઈરાવતી કર્વે. મેં અને માધવે જે અંગ્રેજી પુસ્તક ‘Thie Fissured Land’ ભારતના પર્યાવરણીય ઇતિહાસરૂપે લખ્યું તે તેમના પ્રત્યેના આદર અને સન્માનથી તેમને અર્પણ કરાયું છે. અર્પણમાં ત્રણ મહાનુભાવોનાં નામ છે. ત્રીજું નામ વેરિયર ઍલ્વિનનું છે જેમના જીવનની આસપાસ મારું સાંપ્રત સંશોધન પરિક્રમા કરતું રહ્યું છે. ઍલ્વિન પણ પૂણે સાથે ગાઢપણે જોડાયેલા હતા. ભારત નિવાસના શરૂઆતનાં વર્ષો તેઓ અહીં રહેલા અને પાછળનાં વર્ષોમાં તેમણે આદિવાસીઓ માટે કામ કર્યું તે તો સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના એ.વી. ઠક્કર એટલે કે ઠક્કરબાપાની પ્રગાઢ અસરને કારણે જ.

આ પ્રસંગે આપણા જે યજમાનો છે એ પણ પૂણેની ભવ્ય પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છે. પરિસર1 જેવો નાનકડો સમૂહ અને તેની સાથે જોડાયેલા સમર્પિત કાર્યકરોનો સમૂહ પુખ્ત બની રહેલી ભારતની પર્યાવરણીય ચળવળમાં પોતાની મૂલ્યવાન ભૂમિકા અદા કરી રહ્યો છે. તેથી જ ૧૯૯૩નું પરિસર વ્યાખ્યાન2 આપતી વખતે હું ઊંડા સન્માનની લાગણી અનુભવું છું.

* * *

આ વ્યાખ્યાન દ્વારા હું એક પ્રશ્ન કરીને એનો ઉત્તર મેળવવા પ્રયાસ કરું છું. પ્રશ્ન એ છે કે મહાત્મા ગાંધીને આપણે શરૂઆતના પર્યાવરણવાદી ગણી શકીએ ? એ તો જાણીતું છે કે સમકાલીન ભારતીય પર્યાવરણીય ચળવળ ઉપર ગાંધીના જીવન અને કાર્યની ઠીકઠીક અસર રહેલી છે. ચળવળની ખરી શરૂઆત તો એપ્રિલ – ૧૯૭૩ના ચિપકો આંદોલનથી થયેલી. એના શરૂઆતના મુદ્રિત સાહિત્યમાં એક પત્રકારે અધીર બનીને લખેલું કે ગાંધીના પ્રેતે હિમાલયનાં વૃક્ષોને બચાવ્યાં છે. ત્યારથી મહાત્મા ગાંધી સ્વીકૃત કે અસ્વીકૃત રીતે પર્યાવરણીય ચળવળના પુરોધા રહ્યા છે.

ચિપકો આંદોલનથી લઈને નર્મદા બચાવો આંદોલન સુધીના પર્યાવરણીય કર્મશીલો અહિંસક વિરોધની ગાંધીની રીતને ભારપૂર્વક વળગી રહ્યા છે અને મોટા ઉદ્યોગો સામેના ગાંધીના આક્રોશમાંથી તેમને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળતી રહી છે. વળી આ ચળવળનાં મહત્ત્વનાં વ્યક્તિત્વો એવાં ચંડીપ્રસાદ ભટ્ટ, સુંદરલાાલ બહુગુણા, બાબા આમ્ટે અને મેધા પાટકર કહેતાં રહ્યાં છે કે તેઓ આ ક્ષેત્રે ગાંધીના દેવાદાર છે.

અન્ય અસરોનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી. કારણ કે ભારતીય પર્યાવરણીય ચળવળના વ્યાપમાં એવા ઘણા સમૂહો છે જેમને ગાંધી સાથે ઊંડો નાતો ન પણ રહ્યો હોય. ઉદાહરણ તરીકે ‘કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ’ સંસ્થાની વાત કરીએ. આ સમૂહને માકર્સવાદની વિચારણાનો વારસો મળેલો છે અને તેમનું પર્યાવરણ ચળવળને થયેલું પ્રદાન બીજા કોઈથી સ્હેજપણ ઓછું નથી. આ ક્ષેત્રે અન્ય સ્વયંસેવી સમૂહો છે જે સમાજવાદ, ઉદાર ધાર્મિકતા અને સ્વસહાયની પરંપરાઓથી પ્રેરિત રહ્યાં છે. આમ છતાં એ કહેવું વાજબી મનાશે કે પર્યાવરણીય ચળવળ પર સૌથી મોટી કોઈ અસર રહી હોય તો તે ગાંધીના જીવનવ્યવહારની  છે.

મારી વાત કરું તો મને આજના બે અભૂતપૂર્વ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાના કાર્ય વિશે સઘન અભ્યાસ કરવાની વિશેષ તક પ્રાપ્ત થઈ છે. બંને સાથેનો મારો અંગત પરિચય સામાન્ય હતો. પરંતુ તેમના જીવનકાર્ય વિશે સંશોધન કરતાં હું તેમની ઘણી નજીક પહોંચી ગયો. એ બધા જે તે સમયે ચિપકો આંદોલન સાથે જોડાયેલા હતા. જોકે મારા પુસ્તક ઝવય ઞક્ષિીશિં ઠજ્ઞજ્ઞમતમાં મેં લખ્યું છે તેમ ચિપકો આંદોલનને માત્ર ગાંધીવાદી ચળવળમાં ખતવી દેવાનું યોગ્ય નહિ ગણાય. કારણ કે આ ચળવળનાં મૂળિયાં સદીઓ જૂની પર્યાવરણ જાળવણી અને તેના વિનાશ સામે પ્રતિકારની પરંપરામાં પડેલાં છે જે દ્વારા આપણે જંગલોને બચાવતાં રહ્યાં છીએ. એ પણ સ્વીકારવું જોઈએ કે, આંદોલનના બહુ જાણીતા આ નેતાઓ – ભટ્ટ અને બહુગુણા – ગાંધીવિચારનાં સર્જનાત્મક કામોની પરંપરાનાં પોતે જ ઉત્તમ ઉદાહરણો છે.

આજે ચિપકો આંદોલનના જે શહેરી પ્રશંસકો છે તેમને ચંડી-પ્રસાદ કે સુંદરલાલના ટેકેદારો તરીકે આપણે ઓળખી શકીએ અને છતાં એ બંને મહાનુભાવો હકીકતમાં સન્માનનીય છે. દશૌલી ગ્રામ સ્વરાજ મંડળ જે સાથે ભટ્ટ જોડાયેલા હતા તેનો ફાળો ચિપકો આંદોલનમાં પાયાનો છે. મંડળના ગ્રામવાસીઓને વૃક્ષ બચાવવાની આ ટેકનિક શીખવનાર ભટ્ટ હતા. જંગલોના વેપાર સામે શરૂઆતનો જે વિરોધ થયો તેનું સંકલન પણ આ મંડળે જ કરેલું. ધીરે ધીરે પોતાનું ધ્યાન પર્યાવરણની પુન: સ્થાપના પર કેન્દ્રિત કરેલું. અલકનંદા ખીણ વિસ્તારમાં આ ગામોની બહેનોને જ વૃક્ષારોપણ માટે સંગઠિત કરવામાં આવેલી. જે દ્વારા વૃક્ષો રોપાયાં અને તેની જાળવણી પણ થઈ. જંગલખાતું યોજનાના નામે આ કામ માટે જે પ્રકારનો પુષ્કળ ખર્ચ કરે છે તેના કરતાં મહિલાઓની કામગીરી ઓછા ખર્ચવાળી અને વધુ સફળ હતી.

ચિપકો આંદોલનના પાયામાં ચંડીપ્રસાદ ભટ્ટ છે તો સુંદરલાલ બહુગુણાનું સામાજિક કાર્ય તો તેથી પણ આગળ ગયેલું છે. ૧૯૪૦માં મહાત્મા ગાંધીએ પોતાની અંગ્રેજ શિષ્યા કેથેરિન મેરી હિલમેન જેને તેમણે સરલાદેવી નામ આપેલું તેને કુમાઉની પહાડીઓમાં મોકલેલી. આ સરલાદેવી સાથે સુંદરલાલ બહુગુણાનાં પત્ની વિમળા અને તેમનાં સાથી સર્વોદય કાર્યકરોએ કામ કરેલું. ભાગીરથી ખીણ વિસ્તારમાં બહુગુણા રહેતા હતા. જેમણે ૧૯૭૭ અને ૧૯૮૦ દરમ્યાન ઘણાં બધાં ચિપકો  પ્રતિકારનું સંચાલન કરેલું. હિમાલયની પર્યાવરણ સૃષ્ટિની જાળવણી માટે ભટ્ટ અને તેમના કાર્યકરો લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. બહુગુણા ચિપકોના આ સંદેશને દૂર સુધી લઈ ગયા. આ પદયાત્રી કદી થાક્યા ન હતા. તેમણે ભારત અને ભારત બહાર એમનાથી ઓછી ઉંમરનાને શરમાવે તેવા પ્રયાસો કર્યા હતા. એક વક્તા તરીકે પણ તેઓ પ્રભાવક રહ્યા. નગરવાસી બૌદ્ધિકોને બેરોકટોક આગળ વધી રહેલા ભૌતિકવાદની ભયાનકતાઓ વિશે જાગ્રત કરનાર પણ તેઓ જ હતા.

ચિપકો આંદોલનના આ બે નેતાઓને મેં મારા પુસ્તકમાં આપણા મહાન સમકાલીન ભારતીયો તરીકે બિરદાવ્યા છે. બંનેના જીવનને ઝંકૃત કરનાર ગાંધી હતા. પણ મને એવું વિચારવું ગમે છે કે બંને જણ પોતાના ગુરુથી જુદા અને આગળ હતા. ગાંધીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ નામની નાકડી ચોપડી લખી હતી. જેમાં આધુનિક સંસ્કૃતિ વિરુદ્ધ મોટું તહોમતનામું છે. બહુગુણા પણ ઔદ્યોગિક સમાજના સખત ટીકાકાર છે. એમની પ્રેરણા પેલા ટચૂકડા પુસ્તકમાં રહેલી છે. બહુગુણાની પદયાત્રાઓ અને વ્યાખ્યાનો મારફત તેઓ મુખ્યત્વે લોકોનાં હૃદયને જાગ્રત કરતા રહ્યા છે. ઉપભોક્તા-વાદથી દૂર રહેવાની વિનવણીઓ કરતા રહ્યા છે. અને સાદગીભર્યા જીવન તરફ પાછા ફરવાનું સૂચવતા રહ્યા છે. વિકલ્પે, ચંડીપ્રસાદ ભટ્ટ અને એમના કાર્યકરો ગાંધીના સાબરમતી અને વર્ધા આશ્રમની નજીકના લાગે છે જે કેન્દ્રિત વિકાસના બદલે ટકાઉ આર્થિક વિકલ્પો તરફ વળવા અને વ્યવહારમાં મૂકવાનું કામ કરતા રહ્યા છે. ગાંધી ગ્રામસ્વરાજની વાત કરતા હતા, એ એમનો આદર્શ હતો. ચંડીપ્રસાદ પોતાના કાર્ય દ્વારા એ જ આદર્શને નવો અર્થ અને નવું પરિમાણ પૂરું પાડતા રહ્યા.


(ક્રમશ:)


1 Parisar, Yamuna, ICS Colony, Ganeshkhind Road. Pune, Maharashtra, 411 007 India

2Mahatma Gandhi and the Environmental Movement – Parisar Annual Lecture by Ramchandra Guha – 1993


ભૂમિપુત્ર : ૧૬ નવેમ્બર, ૨૦૨૪