વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

ગદ્ય સાહિત્ય

ઇશ્વરના ઇ મેઇલ.. – ૨૦

કાગળિયા લખી લખી થાકયા

નીલમ  હરીશ દોશી

કે કાગળ હરિ લખે તો બને,
અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને..

રમેશ પારેખ

પ્રિય દોસ્ત,

હમણાં મને યે  રોજ રોજ તને કાગળિયા લખવાની એટલે કે ઇ મેઇલ કરવાની આદત પડી પડી ગઇ છે. હવે તો કાગળ લખવો એટલે ઇ મેઇલ કરવો એવો જ અર્થ કરાય છે ને ? દોસ્ત, મને પણ ધીમે ધીમે તારી ભાષા આવડી ગઇ છે ને ?

દોસ્ત, હમણાં તારે રોજ કોઇ ને કોઇ પ્રશ્નો ઉભા થતા જ રહે છે. એવું તને લાગે છે, એક પ્રશ્ન પૂરો થાય અને જયાં માડ હાશ કરાય ત્યાં તો બીજી કોઇ સમસ્યા ગમે ત્યાંથી સામે આવી જાય છે.એવું તને લાગે છે.અને તું કદીક નિરાશ બની જાય છે.

પણ દોસ્ત, એમ થાકીને, હારીને નિરાશ બનીને બેસી રહેવું તાને શોભે નહીં. જીવન છે. મુશ્કેલીઓની આવનજાવન તો ચાલતી જ રહેવાની ને ?

જીવનનાવ હાલકડોલક થતી હોય ત્યારે હલેસા મારવાનું છોડી ન દેવાનું હોય. બલ્કે ત્યારે તો બમણા જોશથી હલેસા મારવાના હોય. અને હલેસા મારવાનું ચાલુ રહેશે તો કિનારો ગમે તેટલો દૂર હોય પણ એ આવવાનો જ. મંઝિલે પહોંચાશે જ.પણ નિરાશ બનીને હલેસા છોડી દેશો તો કિનારાની આશા જ નહીં રહે અને મધદરિયામાં ફસાઇ જશો. દોસ્ત, જીવન એક યાત્રા છે. યાત્રામાં આગળ વધતા રહેવાનું હોય, થાક લાગે ત્યારે ઘડી બે ઘડી વિસામો ખાઇ આગળ ચાલતા રહેવું એ જ તારું એક માત્ર કર્તવ્ય. માર્ગના વિઘ્નોની પરવા કર્યા સિવાય, તેમનો સામનો કરી, એ વિઘ્નો પાર કરતા જઇને આગળ વધીશ તો કોઇ મુકામે તને આવકારવા હું તત્પર  રહીશ જ.

તું તને ગમે તે માગવાને બદલે મારા પર એટલો વિશ્વાસ રાખીને એમ ન કહી શકે કે

હે ભગવાન, મારા માટે શું શ્રેષ્ઠ છે તે તમે જાણો છો, તમને ગમે એમ જ થાઓ, તમે જયારે, જેટલું આપશો એ મને મંજૂર છે. નરસિંહ, મીરા જેવા અનેકે એ રાહ તને બતાવ્યો જ છે ને ? દોસ્ત, મને તું અંતર્યામી કહે છે પણ દિલથી જો એ માનતો હોય તો પછી તારે કશું કહેવાની જરૂર જ કયાં રહી ? મને જાણ છે જ કે તને કયારે શું આપવાનું છે ? દુખ કે સુખ જે આપું એનો તું સ્વીકાર ન કરી શકે ? દુખ કે પીડા આપવા પાછળ પણ કોઇ કારણ હશે જ..એમ માનીને એવા સમયે પણ થોડું ધૈર્ય જાળવી ન શકે ? તને વધારે દુખ આપ્યું છે એવું લાગે ત્યારે એમ ન સ્વીકારી શકે કે મને તારું ગજું અન્ય કરતા મોટું લાગ્યું છે.અન્ય કરતા તું વધારે ખમતીધર લાગ્યો છે. અને તો એ તારા માટે ગૌરવની વાત ન કહેવાય ?

લિ. ઇશ્વરની સ્નેહયાદ


પ્રાર્થના એટલે હળવાશ સાથે મોરપીંછ જેવી સુંવાળપ ધરાવે તેવી દિલની આરત.

જીવનનો હકાર

પોતાની પાસે કશાકનો ઉત્તર છે તેથી પંખી નથી ગાતું, તે તો તેની અંદર ગીત છે માટે ગાય છે.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

Leave a comment