કુદરતની કેડીએ વિશાળ પક્ષનું નિર્માણ કરનારા : ચાર્લ્સ ડાર્વિન (૧)
લેખન-સંકલન : યાત્રી બક્ષી
૧૮૦૧ થી ૧૮૯૯ સુધીમાં માત્ર વિકિપીડિયાને વાંચીએ તો ૪૫ પ્રખર વિજ્ઞાનીઓ મળે છે અને પ્રત્યેક શાખામાં સંખ્યાબંધ શોધો અને પ્રયોગો મળે છે, જેમના પ્રવાસો, શોધો, ચિંતનોના કારણે પૃથ્વી પર માત્ર માનવ જીવન જ નહિ જૈવિક, પ્રાકૃતિક, ભૌગોલોક, સામાજિક, તબીબી, રાજકીય તમામ ક્ષેત્રને પ્રભાવિત કરતા બદલાવોને ગતિ મળી છે અને આ એ સમયગાળો પણ છે જયારે વિશ્વમાં ધર્મ પ્રતિપાદિત રૂઢિઓ અને કુરિવાજોના અંધકારની સામે માનવીને ઉન્નત જીવન માટે વૈચારિક પ્રગતિ માટે પ્રકાશ પથરાવો પણ શરૂ થયો.
આપણે જોયું કે યુરોપ માલિકીભાવથી કેન્દ્રિત ભૌતિકવાદ સંતોષવા વૈશ્ર્વિક સંસાધનોનું શોષણ કરતુ હતું ત્યારે વૈચારિક, સામાજિક, શૈક્ષણિક ક્રાંતિ વચ્ચે પશ્ર્ચિમી ગોળાર્ધમાં વયક્તિક સ્તરે એ ભૌતિકવાદ માટે જાણે એક નવું વિશ્ર્વ જન્મી રહ્યું હતું અને એ સમયે પણ જાગૃત ચેતનાઓ, ચેતવણીના સુર ઉચ્ચારી રહ્યા હતા. મૂર્તિ કે મંદિરો, ચર્ચ કે મસ્જિદોમાં રહેલા ઈશ્ર્વરથી વધુ પ્રબળ કુદરતની સુચારુ વ્યવસ્થા છે, જે જીવન પોષી રહી છે એ હકીકતની વૈચારિક સ્તરે અને વૈજ્ઞાનિક સ્તરે સાબિતીઓ આ સમયમાં જ સ્થાપિત થઈ રહી હતી.
પૃથ્વી પર જીવનના અસ્તિત્વ, વિકાસ અને નૈસર્ગિક વ્યવસ્થા વિશેના પદ્ધતિસરના તર્કબદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓનો સૌથી મહત્ત્વનો ઘટસ્ફોટ કરનારા વિજ્ઞાની એટલે ચાર્લ્સ ડાર્વિન. કુદરતના વિશાળ પથવ્યવસ્થાપનની જે કંઈ કેડીઓ કંડારાઈ ચૂકી હતી તેમાં નિર્વિવાદિતા સ્થાપનાર પ્રવાસી એટલે ચાર્લ્સ ડાર્વિન.

શૈશવ અને શિક્ષણ
ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ફેબ્રુઆરી ૧૮૦૯ માં શ્રોપશાયરના શ્રુસબરીમાં થયેલો. ડાર્વિનના દાદા, ઈરાસ્મસ ડાર્વિન, ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં એક સ્વતંત્ર વિચારસરણીના ચિકિત્સક, કવિ અને ઝૂનોમિયા અથવા ‘કાર્બનિક જીવનના નિયમો’ના લેખક હતા; ડાર્વિન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. ત્રણ મોટી બહેનોની સંભાળ હેઠળ ડાર્વિન એમના દમદાર તબીબ પિતાની ધાકમાં ઊછરી રહ્યા હતા. પરંતુ એ તબીબીવિજ્ઞાન માત્ર શારીરિક વાસ્તવિકતાઓ જ શીખવી રહી હતી. એ સમયે માનવના મનોવિજ્ઞાનની પણ જાણકારી મળતી હતી પરંતુ એ સિવાયની વિજ્ઞાનશાખાઓને માનવજીવન માટે ઊતરતી કક્ષાની મનાતી. ડાર્વિનને ચર્ચના તાબા હેઠળનું રૂઢિચુસ્ત શિક્ષણ અકળાવતું હતું. ડાર્વિનના રસાયણ વિજ્ઞાનમાં વધતા રસ વિશે હેડમાસ્તરનો ઠપકો મળતો રહેતો એટલું જ નહિ સહપાઠીઓ પણ તેને ‘ગેસ’ ના નામથી ચીડવતા.
ડાર્વિનની એવી છાપ ઊભી થયેલી કે તેઓ એડિનબર્ગમાં બે વર્ષ દરમિયાન ખાસ કંઈ શીખ્યા નહોતા. હકીકતમાં,આ તેમના વ્યક્તિત્વ વિકાસનો મહત્ત્વનો ગાળો હતો. બ્રિટિશ યુનિવર્સિટી કરતાં વધુ સારું વિજ્ઞાનનું શિક્ષણ બીજે ક્યાંય ઉપલબ્ધ નહોતું. અહીં તેઓને છોડનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે સમજવાનું શીખવવામાં આવ્યું હતું. એડિનબર્ગ મ્યુઝિયમમાં તેમને મુક્ત કરાયેલા એક દક્ષિણ અમેરિકન ગુલામ જ્હોન એડમોન્સ્ટોન દ્વારા પક્ષીઓને ‘સ્ટફ’ કરવાનું અને ખડકના સ્તર અને વસાહતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને ઓળખવાનું શીખવવામાં આવ્યું હતું. યુવા ડાર્વિન એડિનબર્ગના સમૃદ્ધ બૌદ્ધિક વાતાવરણમાં ઘણું શીખતા, પરંતુ ધ્યેય વિનાના પ્રકૃતિવાદી માટે ચર્ચ સાથે તાલમેલ ધરાવતું શિક્ષણ જ યોગ્ય રહેશે એમ વિચારી તેમના ચતુર વિચારશીલ પિતા, ડાર્વિનને ૧૮૨૮ માં કેમ્બ્રિજ મોકલે છે. ડાર્વિનનું અહીં એક પરંપરાગત વ્યક્તિત્વ વિકસે છે. અહીં તેને એક યુવાન પ્રોફેસર દ્વારા વનસ્પતિશાસ્ત્રની રૂઢિચુસ્ત બાજુ બતાવવામાં આવી. એ પણ શીખવવામાં આવ્યું કે જગતના તમામ સર્જનની સત્તા એક ઈશ્ર્વર પાસે છે જે તેની રચના ધરાવે છે. આ માન્યતા સાથે રેવરેન્ડ આદમ સેડગવિક, ડાર્વિનને ૧૮૩૧માં ભૌગોલિક ક્ષેત્રની સફર પર વેલ્સ લઈ ગયા.
ડાર્વિન માટે જાણે કુદરત રાહ જોઈ રહી હતી, એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ- ના પ્રવાસવર્ણનોથી ઉત્તેજિત ડાર્વિનને એક તક મળે છે અને તેઓ દરિયાઈ પ્રવાસમાં ઝંપલાવે છે.
પ્રકૃતિની પરિયોજના – ‘એચએમએસ બીગલ’માં ડાર્વિનની સાહસિક સફર
એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટના દસ્તાવેજ, દક્ષિણ અમેરિકાના જંગલોની વાસ્તવિકતાથી પ્રભાવિત, ૨૧ વર્ષના ઉત્તેજિત ચાર્લ્સ ડાર્વિન હેન્સલોવેના એક વાર સફર ખેડી ચૂકેલા જહાજ, એચએમએસ બીગલની બીજી સફરની ટુકડી સાથે જોડાઈ, દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે, ટિએરા ડેલ ફ્યુગોની સફરના સૂચનને તરત સ્વીકારી લીધું. ડાર્વિનને શિખાઉ પ્રકૃતિવાદી તરીકે નહીં પરંતુ ૨૬ વર્ષીય કેપ્ટન, રોબર્ટ ફિટ્ઝરોયની એકલતા દૂર કરવા એક સજ્જન સાથી તરીકે સફર કરવાની પરવાનગી મળેલી. ફિટ્ઝરોયે એક શાહી-ઇવેન્જેલિકલ સફરનું આયોજન કરેલું, જેમાં બ્રિટિશ વેપારને સરળ બનાવવા માટે દરિયાકાંઠાના પેટાગોનિયાનું સર્વેક્ષણ કરવાની યોજના હતી. ડાર્વિને પોતાની જાતને શસ્ત્રો, પુસ્તકોથી સજ્જ કરી. કેપ્ટન ફિટ્ઝરોયે તેને ચાર્લ્સ લાયેલ દ્વારા લિખિત પ્રિન્સિપલ ઓફ જીઓલોજીનો પહેલો ગ્રંથ આપ્યો અને લંડન ઝૂના નિષ્ણાતો પાસેથી શબને સાચવવા માટેની તાલીમ આપી. બીગલ પ્રવાસી ટુકડી ઈંગ્લેન્ડથી ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ના રોજ જહાજમાં નીકળી.
એચએમએસ બીગલ એ પ્રવાસી ટુકડીઓના જથ્થાની અને જહાજની ઓળખ છે. ૧૦ થી ૧૮ ગન ધરાવતા રોયલ નેવીના યુદ્ધ જહાજોની શ્રેણીમાં બે જહાજોની આ ટુકડી હતી, જે સર્વેક્ષણ માટે મોકલાતી અને તેમાં સર્વે કરનારા નિષ્ણાતો, કર્મીઓ, ગુલામો અને ખલાસીઓની બનેલી ટુકડીઓ પ્રવાસે નીકળતી. એચએમએસ બીગલ એક વાર ૧૮૨૬ થી ૧૮૩૦ સફર ખેડી ચૂક્યું હતું. ત્યારબાદ સમારકામ અને નવી ટુકડી અને નવા કપ્તાન સાથે બીજી વાર ૧૮૩૧માં નીકળે છે અને ત્રીજી સફર ૧૮૩૭ માં આદરે છે. બીગલની બીજી સફર દુનિયાને નવી દૃષ્ટિ અને અને પોતાને માનવઇતિહાસ અને વિજ્ઞાનના ઇતિહાસમાં અમરત્વ અપાવે છે.
પ્રારંભમાં ૧૮ મહિના કે મહત્તમ બે વર્ષ માટે માટે આયોજિત દરિયાઈ સફરના સ્થાને ડાર્વિને ડિસેમ્બર ૧૮૩૧થી ઓક્ટોબર ૧૮૩૬ સુધી- કુલ પાંચ વર્ષ સફર ખેડી. ખાસ કરીને, તેમણે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે આવેલા ગાલાપાગોસ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા સહિત પેસિફિકના વિવિધ ટાપુઓની મુલાકાત લીધી હતી. એચએમએસ બીગલ પર સવાર, ચાર્લ્સ ડાર્વિને સહીત ૧૪ જુદા જુદા દેશોની મુલાકાત લીધી.
આ પ્રવાસોએ ડાર્વિનને આ પ્રદેશોની અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ કરવાની અને કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિના તેમના સિદ્ધાંતને વિકસાવવાની તક આપી. જોકે ડાર્વિને એશિયાના ભારત દેશ સહિત દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ત્રણ વિશાળ ભૂમિગત પ્રાંતો પ્રદેશો ની મુલાકાત લીધી નહોતી. તેઓને ગાલાપાગોસ ટાપુઓની મુલાકાત માં મળેલા અકલ્પ્ય જૈવવૈવિધ્યનાં અવલોકનોએ જ ઉત્ક્રાંતિ વિશેના ચિંતન માટે ખૂબ પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય ખંડોની મુલાકાત દરમ્યાન શોધખોળ કરી ન હતી.
વિશ્ર્વની પરિક્રમા દરમ્યાન ૨૨ વર્ષના ડાર્વિનનું ઘડતર થયું હશે. બ્રાઝિલનાં જંગલો અને એન્ડીઝ પર્વતમાળામાં વિશાળ ખુલ્લી તકોથી ભરપૂર, વહાણની દીવાલો વચ્ચે પાંચ વર્ષની શારીરિક કષ્ટ અને માનસિક કઠોરતા, ડાર્વિનને નવી ગંભીરતા આપવાનાં હતાં. જુવાન ડાર્વિન જિંદગી અને પશ્ર્ચિમી વૈજ્ઞાનિક વિચારસરણીને ધરમૂળથી બદલવાની હતી. પોતે જે દુનિયા જોઈ સમજી હતી તેનાથી તદ્દન નવી અજાણ દુનિયા, તેનાં અનમોલ સ્વરૂપો ખજાનાઓ અને વ્યવસ્થાઓને ડાર્વિનને સાક્ષાત્કાર થવાનો હતો. ડાર્વિન વિશે વાંચતાં લખતાં સમજતાં મને પણ એવો જ અનુભવ થયો કારણ કે તેઓનાં સંગ્રહો, અવલોકનો, પત્રો, પ્રકાશનો, નોંધો અને થિયોરી ને સંકલિત કરવામાટે પણ એક પુસ્તક લખવું પડે તેવો પડકાર સામે ખડો થયો છે. ડાર્વિનના કાર્ય અને તેના યોગદાનને સર્વપ્રથમ તો સમજવું જ ખાસ્સો અભ્યાસ માંગી લે તેમ છે. ઇન્ટરનેટ ઉપરની લાયબ્રેરી કે કોઈ પુસ્તકાલય એક સંકલિત પરિચય પૂરા પાડી શકતા નથી, માત્ર ઝલક જ મળે છે કારણ કે એ કદાચ સંભવ જ નથી. આથી જ મેં પણ તેઓ દ્વારા જગતને આપવામાં આવેલા મૂળભૂત સિદ્ધાંતો અને વ્યાખ્યાઓના આધારે જ તેમના કાર્યને આગામી ભાગમાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે.
સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલ્બધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો
