પ્રવાસી યુ. ધોળકિયા

પ્રસ્તુત લેખમાળામાં આપણે વૈદિક, જૈન, બૌદ્ધ, પૌરાણિક, આગમિક, તાંત્રિક, ભક્તિ માર્ગ જેવી સનાતન ધર્મની અતિપ્રાચીન અને વિશાળ વટવૃક્ષની શાખાઓ જેવા વિષયોનો બહુ ટુંકો પરિચય કર્યો.

પસંદગી અને પ્રસ્તુતતાની વિમાસણ

કાળક્રમની દૃષ્ટિ એ જોઈએ તો વૈદિક પરંપરાનો આરંભ પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં થયો. જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાઓ પણ એટલી જ પ્રાચીન છે. આ સિવાયની ચાર પરંપરાઓનો પ્રારંભ, આજથી લગભગ સિતેર હજાર વર્ષ પૂર્વે, છઠ્ઠા ચાક્ષુસ મન્વંતર અને સાતમા વૈવશ્વત મન્વંતર દરમ્યાન થયો. પુરાણોમાં દરેક મન્વંતરનો કાળ ૩૦ કરોડથી વધારે વર્ષ આપવામાં આવ્યો છે. આનાથી વધારે દીર્ઘકાળની ગણતરીઓ ચાચકોને કદાચ માન્ય ન હોય. આપણે કાળ ગણતરીઓનો આધાર કચ્છી સંત મામૈદેવના આગમોમાંથી લીધો છે.

આપણે સનાતનીઓ ભાગ્યશાળી છીએ કે આપણને ધર્મને અધ્યાત્મની સાત પરંપરાઓનો વારસો મળ્યો છે. તેથી એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્‍ભવે કે આપણા ટુંકા આયુષ્યમાં આપણે કઈ પરંપરા અપનાવવી જોઈએ. આ સંદર્ભમાં નીચે જણાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પસંદ કરવો જોઈએ.

વેદમાં ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ, સિનીવાલી, કુહુ ઇત્યાદિ જેવા જે દે દેવીઓ હતાં તેમની આજે કોઈ પૂજા કે અર્ચના નથી થતી. વળી વેદ અને બ્રાહ્મણ ગ્રંથોમાં જે ૧૪ મુખ્ય યજ્ઞો અને અનેક પેટાયજ્ઞો આલેખાયા છે તે આજે થતા નથી. વેદમાં જે ગાઢ રહસ્યવાદ રહેલો છે તે સાવ અગમ્ય છે. જોકે ધર્મસુત્ર અને ધર્મશાસ્ત્રોમાં ફક્ત વૈદિક દેવોને જ સ્થાન મળ્યુંછે. તેમાં આપણા પંચ દેવો – બ્રહ્મા, વિષ્ણુ,મહેશ, આદ્યાશક્તિ કે સૂર્ય- ને સ્થાન આપવામાં નથી આવ્યું. એકંદરે, વર્તમાનમાં આપણે જે હિંદુ ધર્મ પાળીએ છીએ તેના મજબૂત પાયાઓમાં માત્ર ૨૫ ટકા હિસ્સો વૈદિક પરંપરાઓનો છે. આજે વૈદિક ધર્મ લગભગ લુપ્ત થયો છે. તેથી તે પળાતો નથી.

શ્રમણ પરંપરાના જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા માંડ પચાસેક લાખની છે. આ ધર્મ ગુજરાત, મુંબઈ અને બહુ ઓછા હિંદી ભાષી વિસ્તારોમાં પાલન કરવામાં આવતો જોવા મળે છે. શ્રમણ ધર્મની બીજી પરંપરા, બૌદ્ધ પરંપરા, ભારતમાં ખંડિત થયેલી છે. ફક્ત ગઈ સદીમાં ડૉ. બી આર આંબેડકરે તેનો પુનરૂદ્ધાર કર્યો. તેથી બૌદ્ધ પરંપરાના અનુયાયીઓ મોટા ભાગે મહારાષ્ટ્ર પુરતા સિમિત છે. આપણે શીખ ધર્મનો ઉલ્લેખ નથી કર્યો કેમકે સાચા અર્થમાં તો તે ભક્તિ માર્ગનો એક પંથ છે. હિંદુઓ અને શીખોમાં ફાટ પાડવા માટે ખંધા અંગ્રેજોએ શીખ પંથને એક વિશ્વ ધર્મ બનાવી દીધો.

તેમ છતાં એટલું  તો ચોક્કસપણે કહી શકાય કે અનુપાલનમાં અનેક મર્યાદાઓ, અવરોધો, અને સમયાંતરની સાથે થતા ફેરફારો છતાં, ઉપરોક્ત સનાતની પરંપરાઓએ આપણા દેશને દેદિપ્યમાન કર્યો છે.

પુરતું અને અધિકૃત સાહિત્ય ઉપલબ્ધ ન હોવાને કારણે આજીવક અને ચાર્વાક સંપ્રદાય પર લખવાનું ટાળ્યું છે.

સનાતનીને એ પ્રશ્ન સતાવે છે કે આપણા વેદ, પુરાણ, આગમ અને તાંત્રિક ગ્રંથોમાં અનેક મંત્રો મળે છે.  સામાન્ય વ્યક્તિને એ મુંઝવણ થાય કે આ બધા મંત્રોમાંથી કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. વિદ્વાનો આ બાબતે એવું મંતવ્ય ધરાવે છે કે કળિયુગમાં વેદ મંત્રોનો પ્રભાવ નથી રહ્યો. એટલે પુરાણ અને આગમમાં મળતા મંત્રોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીં એ પણ નોંધવું પડશે કે પુરાણ અને આગમના મંત્રો એ નામમંત્રો છે. તેથી તેના સ્મરણ અને ઉચ્ચારણથી સામાન્ય ભક્તોની ઈશ્વર પ્રત્યેની ભક્તિમાં શ્રદ્ધાનું તત્વ દૃઢ બને છે. તેઓ જો સુકર્મથી સદ્‍ભાગ્ય સાથે જન્મ્યા હોય તો તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેની સરખામણીમાં તાંત્રિક મંત્રો અણુશક્તિ જેવા અતિ શક્તિશાળી છે. આ મંત્રોમા ૐ, ઐં, હ્રી, ક્લીં, શ્લુ, હું, ગ્લું, જૂં, સઃ, જ્વલ જેવા બીજાક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા મંત્રો સામાન્ય ભક્તો માટે નહિં પણ સાધકો અને ઉપાસકો માટે છે. જો તેઓને યોગ્ય ગુરુનું માર્ગદર્શન મળે તો તેઓને અનન્ય સિદ્ધોની પ્રાપ્તિ શક્ય બને છે અને છેવટે શિવત્વમાં ભળી જવાની તક મળે છે.

આપણી યોગિક પરંપરાઓના પણ અનેક ફાંટાઓ છે. પતંજલિનાં યોગસૂત્રો. શ્રીકૃષ્ણની ભગવદ્‍ ગીતામાં વર્ણવાયેલા અઢાર યોગમાર્ગો, ગોરખનાથે સૂચવેલા અનેક યોગમાર્ગો અને સ્વામી વિવેકાનંદે સૂચવેલા રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ પણ વિશેષપણે અસરકારક મનાય છે. તે જ પ્રમાણે તંત્રયોગ પણ બહુપ્રચલિત યોગમાર્ગ છે. તેના પ્રણેતા આદિયોગી શિવ છે. આધુનિક સમયમાં તેને ઓશો રજનિશ અને સદ્‍ગુરુ વાસુદેવે કેન્દ્રસ્થાને લાવી મૂકેલ છેં. મહાવતાર બાબા યુક્તેશ્વરજી, લાહિડી મહાશય અને યોગાનંદે આપણા માટે ક્રિયાયોગ સુલભ બનાવ્યો છે.

આ બધી  યોગિક પરંપરાઓમાંથી આપણા માટે કયો માર્ગ અનુકૂળ રહી શકે તે વિશે ઓશો રજનિશ જણાવે છે કે જેઓ બહિર્મુખી છે તેઓ માટે તંત્રયોગ સારાં પરિણામ નથી આપતો, પરંતુ અંતર્મુખીઓ માટે આ યોગ વધારે કારગત નીવડી શકે છે. બહિર્મુખીઓ માટે બાકીની યોગક્રિયાઓ વધારે સફળ નીવડી શકે છે. સારી વાત એ છે કે આપણામાંનો મોટા ભાગનાં લોકો દ્વિમુખી (બહિર્મુખી અને અંતર્મુખી એમ બન્ને પ્રકારનું) વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તેથી બધા જ યોગમાર્ગો, ઓછેવત્તે અંશે, સાનુકૂળ નીવડી શકે છે.

કળિયુગ ઇ. સ. ૧૯૭૮-૭૯માં સમાપ્ત થઈ ગયો. અત્યારે તેની ૧૦૦ વર્ષની યુગસંધિ ચાલે છે. તેથી વિદ્વાનો જણાવે છે કે વેદકાળના अहं ब्रह्मास्मि, तत्वमसि જેવા પાંચ મહામંત્રો પ્રભાવશાળી નથી રહ્યા. તેને સ્થાને પછીથી આવેલા ગ્રંથોમાંના सत्यम् शिवम् सुंदरम्, सत् चित् आनंद વધારે અસરકારક અને પ્રાસંગિક છે, તેથી આજના સમયમાં તેમનો ઉપયોગ હિતાવહ છે. વૈદિક ગ્રંથોના નાસદીય સુક્ત, પુરુષ સુક્ત, મહામૃત્યુંજય મંત્ર અને तमसो मा ज्योतिर्गमय શાન્તિ મંત્રનું પ્રચલન આજે પણ એટલું જ અસરકારક છે. એમ છતાં આપણા જેવા સામાન્ય લોકોએ ॐ नमः शिवाय, ॐ भगवते वासुदेवाय, ॐ सूर्याय नमः અને  શ્રીગણેશઅર્થશીર્ષ સ્તોત્ર, શ્રી સપ્તલોકી દુર્ગાપાઠ, શક્રાદય, દેવી સુક્ત, અને મહિમ્નસ્તોત્રનો ઉપયોગ કરવો જોઈએ એવું મહાન આચાર્યો સુચવે છે

ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાઓમાં પચીસ તત્વોવાળાં કપિલ મુનીનાં સાંખ્યશાસ્ત્રની અને છત્રીસ તત્વોવાળા શિવના સિદ્ધાંતની વિચારધારાઓનું ખાસ મહત્વ છે. તે ઉપરાંત શંકરાચાર્યનો અદ્વૈતવાદ, રામાનુજાચાર્યનો દ્વૈતવાદ અને અન્ય આચાર્યો દ્વારા પ્રસ્થાપિત કરાયેલ દ્વૈતાદ્વૈત અને અચિંત્યાભેદ વાદોનો પણ એટલો જ ગાઢ પ્રભાવ ભારતના તત્વજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ પર જોવા મળે છે. પરિણામે, નાછૂટકે, આપણા જ્ઞાનીઓને પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્રોમાં પણ આ બધા સિદ્ધાંતો અને વાદવિવાદોને સ્થાન આપવું પડ્યું અને ગ્રંથોને ફરીથી લખવા પડ્યા. ઉદાહરણ તરીકે, દક્ષિણ ભારતના બધાં સાહિત્ય પર દ્વૈત વાદની અને શિવ શાસ્ત્રનાં છત્રીસ તત્ત્વોની અસર છે. પરંતુ, કાશ્મીરની શૈવ પરંપરામાં વાસુગુપ્ત, ઉત્પલદેવ અને અભિનવગુપ્ત વગેરે એ અદ્વૈતમાર્ગ અને મહદ્‍ અંશે કપિલ મુનીના પચીસ તત્વોનો ઉપયોગ કર્યો છે.


હવે પછીના મણકામાં લેખમાળામાં હજુ ઐતિહાસિક મૂલ્યાંકન વિશે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.