સ્વરૂપ સંપટ

આપણે ત્યાં કોઇ પણ શહેરમાં તમે ચાલતા નીકળો અને તમને અનેક બાબતો જોવા મળે : ગલીના નાકે અથવા કોઇ ખૂણામાં કચરાનો ઢગલો, બાંધકામ ચાલતું હોય ત્યાં પડેલો કાટમાળ, કચરામાંથી વીણીને ખાતાં ભૂખ્યાં પ્રાણીઓ, તૂટેલા ફૂટપાથ પર જબરદસ્તી ચાલવા માટે લાચાર લોકો.

આ કંઇ પ્રાસંગિક નથી. ખરેખર તો આ મોટી નિષ્ફળતા છે, જે સતત શહેરો અને મહાનગરોમાં, રાજ્યો અને રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે અને તેથી આ નિષ્ફળતાના હાર્દમાં ખરેખર તો એક સંસ્થા છે, જેના વિશે આપણે જવલ્લે જ વાત કરતાં હોઇએ છીએ અને તે છે મહાનગરપાલિકા. તેનું કામ શહેરી જીવનને સુચારુ બનાવવાનો છે. તેમનું કામ એટલું ગ્લેમરસ નથી – કચરાની વ્યવસ્થા કરવી, રસ્તાઓની જાળવણી, શેરી-ગલીઓની લાઇટ, ગટર લાઇન, બાંધકામની જાળવણી, પ્રાણીઓ પર નિયંત્રણ રાખવું વગેરે. જ્યારે તે આમાં નિષ્ફળ નીવડે છે, ત્યારે બધું જ કડડભૂસ થઇ જાય છે. ભલે ગમે એટલા ફ્લાયઓ‌વર બાંધવામાં આવે કે ગમે તેટલા મોલ્સ શહેરોમાં શરૂ થાય, પણ જો કચરો સમયસર ભેગો કરીને ઉઠાવવામાં ન આવે અથવા ગટર ભરાઇ ગઇ હોય, તો જીવનની ગુણવત્તામાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે.

સવાલ એ થાય કે મહાનગરપાલિકા નિષ્ફળ કેમ જાય છે? આનો એક ઉત્તર એવો હોઇ શકે કે આપણે જ એ રીતે વર્તીએ છીએ. તેઓને સરકારી કર્મચારીઓના ગરીબ ભાઇ-બહેનો તરીકે જોવામાં આવે છે – ગરીબ કર્મચારીઓ અને સત્તાધીશોની ચાલાકી. રાજ્ય સરખાર જવલ્લે જ તેમનું સંપૂર્ણપણે સશક્તિકરણ કરવામાં રસ દાખવે છે, એટલે સુધી કે બંધારણના ૭૪મા નિયમ અનુસાર તેમને શહેરની સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મળવો જોઇએ તે પણ નથી મળતો. તેના બદલે તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક અથવા સાવ નિમ્નસ્તરીય કામગીરી માટે કરવામાં આવે છે. રહેવાસીઓ જ્યારે ભેગા થયેલા કચરાને ઉઠાવાતો નથી એવી ફરિયાદ કરે અને પરિણામ શૂન્ય આવે અથવા તો ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલના આશીર્વાદથી રાતોરાત બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.

એક દાયકા અગાઉ જ્યારે મોટી હસ્તીઓએ હાથમાં ઝાડુ લઇને ફોટા પડાવ્યા ત્યારે કંઇક નવીન જ અનુભવાયું. આપણને થયું, કોઇક તો છે જે સ્વચ્છતા વિશે વાત કરે છે અને તેની દરકાર કરે છે, પણ પ્રતીકાત્મક બાબતોથી જે પ્રથા હોય તે બદલાતી નથી. પ્રખ્યાત લોકોએ થોડી મિનિટો માટે હાથમાં ઝાડુ લીધું. તેથી શહેર સ્વચ્છ નહોતું થયું. શહેર ત્યારે જ સ્વચ્છ બને જ્યારે મ્યુનિસિપલ કામદારોને યોગ્ય તાલીમ અપાઇ હોય, તેમની પાસે જરૂરી સાધનો હોય અને તેનું નિરીક્ષણ બરાબર થતું હોય. નિષ્ક્રિય મહાનગરપાલિકા સંપૂર્ણ શહેરને પણ ખરાબ બનાવે છે. જે અધિકારીઓ સ્વચ્છતાના પાયાના નિયમોથી પણ વાકેફ ન હોય તેમની પાસેથી વિશ્વસ્તરીય સ્વચ્છતાના ધોરણોની અપેક્ષાની કલ્પના કરવી નકામી છે.

આની સૌથી ભયજનક બાબત એ છે કે કઇ રીતે ભ્રષ્ટાચારને કારણે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન મળે છે, કચરાના ઢગલા ભેગા કરવાના કોન્ટ્રાક્ટ એકથી બીજા પાસે થઇને અંતે કુખ્યાત લોકોને જ મળે છે, ગેરકાયદેસર બાંધકામમાં વધારો થાય છે કેમ કે મ્યુનિસિપલ કાર્યાલય અલગ જ રીતે જુએ છે. તૂટેલી ફૂટપાથ ક્યારેય રિપેર થતી નથી કેમ કે બજેટ ઓછું પડે છે. પ્રામાણિક અધિકારીઓ અથવા કામદારોને હાંસિયામાં ધકેલી દેવાય છે અથવા તેમને નિરાશ કરવામાં આવે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે.

નાગરિકોએ હવે તેમની પીઠ થાબડવાનું બંધ કરીને કહેવું જોઇએ, ‘આ ભારત છે.’ મહાનગરપાલિકાઓ હવે વધારે દૂર નથી, વિચિત્ર સંસ્થા નથી, તે આપણા માટે ખૂબ ગણતરીપૂર્વક વર્તે છે. આપણે જાતજાતના ટેક્સની ચૂકવણી કરીએ છીએ. જો તેઓ તેમનું કામ ન કરે, તો આપણે તેમની પાસેથી જવાબ માગવો જોઇએ.

એ માટે શું થઇ શકે?

સૌપ્રથમ તો મહાનગરપાલિકાઓનું વ્યાવસાયિક સંસ્થા તરીકે પુનર્ગઠન કરવાની જરૂર છે. એટલે કે તાલીમ પામેલા એન્જિનિયર્સ, શહેરના વહીવટદારો અને સેનિટાઇઝેશનના નિષ્ણાતો હોવા જોઇએ – જેમાં કોઇ સગાંવાદ ન હોય અથવા તો એવા લોકો સામેલ ન હોય જેઓ સરળ સરકારી નોકરીઓ મેળવવા માગતા હોય છે. કામદારોને યોગ્ય સાધનો આપવા જોઇએ : ગ્લવ્ઝ, સુરક્ષાત્મક ગીયર, મિકેનાઇઝ્ડ વાહનો અને કચરાના એકત્રીકરણની ટેક્નોલોજી, જે માણસની પાસે ઝાડુ હોય તેની પાસેથી સ્વચ્છતાની અપેક્ષા રાખવી અને કોઇ જાતના સલામતીના સાધનો ન હોય, તે બાબત એકવીસમી સદીમાં વાહિયાત ગણી શકાય.

બીજું, જવાબદારીભર્યા મિકેનિઝમને પણ મહત્ત્વ આપવું જોઇએ. જો કચરો ચોવીસ કલાકમાં જે તે સ્થળેથી સાફ ન થાય, મ્યુનિસિપલ ચેઇનમાં કોઇક એવું જોઇએ, જે આ પરિણામોનો સામનો કરી શકે. ડિજિટલ પ્લેટફોર્મમ્સ પણ મદદરૂપ થઇ શકે. નાગરિકો તેમની ફરિયાદો અપલોડ કરી શકે અને તેના ઉકેલ માટે શું કરવામાં આવી રહ્યું છે, તેનો ખ્યાલ મેળવી શકાય.

ત્રીજું, આપણે સંસ્કૃતિમાં ફેરફાર કરવાની જરૂર છે. શહેરી સરકારીઓ માત્ર ઉપર-નીચેના આદેશોને જ અનુસરવાને બદલે નાગરિકોની જરૂરિયાતોમાં સહભાગી થાય. નિવાસ કલ્યાણ સંસ્થાનો, પાસપડોશના સમૂહો અને સામાન્ય નાગરિકો સ્થાનિક સંસ્થાઓ પર દબાણ કરી શકે, કાર્યનું નિરીક્ષણ કરે અને જાહેર સ્થળોએ કોઇ પણ જાતની અસ્વચ્છતા અથવા અવ્યવસ્થા ચલાવી લેવાની સ્પષ્ટ ના કહે.

અંતે રાજકારણ જ ચાવીરૂપ થશે. મુખ્યમંત્રીઓ અને મેયર્સે મહાનગરપાલિકાને તેની અચોકસાઇ માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બનાવવા જોઇએ. તેમને સશક્ત બનાવી અને તેમના પર જવાબદારી નાખવી જોઇએ. શહેરોને ઘણીવાર આર્થિક વિકાસના એન્જિન તરીકે, સંસ્કૃતિના હબ અને પ્રેરણા સ્થળ તરીકે વર્ણવવામાં આવે છે. જોકે, શહેર પણ ધોવાઇ રહ્યું છે, તેના કચરાનો નિકાલ થઇ રહ્યો છે, તેના ફૂટપાથ, તેની પોતાાને જીવંત રાખવાની ક્ષમતા ઘટી રહી છે.

ભારતમાં આપણે વિશ્વસ્તરીય શહેરોનું સપનું જોઇએ છીએ, પણ જ્યાં સુધી મહાનગરપાલિકાઓમાં ચોકસાઇ નહીં આવે અને ગણતરીપૂર્વક કામ થતું હોય, તો આ સમણું માત્ર સમણું જ રહેવાનું. સત્ય સાવ સાદું છે, આપણાં શહેરોનું ભાવિ આપણે આજે શેરીમાં સ્વચ્છતા જાળવવાને કેટલી ગંભીરતાથી લઇએ છીએ તેના પર આધારિત છે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ