રાલ્ફ વાલ્ડો એમર્સન : પ્રકૃતિપ્રેમી મહાન તત્ત્વચિંતક

લેખન-સંકલન : યાત્રી બક્ષી

ભારતીય દ્વીપ પ્રકલ્પમાં ઉદ્ભવેલી અને સંસ્કારિત થયેલી માનવ- સભ્યાતાએ વિશ્ર્વને વેદકાલીન વારસો આપ્યો. આ સભ્યતાએ પ્રકૃતિના અવલોકનથી અનુભૂતિને અતિક્રમીને આધિભૌતિક સ્તરે ચેતનાના વ્યાપને વિસ્તારવાની ક્ષમતા વિસ્તારી. આ કારણે અભ્યાસ કરતા થોડી એવી સમજ વિકસે છે કે ભારતીયતામાં પ્રકૃતિથી સંસ્કારિત રીતિ નીતિ પામેલો સમાજ વિકસ્યો. બીજી બાજુ પાશ્ર્ચાત્ય સભ્યતાઓનો અભ્યાસ અને તેની કેડી કંડારનારા મહામાનવો વિષે જાણવાની આ યાત્રામાં મારી એક સીમિત ધારણા વિકસી રહી છે કે પૃથ્વીના એ શીત ગોળાર્ધમાં સ્વથી પર કે ભૌતિકથી આધિભૌતિક તરફની ચેતના જાગૃત થઈ

હશે ? પાશ્ચાત્ય વિશ્ર્વમાં ભૌતિકતા હજુ પણ પોતાનું ગુરુત્વ ટકાવવા તરફનું વલણ દાખવી રહી છે. આ સાથે કુદરત પણ સ્થૂળતામાં અભિભૂત થઈ રહેલા બુદ્ધિલક્ષી  પ્રવાહોમાં ચેતનાને જાગૃત રાખવા ચેતવણી ઉચ્ચારતા ચિંતકોને વારંવાર જન્મ આપે છે. આજે કેડી કંડારનારાઓમાં મનન, ચિંતન અને લેખનથી ભૌતિકવાદી માનવસભ્યતાનાં વકરતાં મૂળિયાઓ વચ્ચે પ્રકૃતિલક્ષી ચેતનાને જાગૃત કરવા વધુ એક કઠિન કેડીના ચાલક વિશે જાણીશું.

‘ધ મેન એન્ડ નેચર’ લખનાર પાર્કિન્સ જેમ પ્રકૃતિના સ્વયંસિદ્ધ વ્યવસ્થાપનમાં માનવી ખલેલરૂપ છે તે બાબત તથ્યોના આધારે લગભગ સદી પહેલાં પામી શક્યા તે સ્તરે કેટલાક વિચારકો પ્રકૃતિ એક એકમ છે એ વાત ચેતનાના સ્તરે અનુભવી તેને વ્યાખ્યાયિત કરવાની શરૂઆત ૧૯મી સદીમાં કરે છે. આ વિચારકો અને તત્ત્વચિંતકોમાં સૌથી પ્રેરણાદાયી નામ એટલે રાલ્ફ વાલ્ડો એમર્સન.

“કુદરત એક ભાષા છે અને દરેક નવી હકીકત જે શીખે છે તે એ ભાષાનો એક નવો શબ્દ છે; પરંતુ તે શબ્દકોષમાં ટુકડે ટુકડે લેવામાં આવેલી મૃતભાષા નથી, પરંતુ તે ભાષાને સૌથી વધુ નોંધપાત્ર અને સાર્વત્રિક અર્થમાં એકસાથે મૂકવામાં આવે ત્યારે એ એક સર્જન બને છે. હું આ ભાષા શીખવા માગું છું, એવું નથી કે હું નવું વ્યાકરણ જાણું, પરંતુ હું તે ભાષામાં લખાયેલ મહાન પુસ્તક એટલે કે ‘માનવનું કુદરતમાં સ્થાન’ વાંચી શકું.” ઈશ્ર્વરને પોતાના હૃદયમાં જોવાનો છે. આ હિંદુ માન્યતા એ કેન્દ્રીય શોધ છે જેણે એમર્સનને ગુણાતીતવાદી બનાવ્યા. તેઓ પૃથ્વીને એક એકમ તરીકે અનુભવી મનસ સાર્વત્રિક છે અથવા તો સરળ ભાષામાં ઈશ્ર્વર બધામાં નિરંતર છે એવી તેમની માન્યતાના પાયામાં તેઓ વૈદિક ચિંતનથી પ્રભાવિત છે તે સ્પષ્ટ જણાય છે.

૧૮૦૩માં જન્મેલા રાલ્ફ વાલ્ડો એમર્સન, એક અમેરિકન નિબંધકાર, વ્યાખ્યાનકાર અને કવિ હતા. જેમણે ૧૯મી સદીના મધ્યમાં અતીન્દ્રિયવાદી ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમને વ્યક્તિવાદના ચેમ્પિયન અને સમાજની વિપરીત વિચારધારાઓના આકર્ષણના પ્રખર વિવેચક તરીકે જોવામાં આવ્યા હતા, અને તેમણે ડઝનેક પ્રકાશિત નિબંધો અને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧,૫૦૦થી વધુ જાહેર પ્રવચનો દ્વારા તેમના વિચારોનો પ્રસાર કર્યો હતો. એમર્સને તેમના મોટા ભાગના મહત્ત્વપૂર્ણ નિબંધો પહેલાં પ્રવચનો તરીકે લખ્યા અને પછી છાપવા માટે તેમને સુધાર્યા. તેમના નિબંધોના પ્રથમ બે નિબંધ સંગ્રહો : પ્રથમ શ્રેણી (૧૮૪૧) અને નિબંધો : બીજી શ્રેણી (૧૮૪૪), તેમના વિચારના મૂળને રજૂ કરે છે. તેમાં જાણીતા નિબંધો ‘સ્વ-નિર્ભરતા’, ‘ધ ઓવર-સોલ’, ‘સર્કલ’, ‘ધ પોએટ’ અને ‘એક્સપીરિયન્સ’નો સમાવેશ થાય છે. ‘કુદરત’ સાથે મળીને, આ નિબંધોએ ૧૮૩૦ના દાયકાના મધ્યથી ૧૮૪૦ના દાયકાના મધ્ય સુધીના દાયકાને એમર્સનનો સૌથી ફળદ્રુપ સમયગાળો બનાવ્યો.

એમર્સન ‘પ્રકૃતિ’ એ જ ‘ઈશ્ર્વર’ છે એટલે કે સર્વેશ્ર્વરવાદમાં માનતા થયેલા. સર્વેશ્ર્વરવાદ એટલે કે જડ-ચેતન પ્રત્યેકમાં ઈશ્વરનો વાસ રહેલો છે તેમ માનનારો માર્ગ, જે આપણે ત્યાં સદીઓ સુધી વૈદિક વારસાના લીધે ભારતીય સંસ્કૃતિના વાસ્તવિક પ્રચલનમાં હતો. એમર્સને અસંખ્ય વિષયો પર લખ્યું, નિશ્ર્ચિત ફિલોસોફિકલ સિદ્ધાંતોને ક્યારેય અપનાવ્યા નહીં, પરંતુ વ્યક્તિત્વ, સ્વતંત્રતા, માનવજાત માટે કંઈ પણ સમજવાની ક્ષમતા અને આત્માના અને આસપાસના વિશ્ર્વ વચ્ચેના સંબંધ વિશે ચોક્કસ વિચારો વિકસાવ્યા. આ એ પ્રક્રિયા હતી જે વૈશ્ર્વિક સ્તરે યાંત્રિકીકરણ અને આધિપત્યની જે નવીન યોજનાઓ અમલમાં આવી રહી હતી અને તેની સાથોસાથ વૈચારિક સ્તરે પ્રકૃતિના મહત્ત્વ વિશેની ચેતવણીઓનો પાયો પણ નાખી રહી હતી.

વ્યક્તિત્વ વિકાસ

એમર્સનનો જન્મ અમેરિકામાં મેસેચ્યુસેટ્સ રાજ્યના બોસ્ટનમાં થયો હતો. એમર્સન સંપૂર્ણપણે અંગ્રેજ વંશના હતા અને તેમનો પરિવાર પ્રારંભિક વસાહતી સમયગાળાથી ન્યૂ ઇંગ્લેન્ડમાં હતો. તેઓએ આઠ વર્ષની વયે પિતા ગુમાવેલા. એમર્સનનું ઔપચારિક શિક્ષણ ૧૮૧૨માં બોસ્ટન લેટિન સ્કૂલમાં શરૂ થયું હતું. ૧૮૧૭માં, ૧૪ વર્ષની ઉંમરે, એમર્સન હાર્વર્ડ કૉલેજમાં ગયા. વૈશ્ર્વિક પ્રવાહો વિશે જાણવાની ઉત્સુકતા તેમનામાં પહેલેથી હતી, બહોળું વાંચન તેમનું ઘડતર કરી રહ્યું હતું. જુનિયર વર્ષ દરમિયાન એમર્સને એક સાદી નોટબુકને જર્નલ બનાવી વાંચેલાં પુસ્તકોની યાદી રાખવાનું શરૂ કર્યું, જેને તેઓ ‘વાઇલ્ડ વર્લ્ડ’ કહેતા. શિક્ષણના ખર્ચને પહોંચી વળવા તેઓ બાકીના સમયમાં નોકરી કરતા, એક જગ્યાએ હોટેલમાં વેઇટર તરીકે અને કાકાની સાથે શિક્ષક તરીકે. હાર્વર્ડની અનેક મૌલિક શિક્ષણ પ્રણાલીઓમાંની એકમાં એમર્સન ભાગ લેતા થયેલ, જેમાં પ્રત્યેક અઠવાડિયે વિદ્યાર્થીએ પોતે રચેલી મૌલિક કવિતાનું પઠન કરવાનું રહેતું.

તેઓ પોતાના ક્લાસમાં અભ્યાસની દૃષ્ટિએ એક સાધારણ વિદ્યાર્થી તરીકે સ્નાતક થયા. નબળા સ્વાસ્થ્યને જોતાં તેઓ પહેલાં દક્ષિણ કેરોલિના, ત્યારબાદ ફ્લોરિડા ગયા કે જ્યાં પ્રમાણમાં હૂંફાળી આબોહવા હોય, ઓગસ્ટિનમાં  તેમણે લાંબો સમય ગાળ્યો જ્યાં તેમનું કવિતા લેખન વધ્યું. તેઓ પોતાને ‘વાલ્ડો’ તરીકે ઓળખાવતા. અહીં તેમનો પરિચય નેપોલિન બોનાપાર્ટના પિતરાઈ પ્રિન્સ અચિલ મુરાત સાથે થયો. તેમની મૈત્રી ખૂબ વિકાસ પામી., બંને ધર્મ, સમાજ, ફિલસૂફી અને સરકારની જ્ઞાનપ્રદ ચર્ચાઓમાં વ્યસ્ત હતા. પોતાનાથી બે વર્ષ મોટા મુરાતને એમર્સન વૈચારિક શિક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ ગણતા હતા.

‘ધ નેચરાલિસ્ટ’

એમર્સનના કુદરતને ઉકેલવાના ચિંતનાત્મક પ્રયાસો અને પાશ્ર્ચાત્ય જગતમાં કુદરતને વૈજ્ઞાનિક ઢબે વર્ગીકૃત અને સંગ્રહિત કરવાની હોડનાં ભયસ્થાનો વિષેના વિચારોનો સર્વ પ્રથમ ઉલ્લેખ કે રજૂઆત આપણને ૧૯૩૪માં મળી આવે છે. ૭મી મે, ૧૯૩૪માં બોસ્ટન નેચરલ હિસ્ટ્રી સોસાયટી ખાતે તેઓ ‘ધ નેચરાલિસ્ટ’ નામે એક વક્તવ્ય આપે છે. આ વક્તવ્યમાં કુદરતની કેડી કંડારતી પદ્ધતિસરની માહિતીના દસ્તાવેજો ઊભા કરતાં પ્રકૃતિવિદોને તેઓ સંબોધે છે. કુદરતની સમજણ શિક્ષણનો એક ભાગ બને તે જરૂરી પણ છે. આમ છતાં સૌથી ખરાબ વિકૃતિ અથવા કુદરતની યોજનાની સંપૂર્ણ ઉપેક્ષા હોવા છતાં, કુદરતનો અભ્યાસ શિક્ષણમાં અમુક સ્થાન પર કબજો કરશે, તે નિશ્ર્ચિત છે.

તેઓ કહે છે, “હું એક એવી વ્યક્તિને જાણું છું જે શહેરથી બહાર નહોતી ગઈ અને તેણે વહેતું પાણી નહોતું જોયું. પરંતુ હવે એ વ્યક્તિ જે સમુદ્ર, નદી, હિમ, તળાવ, જંગલો, પર્વતોમાં રહેલાં જીવન પોષતાં કે નિયંત્રિત કરતાં તત્ત્વોને (એક વિજ્ઞાનીની દૃષ્ટિએ) જોશે, જે એ વ્યક્તિને પાણી પૂરું પાડે છે તે બધાં સ્વરૂપોની કાળજી રાખે જ છે. શહેરની ગલીઓ ભલે પૃથ્વીનાં સ્વર્ગીય તત્ત્વોને પામી નહીં શકે પરંતુ પ્રત્યેક માનવી તેના તરફ જરૂરથી આકર્ષાય છે. અને આ કલ્પનાઓની છબી જે તમામ માણસોને આનંદ આપે છે એ તેને કુદરતી પ્રક્રિયાઓના અવલોકન કરવા તરફ દોરી જાય છે. હું જાણું છું અને સ્વીકારું છું કે માનવીને એક માત્ર રસ ‘માનવી’માં જ છે. કુદરતનાં આયોજનોમાં પણ માનવી કેન્દ્રસ્થાને છે, પરંતુ તે બધા એકમો સાથે મધ્યમાં છે, ઉપર નથી, સર્વોપરી નથી. જીવનના સુનિયોજિત માળખામાં તે એકાકી નહિ અનેક સંબંધોથી જોડાયેલો એકમ છે.”

તેઓ કહે છે, “કુદરતનું સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ તેની સાધનની સરળતા અને પરિણામની ભવ્યતા વચ્ચે વિલસતાં સંયોજનોનો વિરોધાભાસ છે; તેનાથી ઊંચું, ગહેરું અને વિશાળ બીજું કંઈ જ નથી. ક્રમબદલ અને સંયોજન નામના અંકગણિતના નિયમમાં (પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન) કુદરત અત્યંત કુશળ છે. કેટલીક વાર તે એટલું રમૂજી હોય છે કે મને ફ્રેન્ચ રસોઈયાની યાદ અપાવે, જે એક મેંદામાંથી ચાલીસ વાનગીઓ બનાવી શકે છે. કુદરતે કેટલાંક તત્ત્વોને અસંખ્ય પદાર્થોમાં રૂપાંતરિત કરીને પૃથ્વીને ભરી દીધી છે. તેમાં રહેલી ભાવિની ભવ્યતા પર્વતની ટોચ પર ઊભા રહી જોઈ જુઓ. ઘણી, એની એ જ સામગ્રી, નવાં નવાં સંયોજનોમાં સતત પરિવર્તિત થઈ રહેલી દેખાય છે. વ્યક્તિગત સ્વરૂપોના લાવણ્ય કરતાં આ સંરચનાઓ વધુ મહત્ત્વપૂર્ણ છે. દરેક કલાકાર એ જાણે છે કે કલાકૃતિના મુખ્ય વિષયની ઉત્કૃષ્ટ તેના પરિપ્રેક્ષ્યના કારણે વધુ સુંદરતા પામે છે. જેમ કે તમારા શૉકેસમાં સજાવેલાં છીપલાં કરતાં દરિયાઈ તટે બીજાં શંખ છીપ સાથે રેતીમાં પડેલું તે છીપલું આંખોને વધુ આકર્ષે છે કારણ કે વિશાળ આકાશ અને સમુદ્રના જલરાશિ વચ્ચે બીજાં થોડાં છીપલાંઓ વચ્ચે પડેલું તે ભીનું છીપ, વિશાળતા ને ક્ષણિક સુંદર સજીવતા વચ્ચે એક વિરોધાભાસ ઊભો કરે છે. મને યાદ છે, જ્યારે બાળપણમાં રોમાન્ચભેર આ છીપલાઓ વીણીને ઘેર લાવતા પરંતુ ત્યારબાદ તે રોમાંચ, તીવ્ર દુર્ગંધને કારણે વિસરાઈ જતો. ખેતરની માટીની સુગંધ ફૂલોની સુગંધ કરતાં વધુ લાંબી ટકે છે અને પ્રિઝમની પસંદગી સૂર્યાસ્તે થતી મૂંઝવણ સાથે સરખાવી શકાતી નથી. અને ત્યારબાદ મને સમજાયું કે એક એકમની સુંદરતા તે એકલા એકમને કારણે નહિ પરંતુ તેના સંયોજનમાં રહેલી છે.”

આગળ કહે છે, “પ્રકૃતિના સરળ સિદ્ધાંતો આપણને ઉત્તેજિત કરે છે. આ ઉત્તેજનાથી વનસ્પતિશાસ્ત્રી શોધે છે કે એક વૃક્ષ, તે એક એકમ નથી, તે અનેક જીવોનો વિશાળ સમૂહ છે. નેચરલ સાયન્સની બૌદ્ધિક શિસ્ત એ છે કે તે તફાવતને તીવ્ર બનાવે છે. તે સમાન અને સમાન વચ્ચે તફાવત કરવાની મુશ્કેલ કળા શીખવે છે. કુદરતનો સંપૂર્ણ અભ્યાસ એ શાશ્ર્વત વિભાજન, પેટાવિભાગ અને ફરીથી નવા તફાવત સમજાવે છે. આ બધા તફાવત વાસ્તવિક છે. કુદરતમાં કોઈ ખોટો તર્ક નથી. તેની તમામ સામગ્રીઓ કાયમી છે, તેના તમામ ગુણધર્મો કાયમી છે : એસિડ અને ધાતુઓ કયારેય જૂઠું બોલતાં નથી; તે નવાં શોધાયાં છે પરંતુ નવાં છે નહિ. આ મૂંઝવણ જ માનવીને પ્રગતિ તરફ દોરે છે અને માનવીને માત્ર ‘ઓબ્જેક્ટ’માં રસ પડે છે તે તેની મર્યાદા છે કારણ કે તે પોતે પણ સમગ્ર માળખામાં એક ‘ઓબ્જેક્ટ’ જ છે.

“ઉદાર શિક્ષણ માને છે કે પૃથ્વી, જે ઉદાર માતા અને નર્સ છે. તે આપણું નિવાસ્થાન પણ છે. ઉત્તેજના, દવા અને આપણા બધાની કબર પણ છે. આપણે એ દરેકમાં વિસ્તરેલ અથવા સરળ બનાવેલ આપણી પોતાની રચનાઓનો અભ્યાસ કરીએ છીએ, ના કે સાથી જીવોનો… આ તમામ સૌથી પ્રાચીન અને કાયમી છે જેનું આપણને થોડું જ્ઞાન ચોક્કસ છે. આપણી અસ્વસ્થ જિજ્ઞાસા દફનાવી દેવાયેલાં શહેરો શોધવા અને મમીના ખાડાઓ ખોદવા તેમજ ઇજિપ્તના પત્થરો પર ઘસાઈ ચૂકેલા પત્રો તરફ દોરી જાય છે. પણ આપણે વાદળો અને ઘાસમાં રહેલી પ્રાચીનતાને એ જ આદરથી ક્યારે જોઈશું ?”

જીવવિજ્ઞાનના મહત્ત્વને જરા પણ ઓછું આંક્યા વિના કુદરતની કેડી કંડારનારા ‘નેચરાલિસ્ટો’ની સંવેદનાઓને જીવતી રાખવા અને વિચ્છેદ અને વિભાજનની દૃષ્ટિમાં કુદરતમાં રહેલી સામાજિકતાને જાળવી રાખવા આહ્વાન કરતી તેમની અત્યંત પ્રભાવક અને ભીતરથી વિચલિત કરનારી આ પ્રગલ્ભ પ્રસ્તુતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સૌએ વાંચવી ઘટે પરંતુ અહીં તેમના બીજા પ્રવચન અને નિબંધની ઝલક પણ મેળવી લઈએ.

એમર્સનની અમર કૃતિ ‘નેચર’ :

એક માર્મિક કાવ્ય અને માર્ગદર્શક સિદ્ધાંત સ્થાપતો નિબંધ : “અસંખ્ય વર્તુળોની સૂક્ષ્મ સાંકળ, સુદૂરને સમીપ લાવે છે; આંખ જ્યાં જાય છે ત્યાં સુકુન વાંચે છે, અને ભાષાઓ બધી ગુલાબ જ બોલે છે; અને, એક કીડો અનેક સ્વરૂપોમાંથી પસાર થઈ શિખર પર પહોંચે છે, એ છે માણસ બનવાનો પ્રયત્ન.”

“માણસ માટે કુદરતના મંત્રાલયમાં, માત્ર સામગ્રી જ નથી, પણ પ્રક્રિયા અને પરિણામ પણ છે. બધા ભાગો માણસના લાભ માટે સતત એકબીજાના હાથમાં કામ કરે છે. પવન બીજ વાવે છે, સૂર્ય સમુદ્રનું બાષ્પીભવન કરે છે; પવન ખેતરમાં વરાળ ઉડાડે છે; બરફ, ગ્રહની બીજી બાજુએ, આ પાર વરસાદને ઘટ્ટ કરે છે; વરસાદ છોડને ખવડાવે છે; છોડ પ્રાણીને ખવડાવે છે; અને આ રીતે દૈવી ધર્માદાના અનંત પરિભ્રમણ માણસને પોષણ આપે છે.”

આ નિબંધમાં એમર્સન પ્રકૃતિને માનવી દ્વારા કરાતા ચાર ઉપયોગોમાં વિભાજિત કરે છે. સંસાધન, સૌંદર્ય, ભાષા અને શિસ્ત. આ ચાર ભિન્ન દૃષ્ટિકોણ દ્વારા માનવસમાજ પોતાની મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઇચ્છા, એકબીજા સાથેનો તેમનો સંદેશાવ્યવહાર અને વિશ્ર્વ વિશેની સમજણ માટે પ્રકૃતિનો ઉપયોગ કરે છે.

એમર્સને ૯ સપ્ટેમ્બર, ૧૮૩૬ના રોજ અનામી રીતે તેમનો પ્રથમ નિબંધ ‘નેચર’ પ્રકાશિત કર્યો હતો. આ એ સમય હતો જ્યારે બાઇબલ અને ચર્ચની સીમિત સંકલ્પનાઓમાં રાચતું પશ્ર્ચિમી જગત પણ માન્યતાઓથી મુક્ત નહોતું. આ એ સમય પણ હતો કે જ્યારે ઈશ્વર, એ સર્વોપરી સત્તા મનાતી અને રાજા અને ચર્ચ તેના વહીવટદારો. એક તરફ જેમ વિજ્ઞાનની શાખાઓ વિકસી રહી હતી તેની સાથોસાથ ચર્ચની બહાર સમાંતર મુક્ત કલ્પનાઓ પણ વિકસી રહી હતી. ‘બીટા કપ્પા’ એ સ્વતંત્ર ચિંતનમાં માનતા સભ્યોનું રક્ષણ કરવા અને એકતાની ભાવના જગાડવા માટે એક ગુપ્ત ‘ફ્રી બીટા કપ્પા સોસાયટી’ હતી. નવા સમાજને ‘ફ્રી બીટા કપ્પા’ નૂતન સૂત્ર આપવામાં આવ્યું હતું જેનો ભાવાર્થ થાય છે, “શીખવા માટે પ્રેમ એ જીવનનો માર્ગદર્શક છે.”

માર્ચ ૧૮૩૭માં, એમર્સને બોસ્ટન ખાતે ઇતિહાસની ફિલસૂફી પર શ્રેણીબદ્ધ પ્રવચનો આપ્યાં. આ પહેલી જ વાર તેમણે પોતાની રીતે વ્યાખ્યાનશ્રેણીનું સંચાલન કર્યું હતું. આ તેમની કારકિર્દીની શરૂઆત હતી. આના પછી તેમણે ન્યૂ ઇંગ્લેન્ડ અને દેશના બાકીના મોટા ભાગમાં લોકપ્રિય લેક્ચરર તરીકે જીવનનિર્વાહ ચલાવ્યું હતું. તેમણે ૧૮૩૩માં પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું. ૧૮૫૦ સુધીમાં તેઓ દર વર્ષે ૮૦ જેટલાં પ્રવચનો આપતા હતા.

૧૮૪૯માં નિબંધોના સંગ્રહ ( જેમાં ‘નેચર’નું પ્રથમ પ્રકાશન સામેલ હતું)નું નામ બદલવામાં આવ્યું. મિત્રોએ તે વક્તવ્ય પ્રકાશિત કરવા વિનંતી કરી અને પોતાના ખર્ચે પ્રકાશિત આ ૫૦૦ નકલો એક મહિનામાં વેચાઈ ગઈ. એમર્સન ૧૮૩૫ની શરૂઆતમાં હેનરી ડેવિડ થોરોને મળ્યા હતા. ૧૮૩૭ના પાનખરમાં, એમર્સને થોરોને પૂછ્યું, “શું તમે જર્નલ રાખો છો ?” આ પ્રશ્ર્ન થોરો માટે જીવનભરની પ્રેરણા સમો બની રહ્યો હતો. ૧૮૬૦ અને ૧૮૮૨ વચ્ચે જારી કરાયેલ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ એડિશનમાં એમર્સનની પોતાની જર્નલ ૧૬ મોટા ગ્રંથોમાં પ્રકાશિત થઈ હતી. કેટલાક વિદ્વાનો આ જર્નલને એમર્સનની મુખ્ય સાહિત્યિક કૃતિ માને છે.

ઉત્તર યુનાઇટેડ સ્ટેટ્સમાં છેક સેન્ટ લૂઇસ, ડેસ મોઇન્સ, મીનીઆપોલિસ અને કેલિફોર્નિયા સુધીની મુસાફરી કરી. ૧૮૪૪માં એમર્સને તેમનો બીજો નિબંધ સંગ્રહ પ્રકાશિત કર્યો, આ સંગ્રહમાં ‘ધ પોએટ’, ‘એક્સપિરિયન્સ’, ‘ગિફ્ટ્સ’ અને ‘કુદરત’ શીર્ષક હેઠળ લખાણો આપ્યાં હતાં.

એમર્સન ઘણું કમાય છે, જીવન સ્તર સુધરે છે, પ્રવાસો, વ્યાખ્યાનોથી પશ્ર્ચિમી જગતમાં બૌદ્ધિકો અને લોકોમાં એક વૈચારિક આંદોલન પ્રસારે છે અને માનવીની સ્વતંત્રતા, મૌલિકતા, સમાનતા અને પરસ્પર સંવેદનશીલતાભર્યા સમાજનો પાયો નાખે છે. એમર્સન અનેક વિચારકોના માર્ગદર્શક બની રહે છે. તેઓને એક સંત કે વિચારક માનવામાં આવે છે. પરંતુ તેમને એટલો જ રસ વિજ્ઞાનમાં અને વૈજ્ઞાનિક શોધશિક્ષણમાં હતો અને આ અંગે તેઓ સતત માહિતગાર રહેતા વિચારક હતા. એમની રુચિઓની શ્રેણી ખરેખર ખૂબ વ્યાપક હતી, જે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રથી માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સુધી વિસ્તરેલી હતી. એમના ઉપર એલેકઝાન્ડર હમ્બોલ્ટનો ભારે પ્રભાવ હતો.

ફ્રેન્ચ ફિલસૂફ વિક્ટર કઝીનની કૃતિઓ દ્વારા એમર્સનને ભારતીય ફિલસૂફીનો પરિચય થયો હતો. ૧૮૪૫માં, એમર્સનનાં સામયિકો દર્શાવે છે કે તેઓ ભગવદ્ગીતા અને હેનરી થોમસ કોલબ્રુકના વેદો ઉપરના નિબંધો વાંચતા હતા. તેઓ વેદાંતથી ખૂબ પ્રભાવિત હતા, અને તેમનાં મોટા ભાગનાં લખાણોમાં અદ્વિતીયતાની મજબૂત છાયાઓ છે. આનું એક સ્પષ્ટ ઉદાહરણ તેમના નિબંધ ‘ધ ઓવર-સોલ’માં મળી શકે છે. એમર્સનની તબિયત ૧૮૬૭થી લથડવા લાગી; એક વિચારકની સંકલનક્ષમતા નબળી પડવા લાગી અને લેખનકાર્ય ઓછું થવા લાગ્યું. યાદશક્તિની સમસ્યાઓ વચ્ચે એમણે પ્રવાસો કર્યા. ૧૮૭૧માં તેઓ કેલિફોર્નિયાના યોઝમીતે પાર્કમાં જ્હોન મુઈરને મળ્યા. ૧૮૭૨માં તેમના ઘરને આગ લાગી, મિત્રો પાડોશીઓએ ફંડ એકઠું કરી ઘર બનાવી આપ્યું પણ તેઓ ઇંગ્લેંડ, યુરોપ અને ઇજિપ્તના પ્રવાસે નીકળી ગયા. પ્રવાસો અને પ્રવચનો મારફત તેઓએ અસંખ્ય લોકોને પ્રકૃતિ, મુકત માનવસમાજ અને આધ્યાત્મિક જીવનલક્ષ્ય વિષે જાગૃત કર્યા. ૧૮૭૯થી તેઓનું જાહેર જીવન સીમિત થઈ ગયું. ૧૮૮૨માં તેઓની બીમારી વધી અને એપ્રિલમાં તેઓ મૃત્યુ પામ્યા.

રાલ્ફ વાલ્ડો એમર્સન એ અમેરિકન પ્રકૃતિ લેખનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. હજુ સુધી વાચકો પાસે તેમના કાર્ય અંગેનું આ કેન્દ્રીય વિષયને સમર્પિત કોઈ પુસ્તક નથી. “ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’ આ ખોટની પૂર્તિ કરી આપે છે. જેમાં એમર્સનના પ્રાકૃતિક લેખનના ઘણા ઓછા જાણીતા ટુકડાઓ, તેમના પ્રમાણિક નિબંધો ઉપલબ્ધ છે. કાલક્રમિક રીતે સંગ્રહિત પ્રવચનો, સંબોધનો અને નિબંધોથી બનેલી તેર પસંદગીઓ – એમર્સનની કારકિર્દીમાં ફેલાયેલ ‘કુદરતના દર્શન’ સાથે તેની નિસ્બત દર્શાવે છે. જેમ જેમ આપણે તેમના વ્યક્તિત્વને ‘કુદરતનું પુસ્તક’ તરીકે ઓળખતા જઈએ છીએ તેમ તેમ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલા વિચારક તરીકે તેઓ ઊભરી આવે છે. ભૌતિક વિશ્ર્વ સાથે પ્રકૃતિના ક્રમ અને તેની ચેતના વચ્ચેના પત્રવ્યવહારને ઉજાગર કરવાની એક ચિંતિત વિજ્ઞાનીની ક્ષમતાથી તેઓ આપણને આકર્ષે છે. ‘ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’, એમરર્સનના તત્ત્વચિંતનની પરિપક્વતામાં પ્રાકૃતિક ઇતિહાસના અભ્યાસના મહત્ત્વપૂર્ણ પ્રભાવને પ્રકાશિત કરે છે.


યાત્રી બક્ષી | paryavaran.santri@gmail.com


સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો


ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫