ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
પ્રતિશ્રુતિ’ નવલકથાની શરૂઆત ધ્રુવદાદાએ મહાભારતમાં કુરુક્ષેત્રનાં યુદ્ધ પછી ભિષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હોય છે ત્યારે તેમના શ્રીકૃષ્ણ સાથેના સંવાદથી કરી છે.
શ્રીકૃષ્ણ ભિષ્મ પિતામહને પૂછે છે કે “પિતામહ, રાજગાદી-ત્યાગ,સંસારનો નકાર,સંબંધોનો તિરસ્કાર, જીવનનો અસ્વીકાર અને ભીષણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જન્માંતરો, ઋણ અનુબંધરહિત જીવી શકાય છે? જો એમ હોત તો બધાં તેમ ન કરત.?”
આમ પૂછી, કૃષ્ણ એક રાત માટે સાક્ષીભાવે ભિષ્મ પિતામહને તેમના જન્મ, જીવન અને તેમણે લીધેલ પ્રતિજ્ઞા વિશે વિચારી, પૂરી ગંભીરતાપૂર્વક તેના પરિણામો અંગે વિચારવા કહે છે.
ધ્રુવદાદાએ નવલકથામાં આખા મહાભારતનું ભિષ્મનાં પાત્ર સાથેનું સુક્ષ્મ અવલોકન કરી ખૂબ રસસભર મૂલ્યાંકન કર્યું છે. પોતાનાં અલગ અંદાજ સાથે મહાભારતનું કથન નજર સમક્ષ ભજવાઈ રહેલા નાટક જેવું રસપ્રદ શૈલીમાં લખાયું છે.મહાભારતનાં અનેક શ્લોકો અનુવાદ સાથે ટાંકીને ધ્રુવદાદાએ તેમની નજરે મહાકાવ્યની અનેક અજાણી રહી ગયેલી વાત રજૂ કરી ઐતિહાસિક સફર આપણને કરાવી છે.
ભિષ્મના માતા સત્યવતી એટલે મત્સ્યગંધા ,જે માછલીનાં પેટમાંથી જન્મેલા હતાં તે મત્સ્યકન્યા રૂપે સૌને નૌકામાં નદી પાર કરાવતાં હતાં. આ વાત સૌ કોઈ જાણતું હોય પરતું તે જ સત્યવતી કૃષ્ણ જન્મ સમયે યમુનામાં જઈ વાસુદેવ કૃષ્ણને યમુના પાર કરાવવા પહોંચી ગયાં હતાં તે આપણે ન જાણતા હોઈએ. આવી નાની નાની અનેક વાતો દાદાએ પ્રતિશ્રુતિમાં આવરી લીધી છે.
ભિષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી તેથી તે ભિષ્મ કહેવાયા, પણ શું તે યોગ્ય હતું ? તેમના જીવનની આ પ્રતિજ્ઞાથી તેમણે મા સત્યવતી, અંબા, અંબિકા અને અંબાલિકાનાં જીવનમાં જે ઝંઝાવાત લાવ્યા હતાં તે યોગ્ય હતા? તેમની એક પ્રતિજ્ઞા પૂરી કરવા તેમજ મુક્તિની ઈચ્છાએ તેમણે મા સત્યવતી સમેત કેટલી સ્ત્રીઓનાં સુખનાં સપના રગદોળી નાંખ્યાં.
દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સમયનું પિતામહનું મૌન અને ગાંધાંરીને પોતાનાં અંધ પુત્ર માટે પુત્રવધૂ તરીકે માંગવી વગેરે પ્રંસંગોને ભિષ્મ પિતામહ દ્વારા જ મરણપથારીએ સ્મરણ કરાવી , દાદાએ પોતાની રીતે સરસ મૂલવણી કરી છે. ભિષ્મ પિતા માટેનાં પોતાનાં વિચારોને દાદાએ જુદા જુદા પાત્રોનાં સંવાદો દ્વારા રજૂ કર્યા છે.
દ્રૌપદી ભિષ્મ પિતામહને પોતાની સાથે ખાંડવપ્રસ્થ આવવાનું કહે છે ત્યારે પિતામહ કહે છે કે ,”હું હસ્તિનાપુરનો સેવક છું એટલે તમારી સાથે ન આવી શકું.”
ત્યારે દ્રૌપદી પિતામહને કહે છે કે “પાંડવો પણ સત્યવતીનાં જ વંશજો છે.” ભિષ્મ ત્યારે દ્રૌપદી પર ગુસ્સે થઈ જાય છે. મરણપથારીએ એ યાદ આવતા તેમને સમજાય છે કે, “મેં તો સંસારથી અને રાજકાજનાં વળગણોથી દૂર રહેવાના આશયથી જ પ્રતિજ્ઞા કરી હતી.
આજે જોઉં છું કે ગંગા, સત્યવતી, અંબા, દ્રૌપદી,કૃષ્ણ, પાંડવો, અસંખ્ય સૈનિકો-ન જાણે કોને કોને મારી પ્રતિજ્ઞાનાં દુષ્પરિણામો સહવાનાં આવ્યા!”
આમ ભિષ્મ પ્રતિજ્ઞાએ ભલે ભિષ્મ તરીકે પિતામહને બિરદાવ્યા, પરતું દાદાએ આ નવલકથામાં પોતાની રીતે તેની જુદી જ મૂલવણી કરી છે.
શ્રીકૃષ્ણ -ભિષ્મના છેલ્લા સંવાદમાં કૃષ્ણ કહે છે, “પિતામહ, જુદું તમે જીવ્યા છો. જુદું જીવવાની ઝંખનામાં તમને ક્યારેય એ ન દેખાયું કે મનુષ્યો સાથે સહજ રીતે જીવવા માટે આપણી મહાનતા દર્શાવવા કરતાં તેમનાં સુખદુ:ખને અનુભવવા, સમજવા તે સરળ ઉપાય છે.”
મા ગંગા પણ ભિષ્મને કહે છે, “બેટા, મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને જીવનને ‘લીલા’ સમજીને જીવવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે, સુખ છે તે કેમ તને ન સમજાયું?”
આ નવલકથામાં ભિષ્મ તેમની પ્રતિજ્ઞાઓ થકી કેટલીયે વાર જીવનનાં અનેક પડાવ પર અસહાય બની અટવાઈ જતા દેખાયા છે. ભિષ્મનાં પાત્ર દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવવા માંગે છે કે મોક્ષ એ જ જીવનનો હેતુ હોવો ન જોઈએ પરતું એક સાચા, સરળ, સહજ, સહૃદયી મનુષ્ય બનીને જીવી, સહજતાથી આનંદપૂર્ણ જીવન જીવવું એ જ શ્રેષ્ઠ જીવન જીવવાની રીત છે.
માઈધારમાં લખાએલ એક સુંદર ધ્રુવગીત.
‘ફરી ફરી સાથમાં રહેશું, ફરીવાર નદીએ ન્હાશું,
ફરીવાર ચોકમાં ગાશું રે….
વળી પાછા આવજો કહેશું, આવજો કહેશું, આવજો કહેશું રે….
ફરીવાર ચોકમાં ગાશું રે….
નભે નભ ગોતશું તારા, મને જડે એટલા મારાં
વીણીને વેરતા રહેશું રે, વળી પાછા આવજો કહેશું,
વળી પાછાં આવજો કહેશું, ફરી ફરી સાથમાં રહેશું,
ફરીવાર નદીએ ન્હાશું, ફરીવાર ચોકમાં ગાશું રે…
મનોમન કાનમાં કહેશું, નથી કંઈ છૂટવા જેવું,
ચોરાશી લાખમાં રહેશું રે, વળી પાછા આવજો કહેશું. આવજો કહેશું…રે…
ફરી ફરી સાથમાં રહેશું, ફરીવાર નદીએ ન્હાશું
ફરીવાર ચોકમાં ગાશું રે…..
