દીઠે અડસઠ જાત્ર

દર્શના ધોળકિયા

મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં એક સમયે ભકિતિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજા કરતાંયે વધુ અસરકારક જણાવ્યું એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતો હતો. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, “પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહીને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિવિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.

એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં પ્રગટેલો આ નૂતન ભક્તિવિચાર મુસ્લિમોના આગમનને લઈને પ્રવેશેલા સૂફી મતને કારણે ફેલાયો. એ વાત સંપૂર્ણ સાચી હોય કે ન પણ હોય, પણ સૂફી મતમાં પણ આ પ્રકારનો ભક્તિવિચાર જોવા મળે છે એ ખરું.

સૂફી સંપ્રદાય એ મુસ્લિમ ધર્મના બે મુખ્ય ફાંટા શિયા અને સુન્નીનો એક ભાગ છે. સૂફી પંથની પણ પાછી મુક્ત કલ્લમ અને સૂફી એમ બે શાખાઓ છે. આમાંની પહેલી બાહ્ય ક્રિયાકાંડ પર ભાર મૂકે છે ને બીજી આત્મનિગ્રહ અને દેહદમનનું મહત્ત્વ કરે છે. “હું” પદનો ત્યાગ એ સૂફીઓની મોટામાં મોટી અભિલાષા હોય છે. આ પ્રકારના સૂફી મતમાં હિજરીના બીજા સૈકામાં અદ્વૈતવાદનો વિચાર પ્રવેશ્યો જે રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મ માટે નવો હતો ને પરિણામે અસ્વીકૃત હતો. પ્રારંભકાલીન સૂફી મત દાર્શનિક કે ચિંતનાત્મક ન હતો પણ નીતિમૂલક હતો. એમાં ઈશ્વરનાં સ્વરૂપ વિશેની કોઈ ચર્ચા નથી પણ ઈશ્વરને મેળવવાના કેટલાક વ્યવહારુ ઉપાયોનું સૂચન માત્ર છે.

આ વાતને જુનૈ દૈએ સમજાવતાં નોંધ્યું છે. “અમને સૂફીમત ઉપવાસમાંથી અને જગતને તિલાંજલી આપવામાંથી લાધ્યો છે; પરિચિત બંધનો તોડવામાંથી અને માણસો જેને પ્રેમ માને છે એના પરિત્યાગમાંથી મળ્યો છે, નહિ કે વાદવિવાદમાંથી.”

પાપ, નરક જેવા ખ્યાલોથી સજાગ સૂફીઓએ સંન્યસ્ત અને શમને અપનાવ્યાં. પણ તેમનો સંન્યાસ શુષ્ક નહોતો. તેઓ માત્ર તપસ્વી અને ફકીર જ નહોતા પણ યોગી પણ હતા. આ પંથમાં પશ્ચાત્તાપ, ધૃતિ, કૃતજ્ઞતા, શ્રદ્ધા, ભીંરુતા, સ્વેચ્છાપૂર્વકની અકિંચનતા, તપશ્ચર્યા, ઈશ્વરની અનન્ય શરણાગતિ અને છેવટે પ્રેમ – એટલાં સોપાનો રહેલાં છે.

આ સૂફીવાદે ઘણા મહાન સંતોની ભેટ આપી છે જેમાં મહાકવિ સાદિ, હારિજ, અમીર ખુશરો, નિઝામી અનાઈ, ફરીરુદ્દીન અત્તાર, મૌલાના જલીલુદદીન રૂમી, રાબિયા જેવા સંતો મુખ્ય છે. આ સંતોએ પોતપોતાની રીતે ખુદાને ઉપાસ્યા છે.ફાફિઝના જીવનમાં મસ્તી છે, સાદિના જીવનમાં જ્ઞાનનું પ્રાધાન્ય દેખાય છે. તો ઝુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ ખીલ્યો દેખાય છે.

આ સંતોમાં રાબિયાનું વ્યક્તિત્વ તદ્દન જુદું પડે છે. ગરીબ પરિવારમાં જન્મેલી રાબિયાએ જીવનની અમીરાત શોધી છે ને એ શોધમાં સંપુર્ણ સફળતા મેળવી છે. તેની શોધ સૂફી સિદ્ધાંતની મદદથી થઈ હોવા છતાં ‘વાદ’ના વાડાઓથી એનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યુ છે. તેના વિચારોમાં, આચારમાં, કથનમાં પરમાત્માએ તેને પસંદ કરી હોવાની ગંધ આવ છે. એક ચિંતકે આ પ્રકારના મનુષ્યો માટે Divine Scavanger (દૈવી હરિજન) શઃબ્દ વાપર્યો છે જેમને પરમાત્મા પોતા તરફથી મનઃશુદ્ધિ કરવા મોકલે છે. તેઓ પરમાત્માની જમાતના લોકો હોય છે. રાબિયા આ જમાતની લોક છે. સમકાલીન સૂફીઓમાં પણ એ ચૈચારિક મૌલિકતાને લઈને ઘણી જુદી પડે છે.

એક આધાર પ્રમાણે અરબસ્તાનની મરુભૂમિમાં ગરીબ પિતાને ત્યાં તેમનો જન્મ થયેલો મનાયો છે. બીજી એક નોંધ પ્રમાણે એનો જન્મ તુર્કી રાજ્યના બસરા શહેરમાં દર્શાવાયો છે. પિતા આદિ કુટુંબના હોવાથી ઉત્તરાવસ્થામાં રાબિયાને લોકો ‘અલ આદાબિયા’ને નામે ઓળખતા. અરબી ભાષામાં “રાબા’ શબ્દનો અર્થ ‘ચોથી’ એવો થાય છે. રાબિયા પોતાના નિર્ધન પિતાની ચોથી પુત્રી હોવાથી તેનું નામ “રાબિયા’ પડ્યું હોવાનું અનુમાન છે. તેની જન્મ સાલ ઈ.સ.૭૧૭ ને મૃત્યુ સાલ ઈ.સ.૮૦૧ આશરે મનાય છે. એક અનુમાન પ્રમાણે એનું અવસાન હિજરી સંવતના મધ્ય અને અંતિમ વર્ષના ગાળા (ઈ.સ. ૭૮૬-૮૧૫)માં થયેલું ગણાય છે.

બાળપણમાં જ માતાની હૂંફ રાબિયાએ ગુમાવેલી. પિતાને અત્યંત ચાહતી રાબિયાના જીવનમા પ્રારંભથી જ વાવંટોળ શરૂ થયો. તેના ગામની આજુબાજુ “બધુ ‘ જાતના લૂંટારાઓનો ત્રાસ હતો. તેઓ વખતોવખત ગામમાં ધસી આવીને સ્ત્રી કે પુરુષ – જે હાથમાં આવે તેને – પકડીને લઈ જતા તેમ જ તેને ગુલામ તરીકે વેચતા અથવા પોતે રાખી લેતા. રાબિયાના પિતા ઇસમાઈલ પણ આ લૂંટારાઓના હાથમાં ફસાયા અને રાબિયા એકલી પડી. કેટલાક વખત પછી તેના વૃદ્ધ પિતા પાછા ફર્યા ને આવતાંવેત પાણીની માગણી કરી. રાબિયાને પાણી લાવતાં થોડી વાર થઈ તે દરમિયાન પિતા મૃત્યુ પામ્યા.

આ પ્રકારના વિવિધ આઘાતોથી ઘડાતી રાબિયાએ યૌવનમાં પ્રવેશ કર્યો. દેખાવે તે સુંદર નહોતી. આથી લગ્ન વિશે તેણે કોઈ વિચાર જ કર્યો નહોતો. એકલતાની વચ્ચે તે જીવન ગુજારી રહી હતી ત્યારે ફરીથી લૂંટારાઓએ આવીને તેને પકડી તેમ જ તેને ગુલામ તરીકે વેચી દીધી. ગુલામ બનેલી રાબિયાની નિયતિ તો હતી પરમ મુક્તિ પામવાની. તેના જીવનની આ વિરોધમૂલક ઘટના સાનંદાશ્ચર્ય જગવે એવી છે.

એક દિવસ તેના માલિકને ઘેર એકઠા થયેલા મહેમાનોને મનુષ્યના શરીરની રચના જાણવાની ઇચ્છા થઈ. ત્યાં કામ કરતી રાબિયાને જોતાં જ એના માલિકે ચપ્પુ વડે રાબિયાના શરીરમાંથી જ ગાંઠ કાઢી. આ સમયે ત્યાં બેઠેલા મહેમાનો તો શરીરની ગાંઠમાં રહેલું ઈશ્વરનું ઐશ્વર્ય નિહાળવામાં મશગૂલ હતા ! આ મહેમાનોને મોઢેથી ઈશ્વરનું નામ સાંભળીને રાબિયાના સૂતેલા સંસ્કાર જાગી ઊઠ્યા. કટોકટીની આ ક્ષણે તેના મુખમાંથી ‘શુક્ર ખુદા’ એવો ઉદ્‍ગાર નીકળ્યો. એણે કરેલી પહેલી પ્રાર્થના આ મુજબ હતી. ‘આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે આટલા દિવસ તેણે મને કેવા સુખમાં રાખી હતી ! આજે શરીરના એક અંગને દુઃખી કરીને પરમાત્માએ મને જણાવ્યું કે એ સેંકડો પ્રકારે મારી રક્ષા કરતો હતો. તેની આટલી કાળજીથી હું શરમાઉં છું.’
રાબિયામાં જાગેલી પ્રારંભિક ભક્તિ શિશુવત્‌ થયેલા નિર્દોષ ભક્તની હતી. આથી જ તેણે બીજાનું દુઃખ પોતા ઉપરે નાખવા માટે પ્રભુની પ્રાર્થના કરી. આ ભક્તિને આઘારે સઘળાં દુઃખોનો સ્વીકારે કરતાં તે શીખી. જીવન તરફનું તેનું દૃષ્ટિબિંદુ હવે બદલાયું હતું. પ્રસન્‍નતાના પૂરમાં તણાયેલી રાબિયા દુઃખોની વચ્ચે કહેતી, ‘હે પ્રભુ, તેં જ્યારથી મારા સામે ઝાંખ્યું છે ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કમળનું મુખ કદી મલિન દીઠું છે ? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ કદી ટકી શકે ?’

વહેતી રફતારમાં બદલાઈ ગયેલી રાબિયાએ કરેલી પ્રાર્થના એક સમયે તેના શેઠે ચોરીચુપકીથી સાંભળી. આ પ્રાર્થનામાં તેણે ઇચ્છ્યું હતું કે જો તે સ્વતંત્ર હોય તો ચોવીસે કલાક પ્રભુની ઉપાસનામાં ગાળી શકે. તેના શેઠે આ સાંભળીને તેને મુક્ત કરી. રાબિયા હવે પોતાના અસલ માલિક પાસે જવા રવાના થઈ. આ ક્ષણથી તેનો ભક્તિવિચાર પ્રૌઢ થતો ચાલ્યો દેખાય છે.

ગુલામીમાંથી મુક્ત થયેલી રાબિયાએ તપસ્વી જીવન ગાળવા માટે રણને પોતાની સાધનાભૂનિ બનાવી. તપશ્ચર્યાના ગાળા પછી ફરી બસરા આવીને તેણે નિવાસ કર્યો. પાછી ફરેલી રાબિયા ‘સૂફી’ હતી – ફકીર અને તપસ્વીથી કંઈક વધારે એવી સૂફી. આ વધારાનું ‘કંઈક’ એને સંન્‍્યાસીઓથી, યોગીઓથી, ભક્તોથી જુદું પાડનારું તત્ત્વ તે એની મૌલિક વિચારધારા હતી. પોતાના વિચારો એણે ભાગ્યે જ પ્રગટ કર્યા છે પણ જ્યારે કર્યા છે ત્યારે એમાં રહેલી નિર્બધતા અને પ્રવાહિતા એની ઊંચાઈનો માનદંડ નક્કી કરવામાં ભારે મદદરૂપ બને છે.

સૂફી મત સામાન્ય રીતે પશ્ચાત્તાપનું વધારે મૂલ્ય કરે છે . તેઓને મતે પસ્તાવો માણસને ગંભીર બનાવે છે અને પછી મસ્તીમાં લાવે છે. પણ રાબિયાએ પસ્તાવાનો અર્થ જુદો કર્યો છે. પોતાનાં પાપ માટે ઈશ્વર પાસે ક્ષમા માગવાનો રાબિયાને કદી વિચાર આવ્યો નથી. પાપ, તેને મતે એટલા માટે નુકસાનકારક છે કે તે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અંતરાયરૂપ બને છે. આથી જ રાબિયાએ પસ્તાવો કરવા કરતાં, પસ્તાવો કર્યા પછી લેવાનારાં પગલાં, એટલે ક જાગ્રતિ પ્રત્યેની ગતિનું મહત્ત્વ સૂચવ્યું છે. આ પ્રકારનો પસ્તાવો તેને મન વિરલ છે. આ પ્રકારનો પસ્તાવો તો પ્રભુ તરફથી મળેલી ભેટ જ હોઈ શકે. એ જાતે મેળવાતો નથી. જાતે મેળવવા જો મથવામાં આવે તો વારંવાર પસ્તાવાની પરિસ્થિતિ આવી પડે એવી હળવી મજાક પણ રાબિયાએ કરી છે. તેની આ સમજને લઈને જ એક શિષ્યને તેણે કહ્યું છે તેમ પસ્તાવો કરવાથી ઈશ્વર અભિમુખ થતો નથી. એ જો પોતે ઇચ્છે તો જ એ કોઈ પણ મનુષ્ય પ્રતિ અભિમુખ થાય છે. રાબિયાનો આ વિચાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે પહેલ પરમાત્મા દ્વારા જ થાય. મનુષના વશની એ વાત નથી.

ધૈર્ય રાબિયાના ભક્તિવિચારણાનું  બીજું લક્ષણ ચે, આ ધર્ય તેને કેળવ્યું નથી પણ પરમાત્મા પ્રત્યેની ઊડી શ્રદ્ધામાંથી એ જન્મ્યું છે. આથી જ તે કહે છે, ‘હુ ઈશ્વરને અસંમત એવી એક પણ વસ્તુ ઈચ્છું તો હું અશ્રદ્ધા માટે અપરાધી બનું. ‘ આ શ્રદ્ધાએ જ તેના ભક્તિવિચારને મજબૂત બનાવ્યો છે. શ્રી અબ્દુલ વાહેદ અમરે એક પ્રસંગ ટાંકતા નોંધ્યું છે તે મુજબ તેઓ અને સુફિયાન માંદી પડેલી રાબિયાની ખબર કાઢવા ગયા અને સુફિયાને તેમને પ્રભુ પાસે સાજા થવાની પ્રાર્થના કરવા જણાવ્યું ત્યારે રાબિયાનો ઉત્તર આ હતો : ‘આ મંદવાડ મને કોનો ઇંચ્છાથી લાગુ પડ્યો છે તે તમે જાણો છો. ખુદાની ઇચ્છા વિરુદ્ધ સંકલ્પ કરવો એ મારો ઘર્મ નથી.’ આ જ સંદર્ભે તેમણે કહ્યું કે ‘દસ વરસથી મને ખોર્મા(એક જાતનાં ફળ) ખાવાની ઇચ્છા છે પણ હજુ મેં એ મોંમાં મૂકચાં નથી; કારણ કે હું તેમની દાસી છું. દાસીને વળી સ્વતંત્ર ઇચ્છા કેવી ?’
રાબિયાનુ અધ્યાત્મ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતામાંથી જુન્‍્મ્યું છે. આથી જ, માત્ર સમૃદ્ધિ માટે જ નહિ, વિપત્તિ માટે પણ પરમાત્માનો આભાર માનવાનું રાબિયા સૂચવે છે.

ઈશ્વર પ્રત્યેની રાબિયાની ભક્તિ નિષ્કામ છે. ઈશ્વરને એણે સમજપૂર્વક ચાહ્યો છે. એક તત્ત્વ તરીકે પ્રમાણ્યો છે. તેને ચાહ્યા પછી બીજું બધું છોડયું નથી પણ છૂટી ગયું છે. બ્રહ્મ તત્ત્વને પ્રમાણ્યા પછી તેને પણ જગત ‘મિથ્યા’ અર્થાત્‌ વ્યર્થ ભાસ્યું છે. આથી જ કોઈ યોગીને તેમણે કહેલું, ‘તમારો સંસાર ઉપર જ ઘણો પ્રેમ લાગે છે. જો તેવું ન હોત તો ખુદા વિશે વાર્તાલાપ કરવો મૂકીને તમે સંસારનાં દુઃખોનું પીજણ ન પીંજ્યું હોત. જેઓ સસારથી વિરક્ત છે તેઓ સંસારની ચર્ચા જ કરતા નથી. જેના ઉપર જેની પ્રીતિ હોય તેની જ વાતચીત કરવાનું મન થતું હોય છે.’

રાબિયાની ભક્તિમાં વૈરાગ્યની સહોપસ્થિતિ છે. એક અર્થમાં તે સંપૂર્ણ સંન્‍્યાસિની જણાય છે. તેની વિચારધારામાં ઘડાતી બુલંદી તેને અવધૂત ઠેરવે એવી છે. મૌલાની તેની વ્યાખ્યા મૌલિક છે. તેમને મતે, ‘જે ખુદાની આગળ પ્રાર્થના કરીને તેની પાસેથી હૃદયની પ્રાપ્તિ કરે છે અને તે હૃદય ખુદાને પાછું આપી દઈને તેના હાથમાં સંરક્ષિત રહેવા દે છે તે મૌલા છે.’ રાબિયાની દૃષ્ટિએ કોણ છે આ ખુદા ? ‘જેને આંખ જોઈ શકતી નથી, જેનો જીભ સ્વાદ લઈ શક્તી નથી, માત્ર હૃદય વડે જેને અનુભવી શકાય છે; જાગ્રત અંતર જ જેને જાણી શકે છે, એવું જાગ્રત અંતર જેને કોઈ સહાયક વિના જ ખુદાની પ્રાપ્તિ થાય છે.’ આવો ખુદા, રાબિયા કહે છે તેમ મળે તો છે પ્રેમ કરવાથી, પણ એ પ્રેમ સર્વગ્રાહી અને અનાસકત હોવો જરૂરી છે. અંતે એકલા ઈશ્વરનું અને ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ, બીજી કોઈનું પણ નહિ. કારણ કે ઈશ્વર ઈર્ષાળુ પ્રિયતમ છે. એ બીજા કોઈ હરીફને સાંખી લેતો નથી.

રાબિયાએ આવો સર્વગ્રાહી અને અનાસકત પેમ કરી જાણ્યો છે. ઈશ્વરના વિકલ્પે તેને સ્વર્ગની પણે કામના નથી, તેનો પ્રેમ નિ:સીમ છે. માત્ર પ્રભૂ માટે રખાયેલી થાપણ છે, તેની સાક્ષી આ પ્રાર્થના પૂરે છે :

“મે તને દ્વિવિધ પ્રેમથી ચાહ્યો છે :
એક સ્વાર્થી પ્રેમ છે અને બીજો ઉદાત્ત પ્રેમ છે.

સ્વાર્થી પ્રેમમાં તારા સિવાય બીજું બધું છોડી
તારી યાદથી મારી જાતને હું ભરી રહું છું.

જ્યારે બીજો, જે તને શોભે એવો છે એમાં
હું તને જોઈ શકું એ માટે તું બુરખો ઊંચો કરે છે.

છતાં આમાં કે પેલામાં મારાં વખાણ નથી,
પણ આમાં કે પેલામાં તારી જ પ્રશંસા છે.’

રાબિયાના વૈરાગી વ્યક્તિત્વમાં ખુમારી છે. આત્મતત્ત્વના જાણકારમાં જ હોઈ શકે એવી ખુમારી. આથી જ પ્રારંભે પ્રભુ માટે ઝૂરતી એવી રાબિયા અંતે ઈશ્વરના ઐશ્વર્યનું પણ અતિક્રમણ કરતાં કહે છે : |

“ઓ મારા પ્રભુ, જો હું તને નરકની બીકે ભજતી હોઉં તો મને નરકમાં બાળી મૂકજે; જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં તો મને એમાંથી બાકાત રાખજે; પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં તો તારું અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

આ પ્રાર્થનામાં પ્રભુ સાથે મૈત્રી માટે હાથ લંબાવતી રાબિયા દૃષ્ટિગોચર થાય છે. આ તેની પ્રાર્થના નથી, પણ કરાર છે. અધિકારથી પ્રભુ પાસે માગેલો હક્ક છે.

રાબિયાના સમર્પણમાં ગરિમા છે, ઊંચાઈ છે. મિતભાષી રાબિયા બોલે છે ત્યારે એના અવાજમાં એક નીવડેલી વ્યક્તિનું મહિમામંડિત વ્યક્તિત્વ છતું થાય છે. પોતાનું ઓજસ પ્રગટાવતાં એ કહે છે,

“જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી પડું છું. દુઃખથી નહીં પણ અપમાનથી, કારણ કે લાલચને ખબર નથી કે મારો દોસ્ત તો ખુદા છે.’

પોતાના સદાય જીગ્રત એવા ચિત્તને તેણે કદી ઊંઘવા દીધું નથી. શારીરિક દૃષ્ટિએ સાવ થોડો આરામ લેતી રાબિયા જો વધારે ઊંઘી જવાય તો પણ પોતાના દેહ તેમ જ આત્માને તરત જાગ્રત કરે છે. હંમેશાં આવનારી નિદ્રા શરીર પર આક્રમણ કરે ત્યાં સુધી ચેતન રાખવા તે ઇચ્છે છે. શરીરના ધર્મોને તો તેમણે એટલા તો ઉલ્લંધ્યા છે કે લોહી નીકળતી વખતે પણ તેઓ સ્થિર રહે છે અને જણાવે છે કે મને વેદના થતી નથી કેમકે ભગવાને મને દુનિયાની ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ કરતાં અન્ય વસ્તુઓમાં રોકી રાખી છે.

રાબિયાનો પ્રભાવ સમકાલીન સૂફી સંતો પર પણ ઘણો વ્યાપક રહ્યો છે. હુસેન નામના એક ફકીર પોતાનો ઉપદેશ રાબિયા સાંભળે તેમાં જ રસ ધરાવતા. તેમના શ્રોતાઓએ એક વારે રાબિયાની ગેરહાજરીમાં કથા ન કરવાનું કહેતા હુસેનને પૂછયું કે, ‘રાબિયા ન હોય તેથી શું ? અમે તો છીએ. ‘ જવાબમાં હુસેને કહેલું, ‘જે શરબત મેં હાથીના ઉદર માટે તૈયાર કર્યુ છે તેને કીડીના ઉદરમાં મૂકીને શું કરું ?’ આ હતું રાબિયાનું તેના પૂર્વકાલીનોના પણ હદયમાં રહેલું સ્થાન.

લોકો સાથે પણ રાબિયાએ જે કેટલાક સંવાદ કર્યા છે તેમાં એક મૌલાની તાકાત વરતાય છે. પાટો બાંધીને આવેલા એક માણસને ચેતવતાં રાબિયાએ જણાવેલું કે માથું ન દુખ્યું તેની કોઈ નિશાની તમે મૂકતા નથી તો પછી એક દિવસ માથું દુઃખવાની ફરિયાદરૂપે પાટે બાંધવાનો તમને શો હક્ક છે ? બહારના વાતાવરણમાં વસંત ઋત્તુની શોભા બતાવતા કોઈને રાબિયાએ જણાવેલું કે તેને તો પોતાની અંદર જ આવી શોભા દેખાઈ રહી છે. લગ્નની તેને કદી જરૂર ન જણાયેલી. તેણે તો પોતાનું શરીર પ્રભુને સોંપેલું . હવે કયું શરીર એ પતિને સોંપી શકે ?

રાબિયાની આ હેસિયત, તેને આજથી આશરે બારસો વર્ષ પૂર્વે થયેલાં હોવાનું નકારે તેવી છે. કેમકે તેમના વિચારોની તાજગી, તેમનો પ્રતાપ, તેમની સમજ તેમને આધુનિક વિચારધારાનાં વાહક ઠેરવે છે. ગુરુ વિના, વિદ્યાભ્યાસ વિન્તા, ગુલામીની ઝંઝીરો વચ્ચે રાબિયાએ પોતાનાં સ્વત્વને જે રીતે ખીલવ્યું છે તે આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના છે.
તેમનાં ચરિત્રને અંજલિ આપતાં તેમના ચરિત્રકાર પ્રસિદ્ધ વિદ્વાન ફકીરૂદીન અત્તાર નોંધે છે તે યથાર્થ જ છે : “પવિત્રતાની એકલતામાં રહેવા માટે પસંદ થયેલી એ; મજહબી નેકીના બુરખામાં લપેટાયેલી એ; પ્રેમ અને ઝંખનાની આગમાં જળતી એ; પોતાના ઈશ્વરને જઈને ભેટંવાની અને એની ભવ્યતામાં કુરબાન થઈ જવાની તમન્‍નાને વરેલી, દિવ્ય પ્રભુના એક્યમાં ખોવાઈ ગયેલી એ સ્ત્રી – માનવોએ સ્વીકારેલી બીજી નિષ્કલંક મેરી છે.’

સુફી મતને રાબિયાએ પોતાના નૂતન વિચારોથી પુરસ્કૃત કરીને ઇસ્લામની જે સેવા બજાવી છે તે સાચે જ, અનન્ય છે.


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.