સ્વરૂપ સંપટ
ઇ મેલ મળતાં જ એક્સાઇટમેન્ટનો પાર ન રહ્યો. લખ્યું હતું, ‘જોધપુરની રાજમાતા કૃષ્ણા કુમારી ગર્લ્સ સ્કૂલ તરફથી શુભેચ્છા.’
એવું કહી શકાય કે મારવાડના મહારાજા ગજસિંઘજી સાહેબે મને શાળાના સ્થાપના દિન નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી હતી. એ વાંચીને ચહેરા પર સ્મિત છવાઇ ગયું – આવો વારસો અને દૃષ્ટિકોણ ધરાવતી શાળાના આમંત્રણને હું કઇ રીતે નકારી શકું?
અલબત્ત, તેની સાથે ઔપચારિક આમંત્રણ પણ ગરિમાસભર હતું જેના માટે જોધપુર પ્રખ્યાત છે. મેં સ્વીકારી લીધું અને ૧૨ ઓક્ટોબરે ત્યાં પહોંચવાનું અને બીજા દિવસે સવારે પાછા ફરવાનો વિચાર પણ કરી લીધો. આશ્ચર્ય વચ્ચે મહારાજા તરફથી મને એક વિનમ્ર સંદેશો મળ્યો: ‘એ માત્ર ફંક્શન માટે આવે તો મારી અને મહારાણી સાથે ચા-નાસ્તો ક્યારે કરશે?’
પરિણામે મેં પ્લાન બદલ્યો.
હું વહેલી પહોંચી ગઇ. મારે ‘બાલ સામંદ લેક પેલેસ’માં રહેવાનું હું જે ખરેખર સપનાં સમાન હતું. એક સમયનો શાહી પરિવારનો મોન્સૂન પેલેસ. ત્યાંથી ૧૨મી સદીમાં નિર્મિત થયેલું તળાવ – જેન ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ તળાવ હોવાનું કહેવાય છે, તેનું દૃશ્ય દેખાતું હતું. સૂર્યાસ્ત સમયે રણમાં લાલ રેતિયા પત્થરોની દીવાલો ચમકતી હતી અને પવનની લહેરખીઓમાં મોરના ટહુકા અને પેરાકીટ્સના સ્વર સંભળાતા હતા. રોયલ અને રોમાન્સનો આ પેલેસ છે. તેની દરેક કોરિડોર કંઇક કથા કહે છે.
બાલ સામંદની સુંદરતા તો મારી સ્મૃતિમાં હતી, પણ હું જેની રાહ જોતી હતી, તે ફંક્શન બીજા દિવસે હતું.
રાજમાતા કૃષ્ણા કુમારી ગર્લ્સ પબ્લિક સ્કૂલની સ્થાપના ૧૯૯૨માં મહારાજાએ તેમનાં માતા રાજમાતા કૃષ્ણા કુમારીજીના સન્માનમાં કરાવી હતી. તેનો હેતુ પશ્ચિમી રાજસ્થાનની કન્યાઓને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવાનો હતો. માત્ર છ છોકરીઓ સાથે શરૂ થયેલી નાનકડી શાળા આજે સાતસોથી વધારે વિદ્યાર્થિનીઓ ધરાવતી એક વિશાળ સંસ્થા બની ગઇ છે.
લગાતાર ત્રણ વર્ષોથી ભારતમાં આ સ્કૂલનું નામ ‘બેસ્ટ ગર્લ્સ ડે સ્કૂલ’ તરીકે લેવાય છે અને એ કેમ લેવાય છે, તે જાણવા માટે તો તમારે એની મુલાકાત જ લેવી પડે. રાયકા બાગનો કેમ્પસ જીવંત અને હેતુસભર છે. સ્કૂલમાં પ્રવેશતાં જ મને ખ્યાલ આવી ગયો કે આ માત્ર એક સ્કૂલ જ નથી, પણ કન્યા શિક્ષણ દ્વારા પરિવાર, કોમ્યુનિટી અને રાષ્ટ્રને પણ શિક્ષિત કરવાનું એક જીવંત ઉદાહરણ છે.

ફંક્શન દરમિયાન સ્કૂલનાં પ્રિન્સિપાલ નીરા સિંઘે મને ઉષ્મા અને ગર્વથી આવકારી. સ્થાપના દિનની ઉજવણી ‘છોટી સી આશા’ સમૂહગીત સાથે થઇ. નિર્દોષતાભર્યા એ સ્વર એકદમ શુદ્ધ હતા – જે તમારા મનમાં એક આશા જગાવે. મારો બોલવાનો સમય આવ્યો ત્યારે મેં એક નજર સામે બેઠેલી કન્યાઓના વિશાળ સમૂહ પર એક નજર નાખી – સંભાવનાઓથી ચમકતા હતા તેમના ચહેરા. મેં અજવાસ અને અંધકાર અંગે વાતની શરૂઆત કરી. કઇ રીતે એક નાનકડો દીપક અનેક દીવડાને પ્રજ્વલિત કરી શકે છે. મેં તેમને કહ્યું, ‘માત્ર એક પ્રકાશથી શરૂઆત કરવાની છે.’ રાજમાતા કૃષ્ણા કુમારીજીએ એ જ તો કર્યું હતું – એક દીપક પ્રગટાવ્યો અને આજે તેણે આ તમામ કન્યાઓના દિલના દીવા પ્રગટાવ્યા છે.
સામાજિક કલ્પનાઓ વિશે મેં કહ્યું – દુનિયા જેવી છે તેની દર્શાવવા માટે હિંમતની જરૂર છે, પણ એમ થવું જોઇએ. મેં એક નાનકડા બાળકની વાત કરી જે પોતાના પિતાને લોકલ ટ્રેન તરફ એમ કહીને લઇ જાય છે કે, ‘મારી ટ્રેનમાં દરેક માટે જગ્યા છે. એ પછી મેં એમને કલ્પનાશક્તિથી શું થઇ શકે તેની વાત કરી જે સૌને માટે ઉપયોગી હતી.
અમે શિક્ષણ સાથે સંબંધિત જવાબદારી, સેવા અને સમભાવ અંગે વાત કરી. ‘રચનાત્મકતા, સારવાર કે માત્ર સામાન્ય સંભાળ રાખીને પણ તમારામાંથી દરેક રાષ્ટ્રની સેવા કરી શકે છે.’ મેં તેમને કહ્યું કે માત્ર સેવા કરીને તેમની આગવી ઓળખ ઊભી કરે. એ પછી વિક્રમ-વેતાળની કથા પર રચનાત્મકતા અને કાલ્પનિકતાથી ભરપૂર એક નવીન નાટક ભજવાયું. વિદ્યાર્થિનીઓ તેમાં એટલી સરળતા અને આત્મવિશ્વાસથી અભિનય કરી હતી કે પળ વાર માટે તો હું ભૂલી જ ગઇ કે હું સ્કૂલની વિદ્યાર્થીઓનું નાટક જોઇ રહી છું. તેમનો પરફોર્મન્સ માત્ર મનોરંજક જ નહીં, વિચારણીય અને કલ્પનાસભર હતો. ઇવેન્ટમાં નાની બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ મને તેનું હાર્દ વધારે સ્પર્શી ગયું.
શિક્ષકોએ કન્યાઓને માત્ર પરફોર્મની જ તાલીમ નહોતી આપી, તેમણે વિચારવા, પ્રશ્નો પૂછવા અને અભિવ્યક્તિ અંગે પણ મદદ કરી હતી. સૌથી વધારે જો કોઇ બાબતો મને સ્પર્શી ગઇ તો તેમનું શિસ્ત અને સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન, ઉત્કૃષ્ટતા અને તાદાત્મ્ય, મહત્ત્વાકાંક્ષા અને માનવતાનું સંતુલન. સ્કૂલનું ધ્યેય છે ‘જીવન માટે શિક્ષણ’ જે છોકરીઓને જીવનમાં આવતા નકારાત્મક પડકારોનો હિંમતભેર સામનો કરતા શીખવે છે. સ્કૂલ્સ માટે સશક્તિકરણની વાત કરવાનું સરળ છે, જે વાસ્તવમાં જવલ્લે જ જોવા મળે છે. આરકેકેજીએસ સ્કૂલ માત્ર શિક્ષણ જ નથી આપતી, તેમનામાં પરિવર્તન લાવે છે.
બીજા દિવસે જોધપુરથી પાછી ફરતા, સૂર્યોદયનાં કિરણો બાલ સામંદ તળાવ પર પ્રકાશી રહ્યાં હતાં. તેનું નિર્મળ પાણી ચમકી રહ્યું હતું અને હું મારી કહેલી વાત અંગે વિચારી રહી કે પ્રકાશ અંધકારને દૂર કરે છે.
દાયકાઓ પહેલાં રાજમાતાએ આવો જ એક દીપક પ્રગટાવ્યો હતો. તેમના પુત્રે શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા જાળવવાની સાથે એ દીપકને પ્રજ્વલિત રાખ્યો છે જે હવે દરેક છોકરીઓ જે સ્કૂલમાં આવે છે, તેમનામાં પણ પ્રજ્વલિત છે. તેમનામાં ન હોય, તો બીજા કોનામાં હોય? અને અત્યારે નહીં તો પછી ક્યારે?
આરકેકેજીએસ સ્કૂલનો આ જ તો આત્મા છે અને ભારતની દીકરીઓ હોશિયાર અને નીડર છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
