જન્મઃ વડોદરા,વર્ષ, ૧૯૪૮.

વિજ્ઞાન શાખામાં સ્પેસ સાયન્સના રિસર્ચ સ્કોલર. ડબલ પીએચ.ડી

અમેરિકા આગમનઃ ૧૯૭૮.

હાલ ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં.

પ્રવૃત્તઃ નાસા સેન્ટરમાં સ્પેસ શટલ પ્રોગ્રામમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે.

નાસામાં ૩૪ વર્ષ પૂરા કર્યા છે. તેઓ “Space Journal’ના ચીફ એડિટર છે અને  દુનિયાના ૮૫ થી વધુ દેશોમા આ Journalનું, પ્રસારણ કરી રહ્યા છે.

તેમના ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક સંશોધન માટે એકસોથી વધુ મેડલ અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

ભારત સરકારે ૨૦૧૫માં “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” થી ડો. કમલેશ લુલ્લાને નવાજ્યા હતા. આ એવોર્ડ પદ્મવિભુષણની હરોળમા મૂકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. અને તે ભારતના  Vice President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.

ડો. લુલ્લા અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કરી ચૂક્યા છે. છેલ્લું પુસ્તક “Wings on Orbit”  એક અમૂલ્ય ખજાના રૂપે ‘વ્હાઈટ હાઉસ’ની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે.


વિદેશ આગમન પૂર્વે

ગુજરાતના જાણીતા વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પીટલમાં મારો જન્મ થયો હતો. માતપિતાનું હું ૮મું સંતાન.  કુટુંબ સાધારણ, મધ્યમ આર્થિક સ્થિતિનું, કુલ સાત ભાઈઓ અને બે બહેનો. પ્રારંભિક જીવન ખંડેરાવ માર્કેટ પાસે, કલા ભવન અને દાંડિયા બજાર પાસેની કાછીયા પોળમાં વીત્યું હતું. બાળપણમાં હું દિવસ દરમિયાન સ્થાનિક શાળામાં જતો અને સાંજ પ્રો.માણેકરાવની વ્યાયામશાળા (અખાડા)માં પસાર કરતો હતો.. ત્યાં ઉમદા રાજા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિઓ, લોકમાન્ય ટિળક, વીર સાવરકર, સુભાષ બોઝ  અને  ભગતસિંહ જેવા અન્ય મહાન દેશભક્તોના ફોટાઓ સતત મારી નજર સામે જોવા મળતા.

માતપિતા કદી પરિવારની નબળી દશા વિશે અમને વાત ન કરે પરંતુ આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, દાદાજીના અકાળે મૃત્યુ પછી પિતાજી પર નાની ઉંમરમાં જવાબદારી આવી પડી હતી અને દસ્તાવેજીના અભાવે, ભાગીદારોએ ધંધાપાણીમાં છેતરપીંડી કરી. પરિણામે આર્થિક રીતે પરિસ્થિતિ ઘસાતી ચાલી. મારા જન્મ સમયે માત્ર એક જ બેડરુમવાળા ભાડાના મકાનમાં અમારું બહોળું કુટુંબ રહેતું હતું.

માતા ઘણાં મહેનતુ હતાં. તેથી પિતાજીની હાડમારીના સમય દરમ્યાન એક યા બીજી રીતે આર્થિક રીતે સહાયરૂપ થતાં. પરિવારની દૈનિક જવાબદારીઓ ઉપરાંત પોતાની સીવણકળાના હુન્નરને અને પોતાની  કોઠાસૂઝને કામે લગાડી ઘરગથ્થું કામો કરી કરીને ઘણી મદદ કરતાં રહેતાં હતાં. તે ઉપરાંત સંતાનોને સારું શિક્ષણ આપવાની તેમની નેમ હતી. તેથી ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં તત્પર રહેતાં. જેમ શિવાજીની માતા જીજાબાઈએ નિર્ભય બનવા અને જીવનમાં લક્ષ્ય હાંસલ કરવાની પ્રેરણા આપી હતી, તેમ માતાએ  મને નિર્ભય બનવા, સમર્પિત બનવા અને ઊંચા સપનાને સાકાર કરવા જ્ઞાન મેળવવાની પ્રેરણા આપી હતી! મોટી બહેન તારાબહેને પણ શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધવાની પ્રેરણા આપી હતી..

મોટા ભાઈ પ્રો. ગુરુજી હરિગોવિંદ લુલ્લા તો મારા માર્ગદર્શક અને ગુરુ હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આદર્શોના પ્રચારમાં સામેલ હતા. તેથી આગલી પેઢીના આ બધા મહાન નેતાઓનો પ્રભાવ મન પર સતત રહ્યા કરતો..

હું હંમેશાં કહેતો રહું છું કે, મેં બે પીએચડીની ડીગ્રી મેળવી, એક માતા માટે અને બીજી પોતાને માટે!

પરિવારનો મોટો આધાર નારી ઉપર હોય છે અને જેમનાં વિચારો ઉમદા હોય છે તેમને કોઈ વિઘ્નો નડતાં નથી હોતાં. એ રીતે આર્થિક વિટંબણાઓની વચ્ચે પણ અમે બધાં જ ભાઈબહેન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા. મોટાભાઈ અને બહેન તો પીએચડી થઈ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોતપોતાના ક્ષેત્રમાં પ્રોફેસર તરીકે પણ જોડાયાં. મેં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ free education આપતી શાળાઓમાં કર્યો.

સમગ્ર અભ્યાસકાળ દરમ્યાન મોટાભાઈનો ફાળો નોંધપાત્ર બની રહ્યો. મોટાભાઈ અંગ્રેજી વિષયના કોલેજ લેવલના પ્રોફેસર હતા અને ગ્રામર શીખવતા. રોજના ૫૦૦ થી ૬૦૦ પાનાં  (અંગ્રેજી પુસ્તકોનાં) વાંચવાનો આગ્રહ રખાવતા. તેથી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઈને તો વાંચતા જ, પણ પુસ્તકો ઘેર લાવીને પણ તે વાંચતા. દર અઠવાડિયે અંગ્રેજી પાકું કરાવતા. તે પછી લેખનનું ‘હોમવર્ક’ આપતા.

આ સંદર્ભમાં એક મઝાનો અને યાદગાર પ્રસંગ યાદ આવે છે અને ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે. જ્યારે હું ૧૧માં ધોરણમાં વિદ્યાર્થી હતો ત્યારે મારા ભાઈ, મારા ગુરુ અને શિક્ષક શ્રી હરિગોવિંદ લુલ્લાએ મને અંગ્રેજીમાં (વિષય તરીકે ભાષા) ૧૦૦ નિબંધો લખવાનો પડકાર ફેંક્યો હતો. આ પડકાર મારી વિચાર શક્તિને ચકાસવા, મારી લેખનશક્તિને તાગવા, સહનશક્તિ કેળવવા અને સર્જનાત્મક ગદ્ય કંપોઝ કરવાની મારી ક્ષમતાને તપાસવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એ પડકારને પહોંચી વળવા હું આખી રાત જાગતો રહ્યો. પહેલા મેં ૧૦૦ વિષયોની યાદી બનાવી  કે ક્યા વિષયો પર મારે નિબંધો લખવા.. બીજું, મેં આ નિબંધમાં કઈ મુખ્ય થીમ્સ/સામગ્રી આવરી લેવી છે તેની વિગતવાર રૂપરેખા તૈયાર કરી.. ત્રીજું મેં સંબંધિત વિષયો અને મુદ્દાઓને એકસાથે સંકલિત કરીને પછી મારી સૂચિને પ્રાથમિકતા આપી. માતા સ્વ. શ્રીમતી દેવીબાઈએ પ્રેમથી તૈયાર કરાયેલા ચાના ઘણા કપ સાથે આખી રાત જાગ્યો અને છેવટે હું ૨૪ કલાકમાં ૧૦૦ નિબંધ લખી શક્યો!  આ અનુભવે મને આખી જિંદગી મારી વરિષ્ઠ વૈજ્ઞાનિક અને નેતૃત્વની સ્થિતિમાં મદદ કરી છે!

આ રીતે શાળાના અભ્યાસ ઉપરાંત ઘરમાંથી જ વાંચન અને લેખનના પાઠ મળતા રહ્યા હતા, અને તેમાંથી જ વિચારશક્તિ, એકાગ્રતા, લેખનકલા વગેરેનું શિક્ષણ મળતું ગયું. તે સમયે ખૂબ મુશ્કેલીઓ અનુભવાતી હતી, પણ તેને જ કારણે જુદી જુદી ભાષાઓમાં અને વિષયોમાં રસ પડવા માંડ્યો. આજે અંગ્રેજી ઉપરાંત ઘણી ભારતીય ભાષાઓ બોલી શકવાનો આનંદ મળે છે. – ઉદાહરણ તરીકે ગુજરાતી, હિન્દી, કચ્છી, મરાઠી, પંજાબી, ઉર્દૂ. Really, it was a real training of critical thinking and systematic writing on any subject.

વડોદરાની સંસ્કાર નગરીમાં ઉછરી રહેલા યુવાકિશોર તરીકે ત્યારે મને, પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના મધુર અવાજમાં કૃષ્ણકથા અને ભગવદકથા સાંભળવાની તક મળી હતી. તે ઉપરાંત પ્રતિભાશાળી રામ ભગત પાસેથી સાંજની રામકથા સાંભળવાનો લહાવો પણ મળ્યો હતો. આ પ્રેરણાદાયી વક્તાઓની છટા અને અસરકારક વક્તવ્યને કારણે જાહેરમાં કેવી રીતે નિર્ભયપણે બોલવું તે શીખવાનું મળ્યું.

માધ્યમિક શાળાના ગુજરાતીના શિક્ષકે મને ગુજરાતી સાહિત્ય તરફ દોરવણી આપી,. તે ઉપરાંત, હાઈસ્કૂલના વર્ષો દરમિયાન,  એક પ્રેમાળ પરંતુ કડક  શિક્ષક- શ્રી ભાનુભાઈ કે.વૈદ્ય મળ્યા. તેમણે પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જગાડ્યો. તેમણે મહાકવિ પ્રેમાનંદના જીવન અને તેમની કવિતાઓ પરનાં પુસ્તકો આપ્યાં, કલાપી અને મેઘાણી સાથે પરિચય કરાવ્યો. ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમે, વિજ્ઞાનમાં અદ્યતન ડીગ્રી હોવા છતાં સાહિત્ય સાથે સંકળાયેલા રહેવાની પ્રેરણા આપી. તે સમયે પ્રેમાનંદ, કલાપી, સુંદરમ, પ્રિતમ વગેરેની કવિતાઓમાં ખૂબ રસ પડતો. તેમની કવિતાના શબ્દો મનમાં પડઘાયા કરતા હતા.

બીજી તરફ સાયન્સના શિક્ષકોએ હોશિયાર વિદ્યાર્થી હોઈ વિજ્ઞાનના વિષયો તરફ વાળ્યો. તે સમયે તો કૉલેજમાં જવા માટે માત્ર ત્રણ જ શાખાઓ હતી. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, અને તેમાં પણ સારા ટકા મેળવનાર વિદ્યાર્થી તો સાયન્સમાં જ જતા. મારું ધ્યાન તો પરિવારની અર્થિક પરિસ્થિતિને લીધે સારી નોકરી અને વધુ પગાર મળે તેનાં પર વિશેષ હતું. વળી એસ.એસ.સી. બોર્ડમાં ઘણાં સારા ટકા/માર્ક્સ સાથે બીજા નંબરે આવ્યો હતો. તે ઉપરાંત મન ઉપર રેડિયમની શોધ કરનાર વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જીવનકથાની  પણ ઘેરી અસર પડેલી હતી. આ બધા પરિબળોને કારણે મેં એમ.એસ.યુનિ.ની સાયન્સ શાખામાં પ્રવેશ કર્યો.

શરૂઆતનાં વર્ષોમાં સવારની કૉલેજ અને ત્યાંથી સીધા બપોરે શૈક્ષણિક નોકરી કરી અર્થ ઉપાર્જન કરતો,. નાનપણથી મહેનતની આદત તો પડેલી જ હતી તેથી કપરા સંજોગો હોવા છતાં ખૂબ ઊંચા ગુણાંક સાથે બીએસસી અને એમએસસી પરીક્ષા સફળ રીતે સંપૂર્ણ કરી શક્યો. કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. સતત અને અવિરત મહેનત કર્યા કરતો. પરિણામે આવી મહેનત, કાર્યદક્ષતા અને કાબેલિયતને કારણે વિજ્ઞાન શાખાના ડીન પ્રો. પાઠકે પીએચડીના અભ્યાસ માટે બધી જ સવલતો કરી આપી. એટલું જ નહિ, સીનીયર આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જૉબ પણ આપી.

ત્યારબાદ બરોડાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીકાળના માર્ગદર્શક અને તે પછી પીએચડી.ના અભ્યાસ દરમ્યાન પણ માર્ગદર્શક એવા, પ્રો. ચંદ્રવદન હીરાલાલ પાઠકના સંપર્કમાં આવવાનું થયું. પ્રો.પાઠક એક સાચા ગાંધીવાદી હતા, આખી જિંદગી ખાદી પહેરી હતી અને તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા કે માતૃભાષા દ્વારા જ વિજ્ઞાન શીખવું જોઈએ.. પ્રો. સી.એચ. પાઠક ગુજરાતના એવા પ્રથમ વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે અમેરિકન બાયોલોજીના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તેને પ્રકાશિત કરાવ્યો, જેથી ગુજરાતની કોલેજો ગુજરાતીમાં વિજ્ઞાનનાં પુસ્તકોનો ઉપયોગ કરી શકે. આ પ્રોફેસર પાઠકે વિજ્ઞાન શીખવામાં માતૃભાષાના મહત્વ વિશે મારા વિચારો પર ઘેરી અસર ઉપજાવી.

અત્રે એક બીજા મજેદાર કિસ્સાની વાત કરવી ગમશે. જ્યારે એમએસસીનો અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે ગણિતના પ્રોફેસર બી.એમ પંડ્યા, સાહિત્ય તરફ પ્રેરણા આપી રહ્યા હતા! કારણ કે, ફેકલ્ટીના વાર્ષિક મેગેઝીનમાં  વિદ્યાર્થીઓ તરફથી લેખ, કવિતા વગેરે મૂકવાનાં હતાં. વારંવાર તેઓ તરફથી આ વિશે કહેવામાં આવતું. તેથી શરૂઆતમાં હું આવડે તેવાં મુક્તકો લખીને મોકલતો. ક્યારેક  જોડકણાં જેવી નાની નાની રચનાઓ પણ લખતો.. ધીરે ધીરે તે પ્રોફેસરે સાયન્સ ફેકલ્ટી માટે વાર્ષિક મેગેઝિનનું સંપાદન કરવા પ્રોત્સાહિત કર્યો. મેં તે જવાબદારી સ્વીકારી અને મેગેઝિનને સાહિત્યિક બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું. તેને કારણે મારી પ્રથમ કવિતા પણ ગુજરાતીમાં પ્રકાશિત કરવાની મંજૂરી મળી.

મને લાગે છે કે, વિજ્ઞાન ક્ષેત્રમાં સાહિત્યની તે પ્રવૃત્તિ પણ જીવનમાં એક turning point હતું, જેને કારણે હું કવિઓ અને ગઝલકારોને વધુ વાંચતો થયો. તેમના નામો અને  રચનાઓથી વધુ પરિચિત થતો ગયો. તે ઉપરાંત સંગીત સાંભળવાનો રસ પણ વધવા માંડ્યો. વડોદરામાં ગુજરાતીઓની સાથે સાથે મરાઠી પ્રજા ઘણી. તેથી સંગીતની મહેફિલોમાં પણ મોટાભાઈની સાથે જ જતો.. ભીમસેન જોશી જેવા કલાકારોને સાંભળીને મારા કલાપ્રેમી જીવને ખૂબ આનંદ મળતો. તો બીજી તરફ એક  વૈજ્ઞાનિકનો જીવ, કશુંક સ્વયં નવું કરવાની સતત ઝંખના વિશે સજાગ હતો. આ બંને દ્વંદ્વો અલગ છતાં ક્યારેય નડ્યાં નથી. ઊલટાનું હું તો માનું છું કે હમેશાં મારા માટે પૂરક બનતા રહ્યાં છે.

અંતરમાં  રહેલા એ બીજમાં  અચાનક એક સવારે સળવળાટ થયો. એક પ્રેરણાદાયી ઘટના ઘટી જેને કારણે  ભીતરના સ્વપ્નને એક સંચાર મળતો અનુભવાયો. સાલ ૧૯૬૯. બીએસસી થઈ ગયા પછીનું એ વર્ષ. તે સમયના અમેરિકાના પ્રમુખ  (નં ૩૭ ) હતા મિ. રીચાર્ડ નિક્સન. તે અરસામાં ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર મિ.નીલ આર્મસ્ટ્રોંગ, તે પછીના ઍસ્ટ્રોનટ મિ. બઝ ઍલડ્રીન અને એક ત્રીજા હતા મિ. માઈક કોલીન્સ; આ ત્રિપુટીના અવકાશી અભિયાન ‘Apollo Moon Mission’ અંગે, અમેરિકાની યુએસ. ઍંમ્બેસીએ, ભારતના મુખ્ય અને મોટાં મોટાં શહેરોમાં પ્રદર્શન ગોઠ્વ્યું હતું. હજી તે સમય સુધી ઘરમાં કોઈ ટેલિવિઝન. ફોન, કાર, પંખા કે એવી બીજી કોઈ આધુનિક સવલતોવાળા સાધનો હતા નહિ. એક માત્ર મોટાભાઈએ ખરીદેલો, નાનો, જૂનો રેડિયો હતો, અને તે પણ ‘ઑલ ઈંડિયા રેડિયો’ પર આવતા સમાચારો સાંભળવા પૂરતો જ; જેથી કરીને જગતમાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહી શકાય. આ રેડિયો ઉપર જ્યારે એક દિવસ સમાચાર પ્રસારિત થતા સાંભળ્યા કે, તરત જ ભીતરમાં એક  અનોખી ઊર્જાત્મક ચીનગારી પ્રગટી.

        I was inspired to hear the words of Neil Armstrong “Houston, Tranquility base here, the Eagle has landed”! This inspired me to someday get involved in space related research and work in space programs. This created a  burning desire for me to aim for higher goals. I never imagined that years later I would live in Houston and work at NASA!

સહરાના રણ જેવી તરસ લઈને, તરત જ, મોટાભાઈ સાથે આ પ્રદર્શન જોવા માટે વડોદરાથી મુંબઈ ગયો.  અમેરિકન ઍમ્બેસી, દિલ્હી તરફથી યોજાયેલ આ પ્રદર્શનમાં અંતરીક્ષ યાત્રીઓને, તેમના કામને અને સાધનો વગેરેની દિલચશ્પ વિગતો જોવા, સાંભળવા, માણવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પણ એ મહેચ્છા પૂરી પાડી. ત્યાંથી પાછા આવતાં મન વિચારોને ઝોલે ચડ્યું. અંતરિક્ષ સંબંધિત સંશોધન અને કામ કરવા માટેનાં સ્વપ્નાઓનાં બીજને એક દ્રઢ સંકલ્પનો આકાર મળ્યો. એક જબરદસ્ત પ્રેરણા મળી.  એક એવી સભાનતા પણ હતી જ કે પોતે એક અતિ સાધારણ કુટુંબની વ્યક્તિ, કઈ રીતે અને ક્યાંથી પહોંચી શકાશે; છતાં પણ એ ક્ષણોને, એ પ્રેરણાને અને મળેલી એક ઝળહળ જ્યોતિને સતત નજર સામે રાખીને આગળ વધતો ગયો..

માસ્ટર્સ ડીગ્રીના અભ્યાસ તરફ મન એકાગ્ર કર્યું. એમાં જ્વલંત સફળતા મેળવી. ૧૯૭૨માં એમ.એસ. યુનિવર્સિટીમાં વિજ્ઞાન ફેકલ્ટીમાં પ્રથમ વર્ગ અને ઉચ્ચ વિશિષ્ટતા સાથે માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી પૂર્ણ કર્યા પછી તરત જ શિક્ષણ પદની ઓફર મળી. તે સમયે ઘણી સાહિત્યિક અને નાટક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થતું.. પરંતુ ધ્યાન પીએચડી કરવા પર જ રહ્યું હતું. જેથી યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શકાય. તે વર્ષો દરમિયાન, ડૉ. હોમી ભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. જે.જે. ચિનોય- તમામ ગુજરાતી વૈજ્ઞાનિકોના કામની પ્રેરણા મળી કે જેમણે ભારતને વિશ્વના નકશા પર મૂક્યું હતું. જો કે, MSU કેમ્પસમાં તે સમય દરમિયાનની બે સૌથી યાદગાર ઘટનાઓ હતી (a) ડૉ. એમ.એસ. સ્વામીનાથન- ભારતના કૃષિ સંશોધનના તેજસ્વી આર્કિટેક્ટ અને (b) મેડિસિનમાં નોબેલ પારિતોષિક વિજેતા, યુએસએ.ના ડૉ. હરગોવિંદ ખુરાના સાથે મુલાકાત થઈ કે જેમણે યુનિ.માં વ્યાખ્યાન આપ્યું હતું.

તે પછી Ecology વિષય પર  પીએચડીનું કામ શરૂ કર્યું.  અહીં એક સંઘર્ષ ઊભો થયો.  નિર્ધારિત સંશોધન કામ અંગે કોઈ સાધનો કે સગવડો ઉપલબ્ધ ન હતાં. હવે કરવું શું? તેથી પોતાની રીતે જાતે જ Ecology & Environmental Science શીખવા માંડ્યું અને એક પ્રોફેસરની સાથે મળીને સંશોધન શરૂ કર્યું..

યુનિવર્સિટીના યુવાન શિક્ષક તરીકે, MSU. કેમ્પસમાં “યુથ ઇકોલોજિકલ સોસાયટી- “YES” નામનું જૂથ શરૂ કર્યું હતું, જેથી યુવાનોને પર્યાવરણની સમસ્યાઓ, પ્રદૂષણ, અસ્વચ્છ જીવનની સ્થિતિ વિશે જાગૃત કરી શકાય અને તેમને પર્યાવરણને સ્વચ્છ રાખવા, પ્રદૂષણ ઘટાડવામાં સામેલ કરવામાં આવે. લોકોને સ્વચ્છ આરોગ્યપ્રદ જીવન જીવવામાં મદદ કરવાનો તે એક નાનો પણ સફળ પ્રયાસ હતો. આજે એ વાતની ખુશી છે કે ભારત હવે સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ છે. વર્ષો પહેલાંનો એ પ્રયાસ, સમય કરતાં આગળ હતો!

૧૯૭3-૭૪ના વર્ષની એક બીજી મહત્ત્વની વાત. તે સમયે એમ.એસ. યુનિ.ના ચાન્સેલર પોતાની કોલેજમાં એક વૈજ્ઞાનિકને બોલાવતા. તે રીતે Ecologyના નિષ્ણાત વૈજ્ઞાનિકને મળવાનું બન્યું. તે પછી તો. તેમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, સતત સંપર્ક ચાલુ રાખ્યો અને મનમાં એક મક્ક્મ નિર્ધાર કર્યો. પોતાના ખર્ચે, ટ્રેઈનનું ભાડું ખર્ચી વારાણસી ગયો.. એક મહિના સુધી કોઈને ઘેર પૈસા આપીને રહેવાનું નક્કી કર્યું અને બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ની લેબોરેટરીમાં જઈ ત્યાંના નિષ્ણાતો પાસેથી સંશોધનની  જુદી જુદી રીતો શીખ્યો. ત્યાંથી પાછા આવી વડોદરામાં એક રીસર્ચ laboratoryની સ્થાપના કરી. તે પછી ૧૯૭૭માં પીએચડીની પ્રથમ ડીગ્રી મેળવી. ગૌરવપૂર્વક કહેવાનું ગમે છે કે, મારી આ પહેલી પીએચડી. માતાને નામ.

ત્યારબાદ ૧૯૭૮માં an international research center તરફથી અમેરિકાની વેસ્ટ વર્જિનીઆની યુનિવર્સિટી તરફથી સંશોધનના કામ માટે આમંત્રણ મળ્યુ.


ક્રમશઃ