વિમલાતાઈ

નૂતન પર્વ થી આગળ

ચીન સાથેની લડાઈ પૂરી થઈ હતી અને નરેન મને હંમેશાં કહેતો, “બાઈ, મારે સૈન્યમાં જોડાવું છે.’ હું મારા એકના એક દીકરાને સેનામાં મોકલવા માટે અચકાતી હતી, તેથી હું તેને સંમતિ આપતી ન હતી. એક દિવસ તો તેણે જઈને સૈન્યમાં ભરતી થવા માટે નામ લખાવી દીધું. જ્યારે તેને ટ્રેનિંગ પર જવાનું આવ્યું ત્યારે મેં તેને આનંદથી વિદાય આપી. મેં કહ્યું, “મારો પુત્ર અફસર બનીને આગળ આવતો હોય તો તેના ભવિષ્યની આડે હું કદી નહિ આવું.’

પ્રથમ ટ્રેનિંગ માટે નરેનને પૂના જવાનું થયું. ત્યાં છ મહિનાનું પ્રશિક્ષણ પૂરું કર્યું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૬૪ના રોજ તેની જનરલ પરેડ હતી. આ પરેડ જોવા તેને ચાર પાસ મળ્યા હતા. તેમાંના બે પાસ અમારા માટે અને બે તેના ખાસ મિત્ર અને મિત્ર-પત્ની માટે મોકલ્યા હતા. નરેને મને અને સુધાને ખાસ બોલાવ્યાં હતાં, પણ જયુ તૈયાર થઈ ગઈ. તેથી હું, જયુ, નરેનનો મિત્ર સદાનંદ
અને તેની પત્ની એમ અમે ચાર જણાં ર૪મીએ રાતે અમદાવાદથી નીકળી રપમીએ પૂના પહોંચ્યાં. રસ્તામાં વડોદરા સ્ટેશને મીના, તેના પતિ શ્રીકાંત અને મોન્ટી અમને મળવા આવ્યાં હતાં. મોન્ટી તો મને જોઈને એવો વળગી પડ્યો કે કોઈ પણ હિસાબે મને છોડતો નહોતો. અંતે તેને રડતો મૂકીને અમારે જવું પડયું.

૨૬મી જાન્યુઆરીના રોજ પરેડ થઈ, ત્યાર બાદ નાસ્તા-પાણી. કેમ્પમાં એવી સારી વ્યવસ્થા હતી કે ન પૂછો વાત. રાતે ભોજનવિધિ અને અન્ય કાર્યક્રમ હતો. ત્યાર પછી કોફી અને બિસ્કિટ લઈ અમે જેમને ત્યાં ઊતર્યા હતાં ત્યાં ગયાં. આ લોકો સજજન હતા અને અમારી ઘણી સારી સંભાળ લીધી. બીજે દિવસે અમે અમદાવાદ જવા નીકળ્યાં. નરેનને એક મહિનાની રજા હતી, જે પૂરી થતાં તેને બીજી ટ્રેનિંગ માટે બરેલી જવાનું હતું. તેને જોઈએ તેવી બધી વસ્તુઓ મેં બાંધી આપી અને તેની જવાની પૂરી તૈયારી કરી. નવી નવી નોકરી હોવાથી નરેનને કેટલાક મહિના સુધી પગાર જ મળ્યો ન હતો, તેથી અમદાવાદનો ઘરખર્ચ સુધા જ ચલાવતી હતી. જ્યારે નરેનને પગાર મળવા લાગ્યો એટલે તેણે અમને પૈસા મોકલવાની શરૂઆત કરી. બરેલીની ટ્રેનિંગ પૂરી થયા બાદ નરેનને લેફ્ટેનન્ટનો હોદ્દો મળ્યો.

નરેન બરેલી હતો ત્યારથી તેનાં લગ્ન માટે ઘણા પ્રસ્‍તાવ આવવા લાગ્યાં હતાં, પણ નરેન તૈયાર ન હોવાથી અમને નકાર આપવો પડતો હતો. કેટલાક તો અમારાં સગાં-સંબંધીઓ તરફથી પણ પ્રસતાવ આવ્યા, આમાંનો એક પરદેશમાં રહેતા અમારા ભાણા તરફથી તેમની દીકરી માટે આવ્યો. તેમણે નરેનને પણ સીધો પત્ર લખ્યો હતો, પણ નરેને મને પૂછ્યું કે કન્‍યા કેવી છે. મેં જ તેને પત્ર લખ્યો કે તું આવીને જોઈ જા એમ કહી તેને અમદાવાદ બોલાવી લીધો. નરેન દસ દિવસની રજા લઈને અમદાવાદ આગ્યો. તેણે કન્યા જોઈ, તેની સાથે વાતચીત કરી અને લગ્ન માટે હા કહી. અહીં છોકરીવાળાઓ તાત્કાલિક લગ્ન લેવા માગતા હતા. નરેને કન્‍યા જોયાના ચોથા દિવસે તેમની મોટી દીકરીનાં લગ્ન લેવાઈ રહ્યાં હતાં તેથી કન્યાનાં સગાંઓએ બન્ને લગ્ન એકી સાથે પતાવી દેવા આગ્રહ કર્યો.
અમારા માટે આ શક્ય ન હતું. મારા એકના એક પુત્રનાં લગ્ન હતાં. મારે તેનાં લગ્ન ઘણી હોંશથી કરવાં હતાં. મારા પિયરનાં સગાંવહાલાંઓએ તો તેમાં હાજર રહેવું જોઈએ કે નહિ? કન્યાના પિતાએ રાહ જોવાની ના પાડી. અમે પણ તેમને કહ્યું કે આવી રીતે ઉતાવળ કરીને અમારે લગ્ન નથી કરવાં. તેમણે તેમની મોટી દીકરીનાં લગ્ન પતાવ્યાં અને અહીં નરેને તેના યુનિટમાં જવાની તૈયારી કરી. આ થતું હતું ત્યાં મરેન માટે બીજી એક જગ્યાએથી માગું લઈ કન્યાનાં મારી નરેનને અને અમને મળવા આવ્યાં. તેઓ વાતચીત કરતાં હતાં ત્યાં પ્રથમ પ્રસ્‍તાવવાળા નરેનને મળવા
આવી પહોંચ્યા. નરેનને મનાવીને તેઓ તેને પોતાને ઘેર લઈ ગયા અને વાતચીતને અંતે ૭મી ફેબ્રુઆરીએ લગ્ન લેવાનું નક્કી કર્યું.

નરેનની રજા પૂરી થતાં તે પાછો ગયો. લગ્ન માટે તે ફરીથી રજા લઈને આવવાનો હતો. વધૂ-વરપક્ષ તરફથી પરસ્પર વ્યવહાર કરવાની વાતો થઈ ગઈ. લગ્નની તારીખ નજીક આવી છતાં અમારી કશી જ તૈયારી થઈ ન હતી. નરેન રજા પર આગ્યો ત્યાર બાદ અમે તૈયારી કરવાનું શરૂ કર્યું. કંકોતરી છપાવી, મહેમાન આવ્યા અને ૧૯૬૫ની ૭મી ફેબ્રુઆરીની વહેલી સવારે નરેનનાં લગ્ન
લેવાયાં. પણ મારી જે પ્રકારની ધામધૂમથી લગ્ન લેવાની આકાંક્ષા હતી, જે ભાવના હતી તેમાંનું કશું જ ન થયું. કન્યાના પિતાને પાછા આફ્રિકા જવાનું હતું તેથી ઉતાવળે જેમતેમ લગ્ન પતાવી દીધાં. આમ તો બીજો પ્રોગ્રામ સારો થયો, પણ વર માતા તરીકેની જે મારી હોંશ હતી તે પ્રમાણે કશું જ ન થયું. તેમાં પણ કન્યાની મા પરદેશ હતી અને લગ્ન માટે આવી શક્યાં ન હતાં, તેથી વિધિપુરઃસરની રસમ કોણ પૂરી કરે? મારી મરજી કે હોંશ પૂરા ન થયા, પણ મેં તેમાં સુધ્ધાં સમાધાન માની આનંદ માણ્યો. લગ્નમાં ખર્ચ પણ ઘણો થયો, પણ મને મારી પોતાની કહી શકાય તેવી પુત્રવધૂ મળી! લાંબા સમયથી મેં વહુની રટ લગાવી હતી, તેના ફળસ્વરૂપે મારા ઘરમાં લક્ષ્મી આવી. અમારી રસમ પ્રમાણે નરેને તેનું નામ અનુરાધા રાખ્યું. હું તેને અનુ કહીને બોલાવવા લાગી.

નરેનનો યુનિટ ઝાંસી ખાતે હતો, અને લગ્ન પછી ત્યાં જવાનો હતો. તેણે મને સાથે જવાનો ઘણો આગ્રહ કર્યો, પણ સુધાનાં લગ્ન નક્કી થયાં હતાં તેથી તેને એકલી મૂકીને મારાથી જવાયું નહિ.

સુધાએ પોતાનાં લગ્ન તેમના ઘરની સામે રહેનારા જે યૂવાન સાથે નકકી કર્યા હતાં તેમાં તેનાં માતાપિતાનો કટ્ટર વિરોધ હતો. વળી તેઓ સમાજના આગેવાન હોવાથી અમારા પાડોશીઓએ તેમનો સાથ આપી બાઈ અને તેમનાં બાળકો માટે લગભગ બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી કરી હતી. એટલું જ નહિ, પણ રવિ, જેનો જીવ બયાવવા બાઇએ પોતાની અર્ધી ઉપરાંત બચત આપી હતી, તેની આગેવાની નીચે તેના સ્થાનિક મિત્રો બાઈના કટ્ટર વિરોધી બની ગયા હતા. આવી હાલતમાં બાઈ સુધાને અને જયુને એકલાં મૂકી ઝાંસી જઈ શક્યાં નહિ. વળી સુધા નોકરી કરતી હતી અને જયુ કોલેજના બીજા વર્ષમાં હતી. -સંપાદક

નરેન અનુને લઈ ગયો ત્યારે તેની બટાલિયન ઝાંસીમાં હતી. ત્યાં જઈને બે-ત્રણ મહિના થયા હશે ત્યાં અચાનક લડાઈ શરૂ થઈ ગઈ, તેથી તેને અનુને એકલી ઝાંસી મૂકી લડાઈને મોરચે જવું પડયું. એપ્રિલમાં અનુ નરેનના ઓર્ડરલી સાથે અમદાવાદ આવી. દેશની સીમા પર તો ખૂનખાર લડાઈ ચાલી રહી હતી અને તેમાં નરેન સાવ મોખરા પર હતો. અમે તો એવા રડતાં હતાં કે ન પૂછો વાત. મને તો જરા પણ ચેન પડતું નહોતું. રાતદિવસ હું દત્તાત્રેયનો જાપ કરતી હતી. લડાઈના આઠ દિવસ સુધી નરેનના કોઈ સમાચાર નહોતા. વહુ તો બિચારી હાલમાં જ લગ્ન કરીને પતિગ્ર્હે આવી હતી. તેનાં માતાપિતા અને પરિવાર આફ્રિકામાં હતો. અનેક સૈનિકો અને અફસરો મૃત્યુમુખે પડી રહ્યા હતા. લડાઈની આ ભયાનક અસરનો ડર અમને સૌને સતાવી રહ્યો હતો. એક વાર તો નરેને આખી બટાલિયનને બચાવી હતી. મૃત્યુથી તે કદી ડર્યો નહિ અને મારી ફૂખને તેણે કદી લજાવી નહિ. એક વીર પુત્રની માતા તરીકે મને કેટલું ભૂષણ લાધ્યું અને એક શૂરવીરની પત્ની તરીકે અનુએ કેટલું ગૌરવ અનુભવ્યું હરે તેનું વર્ણન કરી શકતી નથી.

એક રાતે મોરચા પરથી તાર આવ્યો. અમે અત્યંત ગભરાઈ ગયાં. કોણ જાણે તારમાં શા સમાચાર હશે તેની આશંકાથી અમે વ્યગ્ર થઈ ગયાં. ઈશ્વરની કૃપાથી તારમાં નરેનની સલામતીના સમાચાર હતા. મેં ભગવાનને પેંડાનો પ્રસાદ ચઢાવ્યો.

વીસબાવીસ દિવસ પછી લડાઈનું જોર ઓછું થયું અને જૂન મહિનામાં હા-ના કરતાં કરતાં સુધાનાં લગ્ન પતાવ્યાં. સુધાનો પતિ ડૉકટર હતો અને મીનાની જેમ તેણે પણ સ્નેહલગ્ન કર્યા હતાં. લગ્નમાં તેનાં સાસરિયાંનો વિરોધ હોવાથી તેમણે તેને સ્વીકારી નહિ, તેથી લગ્ન પછી પણ તેને મારી પાસે જ રહેવું પડયું. અનુ ઝાંસી ગયા બાદ તરત ગર્ભવતી થઈ હતી. તેનો પ્રસૂતિકાળ નજીક આવતાં તેની મોટી બહેન જે બેળગાંવ રહેતી હતી, તેણે અનુને ડિલિવરી માટે પોતાને ત્યાં બોલાવી. એટલામાં લડાઈ પણ બંધ થઈ હતી અને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થપાતાં «રેન દસ દિવસની રજા લઈ ઘેર આવ્યો. અમે બધાં તેનું સ્વાગત કરવા સ્ટેશન પર ગયાં હતાં. તે ટ્રેનમાંથી ઊતરતાં અમે તેને હાર પહેરાવ્યો. મારો દીકરો લડાઈ જીતીને પાછો આવ્યો હતો. તેણે લડાઈનું વર્ણન કર્યું અને મોરચાની જે વાતો કહી તે સાંભળીને અમારાં ચિત્ત થરથરી ગયાં. યુદ્ધની યાદગીરી તરીકે તેણે યુદ્ધના મેદાનમાં તેની બટાલિયન પર વરસેલા બોમ્બના ધારદાર, મોટા અને એક એક
કિલો વજનના ભારે ટુકડા જોઈ મારા મનમાં તો કાંઈનું કાંઈ થઈ ગયું. દસ દિવસ કેવી રીતે વીતી ગયા તેની ખબર પણ ન રહી. જતાં પહેલાં નરેને તેના મિત્રોને અને અમને સૌને સુંદર પાર્ટી આપી અને ત્યાર બાદ અનુને બેળગાંવ મૂકી નરેન પાછો પંજાબ ગયો.

બે મહિના બાદ અનુની ડિલિવરી થઈ જેમાં તેને ઘણી તકલીફ થઈ. તેનું ઓપરેશન કરવું પડયું, પણ તેને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી સમયસર સારો ઉપચાર થયો અને તેનો જીવ માંડ માંડ બચ્યો. અનુને કન્યારત્ન પ્રાપ્ત થયું. મારા માટે તો પૌત્ર કે પૌત્રી, બધું સમાન હતું. અહીં સુધા પણ ગર્ભવતી હતી. તારકંદની સંધિ થયા પછી થોડા દિવસ બાદ સુધા પણ પ્રસૂત થઈ અને તેને પુત્ર આવ્યો. તેનાં સાસુ-સસરા હવે ઘણાં ખુશ થઈ ગયાં અને આખા લત્તામાં તેમણે પેંડા વહેંચ્યા. મેં પણ મારી પૌત્રીના આગમનની ખુશીમાં બરફી વહેંચી અને દોહિત્ર માટે પેંડા. સુધાનો પુત્ર દોઢ મહિનાનો થયો ત્યારે તેનાં સાસુ પોતે અમારે ઘેર આવ્યાં અને સુધાને અને તેના પુત્રને લઈ સૌપ્રથમ મંદિર ગયાં અને ત્યાર પછી સ્વખુશીથી પોતાને ઘેર લઈ આવ્યાં. આ પહેલાં તો તેઓ સુધા સાથે વાત પણ નહોતાં કરતાં. સુધાએ અને તેમના પુત્રે પોતે જ લગ્ન કર્યા હતાં તે તેમને નહોતું ગમ્યું. આમ છતાં સુધાને લઈ ગયા બાદ તેમણે સુધાને દીકરીની જેમ રાખી. ત્યાર પછી તેમણે

પૌત્રનો નામકરણવિધિ ઘણી ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક ઊજવ્યો. મેં મારા દોહિત્ર માટે અમારી પરંપરા મુજબ “બાળંત-વીડા’ – જેમાં નવજાત શિશુ માટે મારા હાથે બનાવેલ ઊનનો સેટ, સુંદર ભરતકામ કરેલ નાનકડી રજાઈ, ટચૂકડું ઓશીકું, સોનાનો રઇ તથા ચાંદીની જણસ મૂડી હતી તે ભેટ તરીકે મોકલ્યાં. સમારંભમાં ભાગ લેનારા બધા લોકોએ તેનાં ઘણાં વખાણ કર્યા. સુધાનાં લગ્નમાં મારાથી જે બન્યું તે આપ્યું તેવું જ મેં તેના બાળકના નામકરણવિધિ વખતે આપ્યું.

બે-એક મહિના બાદ નરેનને રજા મળતાં તે અનુ તથા મારી વડાલી પૌત્રીને લઈ ઘેર અમદાવાદ આવ્યો. મારી પૌત્રીનો નામકરણવિધિ પણ મેં ખૂબ ભવ્ય રીતે ઊજવ્યો. આ વખતે નરેનને બે મહિનાની રજા હતી અને તે પૂરી થતાં જયુ અને હું પણ તેની સાથે જવાનાં હતાં તેથી અમે જવાની તૈયારીમાં પડી ગયાં. અમે અમારું મકાન ખાલી કરીને જવાનાં હતાં તેથી જે સામાન સાથે લઈ જવાના ન હતાં તેની વ્યવસ્થા કરવાની હતી. અમે આલતુફાલતુ સામાન માળિયા પર ચઢાવી દીધો. સારો સામાન તથા ફર્નિચર મીનાને ઘેર રાખ્યાં અને અમારું મકાન ભાડે આપ્યું. મીનાનો મોન્ટી મારો ઘણો હેવાયો થયો હતો. તેને મૂકી જતાં મને ઘણું દુ:ખ થયું હતું. મેં તેને તેની માતાની જેમ જ સાચવ્યો હતો અને તેની માંદગી,સ્વસ્થતા – બધાંમાં હું તેની સાથે હતી, તે દસ દિવસનો હતો ત્યારથી હું તેને સંભાળતી હતી, તેથી તેને મૂકી જતાં મને ઘણું વસમું લાગ્યું હતું. સુધાના પુત્ર સાથે એટલી માયા બાંધી « શકાઈ તેનો તો જન્મ થતાં જ તેનાં દાદા અને દાદીમા તેને લઈ ગયાં હતાં. મોન્ટી તો અષ્ટપ્રહર મારી સાથે જ રહેતો હતો. તેને મૂકીને ગયા બાદ તેણે મીનાને ઘણી હેરાન કરી.

૧૯૬૬ના મે મહિનાની ૧૧મી તારીખે અમે અમદાવાદ છોડયું. પહેલાં અમે જલંધર સ્ટેશન પર ઊતર્યા અને ત્યાંથી મિલિટરીની ગાડીમાં બેસી કરતારપુર નામના ગામે ગયાં.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com