ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

સવા બે વર્ષ પહેલાં ૩ જૂન ૨૦૨૩ ના રોજ ગીતકાર શૈલેંદ્રની ગઝલોથી શરૂ થયેલી આ લેખમાળા આજે ૧૨૧ માં હપ્તામાં ઉર્દુ ગઝલના સર્વોચ્ચ શિખર એવા મિર્ઝા ગાલિબની ફિલ્મી ગઝલોથી અંતિમ મુકામ પર પહોંચે છે. ત્યારથી આજ લગી આ શ્રુંખલા દર શનિવારે અવિરત ઈ – મેગેઝીન ‘ વેબગુર્જરી ‘ માં અઠવાડિક પ્રકાશિત થતી રહી છે. લેખમાળા શરૂ કરતાં પહેલાં એના આગાઝ અને અંજામના કવિઓ – શૈલેંદ્ર અને મિર્ઝા ગાલિબ  મુકર્રર હતાં પરંતુ એ બન્ને વચ્ચે ૧૧૯ કવિઓને આવરી લેવાશે એ અંદાજ નહોતો. ઉત્ખનન થતું ગયું અને સફરમાં એવા – એવા કવિઓ અને એમના દ્વારા રચિત ગઝલો મળતાં ગયા જેમાંના ઘણાના નામ અને કામ વિષે હું સાવ અપરિચિત હતો. શરુઆતના કવિઓની ઘણી ગઝલો ઉપલબ્ધ હતી એટલે દરેકની બબ્બે ગઝલો પસંદ કરી શકાઈ પરંતુ આગળ જતાં એવા કવિઓ આવ્યા જેમની એક ગઝલ પણ મુશ્કેલીથી મળી. છેક અંતે તો એવા કવિઓ જેમની એક ગઝલ સિવાય કશું ઠામ – ઠેકાણું જ નહીં !

પહેલેથી નક્કી કર્યું હતું કે જે શાયરોએ ફિલ્મોમાં ગઝલો આપી હોય ( પછી એ ગઝલો લોકમાનસમાં ગઝલ તરીકે પ્રસ્થાપિત હોય કે ન હોય ! ) એમનો જ આ લેખમાળામાં સમાવેશ કરવો. વળી ૮૦ ના દાયકા પછીની ફિલ્મોના સંગીતમાં મને અંગત રીતે ઝાઝો રસ નથી અને જાણકારી પણ નથી એટલે એ સમયગાળા પછીની ફિલ્મો અને ગઝલકારોને બાકાત રાખ્યાં છે. એ મારી મર્યાદા છે અને એનો સ્વીકાર છે. ઉપરોક્ત મર્યાદાને કારણે નીરજ અને કવિ પ્રદીપ જેવા માતબર ગીતકારો અહીં લઈ શકાયા નથી. સામે પક્ષે ભરત વ્યાસ, નરેંદ્ર શર્મા, પંડિત ઈંદ્ર જેવા એ ગીતકારો કે જેમણે ગઝલ રચી હોય એવી કલ્પના પણ નહોતી એ આ શૃંખલામાં સામેલ છે.

ફિલ્મોની શરુઆતથી અત્યાર લગી બહુ ઓછા સ્ત્રી ગીતકારો ફિલ્મોમાં આવ્યા છે. એમાંય ગઝલ આપનારા નહીંવત્. એટલે સમયગાળામાં છૂટછાટ રાખી ૧૯૯૦ માં આવેલા અને આ લેખમાળાના એકમાત્ર એવા સ્ત્રી ગીતકાર રાની મલિક અને એમની ગઝલો સમાવિષ્ટ કરી છે.

ઘણા ગીતકારો એવાં છે જેમનું હિંદી ફિલ્મોમાં પ્રદાન નહીંવત્ છે પરંતુ ઉર્દુ જગતમાં એમની પ્રતિષ્ઠા અને દરજ્જો માતબર છે. એમાંના ઘણાને તો ફિલ્મી ગીતકાર કહેવા એ એમની શાનની તૌહીન જેવું ભાસે ( જેમ કે આ હપ્તામાં લીધેલા મહાન શાયર ગાલિબ ) પરંતુ ફિલ્મોમાં એમની ગઝલો લેવાઈ એ હકીકત હોઈ એમને સામેલ કર્યા છે.

મારી છાનબીનનું ફલક મારી અંગત જાણકારી ઉપરાંત ઈંટરનેટ અને અમુક વિશ્વસનીય સાઈટ્સ જ હોઈ એવું બનવાનો સંભવ છે કે ફિલ્મોમાં ગઝલ લખનાર કોઈક ગીતકાર ધ્યાનમાં ન આવ્યા હોય અથવા કેટલાકની એકાધિક ફિલ્મી ગઝલ હોવા છતાં એક જ ધ્યાને ચડી હોય. વળી કેટલીક ગઝલો એના ત્રુટિપૂર્ણ ઓડિયો રેકોર્ડીંગને સાંભળીને લખી હોવાથી એ શબ્દોમાં અધૂરી કે ક્ષતિપૂર્ણ હોઈ શકે. એ ક્ષમસ્વ ગણવું !

આટલા દીર્ધ ઉપસંહાર બાદ વાત કરીએ આ શ્રુંખલાના અંતિમ શાયર મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની.

ગાલિબ જ એક એવા શાયર છે જેમનું મોટા ભાગનું લેખન ગઝલ સ્વરૂપે થયું. એમની ગઝલો સમાપન – મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબ ફિલ્મ જેવા લોકપ્રિય માધ્યમમાં અભિવ્યક્તિ માટે ભારી પડે. એમની મોટા ભાગની રચનાઓ ક્લિષ્ટ અને ઉર્દુપ્રચૂર છે. અનેક રચનાઓ એવી જેના અઘરા શબ્દોના અર્થ જાણ્યા બાદ પણ અર્થ સાંપડે નહીં. અર્થઘટન પણ ભાવક પ્રમાણે અલગ અલગ ! કયા પ્રતિષ્ઠિત ગાયકે એમની રચનાઓ નથી ગાઈ ! રફી, લતા, આશા, તલત, મુકેશ, મેંહદી હસન, જગજીત, ચિત્રા, શુભા મુદ્ગલ, સી એચ આત્મા, સાયગલ, આબિદા પરવીન, અલી ઝફર, હરિહરન, બેગમ અખ્તર, ગુલામ અલી, મલિકા પુખરાજ, રાહત ફતેહ અલી ખાન, અહમદ – મોહમ્મદ હુસૈન સહિત લગભગ બધાએ ! એમના જીવન પરથી  સોહરાબ મોદીએ ૧૯૫૪ માં બનાવેલી ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં તલત મહેમૂદ અને સુરૈયાએ સોલો અને યુગલ ગીત સ્વરૂપે એમાંની સાત ગઝલ ગાયેલી. એક ગઝલ રફીએ પણ ગાયેલી. ( એ ફિલ્મમાં શકીલ બદાયુનીના લખેલા ત્રણ ગીત પણ હતા ! )

ગુલઝારે ૧૯૮૮ માં બનાવેલી ટીવી સિરિયલ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં પણ જગજીત – ચિત્રા અને ભૂપિંદર સહિત બીજા ગાયકોએ ગાયેલી એમની ગઝલો અને છૂટાછવાયા શેર ડગલે ને પગલે છે.

ફિલ્મોમાં ગાલિબે રચેલી ગઝલોના સૌપ્રથમ સગડ ૧૯૩૩ ની ફિલ્મ ‘ યહૂદી કી લડકી ‘ માં મળે છે. એ ફિલ્મમાં સાયગલે એમની ગઝલ ‘ નુકતા ચીં હૈ ગમે દિલ ઉસકો સુનાએ ન બને ‘ ગાયેલી. ૧૯૪૦ ની ફિલ્મ ‘ કૈસ ‘ માં પણ કોઈ અજ્ઞાત ગાયકે એમની ગઝલ ‘ રહિયે અબ ઐસી જગા ચલ કર જહાં કોઈ ન હો ‘ ગાયેલી. એ પછી અલગ અલગ ગાયકો દ્વારા ‘ કશ્મીર હમારા હૈ ‘ ( ૧૯૫૦ ), અપના દેશ ( ૧૯૪૯ ), મૈં નશે મેં હું ( ૧૯૫૯ ), ઘાયલ ( ૧૯૫૦ ), લાલાજી ( ૧૯૪૨ ), માસૂમ ( ૧૯૪૧ ), ગાઝી સલાઉદ્દીન ( ૧૯૩૯ ), સરાય કે બાહર ( ૧૯૪૭ ) અને તાજેતરના વર્ષોમાં રાજધાની એક્સપ્રેસ ( ૨૦૧૩ ) અને હવાઈઝાદા ( ૨૦૧૫ ) માં ગાલિબની ગઝલોનો સમાવેશ થયેલો.

એમની ફિલ્મોમાં લેવાયેલી વીસેક ગઝલોમાંથી ત્રણના અલ્ફાઝ જોઈએ :

નુક્તા ચીં હૈ ગમે દિલ ઉસકો સુનાએ ન બને
ક્યા બને બાત જહાં બાત બનાએ ન બને

મૈં બુલાતા તો હું ઉસકો મગર ઐ જઝ્બ – એ – દિલ
ઉસ પે બન જાએ કુછ ઐસી કે બિન આએ ન બને

બોજ વો સર પે ગિરા હૈ કે ઉઠાએ ન ઉઠે
કામ વો આન પડા હૈ કે બનાએ ન બને

ઈશ્ક પર ઝોર નહીં હૈ યે વો આતિશ ‘ ગાલિબ ‘
કે લગાએ ન લગે ઔર બુઝાએ ન બને

 

– ફિલ્મ : યહૂદી કી લડકી ૧૯૩૩
– કુંદનલાલ સાયગલ
– પંકજ મલિક

(મૂળ ગઝલ નવ શેરની છે. એમાંના આ બંદિશમાં લેવાયેલા ચાર શેર અહીં લીધા છે. આ જ ગઝલ ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ માં સુરૈયાના કંઠમાં છે.)

 

યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા
અગર ઔર જીતે રહતે યહી ઈંતઝાર હોતા

યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા

તેરે વાદે પે જિયે હમ તો યે જાન જૂટ જાના
કે ખુશી સે મર ન જાતે અગર ઐતબાર હોતા

– ફિલ્મ : મૈં નશે મેં હું ૧૯૫૯
– ઉષા મંગેશકર
– શંકર જયકિશન

( મૂળ ગઝલ નવ શેરની છે. ફિલ્મના ગીતમાં માત્ર આ ત્રણ શેર લેવાયા છે.)

 

કોઈ ઉમ્મીદ બર નહીં આતી
કોઈ સૂરત નઝર નહીં આતી

મૌત કા એક દિન મુઅય્યિન હૈ
નીંદ કયું રાત ભર નહીં આતી

આગે આતી થી હાલે દિલ પે હંસી
અબ કિસી બાત પર નહીં આતી

હમ વહાં હૈં જહાં સે હમ કો ભી
કુછ હમારી ખબર નહીં આતી

મરતે હૈં આરઝૂ મેં મરને કી
મૌત આતી હૈ પર નહીં આતી..

– ફિલ્મ : અપના દેશ ૧૯૪૯
– પુષ્પા હંસ
– પુરુષોત્તમ

( મૂળ ગઝલ દસ શેરની છે. ફિલ્મમાં લેવાયેલા પાંચ શેર અહીં રજુ કર્યા છે. ગઝલ ગાયિકા પુષ્પા હંસ ફિલ્મના નાયિકા પણ હતા. )

આ શ્રૃંખલા જતનપૂર્વક આટલા લાંબા સમયથી વાંચનાર સર્વે ભાવકોને પણ હૃદયપૂર્વક ઋણી છું.

અંતમાં  ઈ – મેગેઝિન ‘ વેબગુર્જરી અને એના સંપાદકોનો આભાર કેમ ભૂલાય ? એ મિત્રો સક્ષમ ભાવકો પણ છે. હૃદયપૂર્વક આભાર !


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


આ લેખમાળાના બધા મણકા, ફિલ્મી ગ઼ઝલોનું અનોખું વિશ્વ પર ક્લિક કરવાથી  એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.