ડૉ. નાનકભાઈ ભટ્ટ

વહેતા પાણીમાં બીજાની વહારે જનારને સમાજ શૌર્ય શિરપાવ આપે છે. પરંતુ એ જ વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ જાય તો તેને મૂરખ ગણવામાં આવે છે. ‘એન્ડ ઇઝ વેલ એવરીથીંગ ઇઝ વેલ’ની આપણી મનોવૃત્તિ ઇતિહાસને પણ વર્તમાનના અનુકૂલનની ફુટપટ્ટીથી માપતી રહી છે. અને આ જ તો અયોગ્ય છે. આ વાત સ્વતંત્રતા અને મહાત્મા ગાંધીના યોગદાન સંબંધે પણ તપાસવા જેવી છે.

છેલ્લાં ૮-૧૨ વર્ષમાં ગાંધી વર્સિસ ગોડસે, વીર સાવરકર, હરીલાલ, રીટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા અને હવે ફ્રિડમ ઓફ મિડ નાઇટ પ્રકારની ફિલ્મો દ્વારા દર્શકો વચ્ચે એવું પ્રતિપાદિત કરવાનો ભરપૂર રાજકીય પ્રયત્ન થઈ રહ્યો છે કે “પાકિસ્તાન ગાંધીની વિચારસરણી અને જીદનું ફરજંદ છે. મોહનદાસની ભૂલોના પરિણામે આજે હિંદુ-મુસલમાન, એવું વૈમનસ્ય વિકસ્યું છે.”

ભારતના ઇતિહાસની પૃષ્ઠભૂમિથી મહાત્મા ગાંધી વિષયે ઊભા થતાં નેરેટિવ્સ (વ્યર્થ ખ્યાલ)ને તપાસીએ તો વર્ષ ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોધીને હરાવી આજના ઉઝબેકીસ્તાનના તૈમુર રાજવંશના રાજા બાબરે મરાઠા, રાજપૂતો અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે મુઘલ વંશની સ્થાપના કરી. એટલું જ નહીં પણ વિજ્ઞાન, સમાજરચના, અર્થવ્યવસ્થા, સંશોધન વિચારના પુરાવા સમાન ૩૦૦૦થી વધુ હસ્ત લિખિત ગ્રંથો ઝૂંટવી  લેવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. સાંસ્કૃતિક  વિરાસતનાં દસ્તાવેજ જેવાં નાનાં મોટાં ૧૪૦૦૦ સ્મૃતિ મંદિરો ખંડિત કરવામાં આવ્યાં, તોડી પાડવામાં આવ્યાં.

વેદ, ઉપનિષદ અને રામાયણ મહાભારતની પરંપરા સાથે જીવતા હિંદુ સમાજ ઉપર આ પ્રથમ પ્રહાર હતો. જેના ઘાવ મોગલવંશની ૪૦૦ વર્ષની ગુલામીએ રૂઝાવા દીધા ન હતા. તે પછી વર્ષ ૧૭૫૭ થી ૧૯૪૭ સુધી અંગ્રેજોએ પોતાના આર્થિક લાભ ખાતર દેશમાં ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિ અપનાવતાં દેશ દારૂણ ગરીબી, નિરક્ષરતા અને વર્ગભેદના વમળમાં રહ્યાનું ઇતિહાસ કબૂલે છે. અહીં એ હકીકત તો બિલકુલ સ્પષ્ટ છે કે ગાંધીજીના અસ્તિત્વ પહેલાં જ હિંદુ અને મુસલમાન તેવી સમાજ- વ્યવસ્થામાં દેશ વૈચારિક રીતે વિભાજિત થઈ ગયેલો. અંગ્રેજ પત્રકાર લુઇ ફિશર પોતાની નોંધમાં લખે છે-

“હિંદના ભાગલાની બાબતમાં મુસલમાન નેતાઓને જ વધારે રસ હતો. ગાંધીએ જીન્હાને કહ્યું, આપણે બંને હિંદુસ્તાન માટે સ્વરાજ માગ્યો ત્યારે જીન્હાએ સ્પષ્ટ કહ્યું, અમે મોગલના વંશજ છીએ. અમારા માટે પાકિસ્તાન એ જ સ્વતંત્રતા છે.” લુઇ ફિશરના પ્રશ્ર્નના જવાબમાં ગાંધીજી કહે છે, “ક્રિપ્સ યોજનાએ હિંદુ મુસલમાન વચ્ચે અળગાપણું વધાર્યું છે. પ્રત્યક્ષ વ્યવહારમાં પણ અંગ્રેજ હકુમતે બે કોમને વહેંચી નાખી છે. પરંતુ દરેક મુસલમાન જો પોતાના કુટુંબનો ઇતિહાસ તપાસતાં ભૂતકાળમાં પૂરો ઊંડો ઊતરશે તો તેને કોઈ હિંદુ પૂર્વજનું નામ મળ્યા વિના રહેશે નહીં. દરેક મુસલમાન ઇસ્લામમાં ગયેલો હિંદુ જ છે. આથી કોઈ જુદી પ્રજા કે જુદું રાષ્ટ્ર પેદા ન થઈ શકે. હિંદુસ્તાન એ સહિયારી સંસ્કૃતિ છે.” ચંપારણ સત્યાગ્રહ સમયે પણ ગાંધીજીએ કહ્યું, “મારે મન દેશના સીમાડાઓ અર્થહીન છે. મારા હિંદમાં ગરીબ માણસનું આર્થિક સ્વાવલંબન સ્વરાજ્ય છે.”

આવા સ્પષ્ટ અભિપ્રાય છતાં પણ દેશના સીમાડાઓ તૂટ્યા અને વિઘટન થયું ત્યારે બંને કોમની અસંખ્ય સ્ત્રીઓ-બાળકો અને યુવકો કપાયાં. કૉંગ્રેસ અને ગાંધી લગભગ લાચાર સ્થિતિમાં રહ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટે માઉન્ટ બેટનના સહારે કરોડો નાગરિકોને રઝળાવ્યા.

ઇતિહાસ નોંધે છે કે બીજું વિશ્ર્વયુદ્ધ અને છેક આંદામાન સુધી પહોંચી ગયેલ જાપાનનું લશ્કરી શાસન, સુભાષબાબુનું સ્થળાંતર અને જર્મનીથી ઊભી થયેલ નવી ગુલામ શાસન વ્યવસ્થા, ૨૬૮ રજવાડાઓની સ્વાયત્ત સત્તાની કપટનીતિ, મોગલ સામ્રાજ્ય તરફ વળવાની મુસ્લિમ લીગની રાજનીતિ, અત્યંત ગરીબ, રોગિષ્ઠ, અશિક્ષિત ભારતની પૃષ્ઠ ભૂમિ, બ્રિટન સરકારની અમાનવીય શોષણ નીતિ, બહુ મોટા ખેડૂત વર્ગમાં પ્રચલિત થઈ રહેલ અને અંગ્રેજો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી અફીણની ખેતી, કૉંગ્રેસના સદસ્યોની સત્તાલાલસા વગેરે પ્રશ્ર્નો આપણી સામે હતા.

કેન્સરની બીમારી વચ્ચે ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી બે વખત નિષ્ફળ ગયેલ. ગોળમેજી પરિષદ જેવાં રાજકીય, આર્થિક સામાજિક સીમાવર્તી ભયસ્થાનોના વમળમાંથી બહાર નીકળી દેશને અરાજકતા છતાં પણ નોધારો છોડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ પણ ઠરાવ કરી ચૂકી હતી ત્યારે બ્રિટનના અખબાર મોર્નિંગ પોસ્ટે તંત્રીલેખમાં નોંધ્યું છે કે “ભારતની સ્વતંત્રતાનું શ્ર્વેત પત્ર ખરેખર તો ભાગીદારીનું કરારનામું નથી પણ ભાગી છૂટવાની સમજૂતી છે.”

વર્ધા આશ્રમમાં જૂન ૧૯૪૨માં ગાંધીજી સાથે એક સપ્તાહ રહેનાર લુઇ ફીશર દિલ્હીના વાઇસરોય લોર્ડ લીનલીથગોને ટાંકી નોંધે છે કે ગાંધી એ હિંદુસ્તાનની મોટામાં મોટી હસ્તી છે આમ છતાં તેમની પાસે અખંડભારતને છોડવા સિવાય કોઈ ઉપાય નથી રહેવાનો.

– ડૉ. નાનકભાઈ ભટ્ટ, મો.: ૯૮૯૮૪૬૩૪૮૯


ભૂમિપુત્ર : ૧૬ માર્ચ, ૨૦૨૫