જુલાઈ  મહિનો એટલે ત્રણ મહાન કવિઓના જન્મનો મહિનો.

મનોજ ખંડેરિયાજુલાઈ ૬, ૧૯૪૩
અવિનાશ
 વ્યાસ જુલાઈ ૨૧ ૧૯૧૨ અને

 ઉમાશંકર જોશીજુલાઈ ૨૧ ૧૯૧૧

ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા એટલે ગુજરાતી ગઝલનું ગિરિશિખરઃ

કવિ શ્રી ઉમાશંકર જોશી એટલે જેમની લેખિનીનો પારસ  જ્યાં અડે એ સોનું થઈ જાય એવા યુગદ્રષ્ટા કવિ.. અને અવિનાશ વ્યાસ એટલે જેમણે સંગીતની કંકાવટીમાં કલમને બોળીને, ગુજરાતના વિશાળ ભાલે અણમોલ ગીતોના ચાંદલા કર્યાં છે તે કવિ અને સંગીતકાર.

આજે એક યાદગાર કવિતા શ્રી ઉમાશંકર જોશીનીઃ

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવી સેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !