તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે… ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, બાવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પં. સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે… માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.
માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? ૧૯૭૭-૭૮માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.
બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઈતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા: બાકી, પ્રો. નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત. અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રો. સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે.
વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા: લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી. કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા. એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા.
દર્શક અને સાથીઓ સંગાથે ૧૯૩૮થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાંય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.
હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા. સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો.
૧૯૭૭-૭૮ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં- અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપનેય શીખવવાનું ન ભૂલશો.
બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું. એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ. ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો… ગામ પોતે જ જાણે કે શાળા! હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
