પ્રકૃતિની પાંખો
હીત વોરા
દર વર્ષે, સૂકી ધરતી ફરી શ્વાસ લેવાનું શરૂ કરે તે પહેલાં, ગરમ ભારતીય ઉનાળાની શાંતિમાં એક તીક્ષ્ણ, પણ મધુર અવાજ ગુંજી ઊઠે છે – “પિઉ-પિઉ… પિઉ-પિઉ…” આ અવાજને ખેડૂતો, કવિઓ અને પક્ષી પ્રેમીઓએ એક સંકેત તરીકે ઓળખવાનું શીખી લીધું છે: કે વરસાદ નજીક છે.
આ અવાજ પાઇડ કકૂ નો છે અને ગુજરાતીમાં તેને ચાતક કહે છે, જે એક આકર્ષક કાળું અને સફેદ પક્ષી છે – જે ઘણીવાર તેની પાંખો પર સફેદ રંગના ઝબકારા સાથે આકાશમાં ઉડતું જોવા મળે છે.
જ્યારે આકાશ ચોમાસાના વાદળોથી ભરેલું હોય છે, ત્યારે આ પક્ષી પોતાની પૂર્વ આફ્રિકાથી ભારત સુધીની સફર કરે છે, ભારતખંડ તરફની વરસાદી હવાઓનો પીછો કરે છે. તેના આગમન સાથે શરૂ થાય છે વાર્તાઓ, પ્રાચીન ગીતો યાદ આવે છે, અને સૂકી ભૂમિ વરસાદના વચનની રાહ જુએ છે.

ભવ્ય દેખાતા હોવા છતાં, ચાતક પોતાનો માળો પોતે બનાવતા નથી કે પોતાના બચ્ચાંને ઉછેરતા નથી. તેના પિતરાઇ ભાઇ જેવા, એશિયન કોયલ – જે અજાણ કાગડાના માળામાં ઇંડા મૂકવા માટે પ્રખ્યાત છે – ની જેમ પાઇડ કુકૂ પણ એક બ્રૂડ પેરાસાઇટ છે. આનો અર્થ એ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં તેના ઇંડા મૂકે છે, ખાસ કરીને જંગલી લાલેડા (Jungle Babbler), જે ચાતકના બચ્ચાંને પોતાના બચ્ચા તરીકે ઉછેરે છે. ઘણા લોકો કોયલ-કાગડાના સંબંધમાંથી આ વર્તન ઓળખે છે, આ વર્તન ખાલી કોયલ માટે સીમિત નથી, પરંતુ કુકૂ પરિવારના પક્ષીઓની લાક્ષણિકતા છે.
પર્યાવરણીય દ્રષ્ટિકોણથી, બ્રૂડ પરોપજીવીતા કુકૂને બચ્ચાની સંભાળ રાખવામાં ઓછો સમય બગડે છે અને તે સમય ખોરાકની શોધ, માદાને આકર્ષવા ગીત ગાવા અને મુક્તપણે સ્થળાંતર કરવામાં વાપરી શકે છે.ભલે આ વર્તન કપટ જેવું લાગે છે, પરંતુ આ વર્તન હજારો વર્ષોથી વિકસિત થયું છે અને સંતુલન જાળવવામાં સૂક્ષ્મ ભૂમિકા ભજવે છે. બેબલર્સ જેવા યજમાન ઘણીવાર ફક્ત એક જ ચાતકના બચ્ચાને ઉછેરે છે અને આમ કરવાથી, તેઓ માળાના સંરક્ષણને સુધારવા માટે પસંદગીયુક્ત દબાણનો અનુભવ કરે છે. પરોપજીવી અને યજમાન વચ્ચેની આ સહઉત્ક્રાંતિકારી શસ્ત્ર સ્પર્ધા કુદરતના જટિલ નિયંત્રણ અને સંતુલનમાં ફાળો આપે છે.

તમે તેને ઝાડીઓ, ખેતરો, બગીચાઓ અને જંગલની ધાર પર જોશો તેવી શક્યતા છે – એવી જગ્યાઓ જ્યાં તેના યજમાન પક્ષીઓ પણ આરામથી રહે છે અને જંતુઓનું જીવન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર, ઝાડની ટોચ અથવા, પર્ણ વિનાની ડાળીઓ જેવી ખુલ્લી જગ્યાઓ પર બેસવું પસંદ કરે છે, જ્યાં તેઓ માદાને આકર્ષવા ગીત ગાઈ શકે છે, ખોરાક શોધી શકે છે અથવા નજીકના માળાઓ પર નજર પણ રાખી શકે છે.
ચાતકની સૌથી રસપ્રદ વાત એનો ચોમાસાના પવન સાથેનો સંબંધ છે. જ્યારે દક્ષિણ ભારતમાં આ પક્ષીની વસ્તી આખું વર્ષ રહે છે, ત્યારે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં (ગુજરાત સહિત) જોવા મળતી વસ્તી – યાયાવર છે! આ પક્ષીઓ સબ-સહારન આફ્રિકાથી મુસાફરી કરે છે, દક્ષિણપશ્ચિમ સમુદ્ર પાર કરી ચોમાસા પહેલા આવે છે. તેમનું આગમન એટલું યોગ્ય સમયે થાય છે કે, સદીઓથી, લોકો માને છે કે ચાતક તેની પાંખો પર વરસાદ લાવે છે અથવા તો ખાલી વરસાદનું જ પાણી પીવે છે! જે દેખીતી રીતે ગેરમાન્યતા છે!
આ વાત ખાલી “વરસાદ સમયે જ આ પક્ષીનું આગમન થાય છે” તેવું વ્યક્ત કરે છે!
આ ટ્રાન્સકોન્ટિનેન્ટલ સ્થળાંતર,જે ટેરેસ્ટ્રીઅલ પક્ષીઓમાં દુર્લભ છે, તેનો હજુ પણ સેટેલાઇટ ટેગિંગ અને રિંગિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોડાણ સ્પષ્ટ છે: પક્ષી ચોમાસાના માર્ગને અનુસરે છે, જ્યારે જમીન લીલી થવા લાગે છે અને યજમાન પક્ષીઓ પ્રજનન શરૂ કરે છે ત્યારે પહોંચે છે – એક સાંકડી બારી જે તેની પ્રજનન સ્ટ્રેટેજી સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે.
ચાતક: એક કાવ્યાત્મક પ્રતિમૂર્તિ
ભારતની સાંસ્કૃતિમાં ચાતક એ માત્ર પંખી નથી — એ એક પ્રતીક છે. ઉનાળાની તરસ અને વરસાદની તલબ માટે ચાતકનું આકાશ તરફ જોયા કરવું આપણા અનેક ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહોમાં જોવા મળે છે.
સંત કવિઓએ તેને અખૂટ તપશ્ચર્યા અને અડગ આશાનું રૂપ આપ્યું છે — એક એવું પંખી જે ધરતીના પાણીને નકારીને માત્ર વીજવૃષ્ટિની બૂંદ માટે રાહ જુએ છે.
સંસ્કૃત માં સરસ રીતે લખાયું છે કે:
रे रे चातक सावधान मनसा मित्र क्षणं श्रूयाताम्
अंभोदा बहवो वसंती गगने सर्वेपि नैतादृशा:
केचिद वृष्टिभिराद्रयन्ति बसुधां, गर्जन्ति केचिदवृथा
यं-यं पश्यति तस्य तस्य पुरतो मा बुहि दीनं वच:
[અરે ભલા ચાતક! જરા ખ્યાલ તો કર ! આભમાં અનેક પ્રકાર ના વાદળ હોય છે. એમાંથી કેટલાક અનરાધાર વરસે છે અને કેટલાક ઠાલાં ગરજે છે. ત્યારે એમાં ઓળખ્યા વિના જ્યાં ત્યાં “પિયુ પિયુ” નાં વેણ શા માટે ઉચ્ચાર્યા કરે છે?]
અવારનવાર પ્રશ્ન થાય — એવી સુંદર રચનાઓ હવે ક્યાં ગઈ? આજે ચાતક જેવા પ્રતિકાત્મક પંખીઓનું ઉલ્લેખ હવે માત્ર સાહિત્યિક ઇતિહાસ માં જ કેમ છે?
એ સમયે, માણસ પાસે મનોરંજન અને સમય પસાર કરવાના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા. કાં તો તમે કોઈ કલા શીખો (લેખન, વાંચન, ગાયન, નૃત્ય વગેરે) અથવા તો કુદરત સાથે સમય પસાર કરો(ડુંગરા ચડો, વાડીએ બેસો, નદીએ નહાવા જાઓ વગેરે)— એ જ બે રસ્તા હતા.
જેના કારણે તે સમયના સાહિત્યમાં, સંગીતમાં અને ચિત્રકળામાં મોટા ભાગે કુદરતનાં નમૂનાઓ, ઋતુઓ, પશુ–પક્ષીઓ, વૃક્ષો વગેરે જોવા મળે છે.
આજના સમયમાં,“ચીલ–ઝડપે” બદલાતી દુનિયાએ કુદરત સાથેનો સંબંધ નબળો કરી નાખ્યો છે, પહેલા તો આવી વાર્તાઓ અને કવિતાઓ ઘરડા વ્યક્તિઓ પોતાના પુત્ર/ પૌત્રને કરતાં, પણ હવે તે આચરણ કરવામાં આવતું નથી અને કુદરતની સાથે–સાથે આપણા સાહિત્યિક વારસા પર પણ વિલુપ્ત થવાનું જોખમ છે!
ચાલો, ચાતકને માત્ર કાવ્યમાં નહીં, પણ આપણી નજરે જોવાનું શીખીએ! તેનો વ્યવહાર વિષે જાણીએ તેને બચાવીએ, અને તેને બચાવવા માટે તેના રહેઠાણ, ખોરાક, યજમાન પક્ષીઓ (હોસ્ટ પક્ષીઓ, જેના માળામાં ચાતક ઈંડા મૂકે છે)ને પણ બચાવીએ!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
