તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

ખબર નથી, ૧૯૭૫ની ૧૨મી જૂનની એ વિજયસાંજે અમે સાથીઓ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ભોગીભાઈ ગાંધીને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતનાં એમનાં આ વચનો સાંભર્યાં હશે કે કેમ, ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથે લદાઈ ચૂક્યું હશે.

પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન ૧૯૭૫ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ ૧૯૭૪માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે. નવેમ્બર ૧૯૭૪માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે. આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ ૧૯૭૫માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.

પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.

એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: ૧૯૫૬માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ. આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો.

આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી: ‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’ જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.

ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા… ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!

એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળ‌વું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો… હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)

ખેર, ૧૯૭૫ના ૧૨મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો. એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જેપી આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો.

આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતે એ ‘ઈંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે…


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.