બીરેન કોઠારી

વિસંગતિ, વક્રતા અને વિચિત્રતા આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. રોજબરોજ એવાં કેટલાંય દૃશ્યોના આપણે સાક્ષી કે હિસ્સેદાર બનતાં હોઈએ છીએ કે આપણે એની સાવ ઉપેક્ષા કરતા થઈ જઈએ છીએ. કોઈક મોંઘાદાટ સ્થળે પેટ ભરીને ખાધા પછી, ઘણું બધું ચાખવા ખાતર મંગાવીને એ ન ભાવતાં તેને એમનું એમ રહેવા દીધા પછી બહાર આવીએ અને પોતાના વાહનમાં ગોઠવાઈએ ત્યાં જ કોઈક મહિલા કે બાળક આવીને આપણી આગળ હાથ લાંબો કરતી પોતાના પેટ તરફ ઈશારો કરે છે અને આપણે એને અવગણીને વાહનની ચાવી ફેરવીએ છીએ. હરવાફરવાના સ્થળે વિવિધ રાઈડમાં ટિકિટ ખરીદીને બેઠા પછી એ સ્થળેથી બહાર આવીએ ત્યારે કોઈક બાળક ફુગ્ગા કે પ્લાસ્ટિકનાં રમકડાં વેચવા માટે આપણી આગળ ધરે છે. એની કાંખમાં નાનો ભાઈ કે બહેન પણ હોઈ શકે. આપણે એને અવગણીને આગળ વધી જઈએ છીએ. માર્ગની આજુબાજુથી ગેરકાયદે દબાણો તોડવા માટે આખું તંત્ર કામે લાગી જાય, પણ માર્ગની વચ્ચે આવેલી કબર કે મંદિર પર લોકોની એવી ભીડ ઉમટે છે કે ટ્રાફિક જામ થઈ જાય. કોઈ બહુમાળી ઈમારતના દાદર ચડતાં તેના લાલ ખૂણા આપની નજરે પડે છે, અને એ લાલ રંગની ઉપર મૂકાયેલી વિવિધ દેવીદેવતાઓ કે સંતોની છબિ ધરાવતી ટાઈલ્સ આપણને દેખાય છે. ધર્મસ્થાનોની અંદર ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને તેની બહાર જોવા મળતી ભિક્ષુકોની ભીડ જોયા પછી સવાલ થાય કે ભિક્ષુકો ક્યાં વધારે છે? અંદર કે બહાર? ધર્મસ્થાનની અંદર દિવસમાં ચચ્ચાર વાર કદાચ સફાઈ થતી હશે અને એ સેવા આપવા માટે ‘સેવકો’ પડાપડી કરતા હશે, પણ એ જ ધર્મસ્થાનની બહારની દિવાલે લાલ અક્ષરે લખ્યું હશે, ‘સ્વચ્છતા જાળવો’ અથવા ‘અહીં ગંદકી કરવી નહીં.’

આવી તો કેટલીય પરિસ્થિતિઓ આપણા રોજિંદા જીવનમાં પેદા થતી રહે છે. ભૂપેન ખખ્ખરની ઝીણી નજરે આવી બાબતો આવતી, અને તેમની લાક્ષણિક રમૂજ તેમાં ભળતી. આથી સાવ શરૂઆતમાં તેમણે કોઈક વિષય પર ચિત્રો બનાવવાને બદલે કોલાજ બનાવ્યાં.

સસ્તાં, ફૂટપાથિયાં ચિત્રો- ઓલિયોગ્રાફમાંથી કાપેલી દેવીદેવતાઓની છબિઓને ચોંટાડીને તેની આસપાસ લાલ, ભૂરો, પીળો જેવા ભડકીલા રંગોના થપેડા કર્યા. એની પર ‘ગ્રાફિટી’ (ભીંત પર લખાયેલાં લખાણો) પણ એમની એમ રાખી. અમુક કોલાજમાં તેમણે કંતાનના ટુકડા ગોઠવીને એની પર રંગના થપેડા લગાવ્યા છે. આમાં અલબત્ત, ‘ચિત્ર’ કહી શકાય એવું કશું નહોતું. જે હતું એ સંયોજન અને કલ્પના હતી. પણ તેમનાં આવાં કોલાજની નોંધ લેવાઈ. ભૂપેન આવી બાબતો પર ટીપ્પણી કરતા નહીં, કેમ કે, આ સારું ને પેલું ખરાબ, એવી કોઈ વાત તેમણે કહેવી નહોતી. તેમને તો એ જ દર્શાવવું હતું કે આમ છે.

તેમના સાવ શરૂઆતના ગાળાના કેટલાક કોલાજ અહીં મૂકેલા છે.


[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)