વિમલાતાઈ

ગૃહિણી જીવન અને સંસારની આંટીઘૂંટી થી આગળ

ચિત્ર-વિચિત્ર અનુભવો બાદ અમે રાજકોટ છોડ્યું. હિંમતનગર જવા માટે અમારે અમદાવાદ ટ્રેન બદલવાની હતી તેથી બે દિવસ અમદાવાદ રોકાઈને અમે હિંમતનગર પહોંચ્યાં. અહીં અમારી રહેવાની વ્યવસ્થા ત્યાંના રાજાસાહેબના જૂના મહેલમાં કરવામાં આવી હતી. જૂના દરબારગઢ તરીકે જાણીતી વાસ્તુમાં ઘણા સ્વતંત્ર આવાસ હતા, તેમાંના એકમાં અમને ઉતારો આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી અમને એક ઓર્ડરલી આપવામાં આવ્યો હતો. અમને સાવ એકલવાયું ન લાગે તે માટે અમે વઢવાણથી જીબાને પણ બોલાવી લીધાં.

નરેન તથા ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવ્યાં, નિશાળ દરબારગઢની સામે જ હતી તેથી મનમાં ધરપત હતી. થોડા દિવસ બાદ રજવાડાની નોકરીમાં રખાયેલા નવા અધિકારીઓ આવવા લાગ્યા. શરૂઆતમાં તેમને પણ અમારી જેમ દરબારગઢમાં ઉતારો અપાયો. બધા અફસરો સહકુટુંબ આવ્યા હોવાથી મને ઘણો આનંદ થયો, કેમકે શરૂઆતના બે-ત્રણ મહિના મને એકલતા ઘણી સાલતી હતી આવેલા પરિવારમાંના એક શ્રી દાતાર વડોદરાના હતા. તેમની સાથે અમારો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. શ્રીમતી દાતાર અને મારી વચ્ચે બહેનો જેવો સંબંધ થઈ ગયો.

કેટલાક દિવસ બાદ અમારા માટે નવા બંગલા બંધાતા હતા તેમાં અમે રહેવા ગયાં. અહીં આવ્યા બાદ એમના સ્વભાવમાં ઘણું સારું પરિવર્તન આવ્યું. મને જૂના બંધિયાર વાતાવરણમાંથી થોડી સ્વતંત્રતા મળ્યા જેવું લાગ્યું અને હવે મને પાડોશમાં રહેતા અફસરોની પત્નીઓ સાથે સંપર્ક રાખવાની, હળવામળવાની અને વાતચીત કરવાની છૂટ મળી હતી. આમ તો એમનો સ્વભાવ જરાય વહેમી નહોતો. એક વાર એમણે અમારે ત્યાં અંગ્રેજ પાદરીસાહેબને બોલાવ્યા હતા, ત્યારે એમણે તેમનું સ્વાગત મારી પાસેથી હસ્તધૂનન જેવી અંગ્રેજી પદ્ધતિથી કરાવ્યું હતું. તેમને હારતોરા પણ મારી પાસેથી પહેરાવ્યા હતા. પાદરીસાહેબે મહારાષ્ટ્રીયન ભોજન કરવાની ઇચ્છા દર્શાવી હતી તેથી મેં તેમના માટે પૂરણપોળી જેવા ઘણાં વ્યંજનો રાંધ્યાં. તેઓ ઘણા ખુશ થઈ ગયા અને જતી વખતે મને તેમનાં ઘણાં ધર્મપુસ્તકો આપતા ગયા.

અમારાં જીબા હવે વૃદ્ધ થઈ ગયાં હતાં અને અમારા પરિવારને તેમણે વીસ વર્ષ સાથ આપ્યો હતો. મારી સાથે તેઓ આઠ વર્ષ હતાં. તેમણે મારી એટલા પ્રેમથી સેવા કરી હતી અને મારાં બાળકોને એવાં સાચવ્યાં હતાં જે હું કદી ભૂલી શકીશ નહિ. તેમના ગયા બાદ હિંમતનગરનાં જ એક પ્રૌઢ બહેન અમારે ત્યાં કામે આવ્યાં. તેઓ પણ ઘણાં સારાં હતાં. રાતે મારા પગ દબાવ્યા વગર ઘેર ન જતાં. સરકાર તરફથી પણ એક ઓર્ડરલી મળ્યો હતો જે ઘરનું બીજું બધું કામ કરતો. હું મારા માણસોને મારાં સ્વજનોની જેમ સંભાળતી. ખાવાપીવાની બાબતમાં મેં કદી પણ તેમની સાથે ભેદભાવ કર્યો નહિ. ઘરમાં બધાં માટે જે રાંધતી તે જ તેમને જમાડતી. આપણા નોકરો પર સ્વજન જેવી મમતા રાખવી જોઈએ એવું હું માનું છું.

અમારા માટે બંધાતો સરકારી બંગલો પૂરી રીતે તેયાર નહોતો થયો તેમ છતાં મે માસમાં અમે ત્યાં રહેવા ગયાં. કામ ચાલુ હોવાથી બંગલામાં મને જોઈએ. તેવા સુધારા-વધારા મેં કરાવી લીધા તેથી બંગલો ઘણો સુંદર થઈ ગયો હતો. બીજા બંગલા તૈયાર થઈ ગયા બાદ બાકીના અફસરો પણ ત્યાં રહેવા આવી

ગયા તેથી અમને સારો પાડોશ મળ્યો અને વ્યક્તિગતરૂપે અમારું જીવન હવે ઘણી સુખશાંતિથી વ્યતીત થતું હતું.

બંગલો પ્રશસ્ત હતો તેથી અમારા અગાઉના ઘરના પુત્રો – મોટાભાઈ અને રવિનાં લગ્ન હિંમતનગર કરવાનું અમે નક્કી કર્યું. લગ્નની તેયારી મેં ઘણા હોંશથી શરૂ કરી. સાધનસામગ્રી ભરવાનું શરૂ કર્યું, અને તે માટે મેં ત્રણ મણ ખાંડ, આઠ ડબા કેરોસીન, બે ડઝન કોલસાની ગૂણો – આમ મોટા પાયા પર સામાન ભર્યો. મેં પોતે છ-સાત જાતનાં અથાણાં બનાવી રાખ્યાં. અમારા પુત્રો માટે મેં પ્રેમથી આટલા મોટા પાયા પર તૈયારી કરી રાખી હતી! બંગલાના કંપાઉંડમાં બાગબગીચો પણ સુંદર રીતે સજાવ્યો હતો અને તેમાં ભાત ભાતનાં ફૂલના છોડ અને ગુલાબ લગાડયાં હતાં. હું ઘણી ખુશ હતી. મને થયું, હવે આપણા સુખના દિવસ આવી પહોંચ્યા!

નવી જગ્યા હતી તેથી કે કોણ જાણે કેમ, ‘એમની’ તબિયત વચ્ચે વચ્ચે નાદુરસ્ત રહેવા લાગી. તેમને કાંઈ ને કાંઈ થતું જ રહેતું. એવામાં નરેનને સખત તાવ આવ્યો અને તાવમાં ચીસો પાડવા લાગ્યો. બેભાન અવસ્થામાં મને કહેતો હતો, “બાઈ, જુઓ, પેલો કાળો કાળો માણસ મને બોલાવે છે, અને કહે છે મારી સાથે ચાલ. એની આંખો લાલઘૂમ છે અને મોટા મોટા દાંત છે.”

હું તો ઘણી ગભરાઈ ગઈ. મેં તેને ભગવાનનું નામ લેવાનું કહ્યું અને મેં  પોતે રામનામનો જપ શરૂ કર્યો. સતત તેના માથા પર મીઠાનાં પાણીનાં પોતાં રાખ્યા ત્યાર પછી તે થોડો શાંત થયો. તેને થોડું ઠીક લાગ્યું જ્યારે તે શુદ્ધિમાં આવ્યો, ત્યારે તેણે મને કહ્યું, “સાચે જ, બાઈ, એ માણસ મને તેની સાથે જવાનું કહેતો હતો.” ઈશ્વરે મારા પર કૃપા કરી અને નરેન સાજો થયો. ત્યાર પછી તેને એવી કોઈ મોટી માંદગી નડી નહિ.

આ પ્રસંગ બાદ અમારા પ્રથમ ઘરની સૌથી નાની દીકરી ભાનુ અને ભત્રીજાની પુત્રી ખેડબ્રહ્મા અને ઈડર જોવા માટે અમારે ત્યાં આવ્યાં. સમીસાંજનો સમય હતો અને “તેઓ” તેમના નિયમ પ્રમાણે છાંટોપાણી કરવા બેઠા હતા. હું રસોઈ કરતી હતી  ત્યાં ભાનુ આવી. અમે થોડી વાતચીત કરી ત્યાં અચાનક મારી સામે જોઈને તેણે કહ્યું, “બાઈ, તમારા ભાલ પર કંકુ નથી. ઝટ જઈને લગાડી આવો.”

મારા સૌભાગ્ય-ચિહ્નની બાબતમાં હું ઘણી ચોકસ હતી, તેથી હું સફાળી ઊઠી અને અરીસામાં જોવા ગઈ કે શું ખરેખર જ હું કંકુ લગાડવાનું ભૂલી ગઈ હતી કે કેમ? અરીસાની ભાજુમાં જ હું કંકાવટી રાખતી. મેં અરીસામાં ડોકિયું કર્યું તે “એમણે” જોયું, અને ટીખળમાં એવું કંઈ બોલ્યા કે મારા હૃદય પર જાણે ચીરો પડ્યોઃ “હવે અરીસામાં શું જુએ છે? તારું સૌભાગ્ય કુમકુમ તો જવા બેઠું છે.”

મેં ગભરાઈને કહ્યું, “આવા અભદ્ર શબ્દ શા સારુ બોલતા હશો?”

આ વાત થઈ ત્યારે જ્યેષ્ઠ મહિનો ચાલતો હતો. તે સમય તો મેં કંપતા

મનથી જેમતેમ કરીને ગુજાર્યો, પરંતુ લગભગ છ મહિના બાદ ભગવાનને ઘીનો દીવો કર્યો, પણ અચાનક મારા હાથેથી દીવો નીચે પડી ગયો. ત્રીજા અપશુકન ત્યારે થયા જ્યારે મારા હાથેથી કંકુથી છલોછલ ભરેલી રૂપાની કંકાવટી ઊંધી પડી ગઈ. એક અગમ્ય વ્યાધિમાં મારા દિવસ ગુજરવા લાગ્યા.

નવા બંગલામાં રહેવા ગયાને બે-અઢી મહિના થયા હતા. થોડા દિવસથી એમનું માથું અત્યંત દુખવા લાગ્યું. શિરદર્દની દવા ચાલુ કરી તેનાથી થોડા દિવસ આરામ રહ્યો, પણ ફરીથી મસ્તકમાં ભયંકર દુખાવો ઊપડ્યો. દુખાવો પણ એવો કે અસહ્ય ચસકા ઊપડતા. પણ તેમણે તેની વધુ પરવા ન કરી અને મોટા પુત્ર અને રવિનાં લગ્નની તૈયારી કરવામાં ધ્યાન પરોવવા લાગ્યા. લગ્ન માટે “એમણે” એક ડઝન શર્ટ, છ પાયજામા, બે ઉત્તમ પ્રકારના સૂટ વગેરે સિવડાવવા આપ્યાં.

અમારા આઠ વર્ષના લગ્નજીવનમાં એમણે આટલાં બધાં કપડાં એકસાથે કદી પણ સિવડાવવા આપ્યાં ન હતાં. આમ બીજે ધ્યાન પરોવવાનો પ્રયત્ન કરવા છતાં તેમની શિરદર્દની બીમારી ઓછી થવાને બદલે વધતી જ ગઈ. તેવામાં એમના એક ખાસ મિત્રની નાની દીકરી સખત માંદી પડી ગઈ. આખી રાત તેના કપાળ પર મીઠાનાં પાણીનાં પોતાં રાખવા પડતાં હતાં. લોકો વારાફરતી તેમને ત્યાં આખી રાત બેસતા. “એમનું માથું ભયંકર દુઃખતું હતું છતાં પણ તેમણે ત્યાં આખી રાતનો ઉજાગરો કર્યો. તેમના મિત્રે કહ્યું પણ ખરું કે, “દાદા, તમારી પોતાની તબિયત સારી નથી, તો તમે ઘેર જઈને આરામ કરો. જરૂર પડશે તો તમને આવવાનું જરૂર કહીશ.” તેઓ શાના માને? તેમણે મિત્રને કહ્યું, “જુઓ, કાલે ઊઠીને મને કંઈ પણ થાય તો મારી પાસે કોણ આવશે?”

આ વાતને આઠ જ દિવસ થયા હતા. શ્રાવણ મહિનો બેઠો હતો. એક દિવસ ઓફિસમાં એમનું માથું ઘણું દુખવા લાગ્યું. આમ પણ એમની તબિયત સારી નહોતી રહેતી તેથી તે દિવસે સવારે જ ઓફિસમાંથી એક મહિનાની રજા લઈને ઘેર આવ્યા. આવીને મને કહ્યું, “આજે મારું માથું ઘણું જ દુખે છે. મારે જમવું નથી, તો તું જમી લે. હું જરા આરામ કરું છું.” તેઓ ન જમે તો હું પણ જમતી નહિ તે તેઓ જાણતા હતા. તેથી તે દિવસે તેમણે મને પરાણે જમવા બેસાડી. હું જમવા બેઠી ત્યારે જ તેઓ સૂવાના ઓરડામાં આરામ કરવા ગયા.

બપોરે બે વાગ્યાના સુમારે તેઓ જાગ્યા અને મને કહ્યું, “હવે મને થોડું ઠીક લાગે છે. ચાલ હું જમી લઉં.” મેં જમવાનું ગરમ કર્યું અને થાળી પીરસવા લાગી. જમતાં પહેલાં એમને થોડી બ્રાંડી પીવાની ટેવ હતી, તેથી થોડી બ્રાંડી પી અને જમ્યા.

થોડો વખત આરામ કર્યો ત્યાં અમારા પાડોશમાં રહેતા અફસરોની સ્ત્રીઓ એમની તબિયત જોવા આવી. તેમની સાથે વાતો કર્યા બાદ બધી બહેનોએ એમને કહ્યું, “દાદા, તમારાં પત્ની ઘણી નાની ઊમરનાં છે, અને તેમનાં ખોળામાં ચાર-ચાર નાનકડાં બાળકો રમવાની વયના છે. બાઈ માટે કંઈક તો કરી રાખો!”

તેમણે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે. મારી તો હવે ઉમર થઈ ગઈ છે તે હું જાણું છું. જરા તબિયત સારી થાય એટલે બધી વ્યવસ્થા સરખી રીતે કરવાનો છું.” થોડી વાર બાદ બધી બહેનો ઘેર ગઈ. રાતે આઠેક વાગ્યાના સુમારે એમના મસિયાઈ ભાઈ, જે વઢવાણમાં પોલીસઈન્સ્પેક્ટર હતા, તેમનો માણસ ચિઠ્ઠી લઈને આવ્યો. તેમણે લખ્યું હતું કે, “હું હિંમતનગર આવ્યો છું, તો મને મળવા આવો.” મેં તેને બારોબાર સંદેશ આપ્યો કે એમની તબિયત સારી નથી તેથી તેઓ આવી શકે તેમ નથી. બને તો તમે આવો તો સારું. થોડી વાર બાદ તેમનો માણસ પાછો આવ્યો અને તેમનો સંદેશ આપ્યો કે તેઓ “દાદાને મળવા કાલે આવશે.” કોણ જાણે કેમ પણ તેઓ મળવા આવી શક્યા નહિ.

બીજે દિવસે મોડી સવાર સુધી એમણે મારી સાથે ઘણી વાતો કરી. ચા પીધી, પણ જમ્યા નહિ. બપોરના લગભગ દોઢ વાગ્યા હતા અને હું મારી દીકરીઓના વાળ ઓળતી હતી ત્યાં એમણે મને બોલાવીને કહ્યું, “અલી, અહીં મારી પાસે આવીને બેસ.” મેં ત્રણે દીકરીઓને મારાં ખાસ બહેનપણી મિસિસ દાતાર પાસે વાળ ઓળાવવા મોકલી. બે વાગ્યાના સુમારે વાત કરતાં કરતાં એકદમ એમને કોણ જાણે શું થઈ

આવ્યું, બેભાન થઈને આમતેમ દોડવા લાગ્યા. મેં બૂમ પાડીને પાડોશીઓને બોલાવ્યા. આઠ-આઠ માણસો એમને ઝાલીને પથારીમાં સુવડાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેમને રોકી શકતા નહોતા. હું તો ઘણી ગભરાઈ ગઈ. હૈયું બેસી ગયું. હું તો ચોધાર આંસુએ રડવા લાગી. આજુબાજુ રહેતા બધા અફસરો દોડી આવ્યા. એમની હાલતમાં ફેર ન પડ્યો તેથી રાતે અમદાવાદ મોટા દીકરાઓને તાર કર્યો.

આખી રાત બધા એમની પાસે બેસી રહ્યા. ત્યાં અમારી જ્ઞાતિના એંજિનિયર હતા, તેઓ અને તેમનાં પત્ની મને ધીરજ આપતાં હતાં, હિંમત રાખવા સમજાવતા હતાં, પણ મને ક્યાંથી ધીર આવે? મારા કાળજાના કટકા થતા હતા. હે ભગવાન, આ કેવું અરિષ્ટ મારા મસ્તક પર આવી પડ્યું?

અમારા પાડોશીએ તાર કર્યો, તેમાં બંને મોટા પુત્રોને ફક્ત એટલું લખ્યું હતું કે તાત્કાલિક રીતે અહીં આવી જાવ. ત્યાં લલિતાબાઈને એવું લાગ્યું કે દીકરાઓનાં લગ્નની વાત કરવા માટે તેમને બોલાવ્યા છે, તેથી તેમણે ફક્ત મોટાને અને રવિને મોકલી આપ્યા. પોતે ન આવ્યાં. બંને ભાઈઓએ બીજે દિવસે રવિવારે આવીને જોયું તો અહીં આવી ગંભીર પરિસ્થિતિ હતી. વિધિની કરણી તો જુઓ, પુત્રોનાં લગ્ન માટે તેમણે સીવવા આપેલા સૂટ અને અન્ય કપડાં પણ તે જ વખતે તૈયાર થઈને આવ્યાં. એમને તો કશું પણ જોવા, સમજવાની શુદ્ધિ નહોતી. એમને તપાસવા ત્રણ-ત્રણ ડૉકટરો આવી ગયા, પણ તેમને કશું સમજાયું નહિ કે એમને શો વ્યાધિ હતો. એમના મગજમાં પાણી થયું હતું [મેનિન્જાઈટિસ –સંપાત્ર] તેનું નિદાન આ ડૉકટરો કરી શક્યા નહિ. તેમણે કહ્યું, “દાદાને વિષબાધા થયા જેવું લાગે છે.” હું તો હેબતાઈ ગઈ. એમને એવું કશું કરવાનું કોઈ પ્રયોજન જ ન હતું.

અમારી બંનેની વચ્ચે ઘરમાં કોઈ પણ કારણસર કદી પણ કંકાસ થયો નહોતો. રાજકોટ છોડ્યા બાદ તો અમારા દિવસો ઘણી જ સુખશાંતિમાં વ્યતીત થતા હતા. કોણ જાણે આ ડૉકટર કેવા હતા! કેટલાય દિવસથી એમને માથામાં અસહ્ય દુખાવો થતો હતો તેનો તેમણે નિદાન કરતી વખતે વિચાર જ ન કર્યો. એક તો તેઓ યોગ્ય નિદાન ન કરી શક્યા, અને ઉપરથી તેમની આ હાલત અંગે અમારા મોટા પુત્રોએ દોષનો તમામ ટોપલો મારા માથા પર એક નિ:સહાય કમનસીબ સ્ત્રી પર ઢોળ્યો. જરા વિચાર કરો તો, શું મને મારાં ચૂડીચાંદલો અને સૌભાગ્ય વહાલાં નહોતાં? જેમના પર મારું સમગ્ર જીવન અવલંબી રહ્યું હતું, એમને હું શા માટે હાનિ પહોંચાડું? મારા જ પગ પર હું શા માટે કુહાડી મારી લઈશ? કોઈ આનો જવાબ આપી શકશે? અમારા પુત્રોએ તો મારા પર અસહ્ય શબ્દપ્રહાર કરી લીધા, અને કહ્યું, આ નાનકડા શહેરમાં એમનો ઉપચાર થઈ શકે તેમ નથી. એમને અમદાવાદ લઈ જઈએ.

અંતે તેમણે સાંજના પાંચ વાગ્યાની ટ્રેનમાં એમને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. મારી પેટીને તાળું લગાવીને મેં મિસિસ દાતારને ત્યાં રાખી. એમની ઓફિસના ચાર મિત્રો, એક નોકર અને અમે બધાં અમદાવાદ જવા નીકળ્યાં, ત્યારે મારી કેવી વ્યથા, એટલું દારુણ દુઃખ થયું હશે એનું વર્ણન કરી શકાય તેમ નથી, અને કરું તો પણ કોઈને એની વિકટતાનો ખ્યાલ નહિ આવે. તે વખતે મને એવું લાગ્યું કે અમારા આખરી વિયોગનો સમય આવી પહોંચ્યો છે. મારું હૃદય વિદર્ણ થઈ ગયું. આંખમાંનાં અશ્રુ સુકાતાં નહોતાં.

ખેર, ટ્રેન ચાલવા લાગી. તેઓ તો ચોવીસ કલાક બેહોશ હાલતમાં હતા. ટ્રેનમાં સમીસાંજે થોડી ક્ષણો માટે એમને ભાન આવ્યું. ચારે તરફ નજર નાખીને મારી તરફ જોયું અને મને જ બોલાવી. મને કહ્યું, “મને પાણી આપ.” મેં તરત એક નાના પવાલામાં પાણી ભર્યું અને એમના હોઠ સુધી લઈ ગઈ તો મને કહે,

“અલી, મારા મોટા ટંબ્લરમાં પાણી લાવ.” એમને હંમેશાં એક રતલ પાણી રહે એવડા મોટા ગ્લાસમાં પાણી પીવાની ટેવ હતી. મેં તરત તેમાં પાણી ભરીને પિવડાવ્યું. પાણી પીધા બાદ તેઓ ફરી બેભાન થઈ ગયા. રાતે આઠ વાગ્યે અમે અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન પર પહેલેથી જ એમ્બ્યુલન્સ કાર તૈયાર રાખવાનું કહી રાખ્યું હતું તેથી એમ્બ્યુલન્સમાં બેસી અમે સૌપ્રથમ ઘેર ગયાં. અમારો ભાણેજ ડૉકટર હતો અને ઘરમાં પણ બે ડૉકટર રહેતા હતા. તેમણે બીજા બે નિષ્ણાતોને બોલાવ્યા. આ પાંચ ડૉકટરોની કમિટીએ એમને તપાસીને તરત જ નિદાન કર્યું કે એમને મેનિન્જાઈટિસ છે અને તત્કાળ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. અમારા “મોટાં” પુત્ર-પુત્રીઓએ તો મને ક્યારનીયે એમ્બ્યુલન્સમાંથી ઉતારી દીધી અને મને અને મારાં બાળકોને મૂકીને હૉસ્પિટલ જતાં રહ્યાં. પણ મારાથી થોડું રહેવાય તેમ હતું? નાનાં બાળકોને નોકરને હવાલે કરી, મારાં મસિયાઈ નણંદને લઈ હું સીધી હૉસ્પિટલ પહોંચી ગઈ.

મારો આધારસ્તંભ, મારો મોભ તૂટી પડ્યો હતો, ત્યાં છોકરાંઓની શું ચિંતા કરું?

એમને દાખલ કરવામાં રાતના બે વાગી ગયા. મારું તો જાણે અસ્તિત્વ જ નહોતું એવું જાણી બધાંએ મને બાજુએ રાખી. આખી રાત હું બાજુએ ઊભી આંસુ સારતી હતી. કોઈએ મારા તરફ ધ્યાન આપ્યું નહિ કે ન તો મને એમની નજીક જવા દીધી. એમની સ્પેશિયલ રૂમમાં જવાની રાહ જોઈ જોઈને હું થાકી, અને વહેલી સવારે હું ઘેર ગઈ. બીજે દિવસે અમારા “મોટેરા”એ મને હૉસ્પિટલ જવાની પરવાનગી આપી ત્યારે હું ત્યાં જઈ શકી. એમની રૂમમાં જઈને જોયું તો તેઓ નિશ્ચેષ્ટ પડ્યા હતા. થોડી વારે મોટા ડૉકટર આવ્યા અને એમની બેહોશ અવસ્થામાં જ એમના મગજમાંથી સિરિંજ વતી પાણી કાઢ્યું.

ત્રીજે દિવસે સવારે હું, મારાં માસી-સાસુમા અને અન્ય ઘણા લોકો હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેઓ ભાનમાં આવ્યા હતા. માસીબાને જોતાં જ તેઓ ઓળખી ગયા, અને તેમને પૂછ્યું, “ઓ હો, યમુનામાસી, તમે વળી ક્યારે આવ્યાં?” એમને તો ખ્યાલ હતો કે તેઓ હજી હિંમતનગર છે. આટલું બોલીને તેઓ પાછા બેહોશી તરફ વળી ગયા. આમ તેઓ થોડી થોડી વારે ભાનમાં આવતા અને પાછા બેહોશ થઈ જતા હતા. એમની આવી હાલત હતી છતાં પણ અમારાં મોટાં સંતાન મને એમની પાસે સાંજના ફક્ત અર્ધો કલાક જ બેસવા દેતાં હતાં. મને એમની સેવા પણ કરવા દીધી નહિ. એમની પત્ની તરીકેનો અધિકાર મારી પાસેથી ખૂંચવી લેવાયો હતો.

ફરી જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે ઈશ્વરે એમની વાચા છીનવી લીધી. હું તેમની પાસે ગઈ તો એકટક મારી સામે જોતા જ રહ્યા. હાથ વડે નિશાની કરી મને પૂછ્યું, “તું ક્યાં હતી? બાળકો ક્યાં છે?” ત્યાર પછી ડાબા હાથ પર જમણા હાથની આંગળી વડે લખવાની નિશાની કરી વારંવાર કાગળ-પેન્સિલ માગ્યાં. તેઓ મને શું કહેવા માગતા હતા એ તો ઈશ્વર જ જાણે. મને તો એમની પાસે એકલાં બેસવાની પણ એમનાં પુત્રો અને લલિતાબાઈએ મનાઈ કરી હતી, ત્યાં એમને કાગળપેન્સિલ ક્યાંથી આપું? વારે વારે તેઓ કાગળપેન્સિલ માગતા હતા, પણ તેમના પુત્રોએ તેમની વિનવણી તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેમને ડર લાગતો હતો કે કોણ જાણે એમના પિતાજી બાઈને શું લખીને આપી જશે!

છઠ્ઠે દિવસે સાંજે એમને મળવા હું ગઈ ત્યારે મારાં સગાં નણંદ મારી સાથે હતાં. આ વખતે પણ એમણે હાથની નિશાની વડે મને કાંઈ કહેવાનો પ્રયત્ન કર્યો.  ત્યાર પછી મારા મંગળસૂત્ર પર હાથ મૂકીને નિશાની કરી કે, “આ હવે જઈ રહ્યું છે.” મારા કંકુ તરફ આંગળી કરીને નિશાની કરી કે, “તારું સૌભાગ્ય કુમકુમ પણ હવે ભૂંસાઈ રહ્યું છે.” એમને ખબર પડી ગઈ હતી કે તેઓ હવે પ્રભુને ધામ જઈ રહ્યા છે. અમારાં મોટાંઓએ તો નરેનને પણ એમની પાસે ફક્ત એક જ વાર જવા દીધો હતો. હૉસ્પિટલમાં આવતી સ્ત્રીઓ પણ કહેવા લાગી, “કેવા લોકો છે, આ? આવા સમયે પણ પત્નીને પોતાના પતિ પાસે રહેવા નથી દેતા?” મારું તો કાળજું ચૂર ચૂર થઈ રહ્યું હતું. મારા હૃદય પર શી વીતતી હશે તેનો કોઈને ખ્યાલ નહિ આવતો હોય?

સાતમા દિવસે એમની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમને ઓક્સિજન પર રાખવા પડ્યા. એમનાં મોટાં છોકરાંઓ મને તો એમના શરીરને પણ સ્પર્શ કરવા દેતાં નહોતાં. એમણે જીવતેજીવ મારો એમની સાથેના સંપર્કનો વિચ્છેદ કરી નાખ્યો. રવિવારે બપોરે બે વાગ્યે તેઓ ફરી ભાનમાં આવ્યા અને ત્યાં હાજર હતા તેમને બધાંને પૂછવા લાગ્યા, “બાઈ ક્યાં છે? નરેન ક્યાં છે?” કોઈએ જવાબ ન આપ્યો અને તેમની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં. (આ વાત મને ઘણા દિવસ બાદ જાણવા મળી). એમની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી એની મને ખબર પડી ગઈ હતી, પણ એમની અંતિમ રાત્રિએ મને એમની પાસે રહેવા ન દીધી. મને બધાંએ ઘેર મોકલી દીધી.

સોમવારે, એકાદશીને દિવસે પરોઢિયે પાંચ વાગ્યે મને દુખના સાગરમાં છોડી તેઓ સ્વર્ગે ગયા. તેમણે પ્રાણ ત્યાગ કર્યો એની મને ખબર પડવા દીધી નહિ. એમના અંતિમ શ્વાસ વખતે મને એમની પાસે રહેવા દીધી નહિ. સવારે છ વાગ્યે એમના દીકરાઓએ મને હૉસ્પિટલ લઈ જવા કોઈકને અમારે ઘેર મોકલ્યા. આ માણસે પણ મને કહ્યું નહિ કે તેઓ તો ક્યારના ચિરવિદાય લઈ ચૂક્યા હતા. હૉસ્પિટલમાં પહોંચીને જોઉં છું તો એમના પાર્થિવ દેહને એમની રૂમની બહાર કાઢીને સ્મશાનયાત્રા માટે તૈયાર કરી રાખ્યા હતા. મને તો તેમનું અંત્ય દર્શન પણ કરવા દીધું નહિ. એમની નનામી જોઈને હું બેભાન થઈને પડી ગઈ. મારું શિરછત્ર ભગવાને છીનવી લીધું હતું. એક પહાડ જેવડું દુઃખ કેવળ ત્રીસ વર્ષની વયે આ અભાગણીના કર્મમાં આવી પડયું હતું. મારા શિર પર આકાશ તૂટી પડયું હતું. એમના આધારને કારણે મને કદી પણ કોઈ વાતની અછત, ઊણપ, દુખ કે વ્યથા ભાસ્યાં નહોતાં. એમની સેવામાં મેં મારી અંગત હોંશ, ગમો-અણગમો, વ્યક્તિગત પસંદગી બધું જ બાજુએ રાખ્યું હતું. એમની છત્રછાયા નીચે સારા, નરસા – બધા પ્રસંગોને મેં મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લીધા હતા. હાય રે દૈવ! મારા વિધાતાએ મારાં બાળકોને અનાથ કરી નાખ્યાં. આ દુર્દેવી સ્ત્રીના નસીબમાં આવડું મોટું દુ:ખ નાખીને એ તો ચાલ્યા ગયા. હવે પછીના મારા દિવસો કેમ કરીને કાઢીશ? લગ્નજીવનના દસમા વર્ષમાં મેં હજી હમણાં જ પ્રવેશ કર્યો હતો. હવે મારું અને મારાં બાળકોનું શું થશે અને કેવી રીતે અમારા દિવસો ગુજરશે એની ચિંતામાં મને દિવસમાં પાંચ પાંચ વાર બેહોશીની “ફિટ” આવવા લાગી. નરેન ફક્ત નવ વર્ષનો હતો અને મારા પિયરનો મને કશો જ આધાર નહોતો. મારાં કાકીની પરિસ્થિતિ પણ સારી ન હતી. એમની મોટી દીકરી નલિની શિક્ષિકા થઈ હતી અને તેમના પરિવારનું ભરણપોષણ એ જ કરતી હતી. અમારો ભાઈ – કાકીનો એક માત્ર પુત્ર – કેવળ તેર વર્ષનો હતો, તેથી તેમના તરફથી કશા પણ આધારની મને અપેક્ષા ન હતી. મારી પાસે લગ્નમાં મળેલા ઘરેણાં અને એમની ગ્રેચ્યુઇટીની થોડીઘણી રકમ હતી.

એમના સ્વર્ગવાસના ત્રીજા દિવસે અમારા મોટા દીકરાઓ અને લલિતાબાઈએ હિંમતનગરથી મારી ટૂંક મંગાવી લીધી અને તે ખોલી, તેમાંના બધા કાગળ-પત્ર, દસ્તાવેજ વગેરે હસ્તગત કરી લીધાં. હું એવી શોકમગ્ન હતી કે તેમના આ કૃત્ય સામે હું એક અક્ષર પણ બોલી શકી નહિ. આવી હાલતમાં મને આધાર આપનારું કોઈ નહોતું. મારા કોઈ હિતૈષીએ વડોદરા રહેતાં મારાં બાઈજીમાસીને અને કાકીને મારા વૈધવ્યની જાણ કરતો પત્ર લખ્યો હતો, તેથી પત્ર મળતાં જ ચોથે દિવસે તેઓ આવી પહોંચ્યાં ત્યારે મને મારાં પોતાનાં કહી શકાય તેવા આપ્તજનની સાંત્વના મળી. મારી હાલત અસહાયતાની પરાકાષ્ઠાએ પહોંચી હતી. એક તો મારાં બાળકો નાનાં હતાં અને પિયરનો કશો આધાર નહોતો. પિયરના મારા એકમાત્ર આધાર મારા યેસુબાબા હતા, એમને તો પરમાત્માએ ક્યારના અમારી પાસેથી ઝૂંટવી લીધા હતા. હું એવી તો ગભરાયેલી હતી, અને મારા હૃદય પર એવો ધ્રાસકો પડ્યો હતો કે મારી આસપાસ શું થઈ રહ્યું છે એનો મને ખ્યાલ જ નહોતો. એમના બારમા અને તેરમા દિવસના ધાર્મિક વિધિ મારા દિયરે પૂરા કર્યા.

પંદરમે દિવસે બધા વિધિ પતી ગયા અને શોક પ્રદર્શિત કરવા આવેલા આપ્તજનો ગયા કે તરત અમારાં મોટાં ચિરંજીવી લલિતાબાઈએ પોતે આગેવાની લઈ, અમારા પરિવારની કોઈ પણ જ્યેષ્ઠ વ્યક્તિને મધ્યસ્થ તરીકે બોલાવ્યા વગર ઘરમાંની બધી કીમતી વસ્તુઓ, મારી સાસુમાનાં ઘરેણાં, ચાંદીનાં વાસણો – જે કેટલાંય કિલોગ્રામ વજનનાં હતાં – આપસમાં એટલે પોતાના સગા ત્રણ ભાઈઓ, પોતે અને ભાનુ વચ્ચે વહેંચી લીધાં. સાસુમાનાં ઘરેણાં અને જર-જવાહરમાંથી મને કશું મળ્યું નહિ. મારો તો આધારસ્તંભ જ તૂટી પડ્યો હતો તેનો શોક કરવાનું છોડી આવી ક્ષુલ્લક ભાંજગડમાં મને પડવું નહોતું. મને કોઈનું કાંઈ જોઈતું નહોતું.

લલિતાબાઈએ મારી પાસે મને લગ્નમાં મળેલાં ઘરેણાં રહેવા દીધાં, અને થોડી ચાંદીની વસ્તુઓ આપી. મારું સર્વસ્વ તો “એ” હતા – જેમને ઈશ્વરે લઈ લઈ લીધા હતા. લગ્નજીવનનાં માત્ર દસ વર્ષ પૂરાં થયાં ત્યાં તો પરમાત્માએ મારા જીવનમાં રાખથી રંગોળી ભરી. આમ જોવા જઈએ તો એમનું શરીર સુદૃઢ હતું. એમને જોઈને કોઈ પણ ન કહી શકે કે તેઓ આટલાં બધાં સંતાનોના પિતા હતા. એમનું જવું તેને તો મારા દુર્દેવી નસીબનો જ દોષ માનવો રહ્યો. એક સ્ત્રી માટે વૈધવ્ય કરતાં બીજું મોટું દુઃખ કયું હોઈ શકે?


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com