ફિર દેખો યારોં
બીરેન કોઠારી
બદલાતી જતી ખાનપાનની આદતો માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે, તેમ આ આહારને લઈને પર્યાવરણ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આમ વાંચીને પહેલી નજરે એમ લાગે કે આવું શી રીતે બને? આંકડા અને અહેવાલ જોતાં તેની ભયાનકતા સમજાય.
બિનઆલ્કોહોલિક પીણાં બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની કોકા કોલાનું ઉદાહરણ આ સમજવા માટે પૂરતું રહેશે. એક અહેવાલ અનુસાર ઈ.સ. ૨૦૩૦ સુધીમાં આ કંપની દ્વારા ઊપયોગમાં લેવાતું પ્લાસ્ટિક પ્રતિ વર્ષ ૯૧૦ કરોડ પાઉન્ડ (આશરે ૪૧૩ કરોડ કિ.ગ્રા.)ના આંકડાને પાર કરી જશે. ઈ.સ. ૨૦૨૩માં આ કંપની દ્વારા વપરાયેલા પ્લાસ્ટિકના આંકડાની સરખામણીએ આમાં વીસ ટકા વધારો જણાયો છે. આ જથ્થો કેટલો? પૃથ્વી ફરતે સો કરતાં વધુ વખત પ્લાસ્ટિક વીંટાળી શકાય એટલો.
અમેરિકાસ્થિત ‘ઓશના’ જૂથે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં દર્શાવ્યું છે કે કોકાકોલા દ્વારા પેકેજિંગ માટે ઊપયોગમાં લેવાયેલા ૧૩૦ કરોડ પાઉન્ડ જેટલા અધધ પ્લાસ્ટિકનો જથ્થો વિશ્વભરના જળમાર્ગોમાં પ્રવેશવાની વકી છે, જે ૧૮૦ લાખ બ્લૂ વ્હેલના પેટમાં પહોંચી શકે એટલો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવવામાં કોકા કોલા કંપની પ્રથમ સ્થાને છે. પર્યાવરણમાં મળી આવતા બ્રાન્ડેડ પ્લાસ્ટિકના કચરામાં તેનો ૧૧ ટકા હિસ્સો હોય છે. તેના પછીના ક્રમે પેપ્સિકો, નેસ્લે, ડેનન અને ઓલ્ટ્રીઆ જેવી કંપનીઓ છે. હાલ કોકા કોલા કંપની વરસેદહાડે તેર હજાર કરોડ પ્લાસ્ટિક બોટલો પેદા કરે છે. એક અંદાજ અનુસાર દર વરસે તે પચાસ હજાર કરોડ કરતાં વધુ બોટલોનું વેચાણ કરે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
એ સૌ કોઈ જાણે છે કે કોકા કોલા એક બહુરાષ્ટ્રીય કંપની છે. તેના દ્વારા બનાવાતું અને વેચાતું પીણું પાણીમાં બનાવાયેલું એક દ્રાવણ માત્ર છે, જેનું કોઈ સ્વાસ્થ્યલક્ષી મૂલ્ય નથી. માત્ર ને માત્ર સ્વાદ ખાતર અને ઘણા ખરા કિસ્સામાં દેખાદેખીથી યા મોભાના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને લોકો તે પીવે છે. આમ તો દુનિયાનો પ્રત્યેક નાગરિક પોતાને મરજી પડે એ ખાવા કે પીવા માટે સ્વતંત્ર છે, પણ આ પીણાને લઈને જગતભરના પર્યાવરણ પર જે વિપરીત અસર થઈ રહી છે અને એ સતત વધતી રહી છે તેથી આટલી ટીપ્પણી.
માત્ર ને માત્ર તગડો નફો રળવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને ગંભીર નુકસાન કરે તો એનું કશું સામાજિક ઉત્તરદાયિત્ત્વ ખરું કે નહીં? ડિસેમ્બરમાં આ કંપનીએ પોતાનાં પર્યાવરણસંબંધી સ્વૈચ્છિક લક્ષ્યાંકોમાં ફેરફાર કર્યો હતો. અગાઉની જળ, પેકેજિંગ, હવામાન અને કૃષિ અંગેની પોતાની નિસ્બત અનુસાર ૨૦૨૨માં તેણે ઘોષણા કરેલી કે તેનાં પીણાંમાંનાં ઓછામાં ઓછા પચીસ ટકા રીફીલેબલ કે પાછા આપી શકાય એવાં પાત્રોમાં વેચવામાં આવશે. હવે કંપનીની વેબસાઈટ પરથી આ પ્રતિજ્ઞા હટાવી લેવાઈ છે.
નવી ઘોષણામાં જણાવાયું છે કે હવે તે પ્રાથમિક પેકેજિંગમાં ૩૫થી ૪૦ ટકા સામગ્રી રિસાયકલ કરેલી વાપરશે. પ્રાથમિક પેકેજિંગ એટલે ઉત્પાદન સાથે સીધો સંપર્ક ધરાવતી સામગ્રી. ‘ઓશના’ના જણાવ્યા અનુસાર, આ કંપની પ્રવર્તમાન સ્તરેથી પ્લાસ્ટિકનો ઊપયોગ ત્યારે જ ઘટાડી શકે જો તે વર્ષ ૨૦૩૦ સુધીમાં રિયુઝેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ ૨૬.૪ ટકા પર લાવી શકે.
‘રિસાયકલ’ અને ‘રિયુઝ’માં ફરક છે. ‘રિસાયકલ’માં એ સામગ્રીમાંથી જ નવી સામગ્રી બનાવવાની હોય છે, જેનો પુન:ઉપયોગ થઈ શકે. ‘રિયુઝ’માં એ જ સામગ્રીનો પુન:ઉપયોગ કરવાનો હોય છે. ‘ઓશના’ના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ મેટ લીટલજોહનના જણાવ્યા મુજબ, આ કંપનીની નિયંત્રણ બહારની પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન ‘રિસાયકલ’થી નહીં, પણ ‘રિયુઝ’થી થઈ શકે એમ છે. રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલો નવી પ્લાસ્ટિક બૉટલોની જેમ જ દરિયાઈ પ્રદૂષણ કરે છે અને સમુદ્રી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. અને આ કંપની સૌથી વધુ પ્રદૂષણ કરતી કંપની તરીકે બદનામ છે.
બીજી તરફ કોકા કોલાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ ક્વીન્સીએ પોતાના રોકાણકારોને ચેતવતાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકાર દ્વારા લોખંડ અને એલ્યુમિનિયમની આયાત પર વધારાયેલા ૨૫ ટકા ટેરીફને કારણે ડબ્બામાં પૅક કરેલા ખોરાક અને પીણાંની કિંમતમાં વૃદ્ધિ થઈ શકે છે, જેને કારણે કંપની દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઈ શકે છે.
સો વાતની એક વાત એ છે કે પર્યાવરણ-બર્યાવરણ માર્યા ફરે, કંપનીને એનું જતન કે જાળવણીમાં કશો રસ નથી. નાણાંનું જોર હોય ત્યાં કોઈ કશું કરી શકતું નથી. સરકાર પણ નહીં. પર્યાવરણની સુરક્ષા કે જાળવણી અંગે વાતો તો ઘણી થાય છે, કાગળ પર ઘણી યોજનાઓ ઘડાય છે, પણ સરવાળે આ બધું પર્યાવરણને પ્રદૂષિત કરવામાં થોડો ઊમેરો કરે છે. એ ઉપરાંતની એની કોઈ અસર હોય તો એ છેવટે ઊપભોક્તાના ખિસ્સા પર થાય છે. સરકારોને રસ છે આવકમાં. પર્યાવરણના પ્રદૂષણનું આભ એ હદે ફાટ્યું છે કે એમાં એકલદોકલ નાગરિકો કે નાગરિકસમૂહોનું થીંગડું ખાસ કારગત ન નીવડી શકે.
રાક્ષસી કદની કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા કરોડોના વ્યવહારો ગુમાવવા કોને પોસાય? એક જાગ્રત નાગરિક બિચારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ લેતો હોય તેની સામે આવી કંપનીઓ અઢળક કચરો પેદા કરીને તેને ગમે ત્યાં ઠાલવીને પર્યાવરણને અનેકગણું પ્રદૂષિત કરી મૂકે છે. હવે તો તેઓ આને ખુલ્લેઆમ કરતા થયા છે, અને એની જરા પણ શરમ રહી નથી. સમગ્ર માનવજાતનું ભાવિ હવે આવા પ્રદૂષકોના હાથમાં કેદ છે. એનો અંજામ શો હશે એની કલ્પના કરવાની જરૂર નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
