પ્રવાસી યુ. ધોળકિયા

સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.

અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.

બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના પ્રથમ ભાગમાં આપણે કથા પ્રારંભ, રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?, રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ, તેમજ રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં વિવિધ પાસાંઓની વાત કરી.

તે પછી બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિનાં આ બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણતરી, વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, કુરુ વંશવૃક્ષ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, તેમજ આ મણકા માટે આધાર લીધેલા અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ વગેરે બાબતોની વાત કરી.

આજે હવે ત્રીજા અને છેલ્લા મણકામાં આપણે રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ તેમજ અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની વાત કરીશું.


રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ

રામાયણ અને મહાભારત વચ્ચે ત્રેતા યુગ અને દ્વાપર યુગનાં વચ્ચેનું, એક યુગ જેટલું, સમયકાળનું અંતર છે. આમ છતાં, બન્ને મહાકાવ્યોના વ્યક્તિસમુહો અને ઘટનાઓમાં જે કેટલીક નોંધપાત્ર સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ રહેલી છે તેની સંક્ષિપ્ત ચર્ચા અસ્થાને નહીં ગણાય.

૧) વાલ્મીકી રામાયણ અને તેના પછી લખાયેલાં અનેક સંસ્કરણોમાં શ્રીરામ અને તેમના બહુખ્યાત ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કેન્દ્રસ્થાને છે. મહાભારતમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એમ પાંચ ભાઈઓ છે. રામાયણમાંની પાંચમા ભાઈની ખોટ રામના અનન્ય ભક્ત હનુમાનના પાત્રથી પુરી થતી અનુભવી શકાય છે.

૨) રામાયણના મુળ નાયક અવતાર પુરુષ શ્રીરામ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અવતાર પુરુષ હોવા છતાં કથા નાયક નથી, પરંતુ સમગ્ર મહાભારત કથામાં છવાયેલા રહે છે. શ્રીકૃષ્ણની કૂટનીતિ અને દીર્ઘદૃષ્ટિને કારણે કૌરવો કરતાં પાંડવો ઓછી સંખ્યામાં હોવા છતાં પણ યુદ્ધમાં ભીષ્મને મરણતોલ હાલતમાં ઘાયલ કરવાને અને દ્રોણાચાર્ય, કર્ણ અને દુર્યોધન જેવા મહાપ્રરાક્રમી યોદ્ધાઓનો વધ કરી શકવાને સમર્થ બની શકે છે. બીજી દૃષ્ટિ જોઈએ તો ધર્મની રક્ષા કરવા મર્યાદાપુરુષોત્તમ એવા રામ સ્વયં ધર્મ અનુપાલન આચરણ કરીને પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણને વિકટ ધર્મસંકટમાં મુકે છે. જ્યારે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે વ્યવહારુ ધર્મ અપનાવીને કૌરવો અને તેમના સાથીઓ દ્વારા આચરતા અધર્મને પરાજિત કરે છે.

૩) પુત્રેષ્ઠિ યજ્ઞનો આશરો લઈને સૂર્યવંશની ઓગણચાલીસમી પેઢીના વંશજ માટે દશરથ પોતાની ત્રણ પત્નીઓ દ્વારા શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ ચાર પુત્ર સંતાનો પ્રાપ્ત કરે છે.

મહાભારત ચંદ્ર વંશની કથા છે. એક તબક્કે આ વંશનું સાતત્ય જાળવવું જોખમમાં આવી પડે છે. એ સમયે ભારદ્વાજ ઋષિની સહાયથી નિયોગપ્રાપ્તિનો માર્ગ અપનાવીને વંશનો વિલોપ થતો અટકે છે.

આપણી ગાંધર્વ પરંપરા અનુસાર રાજા દુષ્યંત શંકુતલાથી દેહસંબંધ બાંધી ભરત નામના પુત્રને પ્રાપ્ત કરે છે. પ્રારંભમાં દુષ્યંત ભરતને પોતાના પુત્ર તરીકે સ્વીકારતા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ પછી ભરતનો પુત્ર તરીકે તેઓ સ્વીકાર કરે છે તેથી ચંદ્રવંશ ટકી જાય છે. આ વંશમાં છ – સાત પેઢી પછી કુરુ રાજ્યધુરા સંભાળે છે. તેના નામથી હવે ચંદ્રવંશ કુરુવંશ તરીકે ઓળખાય છે.

એ વંશમાં આગળ જતાં શાંતનુ રાજા બને છે. તેને ગંગાથી એક પુત્ર દેવવ્રત પ્રાપ્ત થાય છે. દેવવ્રત એટલે મહાભારતની કથાના ભીષ્મ પિતામહ. શાંતનુ સાથે લગ્ન થાય તે પહેલાં શાંતનુનાં બીજાં પત્ની સત્યવતીને ઋષિ પરાશરથી વેદવ્યાસ નામના પુત્ર છે. શાંતનુ સાથે લગ્નસંબંધથી સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રો થાય છે. ચિત્રાંગદ પુત્રપ્રાપ્તિ પહેલાં જ યુદ્ધમાં મૃત્યુ પામે છે.  દેવવ્રતે આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ લીધું છે. આ સંજોગોમાં  કુરુવંશને ચાલુ રાખવા  માટે આજની પેઢીને પણ આંચકો લાગે એવા નિર્ણય દ્વારા સત્યવતી ભીષ્મને કાશીનરેશની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરીને વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા ફરજ પાડે છે.

અંબા તો કોઈ અન્ય સાથે પ્રેમમાં હોવાને કારણે આ વાત નથી માનતી પણ અંબિકા અને અંબાલિકા વિચિત્રવીર્ય વેરે લગ્ન કરે છે. વિચિત્રવીર્ય સંતાનપ્રાપ્તિ માટે અસમર્થ છે. તેથી નિયોગ પદ્ધતિથી વેદવ્યાસ દ્વારા અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ એમ પુત્રો પ્રાપ્ત થાય છે. તદુપરાંત ધૃતરાષ્ટ્રની દાસીથી વેદવ્યાસ દ્વારા વિદુરની પણ પ્રાપ્તિ થાય છે. અંબા પોતાના પર કરાયેલા અત્યાચારથી રોષે ભરાઈને ભીષ્મને શ્રાપ આપે છે કે બીજા જન્મમાં તે જાતિ પરિવર્તન કરીને શિખંડી તરીકે પુરુષનો અવતાર લઈને ભીષ્મનાં મૃત્યુનું કારણ બનશે.

ધૃતરાષ્ટ્રનાં લગ્ન ગાંધારી સાથે થયાં. એ લગ્નથી તેમને દુર્યોધન સહિત ૧૦૦ દીકરાઓ અને દુશાલા નામની એક દીકરી હતાં. તે ઉપરાંત એક વૈશ્ય કન્યાથી ધૃતરાષ્ટ્રને યુયુત્સુ નામનો પણ એક પુત્ર હતો. સત્યવતીએ પાંડુનાં લગ્ન કુંતી અને માદ્રી સાથે કરાવ્યાં. કુંતિને પુત્રપ્રાપ્તિનું મંત્રશક્તિનું વરદાન હતું. તે વરદાનની મંત્રશક્તિને ચકાસવા જતાં કુંતીને લગ્ન પહેલાં સૂર્યદેવથી કર્ણ પ્રાપ્ત થયો હતો. લગ્ન પછી કુંતીને અન્ય ત્રણ પુત્રો – (ધર્મદેવથી) યુધિષ્ઠિર, (વાયુદેવથી) ભીમ અને (ઇન્દ્રથી) અર્જુન – થયા હતા. એ જ મંત્રશક્તિની મદદથી માદ્રીને (અશ્વિની કુમારોથી) સહદેવ અને નકુળ એમ બે પુત્રો થયા હતા.

આમ સૂર્યવંશ લગ્નની શાત્રોક્ત વિધિપૂર્વક સંતાનોની પ્રાપ્તિ કરે છે, જ્યારે ચંદ્રવંશ લગ્નેતર નિયોગ પદ્ધતિથી આગળ વધે છે.

૪) રામાયણમાં સૂર્યવંશના રાજા દશરથને બહુ જાણીતી શ્રવણ કથામાં શ્રાપ મળે છે. એ કથા મુજબ, એક સમયે દશરથ જંગલમાં મૃગયા નિમિત્તે નીકળ્યા હોય છે. તે સમયે શ્રવણ પોતાના અંધ મા – બાપ માટે નદીમાંથી ઘડા વાટે પાણી ભરવા આવ્યો હોય છે. ઘડામાં પાણી ભરાવાના અવાજને દશરથ હરણ પાણી પીવા આવ્યું છે એમ માનીને તીર છોડે છે, જેને કારણે શ્રવણનો વધ થાય છે. શ્રવણનાં અંધ મા – બાપ પાસે દશરથ પોતાના અપરાધનો સ્વીકાર કરે છે. શ્રવણનાં મા – બાપ દશરથને શ્રાપ આપે છે કે તેને પણ આ જ રીતે સંતાન વિયોગ થશે અને પોતાના અપરાધના બોજ હેઠળ દબાઈને તે મૃત્યુ પામશે. રામાયણની કથામાં જણાવ્યા મુજબ પાટવી કુંવર રામના રાજ્યાભિષેક સમયે દશરથનાં ત્રીજાં પત્ની દશરથ પાસે તેણે આપેલા બે વચનો પુરાં કરવાની માગણી કરે છે. એ વચનોના પાલન રૂપે કૈકેયી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને અયોધ્યાનો રાજ્યકારભાર માગે છે.  આ વચનોના આઘાતથી બીમાર પડેલ રામ – સીતા અને લક્ષ્મણના વનવાસની વ્યથામાં જ એક પણ પુત્રની હાજરી વગર અવસાન પામે છે.

મહાભારત કથામાં પાંડુ એક વાર શિકાર માટે નીકળ્યા હોય છે ત્યારે સંભોગગ્રસ્ત હરણ અને હરણીનો વધ કરે છે. આ હરણ અને હરણી આમ તો શ્રાપિત ઋષિ અને તેનાં પત્ની હતાં. તેઓ પાંડુને શ્રાપ આપે છે કે ભવિષ્યમાં પાંડુ જ્યારે પણ કામગ્રસ્ત થશે ત્યારે તેનું મૃત્યુ થશે. પાંડુ તે પછી બહુ જ સંયમ પાળતા હતા. પરંતુ એક વાર મૃગયા વિહાર સમયે તે માદ્રી સાથે કામવશ થાય છે તેવું જ તેમનું મૃત્યુ થાય છે.

આમ બન્ને મહાકાવ્યોમાં બન્ને વંશના જે તે સમયના રાજાઓનાં મૃત્યુની ઘટનાઓમાં શ્રાપને કારણે થતાં મૃત્યુની ઘટનાઓમાં સમાંતરતા જળવાતી જોવા મળે છે.

૫. વર્તમાન સમયમાં કોઈ પણ સામાજિક કે કૌટુંબીક ઝઘડાના મૂળમાં, તળપદી ભાષામાં, જર, જમીન અને જોરૂ માનવામાં આવે છે.

રામયણમાં રામનાં પત્ની સીતા (સ્ત્રી / પત્ની)નું રાવણ દ્વારા અપહરણ યુદ્ધને નોતરે છે. એ યુદ્ધમાં રાવણનો વધ થાય છે. તે સાથે, અમુક અપવાદોને બાદ કરતાં, સમગ્ર રાક્ષસકુળનો પણ નાશ થાય છે.

મહાભારતનાં યુદ્ધનું કારણ રાજ્ય (જમીન) માટે પાંડવો અને કૌરવો વચ્ચે વારસાઈ હક્કનો વિવાદ છે. રાજયનો અર્ધો ભાગ તો શું પણ કૃષ્ણે વિવાદની સુલેહ માટે માત્ર પાંચ ગામ આપવાની સલાહ માનવાની બાબતે પણ કૌરવોની આડોડાઈના ભાગ રૂપે દુર્યોધન ધરાર ના પાડે છે. જેને કારણે થયેલાં મહા યુદ્ધને અંતે કૃષ્ણની મદદથી પાંડવો ભરત વંશના રાજવી તરીકે પ્રસ્થાપિત થાય છે. પરંતુ એ યુદ્ધમાં લાખો લોકોનો સંહાર થાય છે. એ પછીથી કળિયુગની શરૂઆત થયેલી મનાય છે.

આજે જ્યારે ઘોર કળિયુગની સંધિ ચાલી રહી છે ત્યારે જર (નાણાં/ સંપતિ)નું પ્રાધાન્ય જમીન અને જોરૂ કરતાં પણ વિશેષ બની રહ્યું છે. આજે હવે એમ જ માનવામાંઆવે છે કે જો ધન હશે તો જમીન અને જોરૂ બન્ને મળી શકે છે.

૬) રામાયણમાં વિભિષણ રાક્ષસ કુળ છોડી રામ, એટલે કે ધર્મ અને સત્ય,ને સાથ આપે છે. જો વિભિષણ ન હોત તો રામને રાક્ષસ કુળ પર સરળતાથી વિજય પ્રાપ્ત થયો હોત કે કેમ સવાલ છે. મહાભારતમાં વિભિષણની ભૂમિકા દુર્યોધનનો સાવકો ભાઈ યુયુત્સુ ભજવે છે. યુદ્ધમાં તેણે પાંડવોના પક્ષે રહીને તેમને ખુબ મદદ કરી હતી. યુદ્ધની સમાપ્તિ પછી, યુધિષ્ઠિર પ્રાંરભમાં યુયુત્સુને પોતાના સલાહકાર તરીકે અને પછીથી એક સ્વતંત્ર રાજવી તરીકે આદર આપે છે.

૭) રામયણમાં રાવણને તેના ભાઈઓ કુંભકર્ણ, વિભિષણ તેમજ અન્ય સલાહકારો રામ સાથે યુદ્ધ નોતરી લેવાને બદલે સીતાજીને આદર સન્માનપૂર્વક પરત કરવાનો આગ્રહ કરે છે. પરંતુ, રાવણપુત્ર મેઘનાદ (ઇન્દ્રજીત) પોતાના પિતાને આવું કોઈ પગલું ન ભરવાનો દુરાગ્રહ સેવે છે. પરિણામે, જે યુદ્ધ થાય છે તેમાં મેઘનાદનો લક્ષ્મણના હાથે અને રાવણ અને કુંભકર્ણનો રામના હાથે નાશ થાય છે.

મહાભારતમાં શ્રીકૃષ્ણ, વિદુર અને અન્ય સલાહકારો દુર્યોધનને પાંડવોને તેમના હિસ્સાનું રાજ્ય સોંપી દઈને યુદ્ધ ટાળવાની સાચી સલાહ આપે છે. પરંતુ અહીં કર્ણ દુર્યોધનને આવી કોઈ સુલેહ કરવાની ના પાડે છે. એમ માની શકાય કે જો કર્ણ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ન થયું હોત  અને લાખો લોકોનો સંહાર રોકી શકાયો હોત !

૮) રામાયણમાં રામના સ્વર્ગારોહણ વિશેની આધારભૂત માહિતી મળતી નથી. જો સાતમા ઉત્તરકાંડને આપણે પ્રક્ષિપ્ત ન માનીએ તો રામે રાવણ્વિજય બાદ અયોધ્યા પર ૧૧ વર્ષ રાજ્ય કર્યું. તે પ્છીથી સીતાજી અને લક્ષ્મણની વિદાય બાદ તેમણે સરયુમાં જળસમાધિ લઈને પરમતત્ત્વમાં ભળી ગયા. મહાભારત કથા પ્રમાણે યુધિષ્ઠિરનાં ૩૬ વર્ષના શાસનકાળ પછીથી જરા નામના પારધીના હાથે શ્રીકૃષ્ણે પણ દેહત્યાગ કર્યો અને બ્રહ્મમાં વિલીન થઈ ગયા.

આપણા ધર્મગ્રંથો પ્રમાણે રામ અને લક્ષ્મણની અંતિમ વિદાય પછી સૂર્યવંશના વંશજો તરીકે લવકુશ અને લક્ષ્મણના પુત્રો અંગદ અને ચંદ્રકેતુ, ભરતના પુત્ર ભૌમન્યુ અને શત્રુઘ્નના પુત્રો શત્રુગતિ અને સુબાહુએ જુદા જુદા પ્રદેશો પર શાંતિપૂર્વક રાજ્ય કર્યું.

મહાભારતનાં યુદ્ધ પછીના ૩૬ વર્ષના શાસનકાળ બાદ, પાંચ પાંડવો અને દ્રૌપદીએ સુમેરૂ પર્વત પર જઈને હિમગાળામાં પોતાના દેહત્યાગ કર્યા. અભિમન્યુ અને ઉત્તરાના ગર્ભસ્થ સંતાનને મારી નાખવાના અશ્વત્થામાના પ્રયત્નને શ્રીકૃષ્ણએ નિષ્ફળ બનાવ્યો. પરિણામે યુધિષ્ઠિર પછી કુરુ વંશનું રાજ્ય પરીક્ષિતે નિભાવ્યું. દુર્ભાગ્યે, પરીક્ષિત વડે શમિક ઋષિનું અપમાન થયું, તેથી, ઋષિપુત્રના શ્રાપને લઈને પરિક્ષિતનું મૃત્યુ થયું. તેના પછી તેના પુત્ર જન્મેજયે પાંડવો અને કૌરવોનું રાજ્ય સંભાળ્યું અને ચંદ્રવંશને આગળ વધાર્યો. પુરાણોની યાદી પ્રમાણે સૂર્યવંશના પ્રમાણમાં ચંદ્રવંશે વધારે પ્રતાપી રાજાઓ આપવા છતાં આ વંશ પ્રમાણમાં વહેલો લુપ્ત થઈ ગયો.

૯) રામાયણમાં જોઈ શકાય છે કે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ રામ અને અન્ય સૂર્યવંશીઓને ઓછી સલાહ આપે છે. જ્યારે મહાભારતમાં મૃત્યુશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર અને પાંડવોને રાજ્યધર્મ વિશે અને જીવનનાં અનેક પાસાંઓ બાબતે વિગતે ઉપદેશ આપે છે. યક્ષ અને યુધિષ્ઠિરના પ્રખ્યાત સંવાદમાં પણ માનવ સમાજને સ્પર્શતા અનેક ઉપદેશો છે. શ્રીમદ્‍ ભગવદ્‍ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ઉપદેશ વિશ્વનો શ્રેષ્ઠ ઉપદેશ મનાય છે. એ આદેશોમાં યુદ્ધ પણ એક ધર્મ શી રીતે બની રહી શકે એવું પણ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ્યું છે. તે ઉપરાંત, માત્ર ૭૦૦ શ્લોકોમાં વેદજ્ઞાન અને વેદાન્તનું દોહન કરીને શ્રીકૃષ્ણે ભારતીય ઋષિ પ્રજ્ઞાને બચાવી લીધી છે. એમ કહેવાય છે કે ઉપનિષદો ભૂતકાળમાં અને બીજા બે કાળમાં પણ એટલાં જ પ્રાસંગિક છે અને આજના આધુનિક યુગમાં પણ આ વેદાન્ત દર્શન એટલું જ આધારભૂત છે. તે જ પ્રમાણે ભગવદ્‍ગીતામાં શ્રીકૃષ્ણે મોડર્ન મૅનેજમૅન્ટ ગુરુની ભૂમિકામાં અદ્‍ભૂત નાયક તરીકે ભાગ ભજવ્યો છે. પરિણામે, ભગવદ્‍ગીતા માત્ર આધ્યાત્મિક ઉપદેશ ગ્રંથ બની રહેવાને બદલે મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલીનાં આધુનિક વિજ્ઞાનનું એક સીમાચિહ્ન બની રહેલ છે.

૧૦) આપણા ધર્મગ્રંથો લક્ષ્મણને શેષાવતાર માને છે. આથી લક્ષ્મણે જળસમાધિ લીધી ત્યારે તેઓ શેષનાગ બનીને સરયૂ નદીના જળમાં સમાઈ જાય છે.

મહાભારતમાં શ્રીકૃષ્ણના મોટાભાઈ, બલરામ, પણ આવું જ વિશિષ્ટ પાત્ર છે, જેને પણ શેષાવતાર ગણવામાં આવે છે. કૌરવો અને પાંડવો વચેની બલરામની તટસ્થ નીતિ કૃષ્ણને પસંદ નથી હોતી. તેથી, જ્યારે કૃષ્ણને વિદિત થઈ જાય છે કે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ હવે અનિવાર્ય છે, ત્યારે તેઓ બલરામને ૪૨ દિવસનાં તીર્થાટન પર મોકલી દે છે. બલરામ મહાભારતના યુદ્ધના અંતિમ દિવસે પાછા ફરે છે. તે સમયે તેઓ યુદ્ધ સંહાર નિહાળીને અત્યંત નારાજ થાય છે. તે પછી તેઓ તરત જ જળસમાધિ લે છે. ત્યારે પણ તેમનું સ્વરૂપ શેષાવતારનું હોય છે.

૧૧) રામાયણમાં રાવણપુત્ર મેઘનાદને એક મહાન તાંત્રિક દર્શાવાયો છે. રામ – રાવણનું યુદ્ધ જ્યારે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે મેઘનાદે દેવીતંત્રની સહાયથી રામ અને લક્ષ્મણના વધનો પ્રયાસ કર્યો હતો. તે એ પ્રયાસમાં નિષ્ફળ રહે છે અને લક્ષ્મણના હાથે તેનું મૃત્ય નિપજે છે.

તાંત્રિક વિદ્યાની સહાય લેવાની ભૂમિકા મહાભારતમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ભજવી છે. પોતાના પિતા દ્રોણાચાર્યનું મૃત્યુ તે પાંડવોને હાથે છળકપટથી થતું જુએ છે.  તે પછી બધા કૌરવોને પણ યુદ્ધભૂમિમાં હણાયેલા જોઈને તેનામાં પ્રગટેલો ક્રોધાગ્નિ તેને બધો વિવેક ભુલાવી દે છે. શિવતંત્રનો તે મહાન ઉપાસક હતો. તેથી શિવતંત્રનો દુરુપયોગ કરીને પાંડવોથી થયેલા દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન અને પાંડવ સેનાના બચી ગયેલ અનેક વીરનાયકોનો સંહાર કરી નાખે છે. આમ છતાં પણ તેનો ક્રોધાગ્નિ શાંત થતો નથી, એટલે તે બ્રહ્માસ્ત્ર છોડીને ઉત્તરાના ગર્ભમાં રહેલ પુત્રને મારવાનો પ્રયાસ કરે છે. શ્રીકૃષ્ણ તેનો પ્રયાસ અસફળ  કરે છે અને શ્રાપ આપે છે કે અશ્વત્થામાએ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકતા રહેવું પડશે.

૧૩) રામાયણમાં દશરથની ત્રણ પત્નીઓ – કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી- ના મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. જ્યારે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી સાથે યુદ્ધ પતી ગયાના થોડાં વર્ષો બાદ વનપસ્થાન કરે છે અને ગંગાદ્વાર નજીક દાવાનલમાં દેહત્યાગ કરે છે. માદ્રી પાંડુનાં અવસાન સાથે જ સતી થયાં છે.

૧૪) રામાયણમાં પ્રારંભમાં ખલનાયકની ભૂમિકા કૈકેયીની દાસી ભજવે છે. પછીથી એ ભૂમિકામાં રાવણની બહેન શુપર્ણખા ભજવે છે. મંથરાને કુબ્જા તરીકે વર્ણવાઈ છે. શુપર્ણખાનું નાક કાપી નાખીને લક્ષ્મણ તેને કદરૂપી બનાવે છે.

મહાભારતમાં ખલનાયકની ભૂમિકા પ્રારંભમાં ગાંધારીનો ભાઈ શકુનિ ભજવે છે. દ્યુતમાં છળકપટથી યુધિષ્ઠિરને હરાવીને પાંડવો અને દ્રૌપદીને વનવાસ અપાવે છે. તે ઉપરાંત ભરી સભામાં દૌપદીનું ઘૃણાસ્પદ રીતે અપમાન પણ પ્રયોજે છે. એ કાર્યમાં દુર્યોધનની સાથે કર્ણ અને દુઃશાસન પણ વરવી ભૂમિકા ભજવે છે. અગ્નિમાંથી પેદા થયેલાં હોવાથી પોતાના અપમાનને દ્રૌપદી ભુલી નથી શકતાં અને મહાભારતનું યુદ્ધ કરાવીને બદલો વાળે છે.

૧૫) જો સાતમા ઉત્તરકાંડને ધ્યાનમાં ન લઈએ તો રામ સીતા સાથે અયોધ્યા પાછા આવીને રામરાજ્યની સ્થાપના કરે છે. પરંતુ મહાભારતમાં જ્યારે ગાંધારીને વિદિત થાય છે કે પોતાના પુત્રોને હણી નાખવામાં શ્રીકૃષ્ણની ભૂમિકા મુખ્ય છે ત્યારે ક્રોધિત થઈને તે શ્રીકૃષ્ણનો તેમના કુળ સાથે વિનાશ થઈ જશે એવો શ્રાપ આપે છે. ક્દાચ શ્રીકૃષ્ણને પોતાના કુળના આ રીતે થનાર નાશની નિયતિ અને કારણ જાણ હશે એટલે કોઈ પણ જાતના પ્રતિકાર વિના એ શ્રાપનો સ્વીકાર કરે છે. છેવટે યાદવાસ્થળીમાં સમગ્ર યાદવ કુળનો નાશ થાય છે.

૧૬) ભારત પરનાં બ્રિટિશ શાસન કાળ દરમ્યાન કેટલાક અંગ્રેજ અમલદારો ભારતના પ્રાચીન જ્ઞાનથી ભારે પ્રભાવિત થયા હતા. ૧૯મી સદીમાં આવા એક અમલદાર જે. એફ. હ્યુઈટ હતા. તેઓએ આપણા પ્રાચીન જ્ઞાનને કંઠસ્થ કર્યું. આટલેથી ન અટકતાં તેઓએ વિશ્વ સમક્ષ એવું સંશોધન રજુ કર્યું કે ભારતના ઋષિઓએ ગ્રહ નક્ષત્રોની ગણતરીને આધારે વિશ્વને સાચાં કેલેન્ડરની ભેટ આપી છે.

હ્યુઈટે પ્રતિપાદિત કર્યું કે ક્રમાનુસાર પહેલાં બે ઋતુ, પછી ત્રણ ઋતુ,પછી ૧૧ મહિના, ૧૩, ૧૫ અને ૧૭ મહિનાનું વર્ષ અસ્તિત્વમાં આવ્યું. આજથી ૧૬,૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે વિશ્વભરમાં ૧૦-૧૦ મહિનાના ચાર એવાં ત્રણ વર્ષનાં ચક્રનું પણ પ્રચલન હતું. તેનું સૂત્ર આ પ્રમાણે છેઃ

૧. ૨૭ નક્ષત્રો x ૪૦ = ૧૦૮૦ દિવસ

૨. ૩૬૦ દિવસ x ૩ વર્ષ = ૧૦૮૦ દિવસ

સામાન્ય પ્રજાને આ સંખ્યા યાદ રહી રહી જાય એટલે રાજાઓનાં નામ પણ દશરથ, દશાનન રાવણ વગેરે હતાં. રામે લંકામાં યુદ્ધ કર્યું ત્યારે પણ આ ગાળો દશ મહિનાનો હતો. ચારના આંકડાને પ્રતિપાદિત કરવા દશરથના પુત્રોની સંખ્યા ચાર લખી અને ત્રણની સંખ્યા દર્શાવવા દશરથની રાણીઓની સંખ્યા ત્રણની દર્શાવી.

મહાભારતના સમયમાં ૧૮ મહિનાનું વર્ષ હતું અને મહિનો ૨૦ દિવસનો હતો. સામાન્ય લોકોને ૧૮ની સંખ્યા યાદ રહી જાય એટલે મહાભારતમાં ૧૮ પર્વો છે. કૌરવોની સેનાની સંખ્યા ૧૮ અક્ષૌહિણી છે. યુદ્ધનો સમયગાળો ૧૮ દિવસનો છે.  ભગવદ્‍ગીતાના અધ્યાય પણ ૧૮ છે.

હ્યુઈટ લખે છે કે યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે પરીક્ષિત રાજા બને છે ત્યારે ભારતમાં સૂર્યની ગતિ આધારિત ૧૨ મહિનાના વર્ષનું પ્રચલન થાય છે. હ્યુઈટ જણાવે છે કે વિશ્વ આ માટે ભારતનું ઋણી છે.

અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ

 

કૃતિ

કર્તા

રામાયણ

વાલ્મિકી રામાયણ (ગુજરાતી)  ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
વાલ્મિકી રામાયણ (હિન્દી અને ગુજરાતી)  ગીતા પ્રેસ, ગોરખપુર
વાલ્મિકી રામાયણ (અંગ્રેજી)  રોબર્ટ અને સેલી ગોલ્ડમેન
વાલ્મિકી રામાયણ (ગુજરાતી)  વિજયભાઈ પંડ્યા
રામાયણ (સંસ્કૃત અને અંગ્રેજી)  ક્લે સંસ્કૃત લાયબ્રેરી
 The Ramayana Unravelled  અમી ગણાત્રા
રામાયણ (અંગ્રેજી)  રાજ ગોપાલાચારી

મહાભારત

મહાભારત (અંગ્રેજી)  Johannes Adrianus Bernardus van Buitenen
મહાભારત (અંગ્રેજી)  પી. લાલ
મહાભારત (સંસ્કૃત અને  અંગ્રેજી)  ક્લે સંસ્કૃત લાયબ્રેરી
મહાભારત (હિન્દી)  ગીતા પ્રેસ, ગોરખપુર
The Mahabharat Unravelled  અમી ગણાત્રા
 મહાભારત (અંગ્રેજી)  રાજ ગોપાલાચારી

રામાયણમાં અમરત્વને વરેલ રામના અનન્ય ભક્ત હનુમાનની છબી ભક્તોના હૃદયમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરતની સમકક્ષ ગણાય છે. સંત તુલસીદાસે રામચરિત માનસમાં હનુમાન ચાલીસાની રચના કરીને આપણને ધન્ય કર્યાં છે.


હવે પછી આપણે એક બીજા મહાન પ્રાચીન ગ્રંથ, ભગવદ્‍ ગીતા, વિશે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.