રમેશ ઓઝા

૨૦૨૪ના ‘વર્લ્ડ હંગર ઇન્ડેક્સ’ (ડબલ્યૂએચઆઈ) મુજબ જગતમાં કુલ ૧૨૭ દેશોમાં ભૂખની સમસ્યા છે અથવા પૂરતું પોષણ મળે એટલો ખોરાક મળતો નથી. જે બાળકો જન્મે છે તે કુપોષણના કારણે તંદુરસ્તી ભોગવતાં નથી અને કેટલાંક કમનસીબ બાળકો પાંચ વરસની ઉંમર ભાળતાં નથી. ડબલ્યૂએચઆઈએ ભૂખથી લઈને અપૂરતા પોષણ સુધીના કેટલાક માપદંડો વિકસાવ્યા છે અને તેને આધારે ગુણાંક આપે છે અને ગુણાંકના આધારે ઇન્ડેક્સમાં સ્થાન આપે છે. ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે અને તેને મળેલા ગુણાંક ૨૭.૩ છે. ૨૦૦૦ની સાલમાં ભારતના ગુણાંક ૩૮.૪ હતા. ૨૦૦૮માં ૩૫.૨ હતા અને ૨૦૧૬માં ૨૯.૩ હતા. ૧૨૭ દેશેામાં ૧૦૫મું સ્થાન એ શરમની વાત છે.

જો ગુણાંક ઘટાડવા હોય અને ઇન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો સારું હંગર મેનેજમેન્ટ જરૂરી છે. ભારતને ૨૦૦૦ની સાલમાં હંગર મેનેજમેન્ટમાં જે ગુણાંક મળ્યા હતા તેમાં ૧૧નો ઘટાડો કરવામાં ૨૪ વરસ લાગ્યાં. હજુ તો આપણે ૨૭ પર છીએ. શૂન્ય પર પહોંચતાં કેટલાં વરસ લાગશે એનો અડસટ્ટો તમે માંડી લો. ગુણાંકમાં જે ૧૧નો ઘટાડો થયો છે તેમાં ત્રણનો ઘટાડો ૨૦૦૦થી ૨૦૦૮ સુધીનાં વર્ષોમાં થયો હતો. છનો ઘટાડો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં થયો છે અને ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીનાં આઠ વરસમાં માત્ર બેનો ઘટાડો થયો છે. છની જગ્યાએ માત્ર બે. ભારત રફતાર પણ જાળવી નથી શક્યું. સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ બગડી રહી છે. જો આ રફતારે આપણે ભૂખનો સામનો કરીશું તો શૂન્ય પર પહોંચતાં આખી ૨૧મી સદી વીતી જશે અને બાવીસમી સદીમાં આપણે કેટલાક લોકોને ભૂખ્યા સુવડાવીને પ્રવેશીએ તો આશ્ર્ચર્ય નહીં !

૨૦૦૦ની સાલમાં ચીનમાં ગુણાંક ૧૩.૪ હતા જે અત્યારે પાંચની અંદર છે. શ્રીલંકાના ગુણાંકમાં ૨૪ વરસમાં દસ (૨૧.૭થી ૧૦.૯)નો ઘટાડો થયો છે અને ‘ડબલ્યૂએચઆઈ ઇન્ડેક્સ’માં ભારતથી ક્યાંય ઉપર ૫૬મા ક્રમે છે. નેપાળના ગુણાંકમાં ૨૩ (૩૭.૧ થી ૧૪.૭)નો ઘટાડો થયો છે. હંગર મેનેજમેન્ટમાં નેપાળ પાસેથી ધડો લેવા જેવું છે. નેપાળનો ક્રમ ૬૮મો છે. આવું જ મ્યાનમારનું. ૨૦૦૦ની સાલમાં મ્યાનમાર ૪૦.૨ ગુણાંક ધરાવતું હતું જે અત્યારે નીચે આવીને ૧૫.૭ ધરાવે છે. નેપાળના ગુણાંકમાં ૨૩નો ઘટાડો થયો તો મ્યાનમારના ગુણાકમાં ૨૫નો. મ્યાનમાર ‘હંગર ઇન્ડેક્સ’માં ૭૪મા ક્રમે છે. ૨૦૦૦ની સાલમાં બાંગ્લાદેશ ૩૩.૮ ગુણાંક ધરાવતું હતું જે આજે ૧૯.૯ સુધી નીચે આવી ગયું છે અને ડબલ્યૂએચઆઈના ‘હંગર ઇન્ડેક્સ’માં ૮૪મા ક્રમે છે. અંદાજે ૧૫નો ઘટાડો બાંગ્લાદેશ કરી શક્યું છે. પાકિસ્તાન આપણી પાછળ ૧૦૯મા ક્રમે છે અને એનો રાજીપો જો કોઈને અનુભવવો હોય તો અનુભવી શકે છે. પાકિસ્તાનની હંગર મેનેજેમન્ટની યાત્રા તો આપણા કરતાં પણ બદતર છે. ૨૦૦૦થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં ૧૨ (૩૬.૬થી ૨૪.૬)નો ઘટાડો, પણ ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં ત્રણ (૨૪.૬ થી ૨૭.૯)નો વધારો થયો. આપણે માત્ર બેનો ઘટાડો કર્યો અને પાકિસ્તાને ત્રણનો વધારો કર્યો. અફઘાનિસ્તાન ૧૧૬મા ક્રમે છે અને તેણે પણ ૨૪ વરસમાં ૪૯.૯ થી ૩૦.૮ એમ લગભગ વીસ ગુણાંકનો ઘટાડો કર્યો છે.

ડબલ્યુએચઆઈના અહેવાલ મુજબ જો ગુણાંક ૫૦ કરતાં વધુ હોય તો તેવા દેશોની સ્થિતિ અત્યંત ચિંતાજનક (એક્સટ્રીમલી એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૩૫થી ૫૦ની વચ્ચે હોય તો એ ચિંતાજનક (એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૨૦ થી ૩૫ની વચ્ચે હોય તો તેને ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય તો તેને બહુ ગંભીર નહીં અને હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય અને જો દસની અંદર હોય તો રાહતરૂપ કહેવાય. ભારત ભૂખની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છોડીને ભારતના પાડોશી દેશોમાંથી કોઈ દેશ આપણી સાથે નથી. ઘણા આગળ નીકળી ગયા છે. ભારત અને પાકિસ્તાન જ એવા દેશો છે જે હંગર મેનેજમેન્ટમાં આગળ જવાની જગ્યાએ પાછળ ગયા છે. ભારતે ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કર્યો હતો અને તેની તુલનામાં ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં માત્ર બેનો ઘટાડો કર્યો.

આવું કેમ બન્યું ? આનું કારણ છે વિકાસલક્ષી ધોરણસર શાસનનો અભાવ અને ધર્મ અને ધર્મ આધારિત રાજકારણનો અતિરેક. હિંદુ-મુસલમાન અને ભારત-પાકિસ્તાન સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી થતી. વિકાસનો વિમર્શ તો હવે મુઠ્ઠીભર સરોકાર ધરાવતા માણસો સુધી સીમિત થઈ ગયો છે. આજે તો જાણે દેશની સૌથી મોટી સમસ્યા ભૂખ નથી, મુસલમાન છે. જ્યાં પ્રાથમિકતા બદલાય ત્યાં પરિણામ બદલાય. એટલે તો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કરનાર દેશ એના પછીનાં આઠ વર્ષમાં માત્ર બેનો ઘટાડો કરી શક્યો છે.

૧૬મી ઑક્ટોબરે ‘વર્લ્ડ ફૂડ ડે’ ઊજવાયો એ નિમિત્તે આ વાત તમારા વાંચવામાં આવી હશે. ભારત પણ અન્નની બાબતે આત્મનિર્ભર છે. જે સમસ્યા છે એ ગરીબીની છે અને પુરવઠાની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે ખરીદવા માટે પૈસા નથી. મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારી હોય.


(દિ.ભા.માંથી ટૂંકાવીને સાભાર)


ભૂમિપુત્ર : ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫