કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
વિખ્યાત એકટર અમીરખાનના પ્રસિદ્ધ ટી.વી. પ્રોગ્રામ “સત્યમેવ જયતે” માં ગાયના ગોબરની મહત્તા વિષે કોઇંબ્તુરના એક સફળ પ્રયોગવીર I.G.S.ના પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી નિવાસન જણાવે છે કે “ગાયો દૂધ આપે છે પણ ૫-૭ બચ્ચાને જન્મ આપ્યા પછી જ્યારે તે દૂધ આપતી બંધ થઈ જાય છે ત્યારે આપણો સમાજ એને “નકામી” થઈ ગયેલી ગણે છે. અને એવું જ ખેતી દ્વારા આડપેદાશ રૂપી નીકળતા છોડવાઓ અને ફળ-શાકભાજીના નીકળતાં છાલ-છીલકાના કૂચાને પણ સાવ જ નકામા ગણી ફેંકી દેવામાં આવે છે. પણ સમાજ જેને “નકામી” ગણે છે એવી આ બંને બાબતોને જો એકબીજા સાથે જોડતો-સમન્વય કરવામાં આવે તો કેવું ઉત્તમ પરિણામ મેળવી શકાય છે તેનો તેમણે સફળ પ્રયોગ કર્યો છે. તેઓ કહે છે “રોજેરોજ શાકમાર્કેટ અને ઘરેઘરેથી લીલા અને તાજા શાકભાજીના છાલાં –ડીટિયાં-પાંદડાં –શીંગોનાં ફોફાં જેવા કચરાને એકઠો કરી ગાય દીઠ ૩૫ કિલો ખાવા આપું છું. ગાયોએ તો નથી દૂધ આપવાનું કે નથી બચ્ચાં આપવાના. માત્ર ગોબર આપ્યે રાખે તોયે આર્થિક રીતે પરવડતો વ્યવસાય જણાયો છે.
પશુને ખવરાવેલ ખોરાકમાંથી અંદાજે ચોથા ભાગના વજનનું ગોબર મળતું હોય છે. એ ગોબરને અમે ગોબરગેસપ્લાન્ટમાં નાખી એમાંથી મીથેન ગેસ મેળવી લીધા પછી જે રબડી-સ્લરી નીકળે તેને અમે અળસિયાંને ખવરાવી એના દ્વારા દુનિયાનું શ્રેષ્ઠ ખાતર ગણાય કે જે ખેતીપાકો માટેનો ઉત્તમ ખોરાક પૂરવાર થયેલ છે અને ખેડૂતો જેને “કાળુંસોનું” કહે છે તેવું “વર્મીકંપોસ્ટ” મેળવીએ છીએ.”
શ્રી નિવાસનની આટલી વાત તો આપણેએ માનતા થઈ ગયા છીએ કે ગાયો માત્ર “ગોબર” જ નહીં, પણ એ ઉપરાંત મૃત્યુલોકના અમૃત સમાન પ્રાણીજન પ્રોટીન રૂપી સંપૂર્ણ આહાર ગણી શકાય તેવું હાંડામોઢે દૂધ, માનવ આરોગ્ય અને પર્યાવરણ રક્ષક તથા ખેતીપાકોને રોગ-જીવાત સામે વાર કરી શકે તેવું ગોમૂત્ર આપવા ઉપરાંત જેના કંધોલે ભારતીય ખેતીનો ભાર વાહન થઈ રહ્યો છે તેવા ધીંગા ધોરી [બળદ] ની ભેટ આપે છે પરંતુ શ્રી નિવાસને માત્ર ગોબર માટે ગાયો પાલવવી યે નુકશાન કારક નથી એ બતાવી આપ્યું છે. તે નકામા ગણાતા ઘાસપૂસ અને ફળ-શાકભાજી દ્વારા નીકળતા કચરાને ખાઈને જેના અનેકવિધ ઉપયોગો થઈ રહ્યા છે એવું મોંઘામૂલું માત્ર “ગોબર” જ આપ્યા કરે તો પણ આપણાં માટે આર્થિક દ્રષ્ટિએ પણ પૂર્ણ લાભકારી છે. આવી સચોટ હકીકત હોવાછતાં આપણે ગાંયોને દૂધ આપતી બંધ થયા પછી “નકામી” ગણી-રેઢિયાર બનાવી શા માટે રખડતી કરી મેલીએ છીએ ? એનો સીધો અર્થ એમ થાય કે ગાયના ગોબરની જે કિંમત છે એનાથી આપણે હજુ અજાણ છીએ. મારૂં કહેવાનું બસ એટલું જ કે આવા ગોબર વિશેની પૂરતી પિછાણ ખેડૂતને કે ખેતી વ્યવસ્થાપકને નાં હોય તો આખું સાંબેલું વાસીદામા વળાઈ ગયું ગણાય હો મિત્રો !
ગાય-ગોબરના અનેકવિધ ઉપયોગો
[1]…ગાયનું ગોબર –એ ઉપયોગી જીવણુઓના જબરા જથ્થાવાળું- પોતીકું અને સસ્તું આદર્શ ખાતર પૂરવાર થયું છે.
“ગાય” એ ખેડૂત અને માલધારીના આંગણ-વાડી-ખેતરનું ઉપયોગી અને પાલતુ, પોતીકું-કૂટુંબીજણ હોય તેવું પ્રાણી ગણાય. એટલે એના દ્વારા મળતું ગોબર એના પાલક માટે સહજ મળતો પદાર્થ છે. નાં કશેથી લાવવાનો વાહતુક ખર્ચ કે નાં કશી લેણદેણની માથાકૂટ ! બસ, ખાલી ગોબર એકઠું કરી લેવાનું, પરાવલંબન કોઈ જાતનું નહીં ! કોઈ વિશેષ કામગીરી કરવાની નહી
ગોબરને સેડાવીને સીધેસીધું પણ વાડી-ખેતરોમાં ઉમેરી શકાય છે. પરંતુ જો ગોબરને ગેસપ્લાન્ટમાં નાખી સ્લરી રૂપે બહાર કાઢવામાં આવે તો “મીથેન ગેસ” મળે એ વધારામાં અને જમીનના ઉપયોગી જીવાણુંઓનો સીધો ખોરાક બની, તેની સંખ્યામાં વધારો કરી જમીનની જીવંતતા અને મુલાયમતા બક્ષનારું છે. એ દુનિયાએ જાણી-માણી લીધું છે.
વરસો પહેલાથી ગોબરથી ચાલતા ગેસપ્લાન્ટ અમારા ગામ માલપરામાં પોણોસોથી વધુ સંખ્યામાં આજે યે કાર્યરત છે. જેમાંથી નીકળતા મીથેન ગેસને અમે લોકો કુટુંબની રસોઈ બનાવવા ઉપરાંત ઘર રોશની માટે લાઈટ તરીકે ઉપયોગમાં લઈએ છીએ.
અને આગળ કહું તો ગોરખપૂરના શ્રી પ્રહલાદ બ્રમચારીજીએ ગોબરને ગેસપ્લાન્ટમાં નાખ્યા પછી છૂટા પડતાં મીથેન ગેસને બાટલામાં ભરી, ઇચ્છિત બીજા સ્થળે લઈ જઈ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાના પ્રયોગો શરૂ કર્યા છે.
એ સારું છે કે હમણાં હમણાથી જેનો પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે તે “ગાય આધારિત પ્રાક્રતિક ખેતી” પદ્ધત્તિ છે તે રસ્તે બનતા જીવામૃતમાં પાણીમાં ગોમૂત્ર, કઠોળલોટ, ગળ્યા પદાર્થ, સાથે જો ગાયનું ગોબર ભેળવાયેલ નાં હોય તો “જીવામૃત” કે “ઘન જીવામૃત” એકે ય બની શકતા નથી. કારણ કે ઉપયોગી બેક્ટેરિયાનો મોટો જથ્થો ગાયના ગોબરમાં જ હોય છે. બાકીના પદાર્થો તો બેક્ટેરિયાની ખોરાકી ચીજો છે. ખેતીપાકોના પોષણ અને સંરક્ષણ બંને બાબતોમાં યોગદાન આપનાર જીવામૃત માટે ગોબર જ મુખ્ય પદાર્થ છે.
ખરું કહીએ તો ગોબર એ એટલા માટે આદર્શ ખાતર છે. કે એની અંદર વનસ્પતિને જરૂરી મુખ્ય-ગૌણ અને સૂક્ષ્મ-બધા જ તત્વો જરૂરી માત્રામાં હોવા ઉપરાંત ગોબર એ પ્રાક્રતિક પદાર્થ હોવાથી ભૂમિના કણાયોજન, નિતારશક્તિ, હવાની અવરજવર જેવા ગુણોમાં પણ ઉમેરો લાવી જમીનના બંધારણ સુધારણાનું મોંઘામૂલું કામ સંભાળનાર છે.
[૨] “ગોબર” એ ઉત્તમ ઇંધણ છે. વગડે વિહરતા-ચરતાં પ્રાણીઓના સુકાઈ ગયેલા ગોબરને “અડાયા છાણાં“ તરીકે વીણી લાવી અગરતો પાલતુ ગાય-ભેંશના ગોબરને વ્યવસ્થિત કુંવાળ-ઢૂહાં-ફોફી કે કોલસી સાથે મિશ્રણ કરી બનાવેલ છાણાનો ઉપયોગ શહેરની ગરીબ વર્ગની અને ગામડાંની અરધોરધ વસ્તી લાકડાની સાથોસાથ કરી રહી છે.
અરે, અતુલકુમાર શાહના એક લખાણમાં મે વાંચ્યું છે કે ૨૫-૩૦ વરસમાં વિશ્વના પેટ્રોલના ભંડારો ખતમ થવાના છે. ત્યારે વૈકલ્પિક ફ્યુઅલ તરીકે યુનાઈટેડ એરલાઇન્સે એક નવા બાયો ફ્યુયલની શોધ કરી છે. જેમાં વિમાનમાં ગંધ ન આવતી હોય તેવું ગોબર ભરવામાં આવે છે. અને તેનાથી વિમાનનું પ્રાયોગિક ઉડ્ડયન શરૂ થઈ ગયું છે. ટોયેટો કાર વાળાએ પણ આ જ દિશામાં ગોબરથી ગાડી ચલાવવાના પ્રયોગો શરૂ કરી દીધા છે.
આપણે ત્યાં જંગલો ધૂમ રીતે કપાઈ રહ્યા છે જેથી પર્યાવરણ ઉપર મોટી આફત તોળાઈ રહી છે. તેમાં થોડીકેય રાહત ઊભી કરવા વાસ્તે સ્મશાનમાં લાકડાની સાથોસાથ ગોબરમાંથી બનાવેલ લાકડાનો ઉપયોગ શક્ય બનાવવા ગોબરમાંથી લાકડાં બનાવવાનું મશીન તૈયાર થઈ ગયું છે. સ્મશાનમાં એક વ્યક્તિ માટે વપરાતા ૨૫૦ કિલો લાકડામાં ૧૦૦ કિલો ગોબરથી બનેલાં લાકડાં વાપરવાની વ્યવસ્થા ઊભી કરાય તો કેવળ છાણ આપતું એક પણ ગોવંશ-જીવ કતલખાને ન જાય એવું અતુલકુમાર શાહનું કહેવાનું છે.
[3].. ગોબરની રાખ પણ એટલી જ ઉપયોગી છે સુકાએલ ગોબર-છાણાની રાખ એ પણ ઉત્તમ સેન્દ્રીય ખાતર છે. અરે, ગંદવાડવાળી જગ્યાએ રાખ ભભરાવવાથી તે સ્થળ દૂરગંધ રહીત અને જંતુમુક્ત બની જાય છે. મોલાતોમાં મસી-મોલોના ઉપદ્રવ વખતે ખેડૂતો મોલાત ઉપર આવી રાખનો છંટકાવ કરી છોડને જંતુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવતા હોય છે. અને ગૃહિણીઓ વરસોથી વાસણ સફાઈ માટે આનો ઉપયોગ કરી રહી છે. જે ખરેખર જોઈએ તો હાથની ચામડીને શુષ્ક-રૂખી બનાવનાર ડીટર્જન્ટ પાવડરની સરખામણીએ આરોગ્ય માટે સહેજ પણ પ્રતિકૂળ બનતી નથી.
ગોબરના ઘણાબધા અન્ય ઉપયોગો
[1]….તમે માનશો ? સ્વચ્છતા લાવવામાં ગોબર સાબુનેએ પાછળ રાખી દે છે. ખેતીમાં પિયત માટેનું એન્જિન જ્યારે ખોટવાય ત્યારે તેને રીપેર કરનારાના હાથ કાળા ઓઈલથી એવા ખરાબ રીતે બગડી જાય છે કે સાબુ આખો ખૂટવાડે તોયે કાળા મટતા નથી. તો ? બસ, હવે તાજા ગોબરનો લોંદો લઈ હાથમાં ખૂબ મસળો ! ગોબરમાં રહેલી તેજાબી અસરથી જોતજોતામાં હાથ વાસણ જેમ ઉટકાઈ જશે. આ યે છે ને ગોબરનો ચમત્કાર !
[2]….લૂણી પાંજરાપોળમાં ઘી, મધ, દૂધ, ગોમૂત્ર અને ગોબરમાંથી બનાવેલ પંચગવ્યમાંથી અનેક પ્રકારની ઔષધીઓ બનાવતા શ્રી વસનજીભાઇ જણાવે છે કે મચ્છરોને ભગાવવા હવે ગોબરની નાની થેપલીઓ માર્કેટમાં ધૂમ વેચાઈ રહી છે. તેના પર કપૂર મૂકીને ધૂપ કરવાથી એક પણ મચ્છર ઘરમાં રહેતું નથી.
[3]….મોટાભાગની નર્સરીઓમાં મોટા રોપા ઉછેરવા માટે પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ હવે ગોબરમાંથી એક કલાકમાં 100 જેટલાં કુંડા બનાવવાની ક્ષમતા ધરાવતું હાથબનાવટનું મશીન માત્ર 15000 રૂપિયામાં તૈયાર થઈ ગયું છે. અને પૂરજોશમાં તેનું કામ ચાલુ થઈ ગયું છે.
[4]…..આજે પણ ગામડાઓમાં પિંઢોરના [માટીના] મકાનોમાં ગોબરનું લીંપણ પ્લાસ્ટર તરીકે ઘરની દીવાલો અને ભોંયતળિયે ચોખ્ખાઈ-મજબૂતાઈ ઉપરાંત જંતુરહીતતા જાળવવાનું કામ કરે છે. અરે, બીજા કોઇથી ન થઈ શકે તેવું એટમિક દૂષણો સામે સંરક્ષણ પૂરું પાડવાનું અમૂલું કામ પણ આ ગોબરનું લીંપણ કરી આપે છે. એનોયે ચમત્કાર ઓછો ગણાય ?
[5] ગાયના ગોબરનો એક સાવ નવીનતમ ઉપયોગ એટલે “ ખાદી પ્રાકૃતિક કલર”
આપણાં દેશમાં સામાન્ય સ્થિતિના માણસોને વ્યાજબી કીમતે ઉત્તમ દરજ્જાનો કલર મળી રહે એ ઉદ્દેશથી ભારત સરકાર સંચાલિત ખાદીગ્રામોદ્યોગ આયોગે ગાયના ગોબરને કેન્દ્રમાં રાખી “ખાદી પ્રાક્રતિક કલર” વિકસીત કરેલ છે. આમ ગણીએ તો ખાદી પ્રાક્રતિક કલર એ મકાનની અંદર-બહારની દીવાલો અને ભોયતળિયે ગાયના ગોબરથી લીંપણ કરવાની જૂની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પર્યાવરણ પૂરક પહેલ જ ગણાય.

આપણે ત્યાં સૌરાષ્ટ્રમા રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામ [તા-ગોંડલ]ના ખેડૂત ભાઈ શ્રીકિશોરભાઇ વોરા [મો-98243 30327] ના જણાવ્યા પ્રમાણે આ કલરની વિશેષતા ગણીએ તો આમાં મૂખ્ય ઘટક દેશી ગાયનું ગોબર જ છે. આ ગોબરને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરીને ડિસટેમ્પર અને ઇમલસન તૈયાર કરેલ છે. વળી ઇમલસન પેઇન્ટ મેટ ફિનિશ સાથે સફેદ રંગના બેઝમાં ઉપલબ્ધ હોઇ, આમાં આપણી પસંદગી પ્રમાણેનો રંગ મિશ્રિત કરી શકાય છે. અને દીવાલ પર લગાવ્યા પછી ૪-૬ કલાકમાં જ સુકાઈ જાય છે. વળી પાણીથી ધોવાલાયક એટલે કે વૉશેબલ અને પાછો પાણી અવરોધક-વોટરપ્રૂફ અને ખૂબ જ ટકાઉ તથા દીવાલ માટે રક્ષણાત્મક કવચ તૈયાર કરનાર છે.
આ કલરની પાર વગરની આગવી વિશેષતાઓની વધુ વાત કરતા શ્રી કિશોરભાઇનું કહેવાનું છે કે “ખાદી પ્રાકૃતિક કલર એ કોઈપણ જાતની ગંધથી મૂક્ત છે. વિષાણુ અને ફુગરોધક હોવા ઉપરાંત ઝેરમૂક્ત અને ભારે ધાતુ રહીત તથા ગરમી રોધક હોઇ સરવાળે પર્યાવરણ પૂરક-ઇકોફ્રેન્ડલી અને કીમતમાં પણ વ્યાજબી છે ! આવો કલર સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ “નિરાલી પેઈટ્સ” દ્વારા “ખાદી પ્રાકૃતિક કલર” એ નામે ઉત્પાદન કરી, ૧-૪-૧૦ અને ૨૦ એમ ચાર પ્રકારના પેકીંગ કરી અમે વેચાણમા મૂકેલ છે.”
વાહ ! આવો સસ્તો, સારો અને પ્રાક્રતિક કલર આપણાં મકાનના રંગરોગાન માટે વાપરવો એ બધી રીતે ઉત્તમ તો ગણાય જ, ,ઉપરાંત એ બહાને ભારતીય ગોવંશની સેવા કર્યાંનું પૂણ્ય પ્રાપ્ત થાય તે વધારામાં ! વિચારજો
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
