ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રદૂષણની સામાન્ય જાણકારી અને એ અંગેની આપણી જાગૃતિ, જો હોય તો પણ અતિ મર્યાદિત હોય છે, કેમ કે, આપણે સાવેસાવ ‘નિર્દોષપણે’ ઊપયોગમાં લેતા હોઈએ એવી કેટલીય ચીજવસ્તુઓની પર્યાવરણ પર ક્યાં, કેટલી અને શી અસર થાય છે એ આપણે ભાગ્યે જ જાણીએ છીએ.
આવી એક ચીજ છે સનસ્ક્રીન લોશન. તેનો ઉપયોગ સૂર્યપ્રકાશથી થતી હાનિકારક અસરથી ત્વચાનું રક્ષણ કરવાનો છે. તે સૂર્યદાહની અસરને તેમજ ત્વચાના કેન્સરના જોખમને ઘટાડે છે. સૂર્યમાંના પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ/યુવી) કિરણોને આ લોશન શોષી લે છે અને તેને ત્વચાના અંદરના સ્તર સુધી પહોંચતાં અટકાવે છે. સનસ્ક્રીન લોશન ક્રીમ, જેલ, સ્પ્રે, સ્ટીક વગેરે જેવા વિવિધ સ્વરૂપે ઊપલબ્ધ છે, અને જ્યાં સૂર્યદાહ લાગવાની સંભાવના હોય ત્યાં તેનો ઊપયોગ કરવામાં આવે છે. ક્રિકેટરો રમતી વખતે, યા તરવૈયાઓ તરતી વેળાએ કે ખાસ કરીને દરિયાના પાણીમાં પ્રવેશતાં અગાઉ સનસ્ક્રીન લોશન લગાવાય છે. સ્વાભાવિક છે કે આપણી ત્વચા પર લગાવાયેલા આ લોશન પર પાણીની અસર થાય અને તેનો કેટલોક ભાગ પાણીમાં ભળે. એક અંદાજ અનુસાર પ્રતિ વર્ષ આશરે છથી ચૌદ હજાર ટન સનસ્ક્રીન લોશન દરિયાના પાણીમાં ભળે છે. તેની સીધી અસર દરિયામાં રહેલાં પરવાળાનાં ખડકો પર થાય છે. તે કાં મનુષ્યો દ્વારા કે પછી નકામા પાણીમાં ભળીને દરિયામાં ઠલવાય છે.

યુવી ફિલ્ટરયુક્ત આ લોશનમાં સામાન્ય રીતે ઓક્ઝિબેન્ઝોન અને ઓક્સિનોક્ઝેટ હોય છે. તેને કારણે પરવાળાનાં ખડકોનો રંગ ઊડી જાય છે, તેની લાર્વામાં વિકૃતિ આવે છે અને પરિણામે માછલીઓની ફળદ્રુપતા ઘટે છે. ખાસ કરીને ઓક્ઝિબેન્ઝોન સમુદ્રી જીવોમાંના અંત:સ્રાવોના સંતુલનને ખોરવી દે છે. હવાઈ અને પલાવ જેવાં દરિયાઈ પ્રવાસનસ્થળોએ એ વિસ્તારની નાજુક જૈવપ્રણાલિઓના રક્ષણ માટે આ રસાયણો ધરાવતાં સનસ્ક્રીનને પ્રતિબંધિત કર્યાં છે.
વિજ્ઞાનીઓએ ચેતવણીના સૂરે જણાવ્યું છે કે દરિયાઈ પર્યાવરણમાં સનસ્ક્રીનનાં રસાયણોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે, જેને કારણે દરિયાઈ સૃષ્ટિ અને પરવાળાંના ખડકો પર ખતરો તોળાઈ રહ્યો છે. ‘મરીન પોલ્યુશન બુલેટિન’માં જણાવાયા અનુસાર આ પ્રદૂષકોની અસર બાબતે તત્કાળ સંશોધનની જરૂર છે, કેમ કે, તેની વિપરીત અસર દૂરગામી હોઈ શકે છે.
એવું નથી કે કેવળ પ્રવાસીઓની વધુ અવરજવરવાળા સ્થળે જ સનસ્ક્રીનનાં પ્રદૂષકો મળી આવ્યાં છે. એન્ટાર્ક્ટિકા જેવા દૂરસુદૂરના સ્થળે પણ એ જોવા મળ્યાં છે. આ રસાયણોનું વિઘટન ઝટ થતું નથી, અને તે દરિયાઈ પ્રજાતિઓની સ્નાયુપેશીઓમાં એકઠા થતાં રહે છે. આની અસર સમગ્ર આહારકડી પર થાય છે.
આ પ્રદૂષકોને દૂર કરવામાં વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાસ કાર્યક્ષમ નથી. તેને કારણે એ પર્યાવરણમાં ફર્યા કરે છે. પરવાળાનાં ખડકો આમ પણ જળવાયુ પરિવર્તનથી અસરગ્રસ્ત છે. એક અભ્યાસ અનુસાર સનસ્ક્રીનમાંના રસાયણોની સાવ ઓછી માત્રા પણ થોડા દિવસોમાં પરવાળાંના ખડકોને રંગવિહીન કરી મૂકે છે. ઊર્જા માટે આ પરવાળાં જેની પર અવલંબિત છે એવી લીલ તેમાંથી છૂટી પડે એટલે કે તે સાવ નબળાં પડી જાય છે અને મોટે ભાગે મૃત બની જવાની શક્યતા રહે છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે સમુદ્રજળના તાપમાનમાં થતી વૃદ્ધિ અને રાસાયણિક પ્રદૂષણને કારણે આ ખડકોમાં ઘસારો વધુ ઝડપી બને છે.
એવું નથી કે સનસ્ક્રીનનાં રસાયણો કેવળ પરવાળાંનાં ખડકોને જ નુકસાન પહોંચાડે છે. અનેકવિધ દરિયાઈ જીવસૃષ્ટિ માટે તે હાનિકારક છે. આમાંનાં ઘણાં રસાયણો ચરબીમાં દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાઈ જીવોની પેશીઓમાં એકત્ર થાય છે અને આહારકડીમાં ઊપરની તરફ જાય છે. આને કારણે મોટા જીવો પર તેની અસર પડે છે. માનવ દ્વારા આહારમાં લેવાતા દરિયાઈ જીવોનો પણ આમાં સમાવેશ થાય છે.
આનો કોઈ ઊપાય ખરો? આવી ચીજોથી પર્યાવરણને થતા નુકસાન વિશે જાણ થાય ત્યાં સુધીમાં પર્યાવરણને ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. આવી ચીજોનો ઊપયોગ એટલો વ્યાપક બની ગયો હોય છે કે તેનું ઉત્પાદન સદંતર બંધ કરી દેવું શક્ય હોતું નથી. તેની બનાવટ અંગેની નીતિઓ ઘડવાની પ્રક્રિયા તાત્કાલિક થઈ શકતી નથી, અને વ્યક્તિગત સ્તરે ગમે એટલા સન્નિષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છતાં તે અપૂરતા બની રહે છે. તેનાથી આંતરિક સંતોષ સિવાય ખાસ કશી ઉપલબ્ધિ થતી નથી હોતી.
હવાઈ અને પલાવ જેવાં પગલાં લેવાનું ઘણાં પ્રદેશો વિચારી રહ્યા છે. સાથોસાથ પરવાળાંનાં ખડક માટે નુકસાનકારક ન હોય એવાં ‘રીફ સેઈફ’ સનસ્ક્રીન લોશન વિકસાવવાનું પણ ઉત્પાદકોને જણાવાઈ રહ્યું છે, જેમાં નોન-નેનો ઝીન્ક ઓક્સાઈડ કે ટીટેનિઅમ ડાયોક્સાઈડ જેવાં દરિયાઈ સૃષ્ટિ માટે ઓછાં હાનિકારક રસાયણોનો ઊપયોગ કરવામાં આવ્યો હોય. સાથોસાથ દરિયાઈ સ્થળોએ આવતા પ્રવાસીઓને એ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે જેથી તેઓ રક્ષણાત્મક વસ્ત્રો પહેરે અને સનસ્ક્રીન લોશનનો ઊપયોગ ટળી શકે.
આ બધું જો કે, બાટલીમાંથી જીન નીકળી ગયા પછી તેને ફરી પાછો બાટલીમાં પૂરવાની નિરર્થક કવાયત જેવું છે, કેમ કે, પ્રવાસન ઉદ્યોગ થકી થતી આવક અને એ રળી આપતા પ્રવાસીઓને નારાજ કરવાનું કોણ પસંદ કરે? છેવટે આખો મામલો નાણાં પર આવીને અટકે છે.
આમ છતાં, ‘જાગ્યા ત્યાંથી સવાર’ના ધોરણે સમુદ્રી પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે જે કંઈ પગલાં લેવામાં આવે એ ઈચ્છનીય છે. ભલે ને એ મોડા હોય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
