ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મક્ષેત્રે સંગીતકાર તરીકે એમનો પ્રવેશ પ્રમાણમાં ઘણો મોડો, પ્રદાન મર્યાદિત, એમણે સર્જેલાં ગીતોની સંખ્યા પ્રમાણમાં સાવ ઓછી, છતાં એ પૈકીનાં અમુક ગીતો એવાં કે એને યાદ કરવા જ પડે. સંગીતકાર કાનુ (કનુ) રોયની ગણીને આઠ ફિલ્મો રજૂઆત પામી.

અસલમાં તેઓ પાર્શ્વગાયક બનવા માટે મુમ્બઈ આવેલા. ‘ઈપ્ટા’માં જોડાયા અને સલિલ ચૌધરી તેમને કોરસમાં ગવડાવતા. સંગીતકાર બનવાની પ્રેરણા પણ સલિલદાએ જ આપી. અભિનેતા તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં ભૂમિકા કરી. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક મળી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ઉસકી કહાની’ ફિલ્મથી. તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં મોટા ભાગની બાસુદા દિગ્દર્શીત છે. જેમ કે, અનુભવ, આવિષ્કાર, તુમ્હારા કલ્લુ અને ગૃહપ્રવેશ. આ ઉપરાંત સઈ પરાંજપેની ‘સ્પર્શ’ અને એ પછી ‘મયૂરી’ તેમની છેલ્લી ફિલ્મ, જેનું દિગ્દર્શન બીરેન્દ્ર ભટ્ટાચાર્યે કરેલું. જોગિન્દર શૈલી દિગ્દર્શીત ‘શ્યામલા’ રજૂઆત પામી, જે ફરીથી ‘વો ફિર નહીં આઈ’ના નામે સેન્સર થઈ.

ગીતા દત્તે ગાયેલાં છેલ્લા તબક્કાનાં યાદગાર ગીતો ‘કોઈ ચૂપકે સે આકે’, ‘મેરી જાં’, અને ‘મેરા દિલ જો મેરા હોતા’ પણ કાનુ રોયે ‘અનુભવ’ માટે સંગીતબદ્ધ કરેલાં. કાનુ રોયનાં ગીતો સાંભળતાં એક પ્રકારની અજબ શાંતિનો અહેસાસ થાય, અને સાથોસાથે દર્દના આંતરપ્રવાહનો પણ! કદાચ એટલે જ એ ગીતો આટલા લાંબા સમય પછી એટલી જ અપીલ કરે છે.

આરોહી નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ગૃહપ્રવેશ’ની રજૂઆત ૧૯૭૯માં થયેલી, અને એ પછી ૧૯૮૨માં પણ એ કોઈક કારણસર ફરી વાર સેન્સર થઈ. સંજીવકુમાર, શર્મિલા ટેગોર, સારિકા, માસ્ટર બીટ્ટુ જેવા મુખ્ય કલાકારોની સાથોસાથ તેમાં દિનેશ ઠાકુર અને ગુલઝારની પણ મહેમાન ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે તમામ ગુલઝારે લખેલાં. સંવાદો પણ ગુલઝારના હતા, અને ફિલ્મનું સહલેખન બાસુ ભટ્ટાચાર્ય સાથે તેમણે જ કરેલું.

આ ફિલ્મનાં તમામ ગીતો કંઈક વિશિષ્ટ મૂડવાળાં છે, જેમાં મુખ્ય ધારાના કોઈ ગાયક કે ગાયિકા નથી. આઠમાંથી ચાર ગીતોમાં સ્વર ભૂપીન્દરનો છે, તો ગાયિકા તરીકે સુલક્ષણા પંડિત (બે ગીત) અને ચન્દ્રાણી મુખરજી (એક ગીત) છે.

બોલીયે સૂરીલી બોલિયાં‘ (ભૂપીન્દર અને સુલક્ષણા), ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ (ભૂપીન્દર), ‘મચલકર જબ ભી આંખો સે‘ (ભૂપીન્દર), તેમજ ‘જિન્દગી ફૂલોં કી નહીં’ (ભૂપીન્દર) આ ચારે ગીતોમાં ભૂપીન્દરનો સ્વર છે. ‘પી કે યાદ આયે પિયા‘ પંકજ મિત્રાએ, તો ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ યેસુદાસે ગાયેલું છે. ‘આપ અગર આપ ન હોતે‘નાં ગાયિકા સુલક્ષણા પંડિત અને ‘પહચાન તો થી પહચાના નહીં‘નાં ગાયિકા ચન્દ્રાણી મુખરજી છે. આ ગીત પૈકી ‘લોગોં કે ઘર મેં રહતા હૂં’ ગીતમાં ગુલઝાર એક પાત્ર તરીકે પડદે દેખા દે છે.

(કાનુ રોય)

આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ભૂપીન્દરના સ્વરે ગવાયેલું ‘જિન્દગી ફૂલોં કી નહીં’ ગીત મૂકાયેલું છે. આ જ ગીતનું મુખડું ફિલ્મના અંત ભાગે પુનરાવર્તિત થાય છે.

ભૂપીન્દરના સ્વરમાં ગહન દર્દ અને ગાંભીર્ય સ્થાયીભાવ હોય એમ લાગે છે. આ ગીતના શબ્દો નીચે મુજબ છે:

 

ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे (3)
ज़िंदगी….

जब कोई कहीं गुल खिलता है,
आवाज़ नहीं आती लेकिन (2)
खुशबू की खबर आ जाती है,
खुशबू महकी रहे
ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे
ज़िंदगी …

जब राह कहीं कोई मुड़ती है,
मंंझिल का पता तो होता नहीं (2)
इक राह पे राह मिल जाती है,
राहें मुड़ती रहें
ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे (2)
ज़िंदगी …

 

આ આખું ગીત નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)