પ્રકૃતિની પાંખો

ભાઈશ્રી હિત દુષ્યંત વોરા  હાલ જૂનાગઢ વેટરિનરી કોલેજમાં વેટરિનરી સાયન્સ અને એનિમલ હઝબન્ડ્રી (પશુચિકિત્સા અને પશુપાલન)નો અભ્યાસ કરે છે.

બાળપણથી જ તેમને કુદરત પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટ જેવી ચેનલ્સ જોઇને જંગલ અને વન્યજીવન માટેના પ્રેમનો બીજ અંકુરિત થયો. તે પ્રેમ વધારે ગાઢ થયો જ્યારે તેઓ જુનાગઢ અને કચ્છ જેવા પ્રેરણાદાયક સ્થળોથી પ્રભાવિત થયા.

ગિરનાર પર્વત અને ગીરના જંગલોમાં વિતાવેલી ક્ષણોએ તેમને પ્રકૃતિના રહસ્યો સમજાવ્યા. તે સાથે, કચ્છના વિસ્તૃત ભૂમીપ્રદેશ, તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને જૈવવૈવિધ્યએ તેમને વધુ ગાઢ રીતે પ્રકૃતિ સાથે જોડવામાં મદદ કરી. કચ્છનું વિહંગમ સૌંદર્ય અને પર્યાવરણના દરેક તંતુએ તેમનામાં  પ્રકૃતિનું મહત્વ વધાર્યું.

તેમના  પ્રાથમિક પ્રેરણાસ્રોત તેમનાં માતા-પિતા છે, જેમણે તેમને સ્વતંત્રતાથી કુદરતને અનુભવતા શીખવ્યું. તેમના  મિત્ર પરમકુમાર માથુરે તેમને પક્ષી નિરીક્ષણ અને ઇકોલોજીકલ અધ્યયનના રસ્તા પર મૂક્યાં અને તેમનો પરિચય  “વસુંધરા નેચર ક્લબ” નામ ની સંસ્થા સાથે કરાવ્યો, આ સંસ્થા પ્રકૃતિની સંરક્ષણ, પુનઃસ્થાપન અને શિક્ષણ માટે સમર્પિત છે. આ સંગઠન દ્વારા નિઃસ્વાર્થ રીતે કરવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ સાથે જોડાવાથી તેમના આ શોખને નવો અર્થ મળ્યો.

તેઓ માને છે કે પ્રકૃતિનું શિક્ષણ વ્યક્તિને પર્યાવરણ સાથે ઊંડા સ્તરે જોડે છે. આ લેખમાળાની યાત્રા દ્વારા તેઓ વાચકોને પણ પ્રકૃતિ સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે.

આ લેખમાળામાં તેઓએ ભારતના સ્થાનિક પંખીઓના અનોખા જીવન અને તેમના વૈવિધ્યસભર વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ લેખમાળામાં પંખીઓના દેખાવ, ઓળખાણ તથા તેમના રહસ્યમય વર્તન અને પર્યાવરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી મળશે.

આ લેખમાળાનો હેતુ માત્ર વાચકોને પંખીઓના નામો યાદ કરાવવા અથવા માત્ર તે સુંદર લાગે છે તે બતાવવાનો નથી. તેઓ ઇચ્છે છે  કે લોકો તેમના ઘરની બારીમાંથી બહાર જુએ, પ્રકૃતિને જુએ અને વિચાર કરે. પંખીઓ માત્ર આપણા વિશ્વને સુંદર બનાવવા માટે નથી, પરંતુ તેમની હાજરી અને વર્તન પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે.

શ્રી હિત વોરાની નવી લેખમાળા ‘પ્રકૃતિની પાંખો’ શીર્ષક હેઠળ દર મહિનાના ત્રીજા અબુધવારે પ્રકાશિત થશે.

વેબ ગુર્જરી પર શ્રી હિત વોરાનું સ્વાગત છે,

સંપાદક મંડળ, વેબ ગુર્જરી


કાળો કોશી: પક્ષીઓનો પોલીસ પટેલ!

હીત વોરા

કાજળ જેવો કાળો રંગ ધરાવતું આ પંખી, જેને ગુજરાતી માં ‘કાળો કોશી’ અને અંગ્રેજીમાં ‘બ્લેક ડ્રોંગો’ કહેવાય છે, એ સમગ્ર ભારતખંડમાં સામાન્ય રીતે જોવા મળે છે.

‘કાળો કોશી ની ઓળખાણ ચમકતો કાળો રંગ અને ઊંધા “V” આકાર જેવી ફાંટો પડતી પૂંછથી સહેલાઇ થી થાય છે! આ પક્ષી ખાસ કરીને વગડાઓ, ખેતરો તથા શહેરોના આસપાસના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળે છે. તેની ચમકદાર કાળી આકૃતિ અને શાણપણથી ભરપૂર વર્તન તેને અન્ય પંખીઓથી અલગ બનાવે છે.

આ પક્ષી ખૂબ જ નિડર હોય છે, તે મોટાં શિકારી પંખીઓ જેમ કે બાજ, શકરો અને ગરૂડથી ડર રાખ્યા વિના તેની પાછળ ઉડીને ‘ તેને નખ અને ચાંચ મારી, માળા થી દૂર ભગાડી દેવા માટે જાણીતું છે! આ વર્તન ને અંગ્રેજીમાં “mobbing” કહે છે!

(આ વર્તનના દ્રશ્યો માટે “WildEarth” દ્વારા YouTube વિડિયો જુઓ. વિડિયો:

આવા અનોખા વર્તનને  કારણે, પીળક, બુલબુલ, હોલા, લલેડા જેવાં પક્ષીઓ શિકારી પક્ષીઓથી સુરક્ષિત રહેવા માટે  કાળા કોશીના માળાની નજીકમાં પોતાનો માળો બાંધવાનું પસંદ કરે છે! આ કારણથી ‘કાળો કોશી ને હિંદીમાં કોતવાલ કહેવામાં આવે છે.

તેે કર્તવ્યનિષ્ઠ પોલીસ ઑફિસર હોય તેમ બીજા પક્ષીઓથી વહેલું ઊઠી જાય છે અને સૂવા પણ મોડું જાય છે. તેના આ વર્તનનું કારણ તેની આહારવૃત્તિમાં રહેલું છે! ડ્રોંગો મુખ્યપણે ઊડતા નાના કીટકોને ખાવાનું પસંદ કરે છે અને વહેલી સવારે અને મોડી સાંજે કીટકો વધારે પ્રમાણમાં ઊડતા હોય છે. ડ્રોંગો ઘણી વખત કાબર અને બગલા સાથે ખેડાણ ચાલુ હોય એવા ખેતરમાં કીટકોનું ભક્ષણ કરતા જોવા મળે છે.

‘કાળો કોશી ખૂબ જ ચાલાક હોય છે અને ભિન્ન ભિન્ન પ્રકારના અવાજ પણ કુશળતા ઈથી કાઢી શકે છે! તે ઘણી વખત, ખુદ જ શકરા બાજના (Shikra) અવાજ જેવોજ અવાજ કાઢે જેના કારણે બીજા પંખીઓ ડરીને ભાગી જાય ત્યારે તે ખૂબ ચપળતાથી તેનો ખોરાક ચોરી કરી જાય છે!

ભલે ‘કાળો કોશી ક્યારેક ખોરાક ચોરી જતું હોય, પણ શિકારી પક્ષીઓને ભગાડી, નાના પક્ષીઓને મદદરૂપ થાય છે, એમ જ તે ખેડૂતોને પણ પાકને નુકસાન કરે એવા જંતુઓ ખાઈને મદદ કરે છે! જેમ જેમ નવી ટેકનોલોજીનો ઉદ્ભવ થતો જાય છે તેમ તેમ ખેતી કરવાની સાંસ્કૃતિક રીતો ભૂલાતી જાય છે, કૃત્રિમ જંતુનાશક દવાઓના કારણે જંતુઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે જેને કારણે કીટકો પર નભતાં ઘણાં સ્થાનિક તથા પ્રવાસી પંખીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે!

ભલે કાળા કોશીને હાલમાં કોઈ તાત્કાલિક ખતરો તો નથી, પણ આપણી કુદરત પ્રત્યેની અવગણના, ભવિષ્યમાં આના જેવી અનેક પ્રજાતિઓ માટે ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે, અને તેના કારણે પર્યાવરણમાં સર્જાતું અસંતુલન આપણા ઉપર સીધી અસર કરે છે! આપણે આવનારી પેઢીને કુદરતનાં આ કાર્યોને જોવાનું, સમજવાનું અને તેની કદર કરવાનું શીખવીએ જેથી આપણા માટે અને આપણા પછી આવનારી પેઢીઓ માટે પણ જીવન ટકાવું શક્ય બને.


અહીં  મૂકેલ તસવીર નેટ પરથી તેમ જ વિડીયો ની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાદર્ભિક સમજણ સારૂ સાભાર લીધી છે.


શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.