હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
જગત સમ્રાટ સિકંદર, વિશ્વ વિજેતા સિકંદર, અઢળક સંપત્તિનો દાવેદાર સિકંદર જીવ્યો ત્યાં સુધી જીતવાની ખેવનામાં જ રહ્યો પણ માત્ર મેળવવાની જ જીદથી પણ એ શું પામ્યો? અને જ્યારે એના જીવનની અંતિમ પળો આવી ત્યારે એણે પોતાના જનાજાની બહાર ખુલ્લી હથેળી રાખીને એને દફન કરવાનું કહીને વિશ્વને એક અર્થપૂર્ણ સંદેશ આપતો ગયો.
“ખુલ્લી હથેળી રાખીને જીવો જીગતમાં આવતા,
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા
યૌવન ફના, જીવન ફના, જર અને જગત પણ છે ફના”
એ વાત સાથે એક બીજી વાત અહીં યાદ આવી.
જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો સમુદ્ર મૃત સમુદ્ર તરીકે ઓળખાય છે. ખરેખર તો આ એક વિશાળ તળાવ છે જેમાં ૩૫ ટકા જેટલો ક્ષાર છે એટલે એમાં નથી કોઈ દરિયાઈ વનસ્પતિ ફાલી શકતી કે નથી કોઈ જીવ રહી શકતા. હા! એટલું ખરું કે એમાં રહેલી ખારાશના વધુ પડતા પ્રમાણને લીધે એમાં માનવશરીર કોઈ આયાસ વગર તરી શકે છે.
જ્યારે આ મૃત સરોવરની ઉત્તરે ગેલિલોનો સમુદ્ર છે. આ બંને સમુદ્રમાં જોર્ડન નદીનું જ પાણી ભળે છે પરંતુ બે અંતિમ છેડાનો ફરક છે. મૃત સમુદ્રમાં જીવન શક્ય જ નથી જ્યારે ગેલેલિના સમુદ્રમાં અઢળક દરિયાઈ જીવ વસે છે.
એક જ વિસ્તાર, બંનેમાં મળતા-ભળતા પાણીનું વહેણ પણ એક સમાન તેમ છતાં આટલો વિરોધાભાસ શાને? એક જીવનથી છલોછલ અને બીજો નિર્જીવ.
કારણ માત્ર એ છે કે જોર્ડન નદીનું પાણી ગેલિલોના સમુદ્રમાં એક તરફથી પ્રવેશીને બીજી તરફ બહાર વહી જાય છે જેના લીધે આ સમુદ્રમાં જીવન શક્ય છે. જ્યારે બીજી બાજુ દરિયાઈ સપાટીથી નીચે આવેલા આ મૃત સમુદ્રમાં પાણીનું વહેણ તો છે જ પરંતુ એને બહાર નિકળવાનો કોઈ અવકાશ નથી. આ સમુદ્રના પાણીનું બાષ્પીભવન તો થયે જ રાખે છે એટલે બાષ્પીભવન થયેલું પાણી પાછળ માત્ર ક્ષાર છોડતું જાય છે અને સતત ખારાશમાં ઉમેરો થયે રાખતા એમાં જીવન શક્ય નથી.
સિકંદરની જેમ માત્ર પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ આવા જ મૃત સમુદ્ર જેવી સંગ્રહી નથી બની જતી? મૃત સમુદ્રમાં રહેલી ખારાશના લીધે જેમ માનવશરીર આયાસ વગર તરી શકે એમ વ્યક્તિનો અહમ એને તરતો પણ રાખશે જ પણ એના બળે જીવેલું જીવન સિકંદરના શબ્દોમાં ફના ન કહેવાય?
જીવનનું નામ છે આપવું એટલે પામવું..એ આપવા- પામવાની વાત માત્ર ધન સંપત્તિ સાથે જ નથી. જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આ તમામ પેલા મૃત સમુદ્રના પાણીની જેમ પોતા પુરતા રાખવાથી સ્થગિત થઈ જશે. જ્યારે ધન-સંપત્તિ, જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આપવા-વહેંચવાથી અન્યની સાથે આપણું જીવન પણ જીવંત બની જશે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

જીવનનું નામ છે આપવું એટલે પામવું..એ આપવા- પામવાની વાત માત્ર ધન સંપત્તિ સાથે જ નથી…આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલું સુખ, આનંદ અને શાંતિ વહેલા આવે.
સરસ લેખ.
LikeLike