હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સ્વામી ચિદાનંદજીથી કોણ અજાણ હશે? આજે સ્વામી ચિદાનંદજીના જીવનનો એક પ્રસંગ વાંચવા મળ્યો.
એક સમય તેમની સાથે ઋષિકેશમાં જતીન રામકૃષ્ણ આવીને રહ્યા. પુષ્પો અને શૃંગાર તેમના પ્રિય વિષય હતા એટલે દર બે-ચાર દિવસે આડોશ- પાડોશના આશ્રમો કે અન્ય સંસ્થાના ઉદ્યાનમાંથી ફુલો લાવીને સ્વામી ચિદાનંદજીના નિવાસસ્થાને સજાવીને મુકતા.
બે-ચાર અઠવાડીયા પછી સ્વામી ચિદાનંદજીએ એમને પછ્યું, “આટલા સુંદર ફુલો તમે ક્યાંથી લાવો છો?
જવાબ મળ્યો, “ કૈલાશ આશ્રમ, પરમાર્થનિકેતન, યોગનિકેતન, ટૂરીસ્ટ બંગલેથી.”
સ્વામી ચિદાનંદજીને આશ્ચર્ય થયું. “તમને ઋષિકેશ આવીને માત્ર મહિનો જ થયો છે, તો આ બધા લોકોને તમે કેવી રીતે ઓળખતા થયા?”
“હું કોઇને પણ ઓળખતો નથી, કથામાં સાંભળ્યુ હતું કે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા ત્યારે ‘કિ ફલં-કિ ફલં’ બોલતા જેથી પકડાય નહીં. હું પણ એમ જ બોલું છું અને ફુલો તોડી લાવું છું.” (જો કે સ્વામી ચિદાનંદને જાણતા દરેક માટે આ શબ્દ ‘ કિ ફલં કિ ફલં’ જરાય જાણીતો નથી જ. એનો સંદર્ભ પણ ક્યાંય મળ્યો નથી પરંતુ આપણે અહીં શબ્દાર્થ શોધવાના બદલે વાતનો મર્મ જોઇશું.)
હવે સ્વામીજીને આઘાત લાગ્યો. “અરે! સાધુજીવનના આરંભમાં જ ફુલોની ચોરી! આજે બધા આશ્રમોના મહંત-મંડળેશ્વરને પગે લાગી આવજો-માફી માંગજો. પ્રાયશ્ચિત રૂપે દરેક બગીચામાં થોડા દિવસો સુધી પાણી પીવડાવજો અને જો અહીં ફુલો લાવવાનું ગમતું હોય તો જ્યાં રહ્યા છો ત્યાં બગીચો કરો, આમ તફડંચી મારેલ તો કદીયે લાવતા નહીં.”
સીધી વાત….. કદાચ આપણા સૌમાં પણ આવો એક દલા તરવાડી બેઠો જ હશે. “રીંગણા લેને દસ-બાર” વાળી સ્વ-ઉક્તિથી મન મેળે બારો-બાર મંજૂરી મેળવીને પછી જે મળે તે મેળવી લેવાની વૃત્તિ પણ ક્યાંક ઊંડે ધરબાયેલી હશે કે પછી મનોમન કિ ફલં કિ ફલં’ બોલીને પકડાઇ ના જવાય એની તકેદારી રાખીને જે મળ્યુ એ હાથમાં અને બાથમાં કરી લેતા હોવાની શક્યતા ઊંડે ઊંડે ખરી ?
ના હોય તો જ ઉત્તમ……………
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

તફડંચી વૄત્તિ ના હોય તો જ ઉત્તમ…
નાનપણમાં, ખાસ કરીને છોકરીઓને, આ સમજ આપવી પડતી.
લઘુકથા, મોટી શીખ.
સરયૂ
LikeLike