દીપક ધોળકિયા

૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો હતા.

ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.

(અહીં ગુજરાત-કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).

૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ

“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકેહજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”

૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ

“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ… આ ભંગના ત્રણ રસ્તા છેજ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છેએ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશેઅને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશેમીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છેપણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથીપણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોયકોંગ્રેસની બંધી ન હોયકાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છેમારી એક જ શરત છેશાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે…”

ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?

શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છેતે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામમીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યુંઆ મીઠું પછી લીલામમાં વેચાયુંજે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને  ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !

મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. આખો દેશ ગુનો કરવા થનગનતો હતો..

૦૦૦

સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.


દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી