હરેશ ધોળકિયા

રતન ટાટાએ વિદાય લીધી.

ફરી એક વાર ભારત ઉદાસ થઈ ગયું. સમગ્ર દેશને જાણે એક ઊંડો ધક્કો વાગ્યો. સરકારના ન કહેવા છતાં સમગ્ર દેશે એક અવ્યક્ત શોક પાળ્યો.

એમ કેમ બન્યું? ગરીબ ભારતમાં રતન ટાટા તો એક ઉદ્યોગપતિ હતા ! તેમને તો શોષક ન ગણી શકાય ? મૂડીવાદી ન ગણી શકાય ? કોઈ મૂડીવાદી જાય તો કરોડોને તો ખબર પણ ન પડે. હા, છાપાં વાંચે ત્યારે કદાચ સમાચાર મળે, પણ તેનાથી વાંચનારને ખાસ કશો ફર્ક ન પડે. આ કરોડો તો દર પળે જીવવાનો સંઘર્ષ કરતા હોય ત્યારે કોઈ મૂડીવાદીના મોત બાબતે શા માટે ચિંતા કરે ? તેના જવાથી તેના જીવનમાં શો ફર્ક પડે ? અને ઉદાસીન ? એ શું કોઈ મહાત્મા હતા કે ઉદાસીન થાય ?

અને છતાં આ પ્રજાના કરોડો લોકો ઉદાસીન થયા. શોકગ્રસ્ત થયા. પોતાનું કોઈક ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી.

રતન ટાટામાં એવું તે શું હતું કે કરોડોને આવી લાગણી થઈ ? છાપાંઓએ તેમને ભવ્ય અંજલિઓ આપી એટલે ? વડા પ્રધાને કે રાષ્ટ્રપતિએ કે નેતાઓએ અંજલિઓ આપી એટલે ?

ના, પ્રજા એટલે ઉદાસીન થઈ કારણ કે તેણે એક ” ઉચ્ચ મૂલ્યનિષ્ઠ ” વ્યકિતને ગુમાવી. રતન ટાટા માત્ર ઉદ્યોગપતિ હોત તો સમાચાર વાંચત અને ભૂલી જાત, પણ તે મૂલ્યનિષ્ઠ – નર્યા પ્રમાણિક – હતા એટલે લોકો ઉદાસીન થયા.

એમ કેમ?

કારણ કે દેશમાં લોકો તો ઘણા છે, દેશમાં સમાય તેના કરતાં પણ વધારે છે અને આ લેખ વાંચી લેવાશે ત્યારે બીજા હજારેક જન્મી પણ ગયા હશે ! રોજ હજારો જન્મે છે અને હજારો મરે છે. તેનાથી દેશમાં કોઈ ફર્ક નથી પડતો. તે એક સામાન્ય ઘટના મનાય છે. પણ આ કરોડો લોકોમાં ” મૂલ્યનિષ્ઠ” લોકો બહુ વિરલ હોય છે. તેમની જબરી તંગી હોય છે. તેમને શોધવા બહુ અઘરા હોય છે. કુશળ, નિષ્ણાત, પ્રતિભાશાળી, વિદ્ધાન વગેરે પણ પુષ્કળ લોકો છે, પણ નિષ્ઠાવાન, મૂલ્યનિષ્ઠ લોકો બહુ જ ઓછા હોય છે.

વિશ્વની મોટા ભાગની પ્રજાઓ સામાન્યતામાં જીવતી હોય છે. તે કદાચ હોશીયાર હોય છે, સંપતિવાન પણ હોય છે. સત્તા પણ ધરાવે છે. પણ આ બધા વચ્ચે પણ મહદ અંશે સામાન્ય જ હોય છે. રૂટિનલ જ હોય છે. તેમના પાસે પોતાનો કોઈ આંતરિક પ્રભાવ નથી હોતો. તેમનો પ્રભાવ પૈસા, સતા, પદ, કીર્તિ વગેરેને આધારે હોય છે. બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આ બધામાંથી કંઈક પણ ન હોય તો લોકોને તેમની હાજરીની ખબર પણ નથી હોતી. એટલે આવા લોકોને પ્રસિધ્ધ થવા બાહ્ય પરિબળોનો આશરો લેવો પડે છે. આ બાહ્ય પ્રભાવ બાહ્ય તત્વની હાજરી સુધી ચાલુ રહે છે, પણ તે જતાં તેઓ સામાન્ય જ બની જાય છે.

મોટા ભાગના તો અદશ્ય થઈ જાય છે. મરણ નોંધમાં તેમનું નામ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ જીવતા હતા. ઉદ્યોગપતિઓ પણ સેંકડો છે. દરરોજ વધતા જાય છે. પણ મહત્વના ઉદ્યોગપતિઓ કોણ એ યાદ કરવાનો પ્રયાસ કરીએ તો આ સેંકડોમાંથી બહુ ઓછાં નામ યાદ આવે. ટાટા, નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી જેવાં થોડાં નામ યાદ આવે. બાકીનાનાં તો નામની પણ ખબર ન હોય. દર વર્ષે અબજોપતિઓની યાદી બહાર પડે છે. તેમાં રતન ટાટાનું નામ તો ઘણું પાછળ રહેતું. તેનાથી આગળ થોડા ઉદ્યોગપતિઓ હોય. પણ તેમનાં નામ બહુ ઓછાને યાદ હશે, પણ પાછળ રહેનાર રતન ટાટાને બધા યાદ કરે છે.

કેમ?

કારણ કે સેંકડો ઉદ્યોગપતિઓમાંથી રતન ટાટા-અને તેમના જેવાઓ-માં ” કશુંક” વિશિષ્ટ હોય છે. લોકો આ “વિશિષ્ટ”ને કારણે તેમને યાદ રાખે છે.

શું છે આ વિશિષ્ટ તત્વ?

તે છે ” માનવતા.” તેમાં નમ્રતા, વિનય, સાદાઈ વગેરે આવી જાય છે. કરોડો-ના, અબજો-રૂપિયા વચ્ચે પણ આ લોકો સામાન્ય લોકો જેમ જ જીવતા હોય છે. પુષ્કળ વૈભવ વચ્ચે પણ તેઓ સાદાઈથી જીવતા હોય છે. અબજો રૂપિયાનો ફાંકો-અહંકાર -તેમને એક પળ પણ સ્પર્શતો નથી. સામાન્ય કહેવાતા લોકો વચ્ચે તેઓ આરામથી અને હળવાશથી ભળી જાય છે. અધિકારી કે નેતા કે વડા પ્રધાન સાથે હોય કે ફેકટરીના સાદા ગરીબ કામદાર કે ઝાડુવાળા સાથે હોય, તેમનું વર્તન અને વલણ સમાન જ હોય છે. કદાચ સામાન્યો વચ્ચે તેઓ વધારે હળવાશથી વર્તી શકે છે. સામાન્યો પણ તેમની હાજરીમાં એટલી જ હળવાશ અનુભવે છે. તેમના અબજો રૂપિયા તેમનો પ્રભાવ કરે છે તે કરતાં તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમની હળવાશ, તેમનું પોતિકાપણું તેમને વધારે આકર્ષે છે. તેઓ જાણે તેમના નજીક વડીલ કે મિત્ર સાથે બેઠા હોય એવો અનુભવ કરે છે.

આ છે તેમનું વિશિષ્ટ તત્વ.

રતન ટાટા કે તેમના પુરોગામી જે.આર.ડી. ટાટા કે મૂળ જમશેદજી ટાટા- બધામાં આ વિશિષ્ટતા હતી. કરોડોના આસામી હોવા છતાં તેઓ નકકર જમીન પર રહેતા હતા. અબજોનો વ્યવહાર કરવા છતાં કામદારો સાથે કેન્ટીનમાં આરામથી જમી શકતા હતા. કોઈ મશીન બગડે તો ફોરમેન સાથે જમીન પર બેસી હાથ કાળા કરી શકતા હતા. કોઈ કામદારને તકલીફ પડે તો હજારો જવાબદારીઓ વચ્ચે તેઓ દોડીને તેની પૂછા કરતા હતા. અને મોટી વાત કે તેમની આવકનો લગભગ છાસઠ ટકા હિસ્સો દાનમાં આપી દેતા હતા. આજે પણ આપી દે છે. માટે તેમનું નામ આવકમાં પાછળ રહે છે.

મૂલ્યનિષ્ઠ બધા ઉદ્યોગપતિઓ આવા જ હોય છે. રતન ટાટા પણ તેમનામાંના એક હતા.

અને બીજું મહત્વનું પાસું હતું આત્યંતિક નૈતિકતા. શુધ્ધ નૈતિક ચારિત્ર્ય. ચારે બાજુ જયારે ભ્રષ્ટાચારનો નગ્ન નાચ ચાલતો હોય અને તેઓ પણ તે જોતા હોય, છતાં એ વચ્ચે પણ તેઓ તો શુધ્ધ નીતિવાન જ રહે. હજારો આકર્ષણ તેમના પર હુમલો કરતાં હોય ત્યારે પણ તેઓ સ્વસ્થ જ રહે. કશું તેમને ચળાવી ન શકે. પોતાનું કે પોતાના ઉદ્યોગનું કામ કરાવવા તેઓ એક પળ પણ ભ્રષ્ટાચારને વશ ન થાય. પૈસો અને નીતિ વચ્ચે તેમને પસંદગી કરવાની આવે ત્યારે તેઓ નીતિને જ પસંદ કરે. કામ મોડું થાય કે ઓછું થાય તેને તેઓ ચલાવી લે, પણ ખોટા માર્ગે તો ન જ જાય. થોડી કમાણી ઓછી થાય તો ચાલે, પણ નીતિમાં થોડો પણ ઘસારો થાય તેને તે ચલાવી જ ન લઈ શકે. અણિશુધ્ધ ચારિત્ર્ય જ તેમની ઓળખ હોય.

રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા.

પ્રજાના મોટા ભાગના લોકોને પણ ” આવા ” જ -નીતિવાન-થવું હોય છે. પણ તેમના પાસે જરૂરી ઈચ્છાશકિત નથી હોતી. એટલે તેઓ હમેશાં આવા લોકોની શોધમાં હોય છે. તેઓ એટલા માટે શોધમાં હોય છે કે તેમને જોઈ આશ્વાસન લઈ શકે કે ભલે તેઓ નથી થઈ શકતા, પણ આવા લોકોને જોઈ પ્રેરિત તો થઈ જ શકે છે કે સંભવ છે એક દિવસ તેઓ પણ આવો પ્રયાસ કરશે. આવા લોકો તેમના માટે દીવાદાંડીનું કામ કરે છે. તેમનાં ઝાંખાં જીવનમાં પ્રેરણાના પ્રકાશનું કામ કરે છે. ભલે પ્રજા કદાચ આવા લોકોનું જાહેરમાં સન્માન નથી કરી શકતી, પણ મૂંગો મૂંગો પુષ્કળ આદર આપે છે. હોય ત્યારે મનોમન વંદન કરે છે અને જાય ત્યારે ખૂણામાં ચાર આંસુ ખેરવી લે છે.

આજે પણ હજારો વર્ષ પહેલાં થયેલા સોક્રેટીસ, જિસસ, બુધ્ધ, મહાવીર, કબીર કે ગાંધી જેવા મહાન લોકોને શા માટે યાદ કરે છે ? કારણ કે તેઓ ભૂતકાળના ધૂમ્મસમાંથી પણ પ્રકાશ આપે છે. આ લોકોના ચારિત્ર્યને ખરડવાના પુષ્કળ પ્રયાસો કરાય છે, છતાં તેઓનો પ્રભાવ અક્ષુણ્ણ રહે છે. દરેક સમયની મહતમ પ્રજા આવા લોકોને બરાબર ઓળખી શકે છે. માટે જ -આજની ભાષામાં- ‘ટ્રોલ” કરનારાઓનું એક પળ પણ નથી માનતી. તેમને” બરાબર” ખબર હોય છે કે ટ્રોલ કરનારા તો આગીયા છે. તે મહાન લોકોના પ્રકાશમાં એક પળ પણ ગાબડું પાડી ન શકે.

રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા. બહારથી તે કોઈ સંત ન હતા કે મહાત્મા પણ ન હતા. પણ અંદરથી સંતત્વથી છલકાતા હતા. બહારથી ભલે વિશાળ ઓફિસોમાં બેસતા હતા, પણ તેમની હાજરીથી આ ઓફિસો મંદિરમાં પરિવર્તિત થઈ જતી હતી. તેમના પાસે બેસવું મંદિરની મૂર્તિ સામે બેસવાથી જરા પણ ઓછું ન હતું. તેમનું સ્મરણ કરવું આત્મસ્મરણ કે ઈશ્વર સ્મરણ કરવા કરતાં જરા પણ ઓછું ન હતું. ઓફિશિયલી ભલે તેઓ સાધુ ન હતા, પણ આંતરિક રીતે સાધુથી જરા પણ કમ ન હતા.

મહતમ લોકો સતત આવા લોકોની શોધમાં હોય છે. તેમને જ ઝંખતા હોય છે. કદાચ તેઓ દૂર હોય તો પણ આશ્વસ્ત હોય છે કે તેઓ છે તો ખરા ! એટલે જ આવાઓમાંથી કોઈ વિદાય લે છે, ત્યારે લોકોના મનમાં એક ખાલીપો ઊભો થાય છે કે ઓહો, આમ પણ “આવાઓ”‘ની તંગી છે, તેમાં વળી એક વધારે ગયા. આ ખાલીપો ઉદાસીનતા જન્માવે છે.

રતન ટાટા જેવા લોકોની, વિરાટ ઉદ્યોગોનું સંચાલન કે અબજોપતિપણું નહીં, પણ આ જ સફળતા છે.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com