તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ના, હું એમાં નકરી તારીખી કરામત નથી જોતો, પણ એક સૂચક જોગાનુજોગ જોઉં છું કે જે મહિનામાં ગાંધીનું જન્મ કલ્યાણક છે તે જ મહિનામાં જયપ્રકાશનું જન્મ કલ્યાણક (૧૧-૧૦-૧૯૦૨) છે, અને લોહિયાનું મૃત્યુ કલ્યાણક (૧૨-૧૦-૧૯૬૭) પણ.
જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા સન બયાલીસના વીરનાયકો છે, અને નેહરુ-પટેલ સહિતના કોંગ્રેસ શ્રેષ્ઠીઓના મુકાબલે એમનાં તેવર ને મિજાજ કંઈક બગાવતી છે. સ્વરાજ સંક્રાન્તિ લગોલગ નેહરુ-પટેલ રાજ્યબાંધણીની જવાબદારી સાહે છે ત્યારે સરકાર બહારની જવાબદારી કોને ભળાવવી, એ સવાલના જવાબમાં ગાંધીને જડેલાં નામો પક્ષપ્રમુખ તરીકે જયપ્રકાશ અગર આચાર્ય નરેન્દ્રદેવના છે, તો મહામંત્રીપદ માટેનું એમનું સૂચન લોહિયાનું છે… ત્રણેય સમાજવાદી! જોકે, કોંગ્રેસ શ્રેષ્ઠીઓને આ નામો સ્વીકાર્ય નથી લાગતાં. લીગ સાથે વચગાળાની સરકાર ચલાવવાના કડવા અનુભવ પછી નેહરુ ને પટેલ, એક અર્થમાં ગાંધીને બાજુએ રાખીને, વિભાજનની અનિવાર્યતા સ્વીકારવા લાગ્યા છે. કોંગ્રેસની બેઠકમાં વિરોધ-સૂર ઉચ્ચારવાની કામગીરી જેપી અને લોહિયા એ સમાજવાદીઓને શિરે આવી છે. કદાચ, ગાંધી નેહરુ-પટેલથી કંઈક છેટું અનુભવી રહ્યા છે અને જેપી-લોહિયાની ઓર નજીક જઈ રહ્યા છે.
બેતાલીસની લોકક્રાંતિ વખતે જેપી-લોહિયાએ નેપાળમાં થાણું જમાવી ‘આઝાદ દસ્તા’ તહેરની લશ્કરી જમાવટની કોશિશ કીધી છે જે સ્વાભાવિક જ ગાંધીમાર્ગ નથી. જોકે, આ અનુભવે કરીને એમને શાંતિમય પ્રતિકારની ગાંધીભૂમિકા સવિશેષ સમજાવા લાગી છે. વચગાળાની સરકારના વારાથી નેહરુ-પટેલ આદિને માથે રાજ્યબાંધણીનો મોડ છે. એ પણ છે તો સ્વરાજ નિર્માણની જ કામગીરી. પણ એથી કંઈ ગાંધીનું લોકાયન છૂટી શકે?
આ લખી રહ્યો છું ત્યારે નવેમ્બર ૨૦૧૬માં ગોવામાં દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદ મળી હતી એનું સ્મરણ થાય છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગીની શહાદત અને એવોર્ડ વાપસીના સહજ ઉછાળ સાથે એક એવો રાષ્ટ્રીય મિજાજ બનવા લાગ્યો હતો જેવો ક્યારેક ગાંધીએ ‘કૈસરે હિંદ’ પરત કર્યો કે રવીન્દ્રનાથે નાઈટહુડ પાછું આપવાની હદે વિરોધલાગણી પ્રગટ કરવાપણું જોયું હશે. પરિષદ નિમિત્તે ગોવામાં રવીન્દ્ર ભવનથી કૂચકદમ કરતા અમે સૌ જાહેર સભા સારુ જ્યાં પહોંચ્યાં એનું નામ લોહિયા મેદાન હતું: આ એ મેદાન હતું જ્યાં લોહિયાએ ૧૯૪૬ની ૧૬મી જૂને પોર્ટુગીઝ ચુંગાલમાંથી ગોવાનો મુક્તિનો બુંગિયો બજાવ્યો હતો. વસ્તુત: એ ત્યાં પહોંચ્યા તો હતા, ૧૯૪૨ના બંદીઓ પૈકી કદાચ સૌથી મોડા છૂટેલા બે બંદીઓ પૈકી એકને નાતે કંઈક આરામ માટે.
લાહોર જેલમાં એમણે અને જયપ્રકાશે લાંબા જેલવાસ ઉપરાંત આકરા સિતમનો અનુભવ કર્યો હતો. બ્રિટિશ શાસન સાથે અવિશ્રાન્ત માથાકૂટ કરી ગાંધીએ બંનેને છોડાવ્યા હતા. ગોવામાં લોહિયાએ જોયું કે સામાન્ય કંકોતરી છપાવવા માટે પણ પોલીસ તપાસમાંથી ગુજરવું પડે એ તો ઠીક પણ ખાસ મોઝામ્બિકથી ભરતી કરી ઊભા કરાયેલ પોલીસ દળ થકી આખું એક ત્રાસ તંત્ર કાર્યરત હતું. બુંગિયો બજ્યો ને લોહિયા પકડાયા. નવી દિલ્હીમાં કાર્યરત વચગાળાની સરકાર આ પકડાયા બદલ કંઈક કોકરવરણી હશે પણ ગાંધીએ વાઈસરોય વેવલને લખ્યું ને ‘હરિજન’માં ટિપ્પણી પણ કરી કે ગોવામાં લોહિયા જેલબંધ છે તો ભારતનો મુક્તિવાંછુ અંતરાત્મા પણ જેલમાં છે. પોતાને અભીષ્ટ લોકાયન વાસ્તે ગાંધી તરુણ સમાજવાદી નેતાઓને હૂંફતા ને પાંખમાં લઈ રહ્યા હતા. બન્યું એવું કે છૂટીને લોહિયા ભારતને અડતી ગોવા સરહદે જાગૃતિ માટે ઘૂમી વળ્યા ને વળી પાછા ગોવા-પ્રવેશની તૈયારીમાં હતા ત્યાં તાર કરીને ગાંધીએ એમને પોતાની પાસે બોલાવી લીધા અને બંગાળના શાંતિ મિશનમાં સાથે લીધા.
૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી પટેલ સાથે વાત આટોપી પ્રાર્થના માટે નીકળ્યા. પ્રાર્થના પછી તરત નેહરુ આવવાના હતા અને વળતે દહાડે લોહિયા. બેઉ મુલાકાતો ઈતિહાસના ‘જો’ અને ‘તો’માં રહી ગઈ. ગમે તેમ પણ, ગાંધીને જે આશા-અપેક્ષા હશે લોહિયા પરત્વે, એમાં લોહિયા આબાદ નિમિત્ત બન્યા એ તો અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વ હેઠળની અશ્વેત (આફ્રિકન-અમેરિકન) સમુદાયની નાગરિક અધિકાર ચળવળ માટેના ઈતિહાસધક્કા થકી. ૧૯૫૧માં લોહિયા અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ટેનેસી પંથકમાં એમણે હાઈલેન્ડ ફોક સ્કૂલનીયે મુલાકાત લીધી હતી. અશ્વેત કર્મશીલો માટેની ગ્રીષ્મ શાળાના અભ્યાસક્રમમાં એમણે કહ્યું, ગાંધી ને થોરો ન હોય, સિવિલ નાફરમાની (સવિનય કાનૂન ભંગ) ન હોય એ કેમ ચાલે? પછીનાં વર્ષોમાં અભ્યાસક્રમ સુધર્યો અને એમાંનાં એક કર્મશીલ છાત્રા રોઝા પાર્ક્સે ૧૯૫૫માં પોતાની બેઠક ગોરા સારુ ખાલી કરવાની ના પાડી એમાંથી અલાબામાનો બસ સત્યાગ્રહ આવ્યો. એ માટે બનેલી સમિતિની જવાબદારી કિંગને માથે આવી. લાંબા સત્યાગ્રહ પછી અમેરિકી ફેડરલ કોર્ટે ગોરા-કાળા ભેદવાળી બસ બેઠક વ્યવસ્થા ગેરબંધારણીય ઠરાવી. કિંગની રાષ્ટ્રવ્યાપી ચળવળનો એ આરંભધક્કો હતો.
ગાંધી પછી કોણનો એક જવાબ હોઈ શકતા લોહિયા વહેલા ગયા. પણ ૧૯૭૪-૭૭માં આ પ્રશ્નના ઉત્તર રૂપે જયપ્રકાશ ઉભર્યા: ન નેહરુ-પટેલમાં બદ્ધ – ન લોહિયા-જેપીમાંયે બદ્ધ – ગાંધી, તું અસંભવ સંભાવના છો.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
