હરેશ ધોળકિયા

પરિવર્તન એ જગતનો નિયમ છે – આ વાક્ય જાણીતું છે અને નક્કર સત્ય છે. જગત ઉત્પન્ન થયું – જો ઉત્પન્ન થયું હોય તો – ત્યારથી સતત પરિવર્તનશીલ રહ્યું છે. લાખો કરોડો બદલાવ આજ સુધી આવ્યા છે. આજે પણ ચાલુ છે. પણ જો માનવ ઇતિહાસ તપાસીએ તો ગુફાવાસી માનવથી આજનો આધુનિક માનવ થવા સુધીનો મોટાભાગનો ઇતિહાસ ધીમાં પરિવર્તનનો કાળ રહ્યો છે. જેને આપણે ‘આધુનિક’ માનવ કહીએ છીએ, તે છેલ્લી ત્રણ સદીનો ઇતિહાસ છે. જ્યારથી વિજ્ઞાનની શોધો વધવા લાગી ત્યારથી આધુનિકતા શરૂ થઈ છે. વિસમી સદીના ઉત્તરાર્ધ સુધી તે પણ ધીમી રહી છે. પણ તેના છેલ્લા દાયકાથી તેની જે ઝડપ શરૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે.

વર્તમાનમાં જો આ પરિવર્તનને જોઈએ, જોઈ શકીએ, તો સ્તબ્ધ જ થઈ જવાશે. આગળ જે નવું પરિવર્તન દસેક વર્ષે આવતું, તે આજે દસેક દિવસે આવે છે. દરરોજ સવારે જાગીએ છીએ અને જોઈએ છીએ તો દરેક ક્ષેત્રમાં કશુંક નવું જ પરિવર્તન આવી ગયું હોય છે. એની જે ગતિ છે, તે વાવાઝોડા જેવી છે. વાવાઝોડું જે ભયંકર ગતિથી ફરતું હોય છે અને તેના કેન્દ્ર નજીક જો કોઈ આવી ગયું, તો તે તેને પ્રકાશની ગતિથી ફેંકી દે છે. વ્યક્તિ સમજવાનો પ્રયાસ કરવા જાય ત્યાં તો તેનું મગજ બહેર મારી જાય છે. મોટાભાગે કોમામાં ચાલી જાય છે. આ જ સ્થિતિ વર્તમાન પેઢીની છે. આજે પરિવર્તન જે ભયંકર ગતિથી થઈ રહ્યું છે તેણે સમગ્ર માનવજાતને બૌદ્ધિક રીતે લગભગ લકવાગ્રસ્ત કરી નાખી છે. તે મૂઢ થઈ ગઈ છે. તેના પ્રભાવથી તે તદ્દન યાંત્રિક રીતે જીવે છે. “જીવે છે” શબ્દ પણ ખોટો છે. તેમાં જાગૃતિ નથી, કેવળ યાંત્રિકતા છે. આ ગતિ તપાસવા જેવી છે.

શા માટે આમ થયું છે ? – આ સવાલ પહેલાં તપાસીએ. તેનાં બે કારણો છે. એક તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ‘મૂડીવાદ’નો ઉદય થયો. મૂડીવાદ બે જ શબ્દ પર કામ કરે છે : નફો અને પૈસો. તેણે માનવજાતને એકકેન્દ્રી કરી નાખી. તેણે ઠસાવી દીધું કે જીવનમાં કેવળ પૈસો હોવો જ મહત્ત્વનું છે. તે મેળવવા જ જીવવાનું છે. માનવજાત આ વાતથી હિપ્નોટાઈઝ્ડ થઈ ગઈ છે અને તે માટે દોડ્યા જ કરે છે. તેમાં ભળી છે ટેકનોલોજી. છેલ્લા બે દાયકામાં ટેકનોલોજીનો જે ક્લ્પનાતીત વિકાસ થયો છે, અને દર પળે વધતો જાય છે, તેણે આ પરિવર્તનને વાવાઝોડામાં ફેરવી નાખ્યું છે. આ વાવાઝોડાએ બધાનું શીર્ષાસન કરી નાખ્યું છે. સમગ્ર મૂલ્યવ્યવસ્થા ઊલટસુલટ થઈ ગઈ છે. બે ત્રણ બાબતો જોઈએ.

જબરો પ્રભાવ પડ્યો છે, કુટુંબ વ્યવસ્થા પર. સદીઓ સુધી ટકી રહેલી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પાયાથી હચમચી ગઈ છે. ટેકનોલોજીએ રોજગાર વ્યવસ્થામાં જે ક્રાંતિ કરી છે, તેના પરિણામે મેગા સીટીઝ – મેટ્રો શહેરો ઊભાં થયાં છે અને મહત્તમ રોજગાર ત્યાં કેન્દ્રિત થયો છે. એટલે હવે નવી પેઢીને આ શહેરોમાં જવું ફરજિયાત બન્યું છે. વળી, રોજગાર પણ સ્થિર નથી. જે પણ કુશળ છે તેમની તકો વધતી જાય છે. એટલે કુશળ લોકો સતત રોજગાર બદલાવતા રહે છે. એટલે એકથી બીજાં શહેરોમાં કે વિદેશમાં કૂદકા માર્યા કરે છે. એટલે મોટાભાગનાં સંયુક્ત કુટુંબોનાં સંતાનો ભણવાનું પૂરું થાય કે તરત ઘર છોડી દે છે અને શહેરોમાં ચાલ્યાં જાય છે. વડીલો એકલાં થઈ જાય છે. સંતાનો લગ્ન કરીને પણ શહેરમાં જ રહે છે. એટલે હવે વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. એની નોકરીઓ એવી તો ચુસ્ત છે, મહત્તમ સમય માંગે છે કે મોટાભાગના યુવાનો શાંતિથી ઘરમાં બેસી શકતા નથી. વહેલી સવારે નીકળી જાય છે અને છેક મોડી રાતે આવે છે. અને આવીને પણ શાંતિથી બેસતા નથી.

ઓનલાઈન તો કામ ચાલુ જ રહે છે. મોબાઈલની ઘંટડી સતત વાગતી જ રહે છે. એટલે જમવા કે પ્રેમ કરતી વેળા પણ આ ખલેલ ચાલુ જ રહે છે. ‘અંગત’ જીવન કે આરામવાળું જીવન સ્વપ્નવત્ બનતું જાય છે. શહેરોમાં ઘર નાનાં થતાં જાય છે. એટલે વડીલો માટે જગ્યા નથી. પરિણામે ધીમે ધીમે વડીલો વૃદ્ધાવસ્થામાં ઘરડાં ઘરોમાં દાખલ થતાં જાય છે. કદાચે કોઈ સાથે રાખે છે, તો નવી પેઢી ટેકનોલોજીગ્રસ્ત હોવાથી પરસ્પર સંવાદ શક્ય બનતો નથી. ઓનલાઈન વાતો કરી શકે છે, પણ સામે બેસીને નથી કરી શકતા. પાસે પાસે રહેવા છતાં એકલાં રહે છે. આનો પ્રભાવ માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સમૂહમાં પણ વ્યક્તિ એકલી છે. સાથે જમવા બેસે છે, ત્યારે પણ એક હાથથી જમે છે અને બીજો હાથ મોબાઈલ પર ફરતો રહે છે. અથવા ટી.વી. જોતો રહે છે. શું જમે છે તેની તેને ખબર પડતી નથી. મોડી રાત સુધી આ ચાલે છે. પૂરી ઊંઘ પણ નથી મળતી.

ટેકનોલોજીએ હાથમાં પૈસા મૂકી દીધા છે. સ્ત્રી પુરુષ બંને કમાય છે. બંને સ્વતંત્ર કામ કરે છે. એટલે બૌદ્ધિક સ્વતંત્રતા પણ ભોગવે છે. સદીઓ પછી સ્ત્રીઓને આ સ્વતંત્રતા મળી છે. તેઓ તેને જતી કરવા નથી માગતી. અને આટલી આધુનિકતા છતાં જ્ઞાતિ-જાતિ-ધર્મના પ્રભાવના કારણે કુટુંબની માનસિકતા આજે પણ બદલાઈ નથી. હજી પણ સ્ત્રી ભલે કમાય, પણ રસોઈ તો તેણે જ કરવાની છે. નોકરી સાથે ઘર પણ સંભાળવાનું છે. પતિ અને સાસુ સસરાને પણ સંભાળવાનાં છે. બધા રિવાજો તેણે જ પાળવાના છે. એટલે સ્ત્રી સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ ગુલામ જ છે. હવે તેને આ પસંદ નથી પડતું. એટલે તે એવો છોકરો ઇચ્છે છે જેનું કુટુંબ નાનું હોય અને તે પણ સ્વતંત્ર રહેવા તૈયાર હોય. આ બાબત પણ કુટુંબ પર ઘા કરે છે.

ચાલો, માની લઈએ કે આ બધી સગવડો મળી ગઈ. તો સમસ્યા પૂરી થઈ ? ના. બંને સ્વતંત્રતાનો એવો તો અનુભવ કરે છે કે હવે હમેશાં સાથે રહેવું અને એકને જ વફાદાર રહેવું તેમને અકળાવે છે. પરણ્યા પછી સાથીમાં મર્યાદાઓ દેખાય છે જે અકળાવે છે. એટલે હવે છૂટાછેડાનું પ્રમાણ વધે છે. અને હવે તો એ માનસિકતા વધતી જાય છે કે લગ્ન કરવાં જ શા માટે ? મુખ્યત્વે તો તે શારીરિક સંતોષ માટે જ ને ! હવેની પેઢી તે બાબતે પણ મુક્ત થઈ ગઈ છે. આ સંતોષ માટે લગ્ન સુધી રાહ જોવાની પણ તેના પાસે ધીરજ નથી. ‘વર્જીનીટી’ શબ્દ હાસ્યાસ્પદ બનતો જાય છે. એટલે હવે લગ્નને બદલે ‘લીવ ઈન’ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. મજા આવે ત્યાં સુધી સાથે રહેવું. ન ફાવે તો છૂટા થઈ જવું. ફરી નવો સાથી. આ ઘટના પણ કુટુંબને હચમચાવે છે. અને લીવ ઈનને જ્ઞાતિ વગેરે સાથે સંબંધ નથી. એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરેનું પોત પણ પાતળું બનતું જાય છે. લગ્ન વ્યવસ્થા જ પાયાથી હચમચી ઊઠી છે.

હજી એક પગલું આગળ. જો લીવ ઈનમાં જ રહેવું હોય અને ગમે ત્યારે અલગ થઈ જવાનું હોય, તો પછી બાળકની જવાબદારી શા માટે લેવી ! સમાંતરે બંને લગભગ આખો દિવસ કામ કરતાં હોય અને થાક્યાં પાક્યાં રાત્રે ઘેર આવે. એટલે આખો દિવસ બાળક તો એકલું જ રહે. તેના માટે સમય ક્યાં છે ? એટલે પછી બાળકની શું જરૂર? એટલે આજ સુધી પોતાને બાળક વિના અધૂરી માનતી સ્ત્રી પણ હવે બાળક ટાળવાનો પ્રયાસ કરે છે. તે તેની કારકિર્દીમાં આડું આવે છે.

એટલે હવે, ખાસ કરીને શહેરેમાં, બાળકોની સંખ્યા ઘટવા લાગી છે. આગળ ન્યૂનતમ બે બાળકો તો હોય જ. નવી પેઢીએ તેને એકમાં નિયંત્રિત કરી નાખી છે. જેમ જેમ શિક્ષણ વધે છે, અને આવક વધે છે, તેમ તેમ એક જ બાળક રહે છે. અને જેમ જેમ કામની તાણ વધે છે, આરામનો સમય ઓછો થતો જાય છે, મોજમજા વધે છે, તેમ તેમ ઘરમાં રહેવાનો સમય ઓછો થતો જાય છે. તો પછી બાળકનું શું ? એટલે અત્યારની નવી પેઢી-જેને જનરેશન ઝેડ કહેવાય છે – તે તો “બાળક જ ન જોઈએ” માનવા લાગી છે. એટલે નવી પેઢીમાં એક નવો શબ્દ આવ્યો છે : “ડી.આઈ.એન.સી.” ડબલ ઈનકમ, નો ચાઈલ્ડ” બેવડી આવક, બાળક નહીં. આ વાત હવે વ્યાપક થતી જાય છે. સમગ્ર વિશ્ર્વમાં બાળકોની જન્મ સંખ્યા ઓછી થતી જાય છે. પશ્ર્ચિમના દેશોમાં તો આ પણ સમસ્યા બનવા લાગી છે. દેશના વહીવટકારો બાળક જન્માવવા માટે લાલચો આપે છે, છતાં દંપતીઓ નથી લલચાતાં. જે ચીન એક વાર ભયંકર વસ્તી વધારાથી પીડાતું હતું, તે હવે વસ્તી ઓછી થવાની સમસ્યા ભોગવી રહ્યું છે.

તાજેતરના સમાચારો કહે છે કે આ એક સમસ્યાએ ચીનમાં જ નવી સમસ્યા ખડી કરી છે. છાપાંઓમાં એક નવો શબ્દ વાંચવા મળે છે. તે છે ‘ઓબ્ટેસ્ટ્રીક વીન્ટર.’ ઓબ્ટેસ્ટ્રીક એટલે જન્મ સંબંધી. જન્મ ઘટતાં જાય છે. એટલે કે તેમાં શિયાળો -એટલે ઘટાડો- આવતો જાય છે. છેલ્લા વર્ષમાં ચીનમાં ગાયનેક હૉસ્પિટલોનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે. હૉસ્પિટલો બંધ થતી જાય છે. જાપાનમાં તો આ સમસ્યા વિકરાળ થતી જાય છે. યુરોપ-અમેરિકામાં પણ તે વધે છે. આનો પ્રભાવ રોજગાર પર પડે છે. કામ કરનારાઓ ઘટતા જાય છે. ઉત્પાદન ઘટાડી શકાય તેમ નથી. એટલે વિદેશોમાંથી લોકોને આમંત્રણ આપવું પડે છે. તેની આડઅસર એ થાય છે કે વિદેશથી આવતા લોકો વધે છે તેમ તેમ મૂળ વતનીઓ ઓછા થતા જાય છે. તેનો રાજકીય જીવન પર પ્રભાવ પડે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ ખડી થાય છે. પરિણામે હિંસા વધે છે. અશાંતિ વધે છે. સંકુચિતતા પણ વધે છે. આનો લાભ સામાન્ય નેતાઓ લે છે અને લોકોને ઉશ્કેરી સત્તા પર બેસી જાય છે. તે લોકશાહીને ખતરામાં મૂકે છે. પાયાના મુદ્દાઓની ચર્ચાને બદલે ઉશ્કેરાટભર્યા મુદ્દાઓ આગળ કરાય છે, જે દેશની શાંતિને જોખમાવે છે. આ બધાની અસર સમાજ, શિક્ષણ, વહીવટ બધા પર પડે છે. સમગ્ર વિશ્ર્વ અત્યારે ખળભળી રહ્યું છે. ચારે બાજુ તદ્દન સામાન્ય નેતાઓ ચૂંટાય છે જે ભવિષ્યમાં યુદ્ધનો ભય ઊભો કરશે.

આ તો એક નાનું ચિત્ર છે. પણ જો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવે તો ગભરાઈ જવાય તેવું ચિત્ર છે.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com