હરેશ ધોળકિયા

માત્ર ભારત જ નહીં, સમગ્ર જગત આકાશમાં વિસ્મયથી જોતું હતું કે કયારે ભારતનું ચન્દ્રાયન-૩ ચન્દ્ર પર ઉતરે છે. અવકાશ ક્ષેત્રમાં દાદુ મનાતું રશિયાનું ચન્દ્રયાન અચાનક છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયું, પણ અવકાશમાં હજી પાપા પગલી ભરતાં,ભારતનું ચન્દ્રયાન-૩, એટલે કે ત્રીજું યાન ધીમે ધીમે પણ મકકમતાથી ચન્દ્રની સપાટી નજીક જતું હતું. આજ સુધી ઘણાં યાનો ચન્દ્રની સપાટી પર ઉતર્યાં છે, પણ આ યાન પહેલી વાર ચન્દ્રની દક્ષિણ બાજુ તરફ ઉતરવા માગતું હતું. આ ઉતરાણ ખૂબ જ વિશિષ્ટ અને સૂક્ષ્મ ટેકનીકલ ક્ષમતા માગે છે જે આ યાન કરવાનું હતું. અમેરિકા, ચીન, રશિયા, ફાન્સ- બધા અધ્ધર શ્વાસે આ ઘટનાને જોતા હતા.

ભલે આ ઘટના પૂરી સફળ ન થઈ, પણ આ ઘટના નાની સૂની નથી. તે સૂક્ષ્મતમ બુધ્ધિ- પ્રજ્ઞા જ કહો- માગે છે. યાન બનાવવાથી લઈ તે અવકાશમાં જવાની શરુઆત કરે ત્યાંથી ચન્દ્ર પર ઉતરે, ત્યાં પળેપળ કામ કરે અને પૃથ્વી પર સતત સંદેશાઓ અને માહિતી મોકલતું રહે-આ બધાની જે તૈયારી કરવાની હોય છે તેનો વિચાર આપણને ગુંચવી નાખે છે. જયાં સાઈકલની ચેઈન ચડાવવી પણ મુશ્કેલ લાગતી હોય કે સ્કૂટરનો પ્લગ બદલાવવો પણ તકલીફ રુપ હોય, ત્યાં આ સૂક્ષ્મતમ કામગીરી કેમ થતી હશે તેની કલ્પના કરવી પણ લગભગ અશકય છે. દરેક પળના લાખમા ભાગમાં યાને કઈ કામગીરી કરવાની છે- ચાલુ રહે ત્યાં સુધી-તે બધું જ કમ્પ્યુટરમાં ફીડ કરવાનું છે. તેના પ્રોગ્રામ બનાવવાના હોય છે. આ પ્રોગ્રામ પાછા કોઈ પણ અડચણ વિના સતત ચાલુ રહે એ પણ જોવાનું હોય છે. અવકાશમાં કયાં વળાંક લેવાનો છે, કયારે લેવાનો છે, કઈ રીતે લેવાનો છે,

આ બધું પણ પહેલેથી જ તૈયાર હોય છે. એક સેકન્ડની ગરબડ પણ ન ચાલી શકે. બીજી પળે યાન ખલાસ થઈ જાય.

અને આ બધું વિજ્ઞાનીઓ કરે છે. તો વિચાર આવે કે આ વિજ્ઞાનીઓનાં ભેજાં કેવાં હશે! શું તાકાત હશે આ બુધ્ધિઓમાં !

કઈ રીતે વિચારતા હશે તેઓ ! અને આ બધું જેણે પહેલી વાર શોઘ્યું હશે અને પ્રયોગો કર્યા હશે અને સફળતા મેળવી હશે તેનું

ભેજું તો વળી કેવું જ હશે ! ! સ્તબ્ધ, ચકિત, બાઘા થઈ જવાય છે આ વિચારો કરવાથી. આ અદભુત યાન જે અદભુત રીતે કામ

કરે છે અને તે કામ કરે માટે તેની જે અદભુત તૈયારી હોય છે, તો આ બધું કરનાર આ લોકોનાં મન કેવાં હશે ? શું તાકાત હશે આ મનોમાં ! કયા સ્તરની બુધ્ધિ હશે તેમની ? પ્રાચીન ત્રદષપિઓ, અવતારો કે જ્ઞાનીઓ જેવી બુધ્ધિ હશે તેમની ! એક પળમાં આદર થઈ જાય છે તેમના વિશે વિચારીએ છીએ ત્યારે. આવી પ્રજ્ઞાઓ સામે આપણે તો લઘુતાર્ગ્રાંથે જ અનુભવીએ.

થોભો ! એવું ન વિચારો. મનોવિજ્ઞાન અને યોગ કહે છે કે જગતના બધા લોકો પાસે આવી જ બુધ્ધિ છે. ઈચ્છે તો બધા આવાં કલ્પનાતીત કામો કરી શકે છે. ધારે તો માત્ર ચન્દ્ર પર જ નહીં, બધા ગ્રહો પર જઈ શકે છે.

ધારે તો !

પણ જગત પર નજર પડે છે તો મોટા ભાગના લોકો બહુ જ સામાન્ય જીવન જીવતા જોવા મળે છે ! એંસી ટકા લોકો તો ખૂબ જ મઘ્યમ સ્થિતિમાં જીવે છે. નથી તેમના પાસે જરુરી સગવડો, નથી પૂરતા પૈસા, નથી આરોગ્ય, નથી તેમની ઈચ્છાઓ પૂરી થતી. આ બધા જ લોકો અભાવોમાં જ જીવન પસાર કરી નાખે છે. જો એમ કહેવાતું હોય કે બધા પાસે આ અદભુત લોકો

જેવી જ બુધ્ધિ છે, તો આ બધા હેરાન કેમ થયા કરે છે ? સામાન્ય જીવન કેમ જીવે છે ? અવકાશમાં જવું તો ઘેર ગયું, પણ તેઓ તો પોતાની સામાન્ય ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી. તો પછી કેમ કહી શકાય કે ” બધા” પાસે આવી જ પ્રજ્ઞા છે ! હા, કેટલાક પાસે હોઈ શકે, અથવા તો છે, પણ બધા પાસે ? શકય જ નથી.

ફરી થોભો ! આકોશ કાઢવાની છૂટ છે, પણ આ આક્રોશ સાચો નથી. માણસ વિશે જે અભિપ્રાય અપાયો છે તે સંપૂર્ણ સાચો છે. હા, ” બધા” જ આવી પ્રજ્ઞા ધરાવે છે. બધા !

પણ દેખાતું તો નથી ?

દેખાય નહીં માટે હોય નહીં એમ માનવું તો અતાર્કિક મનાય. સવારે તારા નથી દેખાતા, તો શું આકાશમાં તારા નથી હોતા ? ઈશ્વર નથી દેખાતો, તો શું ઈશ્વર નથી ? હું ન અનુભવું માટે બધું અસત્ય ?

પણ પોણી દુનિયા તો સામાન્ય છે જ ને!

દુનિયા સામાન્ય છે એ વાત સાચી, પણ સામાન્ય રહેવું ફરજિયાત નથી. પ્રજ્ઞાવાન બની શકાય છે.

પણ એ કેમ શકય છે?

શકયનો સવાલ જ નથી. પ્રજ્ઞાવાન છે જ બધા. જન્મથી. પળેપળ. મુદો એ નથી કે બધા પ્રજ્ઞાવાન છે કે નહીં, સમસ્યા એ છે કે તેમને તેની જાણ નથી.

પણ કેમ ખબર નથી ?

હા, તેનો જવાબ મળતો નથી. પણ સાદો જવાબ છે અજ્ઞાન. પોતા વિશેનું અજ્ઞાન. કદાચ પૂછાય કે આ અજ્ઞાન કયાંથી આવ્યું ? તો જવાબ છે તાલીમનો અભાવ. ખોટું અથવા અધૂરું શિક્ષણ.સમાજને આ ભાન માત્રને માત્ર સમાજમાંના પ્રજ્ઞાશીલ લોકો જ કરાવી શકે. એટલે કે શિક્ષણમાં માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ હોવા જોઈએ. આવા લોકો જ તેમાં દાખલ થાય તે જરુરી છે. સમાજ અને સરકારનું કામ જ એ છે કે તે શિક્ષણમાં દેશનાં શ્રેષ્ઠ વ્યકિતત્વોને જ નીમે. તેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, રિઝર્વેશન, પક્ષવાદ-કશું જ ન ચાલે. કદાચ એમ કહી શકાય કે આવા વ્યર્થ મુદાઓ સમાજમાં ચાલે કે ટકે છે તેનું કારણ જ એ છે કે સમાજ પ્રજ્ઞાશીલ લોકોને આગળ નથી કરતો. સમાજ પક્ષપાતી છે માટે જ પછાતપણું ટકી રહ્યું છે. ભેદભાવ ચાલુ રહી શકયો છે. કેવળ સંકુચિત સમાજમાં જ આવી નકામી અને વ્યર્થ બાબતો ટકી શકતી હોય છે. કદાચ બીજાં ક્ષેત્રોમાં હોય તો વાંધો ન હોય, પણ જ્ઞાનના ક્ષેત્રમાં તો માત્રને માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ ચાલે. તેઓ જ હોવા જોઈએ.

ચન્દ્રયાનો કેમ સફળ જાય છે ? ફિલ્મો ઉતમ કેમ બને છે ? વિશ્વ કપ કેમ જીતી શકીએ છીએ ? ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં કેમ સતત પ્રગતિ થાય છે ? ઉદ્યોગો કેમ સફળ થાય છે?

કારણ કે આ ક્ષેત્રોમાં કેવળ ઉતમ, પ્રજ્ઞાશીલ, શ્રેષ્ઠ લોકોનો જ આગ્રહ રખાય છે. ત્યાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષપાત વગેરે જોવાતાં નથી. જયારે પણ તેમાં ભૂલ થાય છે ત્યારે આ બધાં પણ નબળાં પડે છે. પણ મોટા ભાગે તેમાં સજાગ રીતે કામ થતું હોવાથી ઓછા બનાવો બને છે.

પણ જ્ઞાન ક્ષેત્રમાં આવો આગ્રહ રખાતો નથી. તેમાં બધા જ ભેદભાવો ચાલે છે. તેમાં સાદા શિક્ષક હોય તો ચાલે, ગુરુનો આગ્રહ રખાતો નથી. પણ જ્ઞાન ક્ષેત્ર પણ કેવળને કેવળ ગુરુઓનો જ આગ્રહ રાખે છે. કેવળ ગુરુ જ શિષ્યની, વિદ્યાર્થીની પ્રજ્ઞાને પ્રગટાવવા સક્ષમ હોઈ શકે. જેની પ્રજ્ઞા પ્રગટ થઈ હોય, તે જ બીજાની પ્રજ્ઞાને પ્રગટાવી શકે. એક દીવો જ બીજા દીવાને પ્રગટાવી શકે. અંધારું પ્રકાશ ન આપી શકે. જે પોતે જ અંધારામાં, અજ્ઞાનમાં ગોથાં ખાતું હોય, તેના પાસેથી શ્રેષ્ઠની કેમ અપેક્ષા રાખી શકાય?

હકીકતે જગતના કે દેશના બધા જ લોકો જન્મથી જ શ્રેષ્ઠ છે, પૂર્ણ છે, પણ આ પૂર્ણતા કે શ્રેષ્ઠતા સુષુપ્ત છે. તેને બહાર લાવવી પડે છે. પ્રગટાવવી પડે છે. તેને વ્યકત કરતાં શીખવું પડે છે. તેની તાલીમ લેવી પડે છે. તેની સાધના કરવી પડે છે. આ તાલીમ કેવળને કેવળ પ્રજ્ઞાશીલ લોકો જ આપી શકે. કૃષ્ણ તો બધા છે, પણ કૃષ્ણનું કૃષ્ણત્વ માત્ર સાંદીપની જ પ્રગટાવવી શકે.. રામનું રામત્વ માત્ર વશિષ્ઠ જ પ્રગટાવી શકે. નરેન્દ્રનું વિવેકાનંદત્વ માત્ર રામકૃષ્ણ જ પ્રગટાવી શકે.

તે સમાજ શ્રેષ્ઠ છે જે રામકૃષ્ણ કે સાંદીપની કે વશિષ્ઠોને કામ કરવાની તક આપે છે. અલબત, આ બધાને સમાજના ટેકાની જરા પણ જરુર નથી હોતી. તેઓ જાતે જ શ્રેષ્ઠ હોય છે, પણ સમાજે તેનો ઉપયોગ કરવાનો કરવાની ક્ષમતા કેળવવાની છે. સમાજે તેને કામ કરવા માટે સ્વતંત્રતા આપવાની છે. પોતાની સંકુચિતતા તેમના પર ઢોળવાની નથી. માત્ર આવા લોકોને જ સહાય કરવાની છે. તો જ, માત્ર તો જ, સમાજને સતત પ્રજ્ઞાવાન લોકો મળતા રહેશે.

જે સમાજ શ્રેષ્ઠને જ સન્માને છે, આદર આપે છે, કેવળ તે જ સમાજ પોતે શ્રેષ્ઠ બની શકે છે.

કોઈ પણ વ્યકિત, કહેવાતી સામાન્ય કે નબળી વ્યકિત પણ, ચન્દ્રયાન બનાવી શકે છે, ગ્રહો પર જઈ શકે છે. એટલે કે બધા જ શ્રેષ્ઠત્વ સાથે જન્મે છે, તે જ સત્ય છે. પણ તેને પ્રગટાવવાની જવાબદારી તત્કાલીન સમાજ પર હોય છે. જેટલો સમાજ ઉદાર, ગ્રંથિસુકત, વિશાળ મગજ ધરાવતો, તેટલા વધારે પ્રજ્ઞાશીલ લોકો મળવાના. ઈતિહાસ સાક્ષી છે.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com