કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

        કોઇ પણ જ્વનશીલ પદાર્થનું સળગતી વખતનું રૂપ ભૂરા ભડકાનું ન હોય અને તે મુંઝાતો મુંઝાતો સળગતો હોય ત્યારે તેના અધકચરા સળગીને છૂટા પડી રહેલા કાર્બનના કણોવાળા ધુમાડાના ગોટા તે પદાર્થની વિશિષ્ટ ગંધને ઓર તેજીલી બનાવી વાતાવરણમાં પ્રસરાવે છે. પ્રયત્ન પૂર્વક કરાતી આવી પ્રક્રિયાને આપણે “ધૂપ આપવો” એમ કહેતા હોઇએ છીએ. અને જેને સુંઘતાં આપણને તાજગી આવે અને મન-મગજ ખુશી અનુભવે એને આપણે “સુગંધિત ધૂપ” કહીએ છીએ.

સુગંધિત ધૂપ સાથે આપણા વ્યવહારો :

આપણા દેશમાં રાજા હોય કે રંક, શહેરીજન હોય કે ગામડિયા, તમામને ઘેર સવાર-સાંજ બે વખત પોતાના ઇષ્ટદેવને ઘીનો દીવો અને સુગંધિત અગરબત્તી કે લોબાન-ગુગળ જેવા પદાર્થનો ધૂપ શ્રદ્ધાપૂર્વક નિયનિતરીતે કરાતો રહેતો હોય છે. તેથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને ચેતનવંતું બની રહે છે.

અરે ! ઘરો ઉપરાંત મંદિર હોય કે મસ્જિદ, ગુરુદ્વાર હોય કે ચર્ચ- તમામ ધાર્મિક સ્થળોએ અને શાળા-મહાશાળા કે અન્ય સમૂહ મિલનોમાં આરંભે શુદ્ધ અને શાંત વાતાવરણના સર્જન અર્થે ધૂપસળીઓ પ્રગટાવાતી હોય છે.

પ્રાચીન સમયમાં અને આજે પણ ઘણી વાર થતા રહેતા નાના મોટા યજ્ઞોમાં ઘી અને સુગંધિત સમિધોની આહૂતિ આપવા પાછળ અમૂક જાતના લાભકારી વાતાવરણના સર્જનનો હેતુ રહ્યો હોય છે.

પણ કેટલાક પદાર્થો એવા યે હોય છે કે જેના ધૂપની દુર્ગંધ નાકમાં ગયા ભેળી જ મનને વિહ્વળ બનાવી મૂકે છે, અને એમાંથી છૂટવા નાક બંધ કરી, શ્વાસ લેવાનું રોકી દઈ, જલ્દી જલ્દી એવું સ્થળ છોડી દેવા તલપાપડ થઈ જઈએ છીએ. એવા પદાર્થને સળગાવવાનો હોય ત્યારે આઘા ઊભા રહેવું પડે છે.

આ રહ્યાં એવાં ઉદાહરણો કે જેમાં ધૂમાડાની અણગમતી ગંધ અને તેની તીવ્રતાની માઠી અસર આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતી હોઇ આપણે તેનાથી દૂર રહેવું પડે છે.

મનને આકળ-વિકળ કરી મૂકે એવી ધૂપની અસરો :

 [1]……..રસોડામાં બહેનો દાળ; શાક કે કઢીનો વઘાર કરે ત્યારે ઓંશરી કે ફળિયામાં બેઠેલ મહેમાન ડાયરાને નાક દ્વારા ગળા સુધી પહોંચેલી તેની તીખી વાસ ઉધરસના ઠંહકાં લાવી દે છે.  વઘારમાં વપરાતાં મરચાં પોતે જ હોય સ્વભાવે તીખાં, અને સૂકાં એવાં કે એને અડક્યું ન થાય ! તેમાં યે તેને જ્યારે નંખાય ઊકળતા તેલમાં ! એટલે એમાંથી છૂટેલો તીખો ધૂપનો ગોટો શ્વાસમાં જાય તો પછી બળતરાની કોઇ મણા રહે ખરી ?

[2]……..દિવાળીના પરબ ઉપર કે લગ્નપ્રસંગની આતશબાજીમાં ફોડાતા ફટાકડા, ઊંચે ચડાવાતી હવાઇઓ, તિખારા વેરતી ફૂલખરણીઓ કે દાડમ-ચક્રીઓ જેવા અનેક તાજ્જુબીઓ આપતાં દારુખાનામાંથી જે ધુમાડો નીકળે છે, તે કેટકેટલાયને ઉધરસ,શરદી, સળેખમ, અવાજને બેસારી દેવો કે માથાનો દુ:ખાવો શરૂ કરાવી દેવા જેવી માઠી અસરોનો ભોગ બનાવી દેતા હોય છે એનો આપણને અનુભવ ક્યાં નથી ?

[3]……..એવું જ પથ્થરિયાળ ધરતીમાં ઊંડો કૂવો ગાળતી વખતે કમ્પ્રેસર થકી પાડેલા દારમાં જીલેટીન-કેપ [ટોટા ] ભરી ભડાકા કર્યા પછી તરત કૂવામાં ઊતરીએ તો શું થાય ખબર છે ? જીલેટીનના વિસ્ફોટ પછી તેના ગેસથી કૂવો આખો ખીચોખીચ ભર્યો હોય-એ ગેસ શ્વાસ દ્વારા ફેફસાંમાં ગયેથી ગુંગળામણથી બેભાન બની ગયાના કિસ્સા મોજૂદ છે.

        પણ આ તો થઈ આપણા ઉપર આવા ધુમાડાની થતી ગમતી-અણગમતી અસરોની વાત ! પણ આપણા અન્ય પાલતુ જીવોને અને આપણા ખેતીપાકોના રક્ષણ અને વૃધ્ધિ માટે આવા ધૂપ-ધુમાડા કામે લાગે ખરા ? તો આપણા ખેડૂતો માટે કામની વાત ગણાય.

કીટકશાસ્ત્રીઓનો અભ્યાસ એવું જણાવે છે કે કેટલાંક ઝીણાં જીવડાંઓને બાદ કરતા ખેતીપાકો અને જમીન પર ઊડતાં ભમતાં અને હરતાં-ફરતાં જીવડાંઓને પણ મનુષ્યોની જેમ ગંધ પારખવાની ઘ્રાણેંદ્રીય અને વસ્તુને નિરખવાની દ્રષ્ટિ પ્રકૃતિએ આપેલી છે. તેથી જ નજરે ચડતાં દ્રશ્યો અને ગંધ ઉપરથી જીવન નિર્વાહ અને શારીરિક ઇચ્છાપૂર્તિ અર્થે બધાં સ્થળફેર કરતાં રહેતાં હોય છે.

એટલે ખેડૂતોએ તો ખેતીપાકો માટે નડતરરૂપ જીવડાંઓને ભગાડવા કેવા પ્રકારના ધૂપ-ધુમાડો-ગંધ એને નથી ગમતાં તે શોધી કાઢી એનો ઉપયોગ આદરવો જોઇએ.

આ રહ્યા એવા ધૂપના પદાર્થો કે જે જીવાતોને દૂર ભગાડે છે :

 @………ગામડું હોય કે શહેર, ભેજવાળી ઋતુમાં મચ્છરોનો ત્રાસ બહુ વધતો હોય છે. એનો ખરો ઉપાડો સંધ્યાટાણે શરૂ થઈ જાય છે. આવા ટાણે કોઇ ખેત-કચરાની ઢગલી કરી, તેને સળગાવી, ઉપર થોડી લીમડાની તીરખીઓ નાખી ઘૂમાડાના ગોટા પ્રગટાવી દ્યો ! મચ્છરોની હૈસિયત નથી કે લીમડાના ધૂપવાળી જગ્યાએ ટકી શકે ! એને સ્થળ છોડવું જ પડે ! આ ઉપાયની તો સૌને જાણ છે જ ખરું ને ? અને એટલે જ ખેડૂતોના ઘેર બાંધેલા ઢોરનાં છાપરાંની હેઠળ આવો લીમડાના પાનનો ધુમાડો કરવાનો ઉપાય પરાપૂર્વથી લેવાતો રહ્યો છે.

@………શેઢા પરનો સૂકાં લાકડાનો ઢગલો ટ્રેક્ટર-ટ્રેલરમાં ભરી ઘેર લઈ જવો હોય, પણ અંદર બાજ્યો છે મોટો મધપૂડો ! કેમ કરીને લાકડાં ટ્રેલરમાં ભરવાં ? ચીકુ, આંબા કે આમળાંમાં ફળો ઉતારી લેવાની વેળા પાકી ગઈ છે, પણ એ જ ઝાડની બરાબર વચલી ડાળ પર જ બેઠેલું ભળાય મધ ! ફળો તોડતાં ડાળી હલી જાય તો મધની માખોનું ઝૂંડ આપણને ચોટી જ પડવાનું ! ફળ ફળને ઠેકાણે રહી જાય અને દૂર ભાગતા ભોં ભારે પડી જાય ભાઇ !

          આવી ઊભી થયેલી કટોકટી વેળાએ લાંબી લાકડીના છેડે થોડા કંતાન કે કપડાનો ડૂચો વીંટી, તેને સળગાવી-તાપ ન થઈ જાય તેવા ધુમાડાનો ગોટો બરાબર મધપૂડા પર ફેલાય તેવું ગોઠવી દઈએ તો મધમાખીઓ ધુમાડાથી છૂટવા તેની વસાહત-મધપૂડો છોડી દઈ આસપાસ ચક્રાવો લીધા કરે છે. આપણે એને સીધી ખીજવી નથી એટલે ડંખ પણ નહીં મારે અને આપણું લાકડાં ભરવાનું કામ પૂર્ણ કરી શાકાશે. જોયું ! અહીં ધૂપ-ધૂમાડે આપણું કામ કેવું સરળ બનાવી આપ્યું ?

@……… માલધારીઓ અને ખેડૂતોએ વહેલી સવારે થોડું અંધારું હોય ત્યાં ઢોરાં દોહી લેવાં પડે- નહીં તો અજવાળું થયે માખીઓ જાગી જઈ, દૂઝણા ઢોરના શરીર પર ચટકા ભરવા શરૂ કરી દેતી હોય છે.  તે વખતે ઢોરાં માખીઓને ઊડાડવા માથું હલાવ્યા કરે, પૂંછડું આડું અવળું ફંગોળ્યા કરે, પગ ઉંચા નીચા કરી પછાડ્યા કરે એટલે દોહનારનું કામ અડચણમાં મુકાય. આવા ટાણે બસ, આ જ ઉપાય કારગત નીવડે. કૂચાની ઢગલી કરી, મૂકો દિવાસળી અને ઉપર નાખો થોડો લીલો ઓગાહ ! ધુમાડાના ગોટેગોટા નીકળશે, ફરજામાં ફેલાશે અને માખીઓ દૂર ચાલી જશે.

@……….. ઘણા વરસો પહેલાં અમારા એક ઘરમાં કોઠી માથે સાપ ભરાઈ બેઠેલો દેખાયો. રૂમનું બારણું ઉઘાડીએ ત્યાં ફૂંફાડે ફૂંફાડા મારે !! કોઇની રૂમમાં જવાની હિંમત હાલે નહીં, એમાં એને પકડી દૂર કરવો કેમ ?

            પણ અમારા મા [બાપાના બા ] એ પોતાની ઉંમર સાથે અનુભવ પણ બહુ એકઠો કરેલો. હિંમત પણ ખરી. અમને બધાને આઘા ખસેડી કહ્યું, “ તમે બધાં હાંહતા પડો, એને ખોટો ખીજવોમા, હમણા ઘીના ઠામમાં ઘી પડી રહેશે.” કહી, ચૂલામાંથી થોડો દેતવા લોઢીમાં લઈ, એની માથે થોડું ઘી નાખ્યું અને એ ધૂપિયું સાણસીમાં પકડી મૂકી દીધું સાપવાળા ઘરમાં અને બારણૂં અધખોલું બંધ કર્યું. અમે બધા એ ક્યારે બહાર નીકળે છે એની બારણા સામે નજર રાખી રાહ જોતા બેઠા. ઘીના ધૂપનો આપણને વાંધો નથી પણ સાપને એ ધૂપની વાસ નહીં ગમતી હોય ! એ ઘીના ધૂપથી અકળાયો અને દસેક મીનીટમાં જ ખુલ્લા બારણેથી હળવેકથી સરકતો ઓંશરીમાં આવી, ત્યાંથી સડસડાટ દોડતો વંડીની ખાળમાં થઈ બહાર નાસી ગયો. તે દિ’ અમે સાપને ભગાડવાનો અક્સીર ઇલાજ નિહાળ્યો !

@………. ચોમાસાની હેલી જામી હોય, વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય, માલધારીનાં ઘેટાં-બકરાંને ચરાવવા તો લઈ જવા જ પડે ને ?  પણ એ બિચારા જીવ એકધારા પલળતાં હોય, પગનાં ખરિયાં તો પાણીપોચાં થઈ ગયાં હોય, બધાંના નાખોરાંમાંથી લીટ હાલી જતી હોય, શરદીથી લથબથ થઈ ગયાં હોય ત્યારે જેમ માણસોમાં ભારે શરદી-સળેખમમાં અજમો કે નીલગીરીનાં પાન અને વિક્સને ગરમ પાણીમાં નાખી ‘નાહ’ લેવાનું વૈદો ચીંધતા હોય છે, તેના જેવું જ માલધારીઓના ઘેટાં-બકરાંના ટોળામાં સાંઇ-ફકીર ગૂગળ-લોબાનનો પાક્કો ધૂપ બનાવી ધૂપિયું ફેરવવા આવે છે, અને માલધારીઓ ગાડ-બકરાં જીવ દીઠ થતો ચાર્જ હમણાં સુધી ચૂકવતા એ મને બરાબર યાદ છે. અમારા જૂના ગામ ચોસલામાં અમે રહેતા હતા ત્યારે હાથમાં ગૂગળ-લોબાન કે કોઇ ઔષધિઓથી બનાવેલ ધૂપિયું લઈ સાંઇ-ફકીર આવતા અને જ્યાં ઢોરાં બંધાતા હોય ત્યાં ખીલે ખીલે-ગમાણે બધે ધૂપિયું ફેરવતા અને વાતાવરણને જંતુમુક્ત કરતા. અને અમે સૌ યથાશક્તિ પાઇ-પૈસો ફકીરની ધૂપદાનીમાં નાખતા ! આ કોઇ કેવળ ધાર્મિક વિધિ નથી પણ વાતાવરણને શુદ્ધ કરવાનો કારગર ઉપાય અજમાવવા જેવો છે.

@………અચાનક રેડિયો પરથી સમાચાર સંભળાય છે કે “ અમુક વિસ્તારમાં ટીડનાં ટોળાં આકાશે ભમી રહ્યાં છે અને ફલાણી દિશા તરફ ગતિ કરી રહ્યાં છે”. એટલે સાંભળતાંવેંત ડબા-થાળીઓ ટીપી ટીપી ભાતભાતનો શોરબકોર કરવા ઉપરાંત વાડીમાં અનેક જગ્યાએ ખેત-કચરાની ઢગલીઓ સળગાવી ગોટેગોટા ધુમાડો નીકળે એવું કરવા માંડવું પડે છે. ધુમાડો તીડને ગમતો નથી. એને એ અકળાવી મૂકે છે. એટલે અહીં નીચે ઉતરવાનું માંડી વાળી એની ઊડ ચાલુ રાખે અને એમનામ આપણાથી દૂર નીકળી જાય, એટલે સમજોને આપણું  જોખમ ટળે !

આ પણ ધૂપજ ગણાય :

કેટલાક વનપક ફળોને અકાળે પકાવી રંગ લાવવા કાર્બેટ, અનાજને સડતું અટકાવવા અને ઉંદરોને એના દરમાં ને દરમાં જ ગૂંગળાવી મારવા વપરાતી સેલ્ફોસ કે ક્વીકફોસ જેવી ટીકડીઓ, જીવાતોને સ્પર્શની સાથોસાથ ગેસયુક્ત ઝેરી અસર પહોંચાડવા ડીડીવીપી જેવાં ઝેરી રસાયણો વાપરવા પાછળ એમાંથી ગેસ-ધૂપ થાય એ જ હેતુ રહ્યો હોય છે. પણ એ બધા કહેવાય ઝેરના અખતરા ! પર્યાવરણ અને આરોગ્યને બાધક હોઇ ત્યજી દેવા જેવા છે.

આવું કેમ ન કરી શકીએ ?

કુરેશીબાગવાળા ગફારભાઇ પોતાની આખી નર્સરીને અનેક સ્થળે મૂકેલી ધૂપદાનીઓમાંથી ઊડતો ગૂગળ-લોબાનનો ધૂપ નિયમિત સવાર-સાંજ બે વખત આપીને જો પોતાના રોપા, કલમો અને વૃક્ષોને જંતુમુક્ત રાખી શકતા હોય તો આપણે પણ પ્રયોગોથી સિદ્ધ થયેલ ઉપાય-વાવડીંગનો ધૂપ ઊભી મોલાતમાં આપી મોલો-મસી, લીલાં ચૂસિયાં, તડતડિયાંના ૮૦ % ત્રાસમાંથી મોલાતને મુક્તિ કેમ ન અપાવી શકીએ ? આપણા અનાજ સંગ્રહના કોઠાર-ગોડાઉન, ઢોરના ફરજા-કોઢ અને રહેણાકી મકાન સુદ્ધાંને આવા નિર્દોષ ધૂપ દ્વારા પ્રદૂષિત અસરમાંથી મુક્તિ કેમ ન અપાવીએ ?

આપણે જરૂર વિચારીએ :

મિત્રો ! પર્યાવરણ ક્ષેત્રે બહુ બગાડો થતાં છેલ્લે કેટલાંક વરસોથી તેના પર પણ બહુ ગંભીરપણે વિચારાવા લાગ્યું છે. પ્રદૂષિત પર્યાવરણના કારણે કુદરત તરફથી અણધારી આફતો ક્યારે અને કેવા રૂપમાં ઊતરી પડે એનું કંઇ નક્કી હોતું નથી. જુઓને ! ઋતુઓ પણ પોતાનો માર્ગ ભૂલી ગઈ છે. સિઝન હોય ચોમાસાની તો વરસાદ ક્યાંક નેવકો ન વરસે અને જ્યાં વરસે ત્યાં વરસીને રેલહોનારત સર્જી દે ! શિયાળો હવે શિયાળાપણું દેખાડવાનું ભૂલી ગયો છે. જ્યારે ઉનાળો હવે વધુ ને વધુ વહમો બનતો હાલ્યો છે. આમે યે એકંદરે પૃથ્વીનું તાપમાન વધ્યું છે-પરિણામે નથી ઝાડવે ફાલ ટાણાહર લાગતો કે નથી પૂરતાં ફળો ઝાડવે લટકતાં ! માનવીએ આદરેલો મર્યાદાભંગનો ચેપ જાણે ઋતુઓને ચોટી ગયો છે.

નાના મોટા વાહનચાલકો, નાની મોટી જરૂરી ચીજ-જણસોના ઉત્પાદકો અને વસ્તુઓના ઉપયોગમાં સંયમ ચૂકતા નાગરિકોથી “જગતાત” થોડો અળગો પડતો હતો. હવે જગતાત ગણાતો ખેડૂત પણ ખાદ્ય ચીજોને ઝેરી બનાવતાં જંતુનાશકોના ઉપયોગ થકી સૌની સાથેના લોલંલોલમાં ભળી ગયો છે. માતા ધરતીની નરવાઇ હણી લેવામાં શૂરવીર બન્યો છે. આમાંથી પાછા વળવું જ રહ્યું. આપણી પાસે ઝેરી રસાયણમુક્ત પાકસંરક્ષણના કેટલાક ઉપાયો છે જ. તે પૈકીના આ “ધૂપ” પણ આપણને ઘણી મદદ કરી શકે તેવો નિર્દોષ ઉપાય છે.

“કૃષિ” એ  અન્ય વ્યવસાય જેવો માત્ર એક ધંધો જ નથી. પરંતુ જીવમાત્ર પ્રત્યેની દયા, સાહનુભૂતિ અને પરસ્પરાવલંબન સાથે જોડાયેલ અને જગતનિયંતા કુદરત સાથે ગૂંથાયેલી એક સર્વશ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. સમજીએ તો જીવનસાધનાનો પંથ છે.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com