સંવાદિતા

જંગ તો ખુદ હી એક મસલા હૈ
જંગ ક્યા મસઅલોં કા હલ હોગી

ભગવાન થાવરાણી

સાહિર લુધિયાનવી મુખ્યત્વે પ્રેમ અને એમાંથી જનમતી આનુષંગિક લાગણીઓના કવિ તરીકે જાણીતા છે પણ એમનો રચના સંસાર દરેક અર્થમાં બહુઆયામી હતો. મૂલત: ઉર્દુ કવિ હોવા છતાં એમણે વિશુદ્ધ હિંદી ભાષામાં લખેલા ફિલ્મી ગીતો અને એમાં સમાયેલું અગાધ ઊંડાણ સાંભળી- અનુભવી દંગ રહી જવાય ! એમની અંગત જિંદગી અને પ્રેમ પ્રકરણો ચર્ચાઈ ચુક્યા છે. માનવતા, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને મહેનતકશોની હિમાયતમાં એમણે વિપુલ માત્રામાં લખ્યું છે. ઉર્દુના મહાન કવિ ફૈઝ અહમદ ‘ ફૈઝ’ ની એમના લખાણો પર ઊંડી અસર હતી. ફિલ્મી ગીતકારોને ફિલ્મોની પ્રસિદ્ધિમાં માનભર્યું સ્થાન અને એમને અપાતાં મહેનતાણા માટે એમણે જે લડત ચલાવી એ કદીય વિસરી શકાય નહીં ! ૨૦૨૧ એમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું.


આજે ચોમેર ફેલાયેલ યુદ્ધ અને તબાહીની આંધીમાં એમની  યુદ્ધવિરોધી રચનાઓ અત્યંત પ્રસ્તુત છે. આવી બે કૃતિઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ. એમની એક નઝ્મનો આરંભ આમ છે :

ખૂન અપના હો યા પરાયા હો
નસ્લ-એ-આદમ કા ખૂન હૈ આખિર
જંગ મશરિક મેં હો યા મગરિબ મેં
અમ્ન-એ-આલમ કા ખૂન હૈ આખિર

લોહી પોતીકું હો કે પારકું, છેવટે તો માણસનું જ ને ! યુદ્ધ પૂર્વમાં થાય કે પશ્ચિમમાં, હત્યા તો વિશ્વશાંતિની જ ને ! આ નઝ્મની પછીની પંક્તિઓનો કેવળ સારાંશ જોઈએ.

બોમ્બ ઘર પર પડે કે સરહદ પર, લોહીલુહાણ તો સર્જનનો આત્મા જ થાય છે. ખેતરો આપણા સળગે કે દુશ્મનના,  ભૂખમરો જિંદગી વેઠે છે. ટેન્ક આગળ વધે કે પાછળ હટે, કૂખ ધરતીની જ વાંઝણી થાય છે. વિજયોત્સવ હોય કે પરાજયનું માતમ, જિંદગી લાશો ઉપર આંસુ સારે છે.
યુદ્ધ તો સ્વયં એક સમસ્યા છે. એ વળી સમસ્યાઓ હલ કરશે ? યુદ્ધ ટળે એ જ શ્રેયસ્કર છે. આપણા સૌના આંગણામાં સુખશાંતિની જ્યોત જલતી રહે એમાં જ ભલાઈ છે.
 કોઈક બળવાન છે એ સાબિત કરવા લોહી વહાવવું એ જ એક ઉકેલ છે ? ઘરનું અંધારું દૂર કરવા ઘરને સળગાવવાનું ?
લડાઈ લડવી હોય તો બીજા અનેક મોરચા ક્યાં નથી ? આવો લડીએ બર્બરતા સામે,  આ હતભાગી પૃથ્વી પર સમજદારી રૂપી અજવાસ માટે, લડીએ શાંતિ માટે,  લડીએ મોતના સોદાગર એવા રાજકારણીઓ સામે ,લડીએ ગરીબી અને ગુલામી સામે, લડીએ સુશાસન માટે અને ગુમરાહ નેતૃત્વ સામે,  લાચાર પ્રજા માટે, મૂડીવાદના આધિપત્ય સામે,  લોકોની ખુશહાલી માટે અને લડાયકતાની માનસિકતા વિરુદ્ધ !
ફિલ્મ ‘ તાજમહાલ ‘ ( ૧૯૬૩ ) માં સાહિરે લખેલા લતા મંગેશકર દ્વારા ગવાયેલ અને રોશન દ્વારા તર્જબદ્ધ ( રાગ : મિયાં કી તોડી ) એક નઝ્મમાં પણ આ જ વાત જુદા અંદાઝમાં દોહરાવાઈ છે પણ એના શબ્દોની ઉર્દુ પ્રચૂરતાના કારણે એની મહત્તા યોગ્ય રીતે ઝીલાઈ નથી. પડદા પર મુમતાઝ મહાલ ( બીના રોય )એને ઇબાદતના રૂપમાં ગાય છે. એના અસલ શબ્દો પણ જોઈએ :
ખુદા – એ – બરતર તેરી ઝમીં પે ઝમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ
હરેક ફતહ-ઓ-ઝફર કે દામન પે ખૂને – ઈંસાં કા રંગ ક્યોં હૈ
 
ઝમીં ભી તેરી હૈં હમ ભી તેરે, યે મિલ્કીયત કા સવાલ ક્યા હૈ
યે કત્લ-ઓ-ખૂં કા રિવાજ ક્યોં હૈ, યે રસ્મે જંગો જિદાલ ક્યા હૈ
જિન્હે તલબ હૈ જહાન ભર કી, ઉન્હીં કા દિલ ઈતના તંગ ક્યોં હૈ
 
ગરીબ માંઓં, શરીફ બહનોં કો અમ્નો ઈઝ્ઝત કી ઝિંદગી દે
જિન્હેં અતા કી હૈ તુને તાકત, ઉન્હેં હિદાયત કી રૌશની દે
સરોં મેં કિબ્ર-ઓ-ગુરૂર ક્યોં હૈ, દિલોં કે શીશે પે જંગ ક્યોં હૈ
 
કઝા કે રસ્તે પે જાને વાલોં કો બચ કે આને કી રાહ દેના
દિલોં કે ગુલશન ઉજડ ન જાએં, મુહબ્બતોં કો પનાહ દેના
જહાં મેં જશ્ને વફા કે બદલે, યે જશ્ને તીરો તફંગ ક્યોં હૈ..
 
ધ્રુવ પંક્તિ સહિતના ચાર બંધની આ રચનાનો સરળ અર્થ જોઈએ.
– હે સર્વશક્તિમાન ઈશ્વર ! તારી જ જમીન પર જમીન ખાતર આ યુદ્ધ શાને ? દરેક ફતેહનો પાલવ માનવીય રક્તથી રંજિત શાને ?
– જમીન તારી, અમે પણ તારા તો પછી વ્યક્તિગત મિલકતનો સવાલ ક્યાંથી ? આ હત્યા અને ખૂનામરકીની પ્રથા શા કારણે ?આ યુદ્ધ, આ વિખવાદો શાને ? જેમને સમગ્ર જગત કબજે કરવાની લાલસા છે એમનું દિલ આટલું સંકુચિત ?
– ગરીબ માતાઓ અને ભલી ભોળી બહેનોને શાંતિ અને સ્વમાનનું જીવન આપજે. જેમને તેં સામર્થ્ય અને અપાર શક્તિ આપ્યા છે એમને સન્માર્ગનો રસ્તો પણ અજવાળી આપજે. એ લોકોના દિમાગમાં આ ઘમંડ, આ ઉદ્દંડતા શા કારણે ? એમના હૃદયના દર્પણ ઉપર આ ધુંધળાશ  કેમ ?
– જે લોકો વિનાશના રસ્તે નીકળી ચૂક્યા છે એમને ત્યાંથી પાછા ફરવાની મોકળાશ આપજે. દિલમાં ખીલેલા હર્યાભર્યા ઉદ્યાન વેરાન ન થઈ જાય તે માટે ત્યાં પ્રેમની કૂંપળનો અવકાશ આપજે. દુનિયામાં પ્રેમ, વફાદારીના ઉત્સવની ઉજવણીના બદલે આ બંદૂકો અને અસ્ત્ર- શસ્ત્રોનું સામ્રાજ્ય શાને ?
સાહિરની સૌથી લોકપ્રિય રચના ‘ અલ્લાહ તેરો નામ‘ ( ફિલ્મ : હમ દોનો – લતા ) ના શબ્દોમાં પણ અદ્દલ આ જ ભાવ છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.