તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જૂનનું છેલ્લું અઠવાડિયું હજુ હમણે જ પસાર થયું. ૨૫-૨૬ જૂન, 1975થી માર્ચ ૧૯૭૭નો ગાળો આ લખનાર જેવા ઘણાને સારુ આઝાદીની લડાઈ નહીં લડી શક્યાના વસવસા સામે બીજી આઝાદીની લડાઈમાં જોડાઈ શક્યાની આનંદલાગણીનો પણ હશે. એ દિવસો સાંભરે છે ત્યારે આજે લગભગ પાંચ દાયકાને અંતરે પણ કંઈક રોમહર્ષણ અનુભવાય છે. એ વાસંતી સંઘર્ષ દિવસોની યાદ લઈને આવતા સાહિત્યમાં વળી વળીને અવગાહન કરવાનુંયે મન થઈ આવે છે. છેલ્લાં વર્ષોમાં આ સંદર્ભે આવેલી નવી કિતાબ જ્ઞાનપ્રકાશ કૃત ‘ઈમરજન્સી ક્રોનિકલ્સ’ છે. વાતનો ઉઘાડ કરતાં જ્ઞાનપ્રકાશે જે પાત્રોનો પ્રવેશ કરાવ્યો છે એમાં એક પાત્ર પ્રબીર પુરકાયસ્થનું છે. કટોકટીકાળના કુખ્યાત પોલીસ અફસરો પૈકી એક, ભીંડર, જેએનયુ કેમ્પસ પર ગયા હતા કોઈની શોધમાં અને એને બદલે એક ભળતીસળતી હસ્તી, આપણો પ્રબીર પુરકાયસ્થ, એને ધરાર ઝાલી લાવ્યા… જે ખાનાપૂર્તિ થઈ તે ખરી.
લખતાં લખતાં કટોકટીવાળા કોલામાંથી તારકુંડવાળું પુસ્તક લેવા ઊભો થયો ને સહસા હાથમાં આવ્યું ગૌરકિશોર ઘોષનું- લેટ મી હેવ માઈ સે. શું કરીશું ગુજરાતી એનું? છૂટ લઈને કહું તો મારે કહેવું છે તે મને કહેવા દો. કટોકટી સામે લડી જાણનાર અને જયપ્રકાશના આંદોલનમાં એક સાથે સહભાગી ને સમીક્ષક બેઉ બની રહેનાર વિરલ બૌદ્ધિક ગૌરકિશોરના આ પુસ્તકની પ્રસ્તાવના તારકુંડેએ લખી છે. અને હા, કિસ્સો બિલકુલ ત્રિવેણી તીર્થ શો છે – ગૌરકિશોર ઘોષની કિતાબ, તારકુંડેની પ્રસ્તાવના અને મૂળે ચંદ્રકાન્ત દરુ પર ઘોષ તરફથી ભેટ, સાઈન્ડ કોપી! કેવાં વ્યક્તિત્વ હતાં આપણી વચ્ચે ત્યારે…
જ્યુડિશિયરીમાં ઊંચી પાયરીએ બડકમદારી કરતા હોત એવા તારકુંડે સુપ્રીમ કોર્ટમાં વકાલત કરવાનો રાહ લીધો જેથી જાહેર હિતના, ખાસ તો નાગરિક સ્વાતંત્ર્યના પ્રશ્નો વણસમર્થ્યા ન રહે. દરુ સ્કૂલમાં શિક્ષક. વકીલી ભણતર લીધું ને બંધારણીય પાસામાં એક પ્રતિભા લેખે ઉભર્યા. ગુજરાત કટોકટીમાં સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું એ જેપી જનતા મોરચાનો વિશેષ હતો- પણ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ના કેસો દેશ આખામાં સેન્સરશિપ સામે દીપશિખા શા બની રહ્યા તે તો દરુ હોય નહીં ને બને નહીં.
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે જેવી કટોકટી જાહેર થઈ ને અખબારી સમાચારો અંગે સેન્સરસંહિતા આવી ત્યારે તારકુંડે અને દરુએ મળીને એક નોંધ કરી હતી કે આ મર્યાદામાં રહીને પણ લોકતરફી શું શું પ્રગટ કરી શકાય છે. પણ મોટા ભાગનાં છાપાંએ અડવાણીના યાદગાર શબ્દોમાં ‘વેંત નમવાનું કહ્યું ને તમે ઘૂંટણિયે પડી ગયા’ જેવી ભૂમિકા ત્યારે સ્વીકારી લીધી હતી.
આ દરુ ને તારકુંડે તમે જુઓ. જનતા રાજ્યારોહણ પછી એમણે કોઈ સરકારી દાપાદરમાયાની દરકાર ન કરી. દરુની પ્રતિભા જોતાં હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જજ લગીનો દોમ દોમ રસ્તો ખુલ્લો હતો. એમણે સામી દરખાસ્તે ના પાડી. મેં એમને કહ્યું કે તમે ત્યાં ચોક્કસ ભૂમિકા ભજવી શક્યા હોત. ‘પણ લોક સારુ અદાલતમાં સીધી લડત આપી ન શકું, એનું શું?’ એમ કહી એમણે હળવેકથી ટમકું મેલ્યું, ‘જજસાહેબ થઈએ તે પછી ઓછા કંઈ રસ્તા વચ્ચે ઊભા રહી દોસ્તો સાથે મકાઈભુટ્ટો ખઈ શકવાના હતા!’ તારકુંડેને આંધ્રનું ગવર્નરું કૂટવાનું સત્તાવાર તેડું આવ્યું. એમણે ન સ્વીકાર્યું ને કહ્યું કે લોકમોઝાર છીએ તે ઠીક છે… અને પછી જુઓ, કવિન્યાય! આંધ્રમાં રાજકીય ગેરરીતિઓ સબબ ઉચ્ચ કક્ષાના તપાસ મિશન પર એ ગયા હતા. થાય છે,
વાતમાંથી વાત નીકળી જ છે તો તારકુંડે વિશે બે શબ્દો વધારે લખું? જોગાનુજોગ, આજે ત્રીજી જુલાઈએ એમનો જન્મદિવસ પણ છે. આપણી વચ્ચે હોત તો એ બરાબર ૧૧૫ના હોત. મહારાષ્ટ્રમાં સાસવડના અસ્પૃશ્યતા વિરોધી બ્રાહ્મણ પરિવારમાં આખા મુંબઈ ઈલાકામાં (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, સિંધ) એ મેટ્રિકમાં પહેલા આવેલા. લંડનથી બેરિસ્ટર થઈને આવ્યા પણ સ્વરાજસંગ્રામના સાદે એમને એક પા કૃષિમાં રસ લેતા કર્યા તો બીજી પા કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં સક્રિય બનાવ્યા. એમની વિચારયાત્રા એમને એશિયા-અમેરિકા-યુરોપ-રશિયામાં ક્રાંતિકારી સંધાન થકી સમુત્ક્રાન્ત રોયવિચારમાં (રેડિકલ હ્યુમેનિઝમ કહેતાં મૂળગામી માનવવાદમાં) ખેંચી ગઈ અને સ્વાતંત્ર્ય કોઈ સુખવસ્તુ વિભાવના નથી પણ વ્યક્તિમાત્રના સર્વાંગી વિકાસની શરત છે એવી નીતરી સમજે એ લાંગર્યા. જયપ્રકાશ સાથેના એમના સંધાને એમને એક તબક્કે દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ચળવળની પિતૃપ્રતિમા શી ઓળખ આપી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
