પ્રવાસી યુ. ધોળકિયા
અત્યાર સુધી આપણે આ લેખમાળામાં સનાતન ધર્મ અને તેનાં અધ્યાત્મ, સાંસ્કૃતિક મૂલ્યો અને રહસ્યવાદની પરંપરાઓને વટવૃક્ષ તરીકે ઉપમા આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જેમ જેમ વધારે વિગતોમાં જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે આ પરંપરા તો પૃથ્વી પર આવેલા પાંચ મહાસાગરોથી વધારે ઊંડી અને હિમાલયની ટોચથી પણ વધારે ઊંચી છે. તેમાં વિશ્વની લગભગ ૧.૨૫ અબજ જેટલી વસ્તી ધરાવતી હિંદુ પરંપરાનો પણ સમાવેશ થાય છે.
હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો છે – પુરાણ, આગમ અને તંત્ર.
આ ત્રણ સ્તંભોની વિગતે વિવેચના કરીએ તે પહેલાં હિંદુઓની આસ્થાઓ, માન્યતાઓ અને પ્રણાલિકાઓનું આકલન કરવું આવશ્યક ગણાશે.
અનેક દેવીદેવતાઓમાં માનતો સનાતની હિંદુ જાણે છે કે આ બધાં દેવી દેવતાઓ જે પરમ ચૈતન્ય અને બ્રહ્મને આધારે ટકી રહ્યાં છે તેમાં પરમ સત્ય રહેલું છે. વળી દરેક માનવી, પશુપક્ષી કે વનસ્પતિ કે કોઈ પણ પ્રકારની અન્ય જીવસૃષ્ટિમાં ઉપરોક્ત બ્રહ્મ આત્મારૂપે રહેલું છે. તેથી કોઇ પણ તરફ કોઈ પણ પ્રકારની હિંસા કરવી કે તેની હત્યા કરવી એ બ્રહ્મહત્યા સમાન છે. તેથી આપણી પરંપરામાં બે મહાવાક્યો છેઃ
અહિંસા પરમો ધર્મ,
અને
યથા પિંડે તથા બ્રહ્માંડે.
સપ્તર્ષિઓ
સનાતન પરંપરામાં સપ્તર્ષિઓને દેવ સમાન ગણવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે આ સપ્તર્ષિઓએ જ માનવજાતને સંસ્કારોથી સુસંસ્કૃત કરી છે.
પુરાણોમાં સપ્તર્ષિઓનાં નામોની નીચે મુજબની અલગ અલગ યાદીઓ મળે છેઃ
૧) અત્રિ, મરીચિ, અંગિરસ, ભ્રૂગુ, વશિષ્ઠ, પુલસ્ત્ય, કૃતુ
૨) કંદર્પ, અગ્નિ, ધર્મ, દતાત્રય, દુર્વાસા, બૃહસ્પતિ, કશ્યપ
૩) કપિલ, જમદગ્નિ, માર્કંડેય, પરશુરામ, વિશ્વકર્મા, અજૈ એકપાદ, જિષ્ણુ
બીજી અને ત્રીજી યાદીમાં દર્શાવેલા સપ્તર્ષિઓ પ્રથમ યાદીના સપ્તર્ષિઓના વંશજ છે.
હિંદુઓ પંચદેવો બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ અને સૂર્ય ઉપરાંત ગણપતિ અને હનુમાનજીની આરાધના કરે છે. જ્યારે ભારતીય સમાજમાં વેદધર્મ ગતિશીલ હતો ત્યારે તેમાં ચૌદ પ્રકારના યજ્ઞોને પ્રાધાન્ય મળ્યું. આ પછી યજ્ઞોમાં પશુબલિ અને અતિમાત્રામાં ધનની આવશ્યકતા થવાને કારણે સામાન્ય વ્યક્તિ માટે યજ્ઞો દુર્લભ બન્યા. વેદકાળ પછી સ્મૃતિકાળ આવ્યો. ઋષિઓએ આ કાળમાં સાત પ્રકારના યજ્ઞો પ્રયોજ્યા. આ સરળ અને ઓછા ખર્ચાળ યજ્ઞો કરવા પણ હિદુઓ અસમર્થ નીવડ્યા.
આ પરિસ્થિતિમાં મનુસ્મૃતિએ દરેક વ્યક્તિ યજ્ઞ કરીને ઋણ મુક્તિ પામી શકે એ માટે પાંચ યજ્ઞોની પરંપરા કાયમ કરી. આ યજ્ઞોમાં દેવ, ઋષિ, માનવ જાત (અતિથિ) અને પંચમહાભૂતથી બનેલી અન્ય જીવસૃષ્ટિ માટે આદર વ્યક્ત કરતા યજ્ઞો બતાવાયા. તે ઉપરાંત મનુએ લોકોને સમજાવ્યું કે દિવંગત સગાં સંબંધી માટે પણ તર્પણ કરવું જોઈએ. મનુએ પાંચમા યજ્ઞ તરીકે પિતૃ તર્પણનો સમાવેશ કર્યો. કાળક્રમે આ પાંચ યજ્ઞોમાંથી સામાન્ય હિદુઓ અમુક જ યજ્ઞો કરવા લાગ્યા. તેમ છતાં આપણા ઋષિઓએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. અંતે આદિયોગી મહાદેવ દ્વારા પ્રચલિત ૧૦૮ પ્રકારની યોગવિધિ, યોગેશ્વર શ્રી ક્રુષ્ણ દ્વારા પ્રયોજિત સરળ યજ્ઞો અને પતંજલિ દ્વારા ઉપદેશિત અષ્ટાંગ યોગ માર્ગનો રાજમાર્ગ આપની મુક્તિ માટે સુગમ બનાવ્યો.
સ્વામી શ્રી વિવેકાનંદ કહે છે કે ધર્મ એ હિંદુની ‘સિગ્નેચર’ (આગવી ઓળખ) છે. જીવનનાં દરેક પાસાંઓમાં આપણા ઋષિઓએ ધર્મને વણી લીધો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક વૈષ્ણવપંથી અને શક્તિમાં માનનારા શાકતપંથીઓ અનુક્રમે ભગવાન વિષ્ણુ, તેના અવતારો શ્રી રામ અને કૃષ્ણ અને માતાજીને ભોજનનો થાળ ધર્યા વિના પોતે ભોજનનો પહેલો કોળિયો ગ્રહણ નથી કરતા. તે જ રીતે સાર્ત અને શિવપંથીઓ (ખાસ કરીને બ્રાહ્મણો) પોતાના ભોજનનો પ્રાંરભ કરતાં પહેલાં ત્રાંબાનાં એક વાસણ (ત્રભાણું – તરભાણું – ત્રાંબટ)માં અગ્નિ મુકી તેના પર ઘી અને રાંધેલા ભાતની આહુતિ આપીને વૈશ્વદેવોને ભોજનની આપે છે. થાળીમાં જે આહાર પીરસવામાં આવ્યો છે, તેમાથી બધું થોડું થોડું ગ્રહણ કરીને પાણીની અંજલિ આપીને ગ્રહણ કરેલું ભોજન ત્યાં ધરાવે છે. આપણે તેને ‘અપુસણ’ તરીકે ઓળખીએ છીએ. ભોજન લીધા પછી આ સમગ્રી ખુલ્લાં આંગણમાં મુકવામાં આવે છે, જ્યાં ઉડતાં પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ તેને ખાઈને તૃપ્ત થાય છે. આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં હિંદુઓ ગાયને ચારો અને પાણી અને કૂતરાં જેવાં મૂંગાં પ્રાણીઓને ખાવાનું અચુક આપતા. તે ઉપરાંત અતિથિની પણ અચુક રાહ જોવાતી. હવે આ પ્રથા લગભગ નામશેષ થઈ ગઈ છે.
આજના સમયમાં એટલી અપેક્ષા જરૂર કરી શકાય કે દરેક હિંદુ તેના ઘરમાં ઘીનો દીવો અને અગરબત્તી જરૂર કરશે.
કર્મવાદ: પૂર્વજન્મ અને પુનર્જન્મ
દરેક હિંદુ કર્મવાદ – પૂર્વજન્મ અને પુનર્જન્મ -માં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. વર્તમાન જીવનમાં આપણે જે કંઈ કામ કરી છીએ તેની પાછળ આપણા પૂર્વજન્મનાં કારણોની અસર ચોક્કસપણે છે તેમ માનવામાં આવે છે. તે ઉપરાંત, આપણા આ જન્મનાં કર્મો હવે પછી થનારા પુનર્જન્મનાં કારણો તરીકે મહત્ત્વનાં બની રહે છે. આમ સંસારચક્રમાં મનુષ્યે જે અસંખ્ય જન્મો ધારણ કરવા પડે છે તેના પર તેનાં કર્મોની સૌથી વિશેષ પકડ છે. કર્મોનાં બંધનમાંથી શ્રી રામ અને કૃષ્ણ જેવા આપણા અવતાર પુરુષો પણ બચી શક્ય નથી.
જ્યાં સુધી કોઈ વ્યક્તિ સદાચારી અને આસક્તિ રહિત જીવન જીવે નહીં, અને ભક્તિ અને યોગ માર્ગનો આશ્રય ન લે, ત્યાં સુધી તેણે ચોર્યાસી લાખ યોનિઓમાં જન્મજન્માંતર સુધી ભટકવું પડે છે. હિંદુ પરંપરા કરતાં પણ શ્રમણ પરંપરામાં કર્મવાદ પર ગહનતમ અને અતિ સૂક્ષ્મ વિશ્લેષણ જોવા મળે છે. તેઓ પણ હિંદુઓની મુક્તિના માર્ગની જેમ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને નિર્વાણ માટે કર્મોનો ત્યાગ કરવાનું, સુચવે છે.
ઋણાનુબંધનો સિદ્ધાંત
આપણી સનાતન પરંપરાઓનો એક અદ્વિતિય સિદ્ધાંત ઋણાનુબંધનો છે. કોઈ માતાપિતા સાથે સંતાન તરીકે જન્મવાના સાથે શરૂ થતા સંબંધની સાથે આગળ જતાં ભાઈઓ બહેનો અને જીવનસાથી સાથે બંધાતા સંબંધો પણ આ ઋણાનુબંધથી બાધિત છે. તે ઉપરાંત વિદ્યાભ્યાસ, ગૃહસ્થ તરીકેના કાર્યો, કોઈ પણ વ્યવસાયમાં પ્રવૃત થવું, તેમાં તમારા સહકર્મીઓ કે વડાઓ સાથેના સંબંધો પણ ચોક્કસ ઋણાનુબંધથી જોડાયેલા છે. પૂર્વજન્મનાં સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો પણ આપણે વર્તમાન જીવનમાં જીવવાનાં છે. જ્યાં સુધી આ બધી રીતે સંકલિત વ્યક્તિઓ સાથે આપણો ઋણાનુબંધ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવનમાંથી મુક્તિ કે મોક્ષ મેળવવાં અશક્ય છે. વિશ્વના યહુદી, ખ્રિસ્તી, ઈસ્લામિક જેવા અબ્રાહમી ધર્મોમાં આવા કર્મવાદ કે પુનર્જન્મના સિદ્ધાંતનો કોઈ ઉલ્લેખ નથી. તેઓ માત્ર વર્તમાન જન્મમાં જ શ્રદ્ધા ધરાવે છે.
ભારતીય ઋષિઓએ સનાતનીઓ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થનો અદ્ભૂત સિદ્ધાંત રજૂ કર્યો છે. તે ઉપરાંત માનવજીવનનાં ૧૦૦ વર્ષનાં આયુષ્યને ધ્યાનમાં લઈને ૨૫ – ૨૫ વર્ષના ચાર કાળખંડોને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમોમાં જીવનને વિભાજિત કરેલું છે. ઋષિઓનો એવો આગ્રહ છે કે વ્યક્તિએ પહેલા બે આશ્રમોમાં સ્વાભાવિક જીવન જીવવાનું હોય છે. એ આશ્રમોનો સમય પુરો થાય ત્યારે તેની ઉમર ૫૦ વર્ષની થઈ હોય, એટલે તે પછી પોતાનાં કુટુંબ સાથે શાંતિથી રહીને, પછીનાં ૨૫ વર્ષમાં પ્રભુભક્તિ, અનાસક્તિ અને મૌન વડે ધીરે ધીરે પોતાની જાતને દૈવી જીવન તરફ વાળવાની હોય છે. એ પછીના જીવનનાં શક્ય શેષ વર્ષોમાં તેણે કૌટુંબિક અને સામાજિક જીવનક્રમમાંથી નિવૃતિ લઈને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે પ્રયત્નો અને પ્રાર્થના કરીને અંતિમ વિદાય માટે તૈયાર થવાનું હોય છે. દુર્ભાગ્યે, આજે આપણો વરિષ્ઠ વર્ગ ભોગવાદી બનતો ગયો છે. પરિણામે કૌટુંબિક વિખવાદો અને ક્લેશ વધ્યાં છે. જેનું એક પરિણામ વર્તમાન પેઢીને ભોગવવુ પડતું અસુખમય જીવન છે.
હિંદુ પરંપરામાં મંદિરોનું સ્થાન
હિંદુઓ માટે તેમનાં મંદિરોમાં જવાનું અનિવાર્ય નથી મનાયું. મંદિરોનાં આજે જોવા મળતાં મહત્વની પાછળ આજથી લગભગ ૪,૦૦૦ વર્ષ પૂર્વે શ્રમણ પરંપરાના બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રસાર મહત્ત્વનો છે. આ ધર્મોની અસર હેઠળ, સમ્રાટ અશોક અને કનિષ્ક જેવા શાસકોએ સમગ્ર ભારતવર્ષને ૮૪,૦૦૦ જેટલા સ્તૂપો, ચૈત્યો, વિહારો અને અનેક જિનાલયોથી વિભૂષિત કર્યું. આ પરંપરાના આટલા બધા પ્રભાવક વિકાસના પરિણામે આખો સમાજ અહિંસા અને સન્યાસ તરફ વળી ગયો. પરિણામે આપણા દેશ પર પર્શિયન, શક, પલ્લવ, ગ્રીક અને હૂણ લોકોનાં જે આક્રમણ થયાં તેનો અસરકારક પ્રતિભાવ ન આપી શકાયો. દેશનાં સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. સામાજિક અને આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. દેશના તત્કાલીન હિતવર્ધકોએ આ પરિસ્થિતિનો પ્રતિકાર કરવા રૂપે દેશમાં મૌર્ય, ચૌલ અને પાંડ્યની રાજ્યવ્યવ્સ્થા કાયમ થાય તે અંગેના પ્રયત્નો આદર્યા. આ ભગીરથ કાર્યને પાર પાડવાનું બીડું ચાણક્ય અને અન્ય મુત્સદીઓએ ઉઠાવ્યું.
આ રાજવીઓએ ધીરે ધીરે શ્રમણ પરંપરાનાં ધાર્મિક સ્થાનકોને બદલે મંદિરોની સ્થાપના કરી. આપણા આરાધ્ય દેવો વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ, ગણપતિ, સૂર્ય અને હનુમાનજીનાં વિશાળ દેવાલાયો રચાયાં. આ માટે પુરાણો ઉપરાંત આગમો અને તંત્રોમાં લિંગ સ્થાપન તેનો આકાર, ઊંચાઈ, શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ વગેરેનાં માપ અને સ્થાનકો તરીકે મંદિરો વિશે વૈજ્ઞાનિક ઢબે ગ્રંથો લખાયા. આ માટે કામિકાગમ, વૈખાનસ સંહિતા, પંચરાત્રગ્રંથો જેવાં આગમો અને માતાજીની એકાવન શક્તિપીઠો માટે અનેક તંત્રશાસ્ત્રોની રચના થઈ. તેમાં ભૈરવો, કુળદેવતાઓ અને દેવીઓ તેમ જ ક્ષેત્રપાળોને પણ ઉચિત સ્થાનો અપાયાં. ઐતિહાસિક કારણોસર આજે બ્રહ્માજીની પૂજા – અર્ચના નથી થતી, પણ કોઈ પણ મંગલ કાર્ય કે મંદિર સ્થાપનમાં બ્રહ્માજીનું સ્થાન ન હોય તે અશક્ય છે. ગણપતિને વિઘ્નહર્તા અને માગલિક કાર્યોના આરંભિક દેવ તરીકે સ્થાન અપાયું.
આ દેવદેવીઓ ઉપરાંત હિંદુઓને વિષ્ણુના દશાવતાર, ખાસ કરીને રામ, તેમના પરમ ભક્ત હનુમાન અને કૃષ્ણમાં અનન્ય શ્રદ્ધા છે. તેથી તેમનાં પણ ભવ્ય મંદિરોની રચના થઈ. તાજેતરમાં અયોધ્યામાં રામમંદિરમમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આખો દેશ હિલોળે ચડ્યો હતો !
મંદિરોનાં વિજ્ઞાન પર સમરાંગણ સૂત્ર અને મ્યમટના ગ્રંથમાં વિવિધ પ્રકારની અધિકૃત માહિતી મળી રહે છે. આધુનિક સમયમાં શ્રીમતી સ્ટેલા કેમરિશ્ચ, ટી ગોપીનાથ રાવ, મધુસૂદન ઢાકી અને સોમૈયા પરિવારે પણ અદ્ભૂત ગ્રંથો લખ્યા છે. વિદેશી આક્રમકોએ ૪૦ થી ૬૦ હજાર મંદિરો ધ્વસ્ત કર્યાં હતાં તેમ છતાં હિંદુ આસ્થા તરીકે મંદિરની સંસ્થા ટકી રહી.
મંદિરો વિશેનાં રહસ્ય જાણવાં હોય તો વાચકોએ ઓશો રજનીશ, સદ્ગુરુ વાસુદેબ અને પ્રવિણ મોહનનાં પ્રવચનો સાંભળવાં જોઈએ. મંદિરોમાં હિંદુઓનો પ્રાણ વસે છે. તેથી જ કાશી અને મથુરાના મંદિરોનો કબજો લઈને પુનરોદ્ધાર કરવાની માંગ પ્રબળ બની રહી છે.
વ્રત, તપ અને ઉપવાસ
સનાતનીઓ વ્રત, તપ અને ઉપવાસમાં માને છે. એક ગણતરી પ્રમાણે આજથી જ્યારે મુસલમાનો ભારત વર્ષ પર ચડી આવ્યા હતા ત્યારે તે સમયના સમાજમાં ૨૬૦ જેટલાં વ્રતોનું પ્રચલન હતું. વ્રત અને તપ ઉપરાંત આપણાં શાસ્ત્રો તીર્થાટન કરવાનું પણ સૂચવે છે. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે ભારત રત્ન પ્રાપ્ત શ્રી પી વી કાણેએ પાંચ ધર્મશાસ્ત્રો પ્રકાશિત કર્યા છે. તેમાંના એક ગ્રંથમાં તેઓએ ૨,૫૦૦ તિર્થસ્થળોનાં નામોની યાદી આપી છે. વાચકોને એ જાણીને સદુઃખ થશે કે આ યાદીમાં સૈથી વધારે સ્થળો કાશ્મીરમાં આવેલા છે, જેના ભગ્નાવશેષો જોઈને મન દુઃખી થાય છે. પાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં સૂર્યનું સૌથી વિશાળ મંદિર હતું, જેનો નાશ મુસલમાનોએ લગભગ ૭૫૦ વર્ષ પહેલાં કરી નાખ્યો હતો. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજારોની સંખ્યામાં લોકો હુમલાઓ કરીને મદિરોની તોડફોડ કરે છે.
હિંદુ સંસ્કારો
દરેક હિંદુ માટે શાસ્ત્રોમાં સોળ પ્રકારના સંસ્કારો પાળવાનો આગ્રહ રાખવામાં આવે છે. આજે ભારત આધુનિક બન્યું છે. લોકોને સમયની ખેંચ પણ બહુ નડે છે. તેથી હવે હિંદુઓ ફક્ત નીચે મુજબના સંસ્કારો અનુસરે છે.
૧) ગર્ભવતી માતા અને ગર્ભસ્થ શિશુના સુખ અને સ્વાસ્થ્ય માટે કરાત સીમંત સંસ્કાર
૨) બાળકના જન્મ પછી છઠ્ઠી તિથિએ થતા વિધિ લેખના સંસ્કાર
૩) બાળકનું નામકરણ
૪) બાળકનું અન્નપ્રાશન
૫) ચૌલકર્મ સંસ્કાર
૬) બ્રાહ્મણો માટે ઉપનયન સંસ્કાર
૭) શળા પ્રવેશ સમયે સરસ્વતી પૂજન
૮) વયસ્ક થાય ત્યારે વિવાહ અને લગ્ન સંસ્કાર, અને
૯) મૃત્યુ પછીના આત્મા મુક્તિ અને શ્રાદ્ધના સંસ્કાર
લગ્નપ્રસંગે થતો સપ્તપદી સંસ્કાર સમગ્ર વિશ્વમાં અજોડ છે. પોતાનાં નિકટનાં સગાંના મૃત્યુ પછી અમુક નિશ્ચિત સ્થળોએ જ અંતિમ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.
મંત્રો અને સ્તુતિઓ
હિંદુઓ માટે કેટલાક મંત્રો અને સ્તુતિઓ અનિવાર્ય ગણાય છે. તેમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું સ્થાન વિશેષ છે. નવગ્રહ સ્તુતિ, ૐ નમો શિવાયઃ, શિવ મહિમ્ન સ્તોત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય, ૐકાર નાદ, પુરુષ સૂક્ત, ગણપતિ માટે વક્રતુંડ મંત્ર, માતાજી માટે દુર્ગાસપ્ત સ્તુતિ, શક્રાદય સ્તુતિ, સૂર્ય ભગવાનનાં બાર નામો વડે કરાતું આહ્વાન ( શ્રી સૂર્ય નમસ્કાર મંત્ર), હનુમાન ચાલિસા, અને પોતપાતાની માતૃભાષાઓમાં ગવાતી આરતીઓ આમાં મુખ્ય છે.
કર્મકાંડ
દરેક સનાતની કુટુંબ પ્રથાનો હિમાયતી હોય છે. આપણાં શાસ્ત્રોએ ગૃહસ્થના પરિવારની શંતિ અને સુખાકારી માટે અનેક કર્મકાંડ પ્રયોજ્યાં છે. વાચકોએ આ માટે વધારે જાણવું હોય તો બ્રાહ્મણ ધર્મશાસ્ત્રો અને ધર્મસૂત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
જ્યોતિષ
ખગોળશાસ્ત્રના નવગ્રહો તેના જીવનની દિશા નક્કી કરે છે એવું લગભગ દરેક સનાતની હિંદુ માને છે. તેના જન્મ સમયે આ નવગ્રહો તેની જન્મપત્રિકામાં કયાં સ્થાનોએ સ્થિત છે તે મુજબ તેની જીવનયાત્રા ચાલે છે. એક ગણતરી મુજબ આજે ભારતમાં ૨૨ લાખથી વધારે જ્યોતિષીઓ છે. આમાંના ૯૦ ટકાથી વધારે તો આ વિજ્ઞાનનો દુરુપયોગ કરીને આસ્થાવાન જનતાને ખોટા સાચા ઉપાયો સુચવી, નંગો પહેરાવીને છેતરે છે. પરિણામે આ મહાન વિદ્યાને ભારે ક્ષતિ પહોંચી છે.
વર્તમાન સમયના મહાન જ્યોતિશ્રાષીઓમાં બી વી રામન, સુરેશચંદ્ર મિશ્રા, કે એન રાવ, દેવેશ કુમાર પાઠક, ઉમેશ કુમાર મિશ્રા, સંજય રથ, નરસિહરાવ વગેરે મુખ્ય ગણાય છે. ગુજરાતના પણ બે – ત્રણ જ્યોતિષીઓ વિશ્વકક્ષાની પ્રતિભા ધરાવે છે.
પર્વો અને ઉત્સવો
હિંદુઓ માટે વર્ષ દરમ્યાન આવતાં વ્રતો અને ઉત્સવોનું આગવું મહત્ત્વ છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, મહાશિવરાત્રી, હોળી – ધુળેટી, ગુડી પડવો, રામ નવમી, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, રક્ષા બંધન, ગણેશ ચતુર્થી, કૃષ્ણજન્માષ્ટમી, નવરાત્રી – દુર્ગા પુજા, વિજયા દસમી, ભાઈબીજ, નવું વર્ષ, છઠ પુજા જેવા ઉત્સવો મોટે ભાગે ધર્મ સાથે જોડાયેલા હોય છે. તે ઉપરાંત મકર સંક્રાંતિ, હોળી, ઓનમ -પોંગલ, વસંત પંચમી (બૈસાખી), નવરાત્રી જેવા ઉત્સવોનો સંબંધ ઋતુઓ સાથે પણ હોય છે. મોટા ભાગના તહેવારોની ઉજવણી જે તે પ્રદેશની સામાજિક પરંપરા કે ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર થતી હોય છે.
દક્ષિણ ભારતમાં ઘણા ઉસવોની ઉજવણી વિશ્વવિખ્યાત મંદિરોમાં કરવામાં આવે છે, જેની વિધિ આગમ શાસ્ત્રોમાં આપવામાં આવી છે. આપણે ગુજરાતીઓ ઘરમાં ઉજવાતા ઉત્સવો, ખાસ કરીને રક્ષાબંધન,માં માંડલું (મંડળ) કરીએ છીએ. આ માંડલાંમાં ૐકાર અને સ્વસ્તિક પણ દર્શાવાય છે. આ મંડળ એક તાંત્રિક રચના છે. દરેક મંદિરનાં શિખરોમાં આવાં મંડળો કોતરવામાં આવે છે. આ મંડળના વિજ્ઞાન પર મહાન માનસશાસ્ત્રી કાર્લ જંગે તેમના ગ્રંથોમાં ખુબ જ વિશદ ચર્ચા કરી છે અને એ રીતે ભારતીય સંસ્કૃતિને અંજલિ આપી છે.
શ્રૃંગાર અને સૌભાગ્ય
દરેક સનાતની કન્યા કે સ્ત્રી કપાળ પર બીંદી, હાથમાં બંગડી, કાનમાં કર્ણકુંડળ અને નાકમાં વાળી ધારણ કરતી. આજે પણ હજુ મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ આ પ્રથાને અનુસરતી જોવા મળે છે. આ માટે સુવર્ણ કે ચાંદી તેમની પહેલી પસંદ રહેતી, અને આજે પણ છે. પરણ્યા પછી સ્ત્રી આ બધાંને સૌભાગ્યનાં પ્રતીક માને છે.
શિક્ષણ – ગુરુકુળ પ્રથા
સોળમી સદીથી આપણા દેશ પર મુસ્લિમોનાં આક્રમણો શરૂ થયા. પછી તો એ લોકો દેશના શાસકો પણ બની ગયા. ત્યાં સુધી આપણી ગુરુકુળની પ્રાચીન શિક્ષણ પ્રથા થોડે ઘણે અંશે ટકી ગઈ. ત્યાર બાદ આપણા દેશ પર યુરોપના શાસકોએ તેમનું રાજ્ય કાયમ કર્યું. તેઓએ પશ્ચિમી પદ્ધતિથી દાખલ કરેલી શિક્ષણ પ્રથાએ ગુરુકુલ પદ્ધતિનો અંત આણ્યો. પરિણામે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ સાવ જ વિસરાઇ ગઈ અને છેલ્લાં ૧૨૫ વર્ષમાં થયેલી આપણી પેઢીઓ તો પશ્ચિમી સંસ્કૃતિની નકલ કરતી પ્રજા બની ગઈ.
સ્નાન અને સુતક
કુટુંબમાં બાળકનો જન્મ થાય કે કોઈ સદસ્યનું અવસાન થાય તો ઘરનાં બધાં લોકોએ સ્નાન કરવું અને સુતક પાળવું અનિવાર્ય ગણાતું. આજે હવે આ પ્રથા ધીરે ધીરે વિસરાતી જાય છે. વડીલો એવું સમજાવે છે કે નવજાત શીશુને અન્ય લોકોના સંસર્ગથી સંભવિત સંક્રમણથી બચાવવા માટે સુતક પાળવામાં આવતું. મૃત્યુ પછી સુતક પાળવાનું મૃતકની સાથેનાં સગપણનું દ્યોતક હતું. સ્નાન કરવું એ મૃતક પ્રત્યે સન્માનનું પ્રતીક હતું અને પોતાના દેહની શુદ્ધિ પણ કરતું.
હિંદુ પરંપરામાં આટઆટલી સમાનતા અને સકારાત્મકતા પ્રેરક પ્રણાલિકાઓ રૂઢ થઈ હોવા છતાં હિંદુ સમાજથી બે અક્ષમ્ય અપરાધો થયા.
નારીશક્તિની અવહેલના અને ઉપેક્ષા
પહેલો અપરાધ, દેશની વસ્તીમાં લગભગ નારીશક્તિનો ૫૦% હિસ્સો હોવા છતાં તેની સતત અવહેલના અને ઉપેક્ષા થતી રહી. કન્યાઓનાં લગ્ન સાવ બાળવયે જ નક્કી કરી દેવાતાં. પરિણામે, તે માંડ હજુ પંદરેક વર્ષની થાય ત્યાં સુધી તો માતૃત્વ ધારણ કરી લેતી. વળી તેને બાળકો પણ ઘણાં થતાં.તેને કારણે સ્ત્રીઓની શારિરીક તંદુરસ્તી નબળી રહેતી. ગર્ભાવસ્થા દરમ્યાન તેની પુરતી કાળજી ન લેવાતી એટલે સ્ત્રીઓ, અને નવજાત શીશુઓનું, મરણનું પ્રમાણ, ભારત સ્વતંત્ર થયા બાદ પણ છેક ૧૯૭૦ સુધી, પણ ઘણું ઊંચું રહેતું.
કુટુંબમાં કે સમાજમાં સ્ત્રીનું કોઈ આગવું સ્થાન નહોતું. પુરુષોની પણ સરેરાશ આવરદા ઓછી હોવાથી સ્ત્રીઓના એક મોટા વર્ગને વૈધવ્યાવસ્થા વેઠવી પડતી. વિધવા સ્ત્રીઓને આખું જીવન પડદા પાછળ, નરક જેવી અવસ્થામાં, પસાર કરવું પડતું હતું.
સનાતન સમાજે આ રીતે પોતાનાં અડધાં અંગ પર ભારે અત્યાચાર કર્યો. હિંદુ પરંપરાના ગૌરવમય ભૂતકાળની આ કલંક કથા છે.
જોકે કન્યા શિક્ષણ અંગેની જાગૃતિ વધતાં જવાની સાથે સાથે હવે આ પરિસ્થિતિ સુધરવા લાગી છે. આજની ભારતીય નારી માટે હવે બધાં ક્ષેત્રોમાં તકો વધવા લાગી છે. સમાજમાં તેનું મહત્ત્વ વધતું જતું જોવા મળે છે.
આમ, હવે આ બાબતે, દેશનું ભાવિ ઉજ્જવળ જોઈ શકાય છે.
દલિતો અને આદીવાસીઓ સાથેનો અમાનવીય વર્તાવ
સનાતન સમાજનો બીજો અક્ષમ્ય અપરાધ છે વસ્તીના ચોથા ભાગ જેટલી સંખ્યા ધરાવતા દલિતો અને આદીવાસીઓ સાથે અમાનવીય કહી શકાય એ કક્ષાનો વ્યવહાર. તેથી આપણો સમાજ ઘાતકી માનસનો, અને પાપભોગી, બન્યો. જોકે દૈવી સત્તા પાસે આવા અપરાધો માટે સમાજને દંડિત કરવાના અનેક કવિમય માર્ગો હોય જ છે. સૌ પ્રથમ તો, આ શક્તિએ દેશને પહેલાં મુસલમાનો અને પછી બ્રિટિશ પ્રજા હેઠળ ગુલામ બનાવ્યો. પરિણામે. આર્થિક અને બૌદ્ધિક દૃષ્ટિએ આપણો દેશ ખુબ પછાત દશામાં આવી ગયો.
છેલાં ૧૦૦ વર્ષોમાં રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધી, ડૉ. બી આર આંબેડકર વગેરે જેવા અનેક દૂરંદેશી સમાજસુધારકો આપણા સમાજને આ બે અપરાધગ્રસ્ત માનસમાંથી બહાર નીકળવા માટે અનન્ય પ્રેરણા પુરી પાડી. તદુપરાંત સ્વતંત્ર ભારતની લોકશાહીના રક્ષકો અને બંધારણના ઘડવૈયાઓએ સમાવેશી અનામતો અને કેટલાક મહત્ત્વના મૂળભૂત અધિકારો આપીને દેશના દલિતો, આદીવાસીઓ અને નારીઓને સશક્ત કરવાના પ્રયાસોનો સંગીન પાયો નાખ્યો. આમ, દેશની ભાવિ પેઢીને આશાસ્પદ ભવિષ્ય શક્ય બન્યું છે.
અહીં એક ખાસ બાબતની નોંધ પણ લેવી ઘટે છે.
આજે હિંદુ સમાજ ત્રણ પ્રકારની માનસિકતામાં વહેંછાઈ ગયેલો દેખાય છે. ૭૦ પ્રતિશત સામાન્ય લોકો હિંદુ ધર્મ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા ધરાવે છે. તેની સામે, પાંચ પ્રતિશત લોકો હિંદુ ધર્મને એકદમ નીચો ગણીને તેને તોડી પાડવા કટિબદ્ધ રહેતો જણાય છે. આ વર્ગમાં અમુક પ્રકારના બૌદ્ધિકો, ડાબેરીઓ, નવઉદારવાદીઓ, નક્સલો અને નાસ્તિકોને ગણી શકાય. વિદેશી આક્રમણકારો કરતાં પણ આ વર્ગે હિદુધર્મને વધારે અન્યાય કર્યો છે. ત્રીજો વર્ગ બાકીના ૨૫ પ્રતિશત હિંદુઓનો છે જે હિંદુ ધર્મ પ્રત્યે ઉદાસીન છે. તેમાની આ ઉદાસીનતાથી પણ આપણે નિર્બળ બન્યા છીએ.
જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં હિંદુ ધર્મ અને સનાતની પરંપરા માટે દેશમાં નવો રસ જાગ્યો છે. ઇન્ટરનેટ અને ડિજિટલ સામાજિક માધ્યમો જેવી આધુનિક પ્રત્યાયન સગવડોને કારણે વેદ, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, તંત્રો અને આગમો પર બહુ જ વિદ્વતાપુર્ણ વિવેચનો ઉપલબ્ધ થવા લાગ્યાં છે. હિંદુઓ અને અન્ય સનાતનીઓને હવે એ જ્ઞાન થવા લાગ્યું છે કે આપણી મહાન પરંપરામાં આપણે શ્રદ્ધા કેળવવાની છે.
આજથી લગભગ ૮૦૦ વર્ષ પૂર્વે સંત શ્રી મામૈદેવે એવી આગાહી કરી છે કે ૨૧મી સદીના અંત સુધીમા ભારત હિંદુ રાષ્ટ્ર બનશે અને સમગ્ર વિશ્વ સનાતન ધર્મને માન અને શ્રદ્ધાથી જોશે. તેનું એક ઉદાહરણ ચિદમ્બર મંદિરની તાંડવ નૃત્ય મૂર્તિને વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક સંસ્થાનાં પ્રાંગણમાં મળેલ સ્થાનમાં જોઈ શકાય છે.

આજના આ મણકાનું સમાપન જેનું રટણ મનને પ્રગાઢ અસર કરે છે શિવોહ્મ સ્ત્રોત્ર કરીશું
હવે પછીના મણકામાં આપણે વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
