આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પોપટલાલ ગોવિંદલાલ શાહ

આ વૈજ્ઞાનિક વૃત્તિનું પ્રથમ લક્ષણ જિજ્ઞાસા છે. આ બીજાના ખાનગી પત્રો વાંચવાના જેવી ક્ષુલ્લક અને ક્ષુદ્ર જિજ્ઞાસુ પ્રકારની નથી હોતી, પરંતુ નિઃસ્વાર્થી અને પવિત્ર હોય છે. ખરી બાતમી મેળવવી, સાધારણ હકીકતોમાંથી અસત્યનાં છોડાં જુદાં પાડી તથ્યની માપ્તિ કરવી એ કાર્યમાં સત્યને માટે અનહદ પ્રીતિ વિલક્ષણ પ્રેરક બળ આપે છે, પ્રેમીઓની પિપાસા, દેશભક્તોની ધગશ, અથવા તો મુમુક્ષોઓની જિજ્ઞાસા એ સર્વેના કરતાં વૈજ્ઞાનિકોની તથ્યોને માટે તૃષ્ણા[1] વધારે નિઃસ્વાર્થી અને તેથી વધારે પવિત્ર હોય છે.

ફરહાદ તેની શિરીનને શોધવાને માટે ડુંગરા તોડવાને તત્પર હતો; દેશભકતોનાં દેશના માને કે મુક્તિને સાટે માથું આપવાનાં દૃષ્ટાંતો દેશદેશના ઇતિહાસમાં મળી આવે છે; નચિકેતા જેવા મુમુક્ષુઓ મોક્ષની ઇચ્છાથી પ્રેરાઈ યમરાજ પાસે જતાં ડરતા નથી-પરંતુ એમના સર્વ યત્નોમાં કંઇ પણ લાભની આશા હોય છે. પણ વૈજ્ઞાનિક યત્નોમાં, ખાસ કરીને વિજ્ઞાનનાં એવાં તથ્યોની શોધમાં, કેવળ જ્ઞાનશુદ્વિ સિવાય વૈજ્ઞાનિકોને કાંઇ લાભ થતો નથી. अर्थ साधयामि, देहं पातयामि वा એનાં દૃષ્ટાંતો મારવાડના શુષ્ક પ્રંદેશોમાંથી આવનારા, અને મુંબાઈ અને કલકત્તા જેવા શહેરોને ધુજાવનારા વ્યાપારીઓમાં મળી આવે, પરંતુ सत्यं साधयामि, देहंपातयामि वा એવા નિઃસ્વાર્થી શોધક બુદ્ધિવાળા સત્યપ્રેમીઓ તો વૈજ્ઞાનિકો સિવાય અન્ય મળવા મુશ્કેલ છે. ઇંદ્રને અસુરોથી બચાવવા ખાતર પોતાનાં અસ્થિ આપવામાં દધીચિ ઋષિને પૂજ્ય ગણતા દેવોની આજ્ઞા કારણુભૂત હતી, પણ ધવલગિરિ કે ગૌરીશંકરના ઉચ્ચતમ શિખર ઉપર અયવા તો ઉત્તર કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા, અને ત્યાંનાં હવામાન વગેરે તથ્યો વિષે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જિદગીનું જોખમ હોવા છતાં પણ તેને માટે ફરી ફરી પ્રયત્ન કરનારા વૈજ્ઞાનિકોને આત્મભોગની સ્વયંપ્રેરિત ભાવના કારણભૂત હોય છે.

કેટલાએક અંશે એમ કહી શકાય કે શિકારીઓની પેઠે નવું પરાક્રમ કરવાની ભૌતિક લાલસા એમને પ્રેરે છે, પરંતુ આ લાલસા શિકારીઓની કેવળ શિકારી અતે હિંસક વૃત્તિથી ભિન્ન પ્રકારની હોય છે: કારણ કે આ પ્રયાસોનો અ’તિમ ઉદ્દેશ તો નવાં તથ્યો પ્રાપ્ત કરવાનો-તથ્યોની તૃષ્ણા છે. આ તૃષ્ણા બિનસ્વાર્થી  હોવાને લીધે વિજ્ઞાનના ઉચ્ચ આશય અને પ્રગતિનું મુખ્ય સાધન બને છે.

જિજ્ઞાસા એ મતુષ્ય સ્વભાવનું સાધારણ લક્ષણ છે. નાના બાળકમાં પણ આ જિજ્ઞાસા સ્વાભાવિક હોય છે અને “આ શું છે”, “શા માટે”, “કેવી રીતે?” એવા પ્રશ્નોથી ઘણીવાર માતાપિતાને તેઓ પજવી મૂકે છે. ઘણી વાર આળસુ અને અજ્ઞાન માતપિતા તરફથી આ જિજ્ઞાસાને ઉતેજન ન મળવાથી તે દબાઈ જાય છે, અને તેથી વૈજ્ઞાનિક અન્વેષણને આવશ્યક માનસિક વૃત્તિ ખીલવા પામતી જ નથી. વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રોમાં તેમના બાલ્યકાળમાં ખીલવેલાં આ લક્ષણો વિષે ધણીવાર વાંચવામાં આવે છે.

ક્લાર્ક મેક્સવેલ નામના પ્રતિભાશાળી ભૌતિકશાસ્ત્રીની બાલ્યાવસ્યામા આ વિષે ખાસ
ઉલ્લેખ છે; તેને સાધારણ ઉત્તરથી સંતોષ ન યતો અતે દરેક પ્રશ્નને માટે ચોક્કસ ઉત્તર મેળવવા મથતો; “આનું કારણ શું” એટલાથી સતોષ ન માનતાં “આનું ખાસ કારણ શું ” એ પ્રશ્રથી વધારે માહિતી મેળવવા તે યત્ન કરતો. આ ઉત્કંઠા અને જિજ્ઞાસા વૈજ્ઞાનિકોના જીવનરસરૂપ છે, પરંતુ તે બાળકોના પ્રશ્નોના જેવી ક્ષણજીવી અને ક્ષુલ્લક નથી હોતી. સત્યશોધકના પવિત્ર આદર્શને લીધે જિજ્ઞાસામાંથી શુદ્ધ અને સાત્વિક માર્નાસક સ્થિતિ સધાય છે. તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ચોકસાઈ, બારીક નિરીક્ષણની ટેવ, સ્પષ્ટતા વગેરે ગુણ પણ આવશ્યક થઈ પડે છે.


ક્રમશઃ


હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “ચોકસાઈ” વિશે વાત કરીશું.

[1] Passion for facts