જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

અંશ ૧ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

મિલકતની વહેંચણી

મિલકત એકઠી કર્યે રાખવી  કે સંતાનો માટે મુકી જવી એ બે વિકલ્પ ઉપરાંત જેમને નાણાની કે નાણાકીય અથવા બિનનાણાકીય મદદની જરૂર છે તેમને નાણા ફાળવી શકવાનો એક અન્ય વિકલ્પ પણ છે.

આપણે કમાયેલ, બચાવેલ કે રોકાણ કરેલ નાણાને પોતા પર ખર્ચ કરવાને બદલે જરૂરિયાતવાળાં લોકો  માટે નાણાં ફાળવવાથી સમાજે આપણને જે આપ્યું છે તે તેને જ પરત કરવાની આપણી ફરજ બજાવી રહ્યાં છીએ.  આપણી સંપત્તિ પર આપણો અને આપણા સંતાનોનો કાયદાની રૂએ હક્ક છે તો સમાજનો નૈતિક રૂપે હક્ક કહી શકાય. આપણી મિલકત કોને ફાળવવી એ આપણી ફરજ પણ છે અને હક્ક પણ છે. મિલકતમાંથી કોને શું, શી રીતે, ક્યારે અને કેટલું વહેંચવું એ નિર્ણય આપણે કરવાનો રહે છે, આપણે કરવો જોઈએ.

આપણી મિલકતની ફાળવણી માટે આપણી પાસે શું શું વિકલ્પો છે તેની સમાલોચના કરીએ.

વહેંચણી  – કેટલી અને ક્યારે?

મિલકતની વહેંચણી કરવી જોઈએ એમ કહેવામાં આવે ત્યારે તેનો અર્થ એમ નથી કે આપણે આપણા, કે આપણાં સંતાનોનાં ભવિષ્ય વિશે ધ્યાન જ ન આપવું; આપણાં કુટુંબની ભવિષ્યની બધી જ સંભાવિત જરૂરિયાતો માટે પુરતી વ્યવસ્થા તો કરવી જ જોઈએ.  આપણાં, અને આપણા કુટુંબનાં જીવનના બધાજ તબક્કાઓ દરમ્યાન જે જીવનશૈલી જાળવી રાખવી આવશ્યક છે તે અંગેની જરૂરિયાતોને પહોંચી વળાય એટલી બચત અને રોકાણો કરવાં જ જોઈએ  તદુપરાંત,  જીવનના દરેક તબક્કે, જરૂરિયાત મુજબ તેમનો ઉપયોગ પણ કરતાં જ રહેવું જોઈએ.

મિલકતની વહેંચણીની જે વાત છે તે ભવિષ્યની આ બધી જ જરૂરિયાતો માટેની પર્યાપ્ત વ્યવસ્થા કર્યાં પછી પણ જે રોકાણ ફાજલ રહે તેના સંદર્ભમાં છે.

એટલે કે આપણાં જીવનની એવી અર્થવ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ કે આપણી  કે આપણા પરિવારની જરૂરિયાત ઓછામાં ઓછી હોય અને વધારાની મિલકત આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજને ઉપયોગી નીવડે તેવી વ્યવસ્થા કરીએ. એ વ્યવસ્થા બે પ્રકારે કરી શકાય  – એક તો આપણા જીવનકાળ દરમ્યાન મિલકતની વહેંચણી થતી રહે, અથવા તો આપણા મૃત્યુ પછી આપણી ઈચ્છા મુજબ એ મિલકતનો ઉપયોગ થાય. આ બન્ને ઉપાયોનું આપણને ઉચિત લાગે તેવું સંમિશ્રણ કરવાનો  ત્રીજો વિકલ્પ પણ છે. આપણા મૃત્યુ પછીની મિલકતની વહેંચણીની વ્યવસ્થામાં કોઈ ગુંચવાડા ન પડે એ માટે બધી જ વ્યવસ્થા સ્પષ્ટ કરતું વસિયતનામું બનાવી લેવું જોઈએ.

આવી વ્યવસ્થા કરવાથી આપણા પોતાના જીવનકાળને, તેમ જ આપણાં સંતાનોનાં ભવિષ્યને, સુરક્ષિત કરવાની સાથે સાથે આપણી હયાતી બાદ પણ  આપણી ઈચ્છા અનુસાર જ આપણી મિલકત વપરાશે એ વાતનો સંતોષ પણ રહેશે.

આપણી મિલ્કતના ત્રણ ભાગ કરવાના રહે. એક ભાગ આપણા પોતાના જીવનકાળમાં ઉપયોગી નીવડે તે મુજબ હોય. બીજો ભાગ આપણા કુટુંબ અને સંતાનોની વર્તમાન તેમ જ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા પર્યાપ્ત જોગવાઈ મુજબ હોય, અને ત્રીજો ભાગ આપણી ઇચ્છા મુજબની વર્તમાન, કે ભવિષ્યની, સામાજિક ફરજો પુરી કરી શકાય તે મુજબ હોય.  આ અંગેના નિર્ણયો કરવા માટેનો સૌથી ઉચિત સમય અત્યારે જ છે પણ  આ નિર્ણયોનો અમલ જરૂરિયાતના પ્રકાર મુજબ, આપણી હયાતી દરમ્યાન વર્તમાનમાં અને ભવિષ્યમાં, તેમ જ આપણી હયાતી બાદ એમ અલગ અલગ તબક્કામાં થશે.

વહેંચણીના બદલામાં કમાણી 

પોતા માટે, કે પોતાનાં કુટુંબ કે સંતાનો માટે, નાણાની જાળવણી બેંકો કે નાણાં વ્યવસ્થાપકોને સોંપી જવા કરતાં પોતાની મિલકત વડે બીજાંને જીવનને સમૃદ્ધ કરવું વધારે માનવીય, વધારે સંતોષકારક અને વધારે ઉત્પાદક અને નૈતિક દૃષ્ટિએ સમર્થન યોગ્ય છે.

બીજાં લોકો પોતાની જરૂરિયાતો પુરી કરી શકે તે રીતની આપણી મિલકતની ફાળવણી એ માત્ર નૈતિક ફરજ કે સખાવત જ નથી. પોતાનાં સંસાધનો બીજાંની સાથે વહેંચવાથી આ પ્રકારનાં વહેંચણી પાત્રમાં અન્ય લોકો દ્વારા પણ યોગદાનો ઉમેરાવાનાં સ્વરૂપે સુપ્રતિભાવ મળે છે. તે ઉપરાંત, બીજાં લોકો તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ મળવાની સાથે સાથે આપણને સન્માન અને યશ પણ મળે છે.

આપણી મિલકતની વહેંચણી : આપણો હક્ક 

આપણી મહેનત અને આવડતથી જે કમાણી આપણે કરી છે, અને તેમાંથી બચત અને રોકાણ કરીને જે મિલકત ઊભી કરી છે, તેને કેમ ખર્ચવી, વહેંચવી કે સખાવતમાં આપી દેવી એ નિર્ણય કરવાનો હક્ક માત્ર આપણને જ છે. સાચા માર્ગે કરેલી કમાણીમાંથી પેદા કરેલી આપણી મિલકત પર આપણાં સંતાનોનો પણ કોઈ હક્ક કે દાવો ન હોઈ શકે. કેમ બચત કરવી કે રોકાણ કરવું કે ઉપાડ કરવો એ વિશેના નિર્ણયો લેવાનો જેમ આપણને જ માત્ર સુવાંગ હક્ક છે તેમ આપણી મિલકતની કેમ વહેંચણી કરવી એ નક્કી કરવાનો હક્ક પણ માત્ર આપણને જ છે.

હવે પછીના મણકામાં, મિલકતની વહેંચણી કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય અને મિલ્કત ફાળવણીના ત્રણ વિક્લ્પ એ બે પાસાંઓની વાત કરીને મિલ્કતની વહેંચની ચર્ચા તેમ જ જીવનની આર્થિક વ્યવસ્થાના વ્યાવહારિક અમલનું પ્રકરણ પુરૂં કરીશું..


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.