દેવિકા ધ્રુવ
: ગીત :
લો, અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….
રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે
ટમટમ ટમકે અક્ષર જાણે, નભને તારે તારે
લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….….
મબલક અઢળક ઘેરી-ઘેરી, વરસ્યાં નવલખ ધારે
વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે
તટનાં ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે પાંખે
લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….…
હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે
જૂઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે
સચરાચરનો પાર પમાડે, શબ્દ બ્રહ્મની પાળે
લો અમે તો ચાલ્યાં પાછા કલમને કરતાલે ….
: આસ્વાદ :
લતા હિરાણી
‘દિવ્યભાસ્કર’ના મધુરિમા,’કાવ્યસેતુ’ ૩૩૮માં લતાબેન હિરાણીના સૌજન્યથી…
દેવિકાબહેન પરદેશમાં રહીને શબ્દની સાધના કરે છે. એમના કાવ્યસંગ્રહનું નામ ‘કલમને કરતાલે’ વાંચીને નરસિંહ મહેતા યાદ આવી જાય. ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એમ અહીં શબ્દોના સંગીત પાસે, અર્થોના નૃત્ય પાસે સ્વનું આકંઠસમર્પણ છે. શબ્દોમાં ઓગળવું, શબ્દોને ચરણે પોતાનું ભાવજગત ધરી દેવું એ નાનીસૂની વાત નથી. શબ્દની સાધના ખૂબ તપસ્યા માંગી લે છે. એની આકરી આરાધના કરવી પડે છે ત્યારે સરસ્વતીદેવીના આશીર્વાદ સાંપડે છે. એ પછી લખાયેલા શબ્દોમાં બળ આવે છે. એમાં ભાવકનાં હૈયાં સુધી જવાની શક્તિ આવે છે.
જેણે પોતાની છાતીના અંધારામાં શબ્દનો ગર્ભ સેવ્યો છે એના લોહીની બુંદે બુંદમાં સ્નેહની સુરાવલીઓ વહેતી હોય. સમજણની સુગંધથી એનો માળો મહેકતો હોય, અક્ષરોનાં પંખીડા મનની ડાળ પર કલરવ કરતાં હોય. આકાશ અને ધરતીનું સાયુજ્ય એને હૈયાવગું હોય ! કૃષ્ણની રાસલીલા અને શિવનું સર્જનનૃત્ય શબ્દસાધકની આંગળીઓમાંથી પ્રગટતાં હોય.
કલમની કરતાલે જીવવું સહેલું નથી. એ નરસૈયા કે નર્મદ જેવાનું કામ ! સમાજ કે કુટુંબ જે આપે એ હસતાં હસતાં સહેવાનું ધૈર્ય હોય તો આ શૂરાનો મારગ પકડી શકાય. અંદરથી ઉઠતાં નાદને અનુસરી આતમ અજવાળવાનો કીમિયો સહુને ઉપલબ્ધ નથી હોતો. કહેવાતા કિનારાનાં કમનીય કામણ છોડવાં અઘરાં હોય છે. એ હાથ તો શું પાંખ પણ કાપી લેતાં અચકાતાં નથી. એ સમયે હૈયે શ્રદ્ધાનો સાગર ઘૂઘવતો હોય તો કદાચ સ્વરૂપના દર્શન થાય.
એક વખત આ મઝધારમાં પડ્યા પછી ને એનો સ્વાદ ચાખ્યા પછીનો સમય ડૂબીને તરી જવાનો હોય છે. ખોઈને પામી લેવાનો હોય છે. ત્યાગીને ભોગવવાનો હોય છે. એ સમય આતમની તરલતા, જીવની પામરતા અને શિવની પરમતાને અનુભવવાનો હોય છે. મીરાં, નરસિંહ કે સંત કબીર જેવા કેટલાય સંત શબદને સાધી ભક્તિપદારથ પામી શક્યા. અખંડ શ્રદ્ધાથી ભવસાગરને ભાવસાગરમાં પલટાવવાનું એમને આવડ્યું અને જન્મારો તરી ગયા.
અક્ષરનાં અજવાળાં કોઈકને જ પ્રાપ્ત થાય છે. બાકી શબ્દકોશને કાંઠે બેસી છબછબિયાં કરનારાઓનો પાર નથી. કાગળ પર કળા કરનારાઓનો તોટો નથી. એના માટે આકાર છે, નૃત્ય છે, કળા છે, એને દળીને એના રોટલાય બની શકે છે પણ શબદ સાવ જુદી અનુભૂતિ છે. એ ભાગ્યેજ સાંપડતો કોહિનૂર છે. એને પામનારા વિરલા કોઈક જ હોય છે.
શબ્દ અને શબદનો મહિમા કરતું આ ગીત ભાવકને ગમશે જ એમાં કોઈ શંકા નથી.
કવિ અહમદ મકરાણીના આ શબ્દો યાદ કરીએ.
શબ્દ થઇ આવે આંગણે અતિથિ
દ્વાર થઇ ઉઘડાય તો લખ ગઝલ ….
Devika Dhruva.
ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

કવિતા અને તેનો આવડ બંને કાબિલે તારીફ રહ્યાં છે.
LikeLiked by 1 person
માફી સાથે ભૂલ સુધાર: “આવડ” ના સ્થાને “આસ્વાદ” વાંચવું.
LikeLiked by 1 person