જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

આડવાત (૧)

નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ

દિવ્યભાષ સી. અંજારીઆ

કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે આજના મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી લઈશું.

નાણાનાં મહત્ત્વની સમજ 

આપણી જરૂરિયાતના સમયે ઉપાડ તરીકે નાણાનું મહત્ત્વ છે.

આજે, કે ભવિષ્યમાં, આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે તે માટેની ખરીદી કરવાનાં માધ્યમ તરીકે જ નાણાનું મહત્ત્વ છે.   મોટા ભાગે, આપણે સામાન્ય લોકો જ આ વાત ભૂલીએ છીએ એવું નથી. વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પણ આ મૂળ મુદ્દાની વાત ભુલી જતાં હોય છે.

સામાન્ય સંજોગોના સંદર્ભમાં, નાણા પણ બીજી બધી ચીજવસ્તુઓ જેવી જ એક જણસ છે. આપણી વ્યક્તિગત કક્ષાએ, જેમ વધુ નાણા આપણી પાસે હોય તેમ વધારે આવક, બચત કે રોકાણમાં તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ, વ્યાપક અર્થવ્યવસ્થાની કક્ષાએ નાણા અન્ય જણસો જેવી જ એક જણસ છે. વ્યાપક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની કિંમત તેની માંગ અને પુરવઠાની સ્થિતિ પર નિર્ભર કરે છે. વિનિમયનાં માધ્યમ તરીકે, તેની માંગના પ્રમાણમાં, લોકો પાસે જો વધારે નાણાનો પુરવઠો હોય તો નાણાની કિંમત ઘટે છે. ચીજવસ્તુઓની માંગની સરખામણીમાં જેમ જેમ ફાજલ નાણાની ઉપલબ્ધિ વધારે તેમ તેમ નાણાની સાપેક્ષ ખરીદ શક્તિ ઓછી. આ પરિસ્થિતિમાં પરિણામ એ આવે છે કે, આપણી વ્યક્તિગત કક્ષાએ પણ ફાજલ નાણાની વધારે ઉપલબ્ધિ આવક, બચત કે રોકાણની આપણી ક્ષમતામાં આપોઆપ જ વધારો કરી શકવા સામર્થ્યવાન નથી બની રહી શકતી.

નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે.

બીજા શબ્દોમાં કહીએ તોઃ

૧. ખર્ચ કરતી વખતે જો આપણને જો નાણા આપણને આજની જરૂરિયાત પુરી કરવા માટેની ખરીદી કરવામાં મદદરૂપ બની શકે તો જ નાણાનું મહત્ત્વ છે. આપણી ખરીદ શક્તિનો આધાર ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરવાની ક્ષમતા પર છે.

૨. બચત તરીકે નાણાનું મહત્ત્વ તો જ છે કે નાણાના ઉપયોગ કરવા માટે આપને જેને નાણા ધીરીએ તે આપણને વળતર આપી શકે, અથવા તો સંપત્તિ કે કોઈ અન્ય પ્રકારનાં રોકાણ કરવામાં એવી રીતે કામ આવે કે એ સંપત્તિ કે રોકાણ દ્વારા, કે પછી કોઇ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે વધારાની આવક ઊભી કરી શકીએ. ટુંકમાં, નાણાનું રોકાણ વધારે આવક રળી આપે તો જ તે કામનું.

૩. નાણાનું મહત્ત્વ તો જ છે જો રોકાણ કરેલ નાણાનો ઉપાડ કરતી વખતે આપણી જરૂરિયાત પુરી શકે એવી, અને એટલી, ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીની ચુકવણી થઈ શકે. જેટલી આજે હોય તેટલી જ ખરીદ શક્તિ સમયની સાથે સાથે પણ એટલી ખરીદ શક્તિ જળવાઈ રહેવી જોઈએ; જેમ સમય જાય તેમ થતા ભાવ વધારાને કારણે નાણાની ખરીદ શક્તિ ઘટતી જતી હોય છે. ફુગાવાને કારણે થતા ભાવ વધારાને કારણે આજના સો રૂપિયામાં જેટલી ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરી શકાતી હોય એટલી માત્રામાં ભવિષ્યમાં ખરીદી કરવી શક્ય ન પણ બને.

જો ખર્ચ કરવામાં, બચત કરવામાં કે પછી રોકાણ કરવામાં કામ ન આવવાનાં હોય તો પછી નાણાને પથારી હેઠળ સંઘરો કે મોંધી તિજોરીમાં સંધરો, તેનું કૉઈ મૂલ્ય નથી રહેતું. જો ભવિષ્યમાં ખરીદીઓની ચુકવણી કરવામાં, કે વધારાની આવક રળવામાં, તે ઉપયોગી નીવડવાનાં હોય તો જ સંગ્રહ કરેલાં નાણાં કામનાં

સંપત્તિનાં મહત્ત્વની સમજ

આપણી આજની જરૂરિયાતો પુરી કરવા માટેની ખરીદી કરી લીધા બાદ, કે પછી ભવિષ્યની જરૂરિયાતો પુરી કરી શકે એવી બચત કરી લીધા બાદ, જે નાણા ફાજલ રહે એ સંપત્તિ કહી શકાય.

સંપત્તિ ઉપાર્જન એટલે જરૂર કરતાં વધારે નાણા કમાતાં રહેવું.

સંપત્તિની જાળવણીનું સંચાલન  એટલે ફાજલ નાણાની એવી બચત, કે રોકાણ, જે ભવિષ્યની ખરીદ શક્તિના સંદર્ભમાં  નાણાનાં મૂલ્યના સંભવિત ક્ષયને ખાળી શકવામાં અસરકારક નીવડવું.

સંપતિનું મૂલ્ય આપણે રોકાણ કરેલ નાણામાંથી ઉભી કરેલ અસ્કમાયતો પર નિર્ભર છે. એક જ સમયે ઊભી કરેલ સરખી સંપત્તિ, બે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ અસ્કમાયતોમાં કરેલ રોકાણને પરિણામે, અલગ અલગ વળતર આપે તેવું બની શકે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સંપત્તિનું મૂલ્ય ભૂતકાળમાં રોકાણ અંગેના નિર્ણયો પર આધાર રાખે છે. સંપત્તિનું સુચારૂ સંચાલન એને જ કહેવાય જે તેનાં ભાવિ મૂલ્યને, કમસેકમ,  જાળવી રાખવામાં, અને, આદર્શપણે તો, વધારી શકવામાં સક્ષમ નીવડે.

હવે પછીના મણકામાં આપણે # ૪.૫માં ઉપાડની વાત કરી રહ્યા હતાં તેના સંદર્ભમાં ‘નાણાકીય સંપત્તિની ભ્રામકતા’ વિશે મહત્ત્વની આડવાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર’નાં અંગ્રેજી સંસ્કરણ The Economics of Life: A Guide to Personal Econmoics and Happiness   નું વિમોચન ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કરાયું.

અંગ્રેજી સંસ્કરણ પોથી.કોમ અને એમેઝોન.ઇન પર મેળવી શકાય છે.