જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪. ૪
રોકાણ
દિવ્યભાષ સી. અંજારીઆ
૪. ૪ અંશ ૨ થી આગળ
રોકાણ પ્રક્રિયાનાં જોખમો
ક્યાં અને શી રીતે રોકાણ કરવું એ વિશે હવે અનેક રોકાણ નિષ્ણાતો અને સલાહકારોની સેવાઓ ઉપલબ્ધ છે. તેઓ રોકાણકારોનું જોખમ સામર્થ્ય સમજીને જે તે સમયે ઉપલ્બ્ધ રોકાણની તકો અને રોકાણ માટેનાં જુદાં જુદાં માધ્યમો અને રીતોને આવરી લેતી અંગેની વ્યુહરચના તૈયાર કરી આપવામાં રોકાણકારને મદદરૂપ બને છે.
સામાન્ય રીતે, આપણામાંના મોટા ભાગનાં લોકોને પોતાની બચતમાથી સંભવિત રોકાણનો કોણ ઉપયોગ કરી શકશે, પાકતી મુદ્દતે કેટલાં વળતર સાથે રોકાણ પરત કરી આપશે કે પછી એ રોકાણમાં કેટલું જોખમ છે જેવી આંટીઘુંટીઓથી પરિચિત નથી હોતાં. આ સંજોગોમાં રોકાણકાર થાપ ખાઈ જાય એવું જોખમ વધારે રહેતું હોય છે. રોકાણ સલાહકાર પણ આ બધી બાબતોમાં દરેક વખતે પૂર્ણપણે સક્ષમ હોય એ જરૂરી નથી. જોકે, આમ પણ રોકાણ સલાહકારની ભૂમિકા તો માત્ર ઉપલબ્ધ માહિતી અને સંજોગો અનુસાર શક્ય તેટલી ઉચિત સલાહ આપવા પુરતી જ છે. રોકાણના નિર્ણયને પરિણામે નાણાં તો રોકાણકારનાં જ દાવ પર લાગે છે.
પરોક્ષ રોકાણના એક વિકલ્પ તરીકે બેંકમાં થાપણોનું બેંક અન્ય જગ્યાએ પોતાનાં જોખમે રોકાણ કરે છે, અને રોકાણકારને નક્કી થયા મુજબ વળતર અને પાકતી મુદ્દતે નાંણાની વાપસી મળશે તેવી બાહેંધરી આપે છે. એ દૃષ્ટિએ, સામાન્ય રીતે, બેંક્માં મુકાયેલી થાપણો વધારે સલામત રોકાણ માનવામાં આવે છે. તેની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડો તો તેમને સોંપવામાં આવેલ બચત, બજારનાં તંત્રવ્યવસ્થા અને ભવિષ્યમાં અર્થતંત્રના પ્રવાહોની અનિશ્ચિતતાનાં સ્વાભાવિક જોખમોની મર્યાદામાં, બચતકાર વતી રોકાણ કરે છે.
કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રોકાણ કરતી વખતે બચતકાર સલામતમાં સલામત રીતે વધુમાં વધુ ભાવિ વળતરની આશા રાખીને રોકાણ કરે છે. પરંતુ બચતકારે એ વાસ્તવિકતા સમજવી જ રહી કે બેંક કે વીમા કંપની જેવી સામાન્યપણે સલામત ગણાતી મધ્યસ્થી સંસ્થાઓ પણ બેસી જવાના દાખલાઓ હવે અસામાન્ય નથી રહ્યા. સૌથી વધારે સલામત ગણાતી સરકારી બાંહેંધરી ધરાવતી જામીનગીરીઓનું રોકાણ ઘણીવાર ફુગાવા સામે પુરતું રક્ષણ આપવા જેટલું નથી હોતું. વળી, આવી જામીનગીરીઓ પણ હવે તો વધઘટપાત્ર વળતરની શરતે અપાતી હોય છે, એટલે જ પાકતી મુદ્દતે વ્યાજમાં ઘટાડો થવાનું જોખમ પણ અવગણી ન શકાય.
જોકે આ બધાં ભયસ્થાનો છતાં પણ પરોક્ષ રોકાણો પ્રમાણમાં ઓછાં જોખમી માનવામાં આવે છે. આજના બચતકારે તો એ જ અપેક્ષા રાખવાની કે રોકાણ કરતી વખતે તેણે લીધેલી બધી જ કાળજીઓ ભવિષ્યમાં પેદા થનારી આર્થિક અનિશ્ચિતતાઓની અફરાતફરીમાં સલામતપણે પાર ઉતરે.
નાણા અર્થતંત્રનું ચાલક બળ છે.
પોતાની બચતનો ઉત્પાદનમાં સીધી રીતે વપરાશ ન કરનાર, પ્રત્યક્ષ કે પરોક્ષ મધ્યમ દ્વારા બચતનું રોકાણ કરનાર, દરેક બચતકાર સક્રિય રોકાણકાર નથી રહેતો. તેનાં રોકાણને ધીરાણ સ્વરૂપે મેળવીને જે વપરાશકાર તે ધિરાણનો વપરાશ ચીજવસસ્તુઓ કે સેવાઓનાં ઉત્પાદનમાં કરે છે તે વપરાશકાર સક્રિય રોકાણકાર છે. બચતકારો પોતાની બચતનું, સીધું કે મધ્યસ્થીઓ, દ્વારા અર્થતંત્રનાં ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરતાં હોવા છતાં અર્થંતત્રને ગતિ આપવાનું ખરૂં શ્રેય આવા સક્રિય રોકાણકારોને આપવું ઘટે.
જે બચતોનું ઉત્પાદક રોકાણોમાં રૂપાંતર નથી થતું એ અર્થંતંત્રમાં બચતો નાણાની ઉપલબ્ધતા વધારતું પ્રવાહિત ભંડોળ બની રહે છે. પરિણામ એ આવે છે કે ઉત્પાદિત ચીજવસ્તુઓ કે સેવાઓના જે તે સમયના જથ્થા માટે જરૂરી નાણા કરતાં અર્થતંત્રમાં વધારે નાણા ઉપલબ્ધ બનવા લાગે છે. એક તબક્કે યથોચિત આવશ્યકતા કરતાં વધારે હોય એવો નાણાનો પુરવઠો ભાવોના વધારામાં પરિણમવા લાગે છે. સક્રિય રોકાણકારોનું મહત્ત્વ આ તબક્કે છે. જેટલાં પણ નાણા ધીરાણ માટે ઉપલબ્ધ છે તેને વધારેને વધારે ચીજવસ્તુઓ અને સેવાઓનાં વધારેને વધારે ઉત્પાદનમાં કામે લગાડીને તેઓ અર્થતંત્રની ખરા અર્થમાં વૃદ્ધિ કરે છે. અર્થંતંત્રમાં દરેક પ્રકારના વપરાશકારોને તેમના ઉપભોગ માટે પર્યાપ્ત પ્રમાણમાં ચીજવસ્તુઓ અને સેવાઓ મળવા લાગે છે. પરિણામે તેમની જરૂરિયાતોમાં પણ વધારો થવા લાગે છે, જે ફરીથી વધારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં પરિણમે છે. માંગ અને પુરવઠાનું આ આર્થિક સુચક્ર આમ વપરાશકારો માટે ચીજવસ્તુઓ અને સેવાઓ, વિશેષ વિકલ્પો સાથે, વિશેષ માત્રામાં પરિણમે છે.
વધારે માંગને કારણે પુરવઠો પણ વધતો હોવા છતાં ભાવોમાં અમુક સ્તરનો વધારો થવા લાગે છે. પ્રમાણમાં ઊંચા ભાવોને કારણે ઉત્પાદક પાસે ફરીથી નવા ઉત્પાદક વપરાશ માટે વધારે નાણા ફાજલ રહેવા લાગે છે. તે જ રીતે જુદા જુદા પ્રકારની સ્થાયી કે જંગમ મિલ્કતનાં મૂલ્યોમાં પણ વધારો થાય છે. આજના અર્થશાસ્ત્રીઓ અર્થંતંત્રની આ સ્થિતિને આદર્શ માને છે.
જોકે માનવ સ્વભાવની પ્રકૃતિદત્ત સ્વાર્થવૃત્તિને કારણે, એક તબક્કે, અર્થતંત્રમાં થતી આવી વૃદ્ધિ પરિગ્રહશીલ બનવા લાગે છે. જેને પરિણામે સમાજના વિવિધ સ્તરોમાં આર્થિક અસમાનતા વધવા લાગેછે. એ ઉપરાં વધતાં રહેતાં ઉત્પાદન અને વપરાશથી પર્યવર્ણીય સમસ્યાઓ પણ વધતી જાય છે. પૃથ્વી પર આવેલ કુદરતી સ્રોતો સિમિત છે. વધતું જતું ઉત્પાદન કુદરતી સ્રોતોને વધારે ઝડપથી ખતમ કરવા લાગે છે. વળી વધતા જતા વપરાશને કારણે અનેક પ્રકારનો કચરો પણ વધે છે. પરિણામ એ આવે છે કે વિવિધ પ્રકારનાં પ્રદૂષણો વધે છે અને પર્યાવરણ સંતુલન જોખમાય છે. આમ, એકંદરે ઉત્પાદન અને વપરાશના વધારાથી વૃ દ્ધિ પામતું અર્થતંત્ર બહુ થોડાં લોકોની ભૌતિક સુખાકારી ના ભોગે આવનારી પેઢીઓની સુખાકારીને માટે બહુ જોખમી બની રહે છે.
નાણા આર્થિક અસમાનતા પણ ઊભી કરે છે
જો બચતોમાંથી થતાં રોકણો ઉત્પાદક રીતે વપરાશમાં ન લેવાય તો અર્થતંત્રમાં ફાજલ પડતો જતો નાણા પુરવઠો મયાદિત માત્રામાં ઉપલબ્ધ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધારામાં પરિણમે છે. એટલે જે લોકો પાસે પોતાની જરૂરિયાતો પુરી કર્યા પછી પણ ફાજલ આવક છે તે લોકો હવે ચીજવસ્તુઓની વધારાની ખરીદી પણ કરીને તેને સંપત્તિના રૂપે સંગ્રહ કરવા લાગે છે. આમ થવાથી બીજો એક વર્ગ પણ યેન કેન પ્રકરેણ પોતાની આવક વધારીને આવી ખરીદીઓના જુવાળમાં જોડાય છે. એ કારણે ભાવો હજુ વધવા લાગે છે. પરિણામ સ્વરૂપ, અપર્યાપ્ત આવકવાળાં લોકોને પોતાની જરૂરીયાતો પુરી કરવા માટે પણ નાણાની તૂટ પડે છે. હવે એ લોકોએ ક્યાં તો જરૂરિયાતો પુરી કર્યા વિના ચલાવવું પડે છે કે પછી દેવું કરીને પણ જરૂરી નાણાની જોગવાઈ કરવી પડે છે. જે વર્ગ થોડી ઘણી બચત કરી પણ શકતો હતો તે વર્ગ પણ હવે પોતાની બચતોને હવે જે મોભાદર ગણાવા લાગી છે એવી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં વાપરવા લાગે છે.
ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન માટે મર્યાદિત સંસાધનો ધરવતાં અર્થતંત્રની ભાવ વધારાને કારણે થતી વૃદ્ધિ હવે એવી સ્થિતિમાં આવી રહે છે કે ધનિકો વધારે ધનિક થાય છે અને ગરીબો વધારે ગરીબ બને છે.
જોકે આપણે અભૌતિક પ્રકારની સંપત્તિ પણ ઊભી કરી શકીએ
અર્થતંત્રની ભૌતિક વૃદ્ધિને કારણે સંભવિત ગરીબી અને આર્થિક અસામનતાઓની સામે, સદનસીબે, આપણા બધાં પાસે એક નવો ઉકેલ હવે શક્ય બનવા લાગ્યો છે. એ ઉપાય છે સેવાઓનાં વધારે ઉત્પાદનનો. હાલમાં વપરાતી સેવાઓનાં ઉત્પાદનમાં તેમ્જ વપરાશમાં વધારો કરીને કે પછી નવી નવી સેવાઓનાં ઉત્પાદન કે વપરાશને વિક્સાવીને વધારે આવકો કે આવકોના નવા સ્રોતો ઊભાં કરતું અર્થતંત્રનું સેવા ક્ષેત્ર હવે લગભગ દરેક દેશનાં અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવવા લાગ્યું છે. ભૌતિક ચીજવસ્તુઓનાં ઉત્પાદનો માટે જેટલી ભૌતિક સંસાધનોની જરૂર પડે છે તેના કરતાં સેવાઓના ઉત્પાદન માટે ઓછી જરૂર પડે છે. ભૌતિક ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે જરૂરી કાચા માલ હંમેશાં અર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ હોય છે. તેની સામે સેવાઓનાં ઉત્પાદન માટે કાચો માલ લોકોમાં રહેલ સહજ કળા અને હુન્નરનું કૌશલ્ય છે. માણસ જાતની સામે જ્યારે જ્યારે મુશ્કેલીઓના અવરોધો આવ્યા છે ત્યારે તેની પ્રકૃતિદત્ત કલ્પનાશીલતાનો ઉપયોગ કરીને તેણે નવા નવા ઉપાયો શોધ્યા છે. બીજા શબોમાં કહીએ તો માણસ જાતમાં કૌશલ્ય વિકાસની સંભાવનાઓ અમર્યાદ માત્રામાં છે એમ કહી શકાય. માત્ર તેને સુષુપ્તાવસ્થામાંથી જગાડવાની જરૂર રહે છે. આજે જેને વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે તેઓની સફળતાનું એક મોટું કારણ તેમના દ્વારા સેવા ક્ષેત્રનો વિકાસ ગણાય છે. આજના વિકસિત દેશોમાં કુલ ઘરેલુ ઉત્પાદનમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૭૦% જેટલો જોવા મળી રહ્યો છે.
સેવાઓનાં ઉત્પાદનમાં વૃદ્ધિથી નાણાકીય આવક અને સંપત્તિઓમા પણ વધારો કરી શકાય છે. તે સિવાય સેવાઓનો બીજો, બીનનાણાકીય પણ, મહત્ત્વનો ફાયદો સેવાઓ દ્વારા એકબીજાંને મ્દદરૂપ થવા ઉપરાંત ચીજવસ્તુઓનાં ઉત્પાદન, વિતરણ કે વપરાશને પણ વધારે કાર્યક્ષમ બનાવી શકવાનો છે. અહીં પણ બચતકાર પોતાની બચતનો ઉપયોગ પોતાનાં કે અન્યનાં કૌશલ્યના વિકાસમાં કરીને પોતાની બચતનું કૌશલ્ય વૃદ્ધિ જેવાં બીનનાણાકીય ઉત્પાદક રોકાણમાં પણ કરી શકે છે.
સેવા ક્ષેત્રની વૃદ્ધિથી વ્યક્તિગત તેમજ સંગઠિત સ્વરૂપે રોજગારની તકો પણ વધે છે.
આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં સંબંધી નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો પૈકી ‘રોકાણને પાછાં ઉપાડી લેવાં‘ વિશે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
