સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

કોઇ બે ટીમો વચ્ચેની મેચમાં આપણે કશું લેવાદેવા ન હોય તો પણ જાણ્યેઅજાણ્યે કોઇ એક ટીમના પક્ષે બેસી જતા હોઈએ છીએ. આવું જ કોઇ અન્ય બે જૂથો કે દેશો વચ્ચેની લડાઇમાં બનતું હોય છે. દુનિયા આખીએ વાજબી રીતે જ વખોડી કાઢેલા ગાઝા પટ્ટીના આતંકવાદીઓએ કરેલા નિર્મમ આતંકવાદી હુમલા પછી તેની જવાબી કાર્યવાહી તરીકે ઈઝરાયલી સેનાએ ગાઝાપટ્ટીમાં કરેલા અમાનવીય અત્યાચારમાં કશું અયોગ્ય લાગતું ન હોય તેવો એક મોટો વર્ગ આપણે ત્યાં છે. તેના કારણોમાં મુખ્યત્વે મુસ્લિમો તરફનો પૂર્વગ્રહ અને યહુદી પ્રજાના બુદ્ધિ,-કૌશલ્ય અને બહાદુરીની વાતોનો અને તેમણે વેઠીલી યાતનાઓ પ્રત્યે સહાનુભીતિની પણ  તે વર્ગ પર અસર હશે.. ઇઝરાયલનો પક્ષધર બનેલો આ વર્ગ પેલેસ્ટાઇનીઓની મરજી વિરુદ્ધ તેમની વચ્ચે જ ઇઝરાયલના નિર્માણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી અજાણ છે અથવા તો તેમને પેલેસ્ટાઇનના લોકોને થયેલા અન્યાયને નજરઅંદાજ કરીને પણ યહુદીઓને પોતાની પિતૃભૂમિ મળવી યોગ્ય  લાગે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહુદી પ્રજા પર હિટલરે કરેલા અત્યાચારની વિગતો  જગજાહેર છે. તેથી યહુદી પ્રજા સહનુભૂતિને લાયક છે જ. પરંતુ હિટલરના અત્યાચારનું કારણ યુરોપિયનોનો યહુદીઓને શોષણખોર અને ક્રૂર તરીકે જોવાનો પૂર્વગ્રહ છે. કદાચ આ જ કારણે શેક્સ્પિયરને ‘મરચ‌ન્ટ ઓફ વેનિસ’માં યહુદી ‘શાયલોક’નું પાત્ર સૂઝ્યું હશે.

દર્શકની નવલકથા ‘ઝેર તો પીધા છે જાણી જાણી’માં ’next year in Jerusalem’ ના નારા દ્વારા યહુદીઓના પોતાની પિતૃભૂમિમાં પાછા ફરવાના સંકલ્પની વાત આવે છે.  છેક ૧૯૧૭માં બ્રિટનના વિદેશમંત્રી બફ્લરે યહુદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવાની જાહેરાત બ્રિટનની સંસદમાં કરી હતી. સ્વાભાવિક છે કે બધા આરબ દેશોની વચ્ચે પેલેસ્ટાઇનમાં યહુદીઓને એક આખો પ્રદેશ આપવાનો વિરોધ પેલેસ્ટાઇનના લોકો કરે જ. પરંતુ  દુનિયાના અન્ય સામ્રાજયવાદ વિરોધી પરિબળોએ પણ તેનો વિરોધ કર્યો હતો. ભારતના ભાગલા વખતે  જેમ ગાંધીજીએ પાકિસ્તાનના હિંદુઓને અને ભારતના મુસ્લિમોને ‘ગમે તે પરિસ્થિતિ હોય પણ પોતપોતાના દેશમાં જ રહેવાની’ સલાહ આપી હતી તે જ રીતે યહુદીઓને પણ તેઓ જે તે દેશમાં હોય ત્યાંના જ થઈને રહેવાની સલાહ આપેલી. ગાંધીજીએ આ અંગે પોતાના વિચારો ૨૬ નવે‌મ્બર ૧૯૩૮ના ‘હરિજન’ માં લખેલા એક લેખમાં વ્યકત કરેલા જેના મુખ્ય મુદ્દાઓ અહીં મૂક્યા છે.

ગાંધીજી પોતે યહુદીઓએ ઇતિહાસકાળમાં સતત વેઠેલા જુલમો અને અન્યાયથી સભાન તો હતા જ. ‘હરિજન’માં તેમણે લખ્યું પણ. “જેમ હિંદુઓ પોતાની ધાર્મિક માન્યતાને આગળ ધરીને દલિતોને અસ્પૃશ્ય ગણે છે તેવી જ રીતે ખ્રિસ્તીઓ પણ તેમની ધાર્મિક માન્યતાને કારણે યહુદીઓને અસ્પૃશ્ય જેવા જ માને છે. પરંતુ આ તો અમાનવીય જુલમ કહેવાય. મારી યહુદીઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. જર્મનોએ તેમના પર ગુજારેલા ત્રાસનો ઇતિહાસમાં કોઇ જોટો જડતો નથી. યહુદીઓ પ્રત્યે હિટલરના બેફામ દમનને રોકવા માટે યુદ્ધ વહોરવામાં પણ કશું ખોટું નથી.

આમછતાં ગાંધીજી પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય(ઇઝરાયલ) ઊભું કરવાના સખત વિરોધી હતા. તેમણે લખ્યું “આરબો ઉપર ઇઝરાયલ થોપી દેવું તે વાજબી તો નથી, ઉપરાંત અમાનવીય પણ છે. સમગ્ર પેલેસ્ટાઇનમાં કે તેના કોઇ એક ભાગમાં યહુદી રાજ્ય ઊભુ કરીને આરબોના સ્વાભિમાન પર પ્રહાર કરવો તે કોઇ રીતે યોગ્ય નથી.”

ગાંધીજીના આ વિચારો બે મુદ્દાઓ પર આધારિત હતા. તેઓ માનતા કે પેલેસ્ટાઇન એ માત્ર આરબ પેલેસ્ટાઇની લોકોની જ માતૃભૂમિ છે. બીજી બાબત એ હતી કે બ્રિટન બળજબરી અને હિંસા કરીને પણ યહુદીઓને અહીં વસાવવા માગતું હતું. તેમણે લખ્યું, “યહુદીઓએ પેલેસ્ટાઇનના લોકોની સદભાવના જીતીને જ પેલેસ્ટાઇનમાં વસવું જોઈએ, નહિ કે બ્રિટનનાં બંદૂક કે બોંબનો સહારે. આ ઉપરાંત ગાંધીજીએ કહ્યું કે માની લઈએ કે યહુદીઓનો પેલેસ્ટાઇન સિવાય કોઈ આરો નથી તેથી ત્યાં તેમને માતૃભૂમિ મળી જાય. આવા સંજોગોમાં શક્ય છે કે તેઓ યુરોપ સિવાય દુનિયામાં અન્યત્ર જ્યાં શાંતિથી રહી રહ્યા છે ત્યાંથી પણ તેમને બળજબરીથી હાંકી  કાઢવામાં આવશે તો તેઓ પસંદ કરશે?

ગાંધીજીના આ વિચારોના વિરોધમાં  માર્ટિન બુબેર નામના ઓસ્ટ્રેલિયાના એક યહુદી વિચારકે ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૯ના દિવસે પાંચ હજારથી પણ વધારે શબ્દોનો એક  લાંબો પત્ર લખેલો. ગાંધીજી અને બુબેરના વિચારો ઘણી બાબતમાં સમાન હતા. બુબેર પણ ગાંધીજીની જેમ માનવહક અને  ગ્રામસ્વરાજ્યના હિમાયતી હતા. આ ઉપરાત તેઓ એકહથ્થુ કે‌‌ન્દ્રીય સત્તાના પણ વિરોધી હતા. પરંતુ નાઝીઓ સામે સત્યાગ્રહની વાત તેમને સ્વીકાર્ય ન હતી. તેમણે ગાંધીજીને લખેલું, “તમે કરેલા દક્ષિણ આફ્રિકાના તમારા સત્યાગ્રહની જેમ અમે પણ જર્મનીમાં સ્ત્યાગ્રહ કરીએ તેમ ઇચ્છતા હશો પરંતુ એ ભૂલી જાઓ છો કે દક્ષિણ આફ્રિકામાં ૧૫,૦૦૦ ભારતીયોની સામે તમારા દેશમાં ૨૦ કરોડ ભારતીયો રહે છે, જ્યારે આમારી પાસે કોઇ પિતૃભૂમિ નથી વળી તમે એમ માનતા હો કે બાઇબલમાં આવતી પિતૃભૂમિની વાતથી દોરવાઈને અમે અમારી પિતૃભૂમિની માગણી કરી રહ્યા છીએ, તો તમારી એ માન્યતા ભૂલભરેલી છે. તમે દક્ષિણ આફ્રિકાના ભારતીયોની તકલીફો સાથે અમારી યાતનાઓની સરખામણી ન કરી શકો. ૧૯૦૬ના તમારા ભાષણમાં કેટલાક યુરોપિયનોએ કરેલી હરકતની વાત તમે કરી હતી, જો હું આ રીતે જર્મનીઓની ટીકા કરું તો યહુદીઓની સેંકડો દુકાનોમાં આગ ચાંપવામાં આવે. જર્મનીઓએ અમને આપેલા ત્રાસની સરખામણીમાં  અંગ્રેજોએ તો તમને ખૂબ નજીવું નુકસાન કર્યું છે.”  આમ ગાંધીજી ભલે અહિંસાને મોટી તાકાત માનતા હોય પણ બુબેર તો અહિંસાને એક ખૂબ નાનુ અને મર્યાદિત શસ્ત્ર માનતા

અહીં એક વાત આપણે જાણવી જોઇએ કે ૧૪ મે ૧૯૪૮ના દિવસે ઇઝરાયલના અસ્તિત્વ પહેલાની સદીઓથી યહુદીઓ પેલેસ્ટાઇનમાં આવતા રહ્યા છે. ૧૮૮૨થી ૧૯૦૩ વચ્ચે લગભગ ૩૫,૦૦૦ યહુદીઓ તુર્કીના ઓતામાન સામ્રાજ્ય હેઠળના પેલેસ્ટાઇનમાં આવીને વસેલા. તેની પણ પહેલા એટલે કે ઇસ્લામ અગાઉના લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા પણ ત્યાં યહુદીઓ હતા. પરંતુ પેલેસ્ટાઇનને બે ભાગમાં વહેંચીને એક ભાગ  ઇઝરાયલને આપવાની વાત પેલેસ્ટાઇનીઓને સ્વીકાર્ય ન હતી. ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા તે પહેલા જ ઇઝરાયલનું આયોજન અને તૈયારીઓ તો થઈ ચૂકી હતી. આજે તો એક વખતના તેના વિરોધીઓએ પણ તેને માન્યતા આપી દીધી છે. ૧૯૭૮ના ના કે‌મ્પ ડેવિડ કરારને કારણે ઇઝરાયલે પેલેસ્ટાઇનના જ ભાગો એવા ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાંથી ખસી જવાનું સ્વીકાર્યું અને ૧૯૬૭માં ખાધેલી કારમી હારને કારણે  ઇજિપ્તે પણ ઇઝરાયલનો સ્વીકાર કર્યો.

તસવીરમાં ૧૯૪૮ ની લડાઈ દરમિયામ જૂન મહિનામાં હાફિયા નામના ગામથી નીકળેલી પેલેસ્ટાઇનના નિરાશ્રિતોની અરબસ્તાનના તુકરમ શહેર પાસે વણઝાર

પરંતુ સંજોગોના દબાણને કારણે નેતાઓએ કરેલા સમાધાનનો આરબ પ્રજાએ હૃદયપૂર્વક સ્વીકાર ન કર્યો. અનેક આતંકવાદી સંગઠ્ઠનો ઊભા થયા. ઇઝરાયલના લોકો ચેનથી સૂઇ શકે તેવી પરિસ્થિતિ આજે પણ નથી. ગાઝાપટ્ટીમાં નિર્દયતાથી નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને નાના બળકોને ક્રૂરતાથી રહેંસી નાખવાની કાર્યવાહી બે અઢી મહિનાથી વણથંભી ચાલી રહી છે. હવે તો ગાઝાના લોકોની રાહત છાવણીઓ પર પણ હુમલાઓ શરૂ થયા છે.  ગાઝા ગમે તેટલું ખેદાનમેદાન થઈન જાય, તો પણ સમગ્ર કોમનું નિંકંદન તો નીકળી શકે નહિ. વેરની આગ બુઝાશે નહિ. લડાઇ લાબી ચાલશે તો શક્ય છે કે બીજા દેશોને પણ દઝાડે.

૧૯૪૮ થી આજ સુધીમાં થયેલી અનેક નાનીમોટી લડાઇઓ, આતંકવાદી હુમલાઓ અને વળતા પ્રહારોથી અને સૌથી વધારે તો યુરોપ અને અમેરિકાની દખલગીરી તેમજ તેમની ઇઝરાયલને મળતી નૈતિક અને શસ્ત્રોની સહાયને કારણે મધ્યપૂર્વની શાંતિ સતત ડહોળાતી રહી છે. ઇઝરાયલની રચનાથી યહુદી પ્રજા અને સમગ્ર વિશ્વે નક્કર શું મેળવ્યું તે નિષ્ણાતો નક્કી કરી રહ્યા હશે, પરંતુ ગાંધી સાચા હતા કે બુબેર? એ સવાલનો સાચો જવાબ હજુ મળી શક્યો નથી. સાથેસાથે લેખની શરૂઆતમાં જણાવ્યા મુજબ આપણા આપણા દેશમાં હજુ પણ જેમને ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ છે તેમણે  પોતાના અંતરાત્માને ઢંઢોળવો જોઇએ અને પક્ષધર બનવું હોય તો માનવતાના જ પક્ષધર બનવું જોઇએ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.