પુસ્તક પરિચય

લીલા:નૌશિલ મહેતા

પરેશ પ્રજાપતિ

સાહિત્યસર્જનમાં નાટક એ સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર મનાય છે. પરંતુ વાર્તા, નવલકથા કે કવિતાનાં પુસ્તકોની સરખામણીએ નાટકનાં પુસ્તકો ઓછાં જોવા મળે છે. નાટકમાં રજૂઆત મુખ્ય ભાગ ભજવે છે. નૌશિલ મહેતા નાટ્યલેખન સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં મૌલિક તથા પ્રેરિત નાટકો લખ્યા છે. મુંબઇની રંગભૂમિમાં નાટ્યલેખન ઉપરાંત તેઓ દિગ્દર્શન અને નિર્માણમાં પણ સક્રિય છે. ભૂપેન ખખ્ખર લિખિત ‘મોજીલા મણિલાલ’ તથા મધુ રાય લિખિત ‘આ શેખર ખોસલા કોણ?’નું નિર્માણ પણ નૌશિલ મહેતાએ કર્યું છે. ‘લીલા’ તેમનું પ્રથમ નાટ્યપુસ્તક છે. તેઓ માનતા હતા કે નાટકનાં પુસ્તકો ન હોય; આમ છતાં પુસ્તક માટે તેમણે કેમ મન બનાવ્યું, તેનાં અંગત સંભારણાં સાથેનો પ્રવેશલેખ ‘સંગતની રંગત’ શિર્ષક હેઠળ આપ્યો છે.આ લેખમાં તેમણે નાટક લખવા તરફના પહેલવહેલા ધક્કાની વાતો સરસ રીતે પીરસી છે.

કુલ દસ નાટકો ધરાવતું આ પુસ્તક મૌલિક નાટકો અને પ્રેરિત નાટકો એમ બે ભાગમાં વિભાજિત છે. પહેલા વિભાગમાં સાત મૌલિક નાટકોનો સમાવેશ છે.

‘નૌશિલ મહેતા આપઘાત કરે છે’ એ આ વિભાગમાં પહેલું નાટક છે, જે તેમની લખાઇ રહેલી રહસ્યકથાના એક અંશ પર આધારિત હતું. આ નાટકને લાભશંકર ઠાકરની ઉત્સાહવર્ધક ટિપ્પણી ઉપરાંત ઘણાં ઇનામો અને ટ્રોફીઓ મળી હતી. કેતન મહેતાની હિંદી ફિલ્મ ‘હીરો હીરાલાલ’ આ નાટક પર આધારિત હતી.

બીજું નાટક ‘શ’ મીઠીબાઇ કોલેજને જીતાડવાના ઉદ્દેશ્યથી લખાયેલું હતું. મૂળે ‘રિયલ ટુ સિમ્બોલિક’ થીમ આધારિત નાટક ‘વણઝારા’ લખવામાં તે નિષ્ફળ ગયા હતા. પરંતું તેના પ્રયોગની કલ્પના પર આધારિત સાવ અનોખા નાટક ‘શ’નું સર્જન થયું હતું. નાટકમાં એક પણ સંવાદ નહોતા, પરંતું માત્ર ભજવણી દ્વારા વાત કહેવાનો એક નવતર પ્રયોગ હતો. શફી ઇનામદાર તથા પરેશ રાવલ જેવાઓએ નાટકના એ પ્રયોગને વખાણ્યો હતો. નાટકમાં સંવાદો ન હોવાથી પુસ્તકમાં તેના રિહર્સલના ફોટાઓને સ્થાન આપ્યું છે.

‘ખાનગી ભાષા’ મનોવૈજ્ઞાનિક અસરો વર્ણવતું નાટક છે.

રંગભૂમિ પર એક જ સેટનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખી મૌલિક નાટક લખવાની ત્રણ નાટ્યલેખકો વચ્ચે આપસી સ્પર્ધા થઇ. પ્રચાર માટે નામ રાખ્યું હતું ‘ત્રણ ગુજરાતી’. તેમાં નૌશિલ મહેતાએ ‘લીલા’ નાટક લખ્યું હતું, જેમાં ગુમાવેલી પ્રેમિકાની યાદો વાગોળતા બે ડોસાની કથા છે. આ નાટક હિંદીમાં ‘રંગબિરંગી’ નામથી ભજવાયું હતું.

‘હું તને ગમું છું?’ – આર ડી લૅન્ગના પુસ્તક ‘Do you really love me?’ ની સ્મૃતિ આધારિત માત્ર દસ મિનિટના નાટકના ટુકડા પરથી લખાયેલું નાટક છે, જે ‘ત્રણ ગુજરાતી’ના બીજા ભાગ રૂપે છે.

‘વાનરપુરની વાત’ નાટક સ્ત્રીભ્રૂણહત્યા અંગે સંદેશ આપતું નૌશિલભાઇએ લખેલું પહેલું બાળનાટક છે. પુસ્તકનું કોઇ પણ નાટક ભજવવા લેખકની પરવાનગી જરૂરી હોવાની પુસ્તકમાં નોંધ છે, પરંતુ આ નાટકને સહેતુક તેમાંથી મુક્ત રખાયું છે.

સ્થાનિક બોલીને કારણે રસપ્રદ નીવડેલું પુસ્તકનું સાતમુ નાટક ‘લાપસી’ એવું નાટક છે, જે ‘ચોરી’ થયું હતું! તે ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી અને કન્નડ ભાષામાં પણ ભજવાઇ ચૂક્યું છે.

પ્રેરિત નાટકોના બીજા વિભાગમાં ‘એક ને એક એક’, ‘ડ્રામો’ તથા ‘ડાબા પગનો ખેલ’ એમ ત્રણ નાટકોનો સમાવેશ થાય છે, જેમાં ‘ડાબા પગનો ખેલ’ ડાર્ક હ્યુમર ધરાવે છે.

પ્રત્યેક નાટકની શરૂઆતમાં ભજવણીની અવધિ, પ્રથમ પ્રયોગની વિગતો કે સમય, કલાકારો, નિર્માણ સંસ્થા, સંગીતકાર ઉપરાંત પ્રકાશ રચના સંભાળનારના નામોલ્લેખ જેવી નાટક સાથે સંકળાયેલી ઝીણી વિગતો છે.

**** **** ****

કવિતા કે નવલકથા કરતાં નાટ્યલેખન ઘણું જુદું પડે છે. કારણ કે નાટકો ભજવીને દેખાડવાનાં હોય છે. તેમાં વર્ણનો ન ચાલે. વળી, રંગમંચની પણ કેટલીક મર્યાદાઓનું ધ્યાન રાખવું પડે છે. નૌશિલ મહેતાએ પુસ્તકમાંના દરેક નાટક પહેલાં નાટકને અંગત લખાણોની સંગત આપી છે. તેમાં પ્રત્યેક નાટક કેવી રીતે અને કેવા સંજોગોમાં લખાયું? કેમ લખાયું? વિચારબીજ ક્યાંથી અને કેવી રીતે મળ્યું અને તે કેવી રીતે વિકસ્યું? કેવા પડકારો હતા અને કેવી મૂઝવણોએ તેમને પરેશાન કર્યા? તેનાં રિહર્સલો ક્યાં અને કેવી રીતે થયાં? છેવટે એનું પરિણામ શું આવ્યું? વગેરે બાબતોને સાંકળી લીધી છે. આ રસપ્રદ અને માહિતીપ્રદ લખાણો પુસ્તકને આગવું બનાવે છે. તેમાં નાટ્યલેખનના પડકારો અને વિટંબણાઓની સાથે લેખકે તેમાંથી કેવી રીતે માર્ગ શોધ્યો તેની પણ રસપ્રદ વાતો છે. તેથી નાટ્યલેખન અને ભજવણીની અજાણી અને અનોખી દુનિયાની આહ્લાદક સફર કરાવતું આ પુસ્તક, નાટ્યલેખનની દિશામા આગળ વધવા માંગતી વ્યક્તિ માટે પથદર્શક પણ બની રહે તેમ છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

લીલા: નૌશિલ મહેતા

પૃષ્ઠસંખ્યા : 216

મૂલ્ય : ₹ 300/-

પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી 2013

પ્રકાશક: ક્ષિતિજ સંશોધન કેન્દ્ર, એ-403, પારસનાથ, સુધા પાર્ક, શાંતિપથ, ઘાટકોપર(પૂર્વ), મુંબઇ-400 077; email etadindia@gmail.com

પ્રાપ્તિસ્થાન :ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 199/1, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ- 400 002. ફોન. 022-22002691, 22001358;

1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, અમદાવાદ 380 006. ફોન. 079- 26560504; 26445836; email: imagebdl@gmail.com

નવભારત સાહિત્ય મંદિર, 134- શામળદાસ ગાંધી માર્ગ, મુંબઇ- 400 002. ફોન. 022-22017213; 22085593; email: nsmmum@yahoo.com

પ્રસાર, 1888, આતાભાઇ એવન્યુ, ભાવનગર, 364 001 ફોન. 0278-2568452; email: jayantmeghani@gmail.com


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com