મંજૂષા

વીનેશ અંતાણી

પરસપર અસંમતિ માટે સંમત થવાની મોકળાશ રાખવી વ્યક્તિત્વવિકાસ માટે આવશ્યક છે.આપણે આપણાં મનમગજને ખોલશું નહીં ત્યાં સુધી હૃદય બંધ જ રહેશે

 

સામાન્ય રીતે આપણે સમાન વિચારો, સમાન મૂલ્યો, સમાન જીવનશૈલી ધરાવતી વ્યક્તિ સાથે ભળવાનું વધારે પસંદ કરીએ છીએ. એવી વ્યક્તિ કે સમાજ સાથે સુવિધાજનક મોકળાશનો અનુભવ થાય છે. આપણા વિચારો, માન્યતાઓ કે સામાજિક રહેણીકરણી સામે પડકાર લાગતો નથી. પ્રમાણમાં સહેલાઈથી અરસપરસ સંમત થવાની શક્યતા દેખાય છે. એ આપણો પરિચિત પ્રદેશ હોય છે. બાળકો પણ આવા સીમીત વર્તુળમાંથી જ મિત્રો બનાવે છે. મોટા થયા પછી પરિચયમાં આવતા લોકોની સંખ્યા વધે છે. લોકો નોકરીના સ્થળે પોતાના જેવા લાગતા સહકાર્યકર્તાઓને પસંદ કરે છે. ગોઠવાયેલાં લગ્નમાં વ્યક્તિ અને પરિવારની પ્રથમ પસંદગી માટે એવો જ માપદંડ હોય છે. એ માનસહજ વલણ છે.

ઉંમરની સાથે બહારના જગત સાથે સંપર્ક વધે પછી અલગ જાતિ, ધર્મ, ભાષા, સામાજિક ભૂમિકા ધરાવતા લોકો સાથે સંસર્ગમાં આવવાનું બને છે. બદલાયેલા સમયમાં નવીનવી વ્યાવસાયિક તકો ઊભી થવાથી લોકો એમનું ગામ-શહેર-રાજ્ય છોડી વિદેશ સહિત બીજા મુલકમાં જાય છે. એથી નવી પેઢીના સંપર્કનું ક્ષેત્ર બહોળું થયું છે. પરિસ્થિતિ પ્રમાણે અલગ પ્રકારના લોકો સાથે ભળવાનું લગભગ અનિવાર્ય બની જાય છે.

વાત ઔપચારિક કે વ્યાવસાયિક સંબંધો પૂરતી જ નથી. તેની બહારનાં બૃહદ્દ ક્ષેત્રમાં આપણાથી ભિન્ન વિચારો, અભિગમ, જીવનશૈલી ધરાવતા લોકોને સ્વીકારવા આપણે કેટલા તૈયાર છીએ તેની પણ છે. વ્યક્તિ ઓપન માઇન્ડેડ હોય તો વિવિધ પ્રકારના પરિચય અને સંપર્ક વિકસાવી શકે છે અને જાળવી શકે છે. એમની વિચારસરણી વિસ્તૃત બને છે. માણસને અન્ય વ્યક્તિઓમાં રહેલી ભિન્નતામાં રસ પડવો જોઈએ. દરેકના જીવનના અનુભવ જુદા રહેવાના, માન્યતાઓ ભિન્ન રહેવાની અને કોઈ પણ બાબત માટે એમની માનસિક પ્રતિક્રિયા પણ અલગ રહેવાની. પરસપર અસંમતિ માટે સંમત થવાની મોકળાશ રાખવી વ્યક્તિત્વવિકાસ માટે આવશ્યક છે. અહીં અસહિષ્ણુતાને અવકાશ જ રહેતો નથી. વિશ્ર્વની સીમાઓ સંકોચાવા લાગી હોય ત્યારે કોઈ પણ પ્રકારની સંકુચિતતાને સ્થાન ન હોય. અમેરિકાની લેખિકા અને વિચારક બાયરોન કૅટીએ કહ્યું છે: ‘આપણે આપણાં મન-મગજને ખોલશું નહીં ત્યાં સુધી હૃદય બંધ જ રહેશે.’

આપણાથી અલગ વિચારો અને દૃષ્ટિબિંદુ સાથે મેળ પડે તો એને સ્વીકારવા સહેલા બને છે. એમાંથી મળતી નવી માહિતી આપણી સામે પડકાર ફેંકતી નથી, પરંતુ પૂરક બને છે. તેમ છતાં આપણાથી અલગ વિચારસરણીને આસાનીથી પચાવવી સહજ લાગતું નથી. અભ્યાસીઓ કહે છે તેમ તે માટે આપણા વિચારો અને દૃષ્ટિબિંદુને તત્કાળ પૂરતાં બાજુએ મૂકી, અન્યના વિચાર અને અભિગમનો ખુલ્લા મને સ્વીકાર કરવો જોઈએ. તો એને સમજવાની બારી ઊઘડે. આપણને પ્રાપ્ત થયેલા નવા વિચારમાંથી ગ્રહણ કરવા જેવું લાગે તો તે ગ્રહણ કરવું જોઈએ. એટલું જ નહીં, તે સંદર્ભમાં આપણું કશુંક અયોગ્ય લાગે તો એને બદલવાની પણ તૈયારી રાખવી જોઈએ.

ક્યારેક નવો વિચાર સામે મુકાતાંની સાથે જ કેટલાક લોકો પહેલે ધડાકે નકારાત્મક તારણ પર આવી જાય છે. જેમ કે વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ સેલ્સમેન એના મેનેજર પાસે કોઈ નવો વિચાર મૂકે તો પહેલી પ્રતિક્રિયા ‘આ શક્ય જ નથી’ જેવો આવે છે. એને બદલે ‘નવો વિચાર નિષ્ફળ જવાની સંભાવના વધારે છે, છતાં ચાલો, આપણે પ્રયત્ન તો કરી જોઈએ’ પ્રકારના પ્રતિસાદથી કશુંક સારું બનવાની શક્યતા વધે છે.

આપણું જ બધું ઉત્તમ છે, અદ્વિતીય છે એવી સંકુચિતતામાં પુરાઈ રહેવાથી કોઈ ફાયદો થતો નથી. આ સંદર્ભમાં એક બાોધકથા જાણવા જેવી છે. એક સમયે એક જંગલમાં બધું ગુલાબી રંગનું હતું. પ્રાણીઓ,પક્ષીઓ, વૃક્ષો, નદીનું પાણી, જમીનનો રંગ – બધું ગુલાબી. એ જંગલનાં પ્રાણીઓ અને પક્ષીઓએ એમના જંગલમાંથી ક્યારેય બહાર પગ મૂક્યો નહોતો. તેઓ બધાં માનતાં હતાં કે ગુલાબી રંગ સિવાય બીજું કશું હોઈ જ શકે નહીં. એક વાર એક ચકલી ઊડતી ઊડતી બીજા જંગલમાં પહોંચી ગઈ. ત્યાં બધું જ લીલા રંગનું હતું. પાછી આવીને એણે બધાંને વાત કરી. બધાં બાજુના જંગલમાં ગયાં. જોયું તો ચકલીની વાત સાચી હતી. લીલા રંગના જંગલનાં નિવાસીઓને પણ ગુલાબી પ્રાણી-પક્ષીઓને જોઈ નવાઈ લાગી. બંનેમાંથી ઉત્તમ કોણ એનો વિવાદ ઉગ્ર ઝઘડા સુધી પહોંચ્યો. બંને પક્ષના પીઢ વડીલોએ વિચારવિમર્શ કરીને કહ્યું: ‘આ રીતે ઝઘડવાનો અર્થ નથી. આપણા રંગ અલગ છે, પરંતુ બીજી બધી રીતે અમારા – તમારા હાથીઓ, મોર, હરણ, રીંછ, પોપટ, ચકલી – એમ બધાંના આકાર એકસરખા છે. આપણે એકબીજાના રંગ સ્વીકારી લઈએ. બધાંએ એમની વાત માની, સંપથી રહેવા લાગ્યાં. એટલાં હળીમળી ગયાં કે લાંબા ગાળે એમના રંગ અલગ છે તે વાતનું મહત્ત્વ જ વીસરાઈ ગયું.

ભારતની સંસ્કૃતિમાં ‘દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ’ જેવી મોકળાશ છેક વેદકાળથી છે. આપણા માટે આ વાત નવી નથી, વિસરાઈ ગઈ હોય તો જુદી વાત છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.