જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ
અંશ ૩ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
લોભથી ચાલતી અર્થવ્યવસ્થાની જગ્યાએ સંતોષપ્રેરિત માર્ગ – જીવનની નવી અર્થવ્યવસ્થા
નાણા પ્રેરિત અર્થવ્યવસ્થાની બહાર નીકળીને આપણને આપણી નાણાં અને બિન – નાણાકીય અર્થવ્યવસ્થાનાં એવાં સંમિશ્રણની જરૂર છે જે આપણા જીવનને દરેક અર્થમાં સુખી અને આનંદમય બનાવે.
આપણને જરૂર છે આર્થિક જેલમાંથી થોડા સમયની મુક્તિની, જેમાં આપણને નાણાં સિવાય ચાલતાં વિશ્વની મુલાકાત લઈએ અને જીવનનાં સુખની ચાવી શોધ માટે નવો દૃષ્ટિકોણ કેળવી શકીએ.
જોકે આજે હવે નાણાંની ચૂંગાળ એટલી હદે વ્યાપકા બની ગઈ છે કે કમાણીની સામે ‘પર્યાપ્ત’ ખર્ચ કરવાનું એવા સમાજમાં જ શક્ય છે જ્યાં કોઈ જ પ્રકારનું આર્થિક શોષણ ન હોય, જ્યાં એક વ્યક્તિનું સંતોષમય જીવન જીવવું અન્ય લોકોના લોભની પૂર્તિ માટેની વધારાની આવકનો સ્રોત ન હોય. પરંતુ સમાજમાં એક વર્ગ એવો પણ હોય છે જે સંતોષી વ્યક્તિઓની જીવનશૈલીનો ગેરલાભ ઉઠાવે છે. સંતોષી લોકોની સાદી જીવનશૈલી એ વર્ગ માટે જરૂરિયાતથી ઘણી વધારે ખરીદીઓ કરવા માટેનો એક અનિચ્છનીય માર્ગ ખોલી આપે છે. આ પ્રમાણે ખરીદી કર્યે રાખવામાં એ વર્ગનો આશય માત્ર તે બીજાંઓથી વધારે સક્ષમ. વધારે સમૃદ્ધ અને વધારે સુખી દેખાય એવો અહમ્ સંતોષવાનો જ હોય છે. તેમને જોઈને બીજાં લોકો પણ પોતાની આવકથી વધારે ખરીદી કરવાની ઘેટાં ચાલમાં જોડાઈ જાય છે. તેનું અવળું પરિણામ એ આવે છે કે અર્થશાસ્ત્રની સીમાઓ વળોટીને વાત હવે સમાજમાંનાં સારાં અને અનિષ્ટ તત્ત્વો વચેની લડાઈની બની રહે છે. એટલે કે વાત હવે સામુહિક અર્થવ્યવસ્થા અને વ્યક્તિગત અર્થવ્યવસ્થાની અલગ અલગ વિચારધારાઓની નહીં પણ અને સારી અને અનિષ્ટ માનવ સહજ વૃત્તિઓની મુઠભેડની બની રહે છે.
કમનસીબે, નાણાનાં ચશ્માંના ડાબલા ચડાવેલા અર્થશાસ્ત્રીને આવી લોભપ્રેરિત ખરીદીઓની અસરોના કુલ દેશી ઉત્પાદનમાં થતા વધારાના ફાયદા એટલી હદે દેખાય છે કે તેઓ સરકારોને પણ આવી લોભપ્રેરિત ખરીદીઓને પ્રોત્સાહન આપવાની સલાહો આપવા લાગે છે. નાણાકીય આવક અને ખર્ચના સતત વધારાથી થતી આર્થિક વૃદ્ધિમાં માત્ર અર્થતંત્રના વિકાસને જ જોઈ શકતા આવા અર્થશાસ્ત્રીઓનો સમાજે સદંતર અસ્વીકાર કરવો જોઈએ. અર્થશાસ્ત્રીઓ પાસેથી તો આપણે અતાર્કિક, અવૈજ્ઞાનિક લાગતા, માનવીય સંવેદના ધરાવતા, અર્થશાસ્ત્રીઓને નાણાંના અયોગ્ય ફાયદાઓથી થતી અર્થતંત્રની વૃદ્ધિને બદલે નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો જાળવવા છતાં, નાણાં આધારિત અર્થતંત્રના દાયરામાં રહીને, સમાજની દરેક વ્યક્તિને સુખ અને આનંદમય જીવન કેમ મળે તે વિશે મદદની અપેક્ષા છે. તર્ક અને સંખ્યાત્મક – ગાણિતિક મોડેલોની દૃષ્ટિ મર્યાદામાં જ રહેવાને કારણે જેમને બિન – નાણાકીય અર્થવ્યવસ્થા નજરે જ નથી પડતી એવા અર્થશાસ્ત્રીઓ માટે આ બહુ મોટો પડકાર છે.
ભવિષ્યના અર્થશાસ્ત્રીઓએ સમાજમાં અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની સમાજના પ્રસારની સાથે સાથે આપસી વિશ્વાસ, સહકાર અને સંતોષયુક્ત આર્થિક વિચારધારાના પ્રસારની જવાબદારી પણ નિભાવવી પડશે. એ માટે જરૂર પડ્યે એ લોકોએ મનોવૈજ્ઞાનિક, સમાજ સુધારક, ફિલસૂફ અને માનવ સંસ્કૃતિના અભ્યાસુ જેવા વિવિધલક્ષી દૃષ્ટિકોણ પણ વિકસાવવા જોઇશે. તે ઉપરાંત, ધર્મની આસ્થાની ભાષા સહેલઈથી સમજતા વર્ગ માટે તેમણે ધર્મ પ્રચારકની ભૂમિકા નિભાવાવાની પણ તૈયારી રાખવી પડશે. સામાન્ય આદમી નાણાનાં લોભનાં કળણમાં ન ફસાય એટલા માટે ભવિષ્યના અર્થશાસ્ત્રીએ, જરૂર પડ્યે, આવા બિનવૈજ્ઞાનિક અભિગમની મદદ લઈને પણ, નાણાની જ પાછળ આંધળી દોટ માર્યા સિવાય, સંતોષમય જીવનશૈલી દ્વારા સન્માનીય અને પર્યાપ્ત આર્થિક ક્ષેમકુશળ મેળવવાની તેમજ અંગત અર્થવ્યવસ્થા અને વૈજ્ઞાનિક અર્થવ્યવસ્થાને એક સાથે રાખીને તાલકદમ મેળવવાની ચાવીઓ સામાન્ય માનવીને શીખવાડવી પડશે.
આપણી યુનિવર્સિટીઓ અને ત્યાં બેસીને આજની શિક્ષણ વ્યવસ્થાને ઘડી રહેલા શિક્ષણ નિષ્ણાતો પાસે અનેકવિધ અભિગમની ક્ષમતા ધરાવતા ભવિષ્યના આવા અર્થશાસ્ત્રીઓનો ફાલ પેદા કરવાની અપેક્ષા રાખી શકાય ખરી?
જ્યાં સુધી આવા માનવ સહજ વર્તણૂકોને સમજી શકનારા અર્થશાસ્ત્રીઓ કાર્યરત નથી થતા ત્યાં સુધી માર્ગદર્શન માટે આપણે શું કરવું?
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં, ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
